ઊંઘી ગયો હોઈશ – જલન માતરી

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ઓસમાન મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 3

.

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ.

નહીંતર હાથમાંથી જાય છટકી શી મજાલ એની?
હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ.

જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જયારે ચૂંથતાં શીખીગયો હોઈશ.

પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે,
મુકદ્દરને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ.

દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે,
ઇબાદતની જ હાલતમાં ‘ જલન ’ ભટકી ગયો હોઈશ.
– જલન માતરી

ગામ છેડે ની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : અમીષ ઓઝા
અનુવાદ : પિનાકીન ત્રિવેદી
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

ગામ છેડેની પેલી કેડી લાલમ લાલ
હાં રે હાં, મારું મન મોહાય રે
કોને કાજે મનડું કરી ઊંચા હાથ
રજમાં રગદોળાય રે
મારું મન મોહાય રે

એ તો કાઢે ઘરની બહાર મને રે
પકડી પગલે પગલે ઘેરે
હાય હાય રે

એ તો ખેંચી મુજને લેતી જાય રે
ક્યાંક જહન્નમ માંય રે
મારું મન મોહાય રે

એ શો કોક વળાંકે દલ્લો દેખાડે
ક્યાંક વળી શું ખાડે પછાડે
એનો ક્યાં ને ક્યારે અંત? અરે રે
કેમે ના સમાય રે
મારું મન મોહાય રે
– રવિન્દ્રનાથ ટાગોર ( અનુવાદ : પિનાકીન ત્રિવેદી )

મન મારું મેઘની – રવિન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ : રવીન્દ્ર ગુર્જરી

.

મન મારું મેઘની સંગે
ઉડી ઉડી જાય દિગદીશાઓ વ્યોમે
શુન્યાકાશે ઝરમર શ્રાવણ સંગીતે
રીમઝીમ, રીમઝીમ, રીમઝીમ

મન મારું હંસ ની પાંખે બેસી જાય ઉડે
ક્વચિત ક્વચિત ચમકે વીજ પ્રકાશે
ઝણઝણ મંજીરા બાજે ઝંઝા રુદ્ર આનંદે
કલ કલ કલ કલ નાદે ઝરણા
હાક દે, પ્રલય ને આહવાને

વાયુ વહે પૂર્વ સમુદ્ર થાકી
છળ છળ ઉછળે તરંગ તટે
મન મારું દોડે એના મસ્ત પ્રવાહે
અરણ્ય પર્ણના તાલે
શબ્દ શાખાના આંદોલને

-રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા )

ગ્લૉબલ કવિતા : ૨૩૦ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડતાં, ને વન ચાલતાં,
અંજીર ઊગતાં કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગામાં મારી જ
ફિરકી લે કાયમ શેતાન!

મારો ભૂખે અને કોરડે,
કરો હાસ, છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

વખત હતો મારોય, મૂર્ખાઓ!
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવી કોઈ ગાળ ખરી? મતલબ, ગાળ પણ આપી દેવાય અને માથે આળ પણ ન આવે… યાદ આવે છે આવી કોઈ ગાળ? ગધેડો! ખરું ને?! કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહો. નકામો કહેવો છે? ગધેડો. મજૂર કહેવો છે? ગધેડો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો લાખ ગાળોની એક ગાળ છે. એકદમ હાથવગી. જો કે લાખ ડીફણાં મારતાંય અળવીતરું ન ચાલે અને કહ્યું કરે એવું પણ આ એક જ પ્રાણી છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. પ્રશ્ન થાય કે ઈશ્વરે મજાક બનીને રહી જાય એવું આ પ્રાણી શા માટે બનાવ્યું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર ચેસ્ટરટન જેવા પંડિત કવિ આખી કવિતા એના માનમાં શા માટે લખે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. પાંચ વર્ષની વયે પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ અગોચરથી પ્રભાવિત. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવી. રુઢિચુસ્ત ખ્રિસ્તી. એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી સંકુચિતતા વધુ ગાઢી બની. પતિ-પત્નીને આજીવન બંનેના ધર્મપંથ અલગ હોવાનો વસવસો રહ્યો. કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. ચિત્રકામનો રસ શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થયો. ૬ ફૂટ, ૪ ઇંચ તથા ૧૩૦ કિલોગ્રામની કદાવર કાયાનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. ચેસ્ટરટને એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને કહ્યું હતું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. બર્નાર્ડ શૉએ જવાબ આપ્યો: ‘તમને જોઈને લાગે છે કે દુકાળનું કારણ તમે જ છો.’ મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે એ ભૂલી જાય તો પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવતા. જીવનના આખરી પાંચ વર્ષોમાં એમની બીબીસી રેડિયોટૉક્સ ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ પુસ્તકો, ૨૦૦ વાર્તાઓ, ૪૦૦૦ નિબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ‘વિરોધાભાસના રાજકુમાર’ ચેસ્ટરટન માટે ટાઇમ મેગેઝીને કહ્યું: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે- પણ કાળજીપૂર્વક ઊલટાવી નાંખ્યા બાદ!’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન સાધન. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં શિરમોર.

‘હાથ કંગન કો આરસી ક્યા’ જેવું શીર્ષક કાવ્યપરિચય આપવા સ્વયંસંપૂર્ણ છે. કવિએ ‘અ ડૉન્કી’ના સ્થાને ‘ધ ડૉન્કી’ લખ્યું હોવાથી સમજાય છે કે કવિતા સમગ્ર ગર્દભજાતિને આવરી લેનાર છે. બૅલડ (કથા-ગાથાકાવ્ય)ના માસ્ટર કવિએ બૅલડ-મીટર પ્રયોજ્યું છે, જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં એકી પંક્તિઓમાં આયંબિક ટેટ્રામીટર અને બેકીમાં આયંબિક ટ્રાઇમીટર વપરાય છે, તથા બેકી પંક્તિઓમાં પ્રાસ મેળવાય છે. કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. નાનીઅમસ્તી કવિતામાં ચેસ્ટરટનની સમસ્ત વિરાટ કાયા દૃષ્ટિગોચર થાય છે: ‘વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોનો ઉપાલંભ.’ ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ પ્રારંભિક અવગણના પછી કાવ્યાંતે હાથ લાગતું સત્ય આપણને દિગ્મૂઢ કરી દે છે.

આત્મકથનાત્મક કાવ્યવિધાનો હાથ ઝાલી ચાલતી કવિતામાં ગધેડો શરૂમાં પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલતાં હશે, અંજીર ઝાડના બદલે કાંટાળા છોડ પર ઊગતાં હશે અને ચંદ્ર લોહી જેવો રાતો હશે ત્યારે હું જન્મ્યો હોઈશ. બ્લડમૂનથી આપણે સહુ પરિચિત છીએ. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક એ જોવા મળે છે. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામતનો ઈશારો ગણાયો છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ ચેસ્ટરટને પણ બ્લડમૂનની ભયાવહ એંધાણીઓને જ ગધેડાના જન્મ સાથે સાંકળી હોવી જોઈએ. દુનિયા આખી તળેઉપર થઈ હશે ત્યારે ગધેડો જન્મ્યો હોવાની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં રહેલ ગધેડાની છબીને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

અંગ્રેજી શબ્દ ‘Ass’ લેટિન ‘Asinus’ પરથી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ થાય છે. અંગ્રેજી ‘Arse’માંથી ‘આર’ ખડી પડતાં ‘Ass’નો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એ પહેલાં ૧૫૫૦માં ‘Asshead’ શબ્દ વપરાયો હતો. અવગણાયેલા પ્રાણીને સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માટે ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી શબ્દ વાપરે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ ક્રૂર ‘ઍસ’ની સરખામણીમાં ‘ડૉન્કી’ સૌમ્યોક્તિ છે. સર્વાન્ટિસની ‘ડૉન કિહોટે’માં સાંચો પાંઝા ડેપલ નામના ગધેડાને વાહન બનાવે છે. એન્ડી મેરીફિલ્ડ ‘વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’માં લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ ખાસ અનુભૂતિ છે, એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન. તમે સ્વને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે.

ગધેડો આત્મનિંદા ચાલુ રાખે છે. પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. કહે છે, મારું માથું રાક્ષસ જેવું છે, ભૂંકવું ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન ફક્ત મારા એકલાની જ ફિરકી ઉતારે છે. હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું ધરતીનો ઉતાર છું. –આમ લગભગ આખર સુધી સુધી ગધેડો પોતાની જાતને હીણી ચિતરવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ રહો! આ ચેસ્ટરટનની કવિતા છે. ચેસ્ટરટન વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો સ્વયંની ભર્ત્સના કરી રહ્યો છે કે સદીઓથી ઉપેક્ષિત રહી હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરી આપણને ચાબખા મારી રહ્યો છે? કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી દલિતોના હક પર તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનના ગધેડાની ભૂંડી ભૂંક એટલે દુનિયાના ખૂણે-ખૂણે પથરાયેલા શોષિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ.

કાવ્યાંતે એટલે જ ગધેડાનો સૂર બદલાય છે. કહે છે, હું ભલે ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્ય સાચવતાં બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે આપણને નથી આવડતું!) એ તડ ને ફડ વાત કરે છે. પોતાના વિશે બોલતાંય એકે શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારેય નિર્મમતાથી ડંકે કી ચોટ પર કહેવું છે એ કહે છે. સીધું જ આપણને ‘મૂર્ખાઓ’નું સંબોધન ચોપડાવે છે. પોણી કવિતા સુધી પોતે પહેરેલી પાઘડી અચાનક આપણને પહેરાવે છે. કહે છે, એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાં ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો. ‘હર કુત્તે કા દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો.

ચાલો, ફરી બાઇબલ ઊઘાડીએ! ઈસ્ટર પહેલાંનો રવિવાર ‘પામ સન્ડે’ તરીકે ઉજવાય છે અને પછીનું અઠવાડિયું પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે જેરુસલેમમાં ઈસુની વિજેતા તરીકેની પધરામણીને વધાવી. નગરમાં પ્રવેશવા ઈસુએ પોતાની જેમ જ ન્યાતબહાર પ્રાણી પર પસંદગીનો કળશ ઢોળતાં સાથીઓને એવી ગધેડી શોધી લાવવા સૂચના આપી, જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત, સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. માદા ગર્દભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે રાજા સફેદ ગધેડી ઉપર બેસીને નગરપ્રવેશ કરશે. નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકોએ પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કર્યું. ઈસુએ સ્વયંને ઈઝરાઈલનો રાજા ઘોષિત કર્યો અને બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવાયા.

આ સિવાય પણ ગર્દભ વિશેના અસંખ્ય સંદર્ભો મળે છે. જુઓ: ઈસુથી હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન ઈઝરાઈલનો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર સવાર થયો હતો. જેકબના પુત્ર જુદાહને આપેલ આશીર્વચનમાંય ગધેડાનો સંદર્ભ છે. બલામ નામના મસીહા વાતો કરતા ગધેડા પર સવારી કરતા. દેવદૂતની તલવારથી ગધેડો બલામને બચાવેય છે. વર્જિન મેરી પણ પેટમાં ઈસુને લઈને ગધેડા પર બેસીને બેથલેહેમ આવ્યાં હતાં. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઊંચું અંકાયું છે. જૂના-નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર, હોંશિયાર પ્રાણી, ડહાપણનો ભંડાર, અને પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ એના પર જ ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો ઈઝરાઈલમાં પોતાના પર સવાર ઇસુપ્રવેશના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે લોકો એમના સ્વાગત માટે તાડપત્રો લઈ સજ્જ ઊભા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુના જેરુસલેમપ્રવેશ પર ચોતરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એકમાત્ર ગર્દભ જ હોવાપણાંના અર્થો ભૂલીને કેવળ ઈસુસંગાથની ક્ષણોને આકંઠ માણે છે. લોકોનું ધ્યાન ઉત્સવ અને ઉજવણી તરફ છે, ગર્દભનું કેવળ ઇસુસ્પર્શ સુખમાં. બે સંદર્ભ ખૂલે છે: એક, ઈસુ જેરુસલેમમાં અને આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશી ભીતરી કોલાહલ શમાવે છે. બીજું, ગર્દભ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર સવાર થઈ ઈસુ એને કાબૂમાં રાખી દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. એ કહે છે, નાનામાં નાની વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડીએ તમને ગધેડો કહેનારા મૂર્ખા સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ એકસમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. ચેસ્ટરટન ગધેડાને માધ્યમ બનાવીને જે કહે છે એ વાત આપણે પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

હવામાં આજ વહે છે – નાથાલાલ દવે

સ્વર : નેહા પાઠક, મીનૂ પુરી
રવિન્દ્ર છાયા ગીત
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
મોડી રાતે મેઘ વિજાયો ભાર હૈયાનો કીધો ખાલી

તૃણે તૃણે પાને પાને ઝાકળ બિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતી ખોળે વરસી ચાલી

રમતાં વાદળ ગિરી શિખરે મધુર નાની સરિતા સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા
વિશાળે ગગન ગોખે જાય ગૂંથાતી કિરણજાળી

મન તો જાણે જૂઈની લતા ડોલે બોલે સુખની કથા
આજ ઉમંગે નવ સુગંધે ઝૂલે એ તો ફુલીફાલી

– નાથાલાલ દવે

આજ સખી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ, મીનૂ પુરી
અનુવાદ : કૃષ્ણા હાઝરા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આજ સખી મોહુ મોહુ ગાયે પીયુ કુહુ કુહુ
કુંજ બને દોહું દોહું, દોનો પિયે રસપાન

યૌવન મદ વિલસિત, પુલકે હીય ઉલસિત
અવશ તનુ અલસિત, જૈસે હો કહીં મુરછીત

આજ મધુર ચાંદની, પ્રાણ ઉન્માદીની
શિથિલ સબ બાંધની, શિથિલ ભઈ લાજ

વચન મૃદુમરમર, કાંપે હીય થરથર
કંપીત તનુ જરજર, કુસુમ વન માં

પવન મૃદુ ચલઇબ, ચરન નાહી ચલઇબ
વચન મોહુ ખલઇબ, આંચલ લુભાય

અર્ધખીલ કમલદલ વાયુસીત ટલમલ
નૈન જૈસે ઢલઢલ, ચાહેં યા ન ચાહે
કેશ કે ફૂલ કંપિત, ગિરત હૈ કપાલ પર
મધુર દાહ મેં તાપિત જબ, ખિસક્કે સીત પાય

પુષ્પ વર્ષા શિર પર, યમુના બહે કલકલ
હાંસે શશી ઢલઢલ, ભાનુ મગન હો જાય
– રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : કૃષ્ણા હાઝરા )

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

અગન નો પારસમણી – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : પિનાકિન ત્રિવેદી
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

અગન નો પારસમણી, લાગજો પ્રાણે
આ જીવન કરો પાવન દહન દાને

મારી આ દેહાદીવીને ઉંચે રાખી
દેવાલયે દીવો કરો, વિનંતી મારી
નિશદિન જ્યોતિ શિખા ઝગે ગાને

તિમિરને અંગેઅંગે સ્પર્શે તારે
આખી રાત ખીલો તારા નવા નવા રે
નયનની નજરની આ ટળે કાલિમા
પડે જ્યાં ત્યાં જણાજો તેજ લાલિમા
વ્યથા મુજ જ્વલંત હો નભ વિતાને

-રવીન્દ્રનાથ ટાગોર(અનુવાદ : પિનાકિન ત્રિવેદી)

આવો શ્યામલ સુંદર – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : દર્શના ભુતા શુક્લ
અનુવાદ : ડૉ. નલીની મડગાવકર
આલબમ:રવિન્દ્ર ગુર્જરી

.

આવો શ્યામલ સુંદર
લાવો તવ તાપ ધરી તૃષા ધરી અમૃત ધારા
વિરહિણી નિરખતી આકાશે

એ તો મારગ બિછાવે વ્યાકુળ હૈયાને
તમાલ કુંજ પથે સજળ છાંયડે
નયને જાગે છે કરુણ રાગિણી

બકુલ મકુલ ગુંથીને રાખીયા
મધુર બંસરી ગૂંજે આંગણે
આણો સંગે તમારાં મંજીરાં
ચંચલ નૃત્યને તાલે રણકતાં
વાજંતા કંકણો વાજંતી ઘૂઘરી
ઝંકૃત નૂપુર રુમઝુમ રુમઝુમ

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : ડૉ. નલીની મડગાવકર)

ગ્લૉબલ કવિતા : ૨૨૮ : ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્રાવની પ્રસંશામાં કવિતા

જો કોઈ નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્તિમ
રાતી ચંદ્રની કિનાર જો

કોઈ નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને એ જ મુખત્રિકોણ પર
પરત ફરતી હોય જો કોઈ

નદી હોય
આનાથીય વધુ બહાદુર
જેમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે
દર્દના ઉછાળા, આવેશ સાથે જો કોઈ નદી

હોય
વધુ પુરાતન
આ ઈવની પુત્રી
કેઇન અને એબલની માતા કરતાં જો કોઈ નદી હોય

આવી બ્રહ્માંડમાં જો
ક્યાંય પણ આ ઉદ્દામ જળ કરતાં
વધુ શક્તિશાળી
જળ હોય, તો
પ્રાર્થના કરો કે તે
સુંદર અને વફાદાર અને પુરાતન
અને માદા અને બહાદુર
પ્રાણીઓમાં થઈને પણ વહે

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્રાવ ની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ્સ. કેલેન્ડર સાથે લગ્ન ન કરી લીધાં હોય એમ પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી જીવનના લગભગ ત્રણ-સાડાત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર પાંચેક દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી પણ અનિયત અને અનિવાર્ય રક્તસ્રાવ નો શિકાર બને છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી ફરજિયાત પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ પ્રાકૃતિક એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ આ કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર. મા ધોબણ હતી પણ કવિતા લખતી. ઓછું ભણેલ મા-બાપે પણ બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતાં રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. લૂસીલને બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરના રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને વિપુલ બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને તેઓ સરળ ભાષામાં લાઘવ સાથે ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’

કવિતાનું શીર્ષક ‘ઋતુસ્રાવ ની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યતઃ કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્રાવવિશે છે અને ત્રીજું એ ઋતુસ્રાવ નું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી? પણ સાફ વાત છે કે કવયિત્રીએ હાથમાં લીધેલ વિષય હજારો વર્ષોથી સાફ દેખાતો હોવા છતાં દુનિયા સતત આંખ આડા કાન જ કરતી આવી છે. કદાચ એટલે જ લૂસીલ આ ‘અસ્પૃશ્ય’ ડાયરામાં પગ મૂકતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિકના પાંચ દિવસની પ્રતિમા કંડારી ન હોય એમ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. મુક્ત માસિકસ્રાવ ની જેમ જ કવિતા છંદ મુક્ત વહે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી અહીં પ્રાસની કેદ પણ નથી. લગભગ દરેક અંતરો ‘જો કોઈ નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્રાવ(Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્રાવસ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થાય તો ફલીકરણ થઈ ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલિનીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયાનો પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પૅડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત એ વાતની સાબિતી છે કે હજી આપણા લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારી નથી. એકવીસમી સદીમાં આ વસમી હાલત હોય તો પ્રાચીન કાળની તો કલ્પના જ કેમ કરવી? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવાયા. ઇતિહાસકારો બહુધા પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી પણ જૂજ જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં ઋતુસ્રાવ નું લોહી કેટલીક દવાઓમાં વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સે ઓછું કે વધુ માસિક આવવાને બિમારી ગણી છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ- થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્રાવ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો સમાજ હજીય એટલો પછાત અને ધર્મ એટલો બિમાર-બિસ્માર છે કે મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં હજુ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

એ માહિતી પણ ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પૅડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો, તો ગ્રીક સ્ત્રીઓ ઊનનો પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્રાવપહેરેલાં કપડાંમાં જ થવા દેતી હતી. માસિકસ્રાવકપડાંમાં થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. માસિક માટેના દુઃખદાયક તંગ પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પૅડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટૅમ્પૂન બજારમાં મૂક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે ખરી ક્રાંતિ થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટૅમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ વળીએ. કવિતાની શરૂઆત ‘જો’થી થાય છે. ‘જો’ ભાવકને શરત સાથે જોડે છે. કવયિત્રીએ માસિકને નદી, માફ કરજો, સુંદર નદી કહી છે. સંસારમાં આ નદી અનન્ય છે; એની કોઈ જોડ નથી. કવયિત્રીએ પોતાની ખાતરીની વિશ્વસનીય પ્રતીતિ કરાવવા શરતી ‘જો’ વાપર્યો છે. નદી જે રીતે વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે, એ જ રીતે માસિકની નદી સાથે પણ ગર્ભધારણની ફળદ્રુપતા જોડાયેલી છે. લોહીની નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં એને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. એ લોહીની બની છે અને સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. માસિકની નદીની પ્રસંશા કરતાં લૂસીલ પડકાર ફેંકે છે કે દુનિયામાં આના કરતાં વધુ સુંદર અને ચંદ્રની રક્તિમ રાતી કિનાર કરતાં વધુ તેજસ્વી હોય તો બતાવો. ચંદ્રનો ઉલ્લેખ યાદ અપાવે કે માસિક પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સંકળાયું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે. અંતના આરંભની નિશાની ગણાતો ‘બ્લડ મૂન’ એક નવો જ વિષય છે પણ કવિએ કેવળ ચંદ્રની રાતી કિનારની જ વાત કરી હોવાથી આપણે એને જતો કરીએ.

બીજી કોઈપણ નદી એકવાર છોડી દીધેલા સ્થળે પાછી આવતી નથી, પણ માસિકની નદી દર મહિને નિયત સ્થાને પરત ફરે છે. કેવી વફાદારી! કહો, છે કોઈ બીજી નદી આવી વફાદાર, જે માહોમાહ એના મુખત્રિકોણ પર પરત ફરતી હોય? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી લઈને અસહ્ય સુધીના દુઃખાવામાંથી પસાર થાય છે, પણ સ્ત્રીઓ એને ચુપચાપ સહેતી રહે છે.
માસિક દરમિયાન જે રીતે લોહીના ગઠ્ઠા અને/અથવા સ્રાવઆવતા રહે છે, એ જ રીતે અસહ્ય દુઃખાવો પણ ઊછાળા સાથે આવતો જ રહે છે. બહાદુર વિશેષણ નદી માટે વપરાયું હોવા છતાં સમજાય છે કે એ સ્ત્રીઓ માટે જ વપરાયું છે. વળી, માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતાં કેમકે તેઓ માનતાં કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને ઉદ્દામ પાણી અન્યત્ર ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. શીર્ષકથી લઈને આખી કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યાં, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે. આ નદી એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે, એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે સમુચી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ અને દુનિયાના તમામ પુરુષોએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા છે, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું છે; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્રાવ નો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’