આનંદ લોકે – રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : વૃંદ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મેઘલતા મહેતા
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

મહિમા તારો ઝળહળતો મહાગગનમાં
વિશ્વ-જગત મણિ-ભૂષણ રહે તારે ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ગ્રહ તારા ચંદ્ર સૂરજ વ્યાકુળ બની દોડે
કરે પાન કરે સ્નાન અક્ષય કિરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

ધરણી પર વહે નિર્ઝર મોહન મધુ શોભા
ફૂલ પાલવ અતિ સુગંધ સુંદર વરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

વહે જીવન રજની દિન નિત નવ નવ ધારા
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ
કરે સાંત્વના કરે વર્ષણ સંતાપ હરે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર!

જગ માં તવ મહાઉત્સવ વંદન કરે વિશ્વ
ભૂમિ સંપત્તિ સમ્રીદ્ધી તવ નિર્ભીક ચરણે
આનંદ લોકે, મંગલા લોકે, વિરાજો, સત્ય સુંદર
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મેઘલતા મહેતા)

રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા,
રાધિકાની આંખ જપે છે સાંવરિયા ! ઓ સાંવરિયા !

મુરલીના સૂર કદંબવૃક્ષે ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં કમળ થઈને ખૂલે;
કુંજગલીમાં ધૂળ રેશમી તો ય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને કરે હૃદયની વાત;
ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા…

– સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૨૨૭ : રાત્રિને… – જોસેફ બ્લેન્કો વાઇટ

To Night

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White


રાત્રિને…
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું નામ તારું,
દેવો દ્વારા થઈ ખબર તારા વિશે પેલવેલી;
દેખીને એ થરથર નહીં કાંપી ઊઠ્યો હશે શું-
– તેજસ્વી આ છતર ઊજમાળું અને આસમાની?

ને તોયે લ્યો! હિમ-યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહાજ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
જુઓ, સૃષ્ટિ મનુજ-નજરે કેવી તો વિસ્તરી ત્યાં!

છૂપાયું છે તુજ કિરણમાં આવડું અંધિયારૂં,
વિચારી શું શકત કદી, હે સૂર્ય! કોઈ શું આવું?
જંતુ-માખી-પરણ સઘળું દૃષ્ટ કિંતુ અમોને
કીધા છે તેં અગણિત ગ્રહો-રત્નથી અંધ કેવા!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)


મૃત્યુ – જીવનના અજવાળામાં છૂપાઈ રહેલું અંધારૂં?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જ્ઞાન હોય એ વસ્તુ આપણને ડરાવી શકતી નથી પણ અપૂરતી અથવા શૂન્ય જાણકારી ડર જન્માવે છે. ઈશ્વર, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે આપણે કંઈ જાણતા ન હોવાથી આપણે બીએ છીએ. મનમાંથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. ગુનો આચરવાની એક ક્ષણ પૂરતો માણસ તમામ ડરોથી મુક્ત હોય છે. ડર પરત ફરતાં જ એ પરિણામ કે પ્રાયશ્ચિતનું વિચારે છે. અંધારાનું પણ આવું જ છે. કાળમીંઢ અંધારામાં કોની છાતીના પાટિયા ન બેસે, કહો તો?! ટીપુંભર પ્રકાશેય પહોંચી ન શકે એવા, સગો હાથેય કળી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી બીધા વિના પસાર થવાય ખરું? મૃત્યુ પણ આવો જ ડર છે. અફર અને નિશ્ચિત હોવા છતાં બિલકુલ અકળ હોવાના કારણે જ મૃત્યુ સહુને બીવડાવે છે. મૃત્યુનો અનુભવ કહેવા-વહેંચવા કોઈ પરત ફરી શકતું નથી. મૃત્યુ વિષયક આપણું તમામ જ્ઞાન કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ અંધારામાં લપેટીને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પૅનિશ પણ કર્મે સ્પૅનિશ-અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પૅનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પૅન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પૅનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગતાં કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે ચડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા, જે એમની રચનાઓમાં પ્રતિબિંબાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી લખેલા ‘લેટર્સ ફ્રોમ સ્પૅન’ પુસ્તકમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો એમણે પર્દાફાશ કર્યો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવતા. સરળ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બની છે.

પ્રસ્તુત રચના કોઈ કળાકારની એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ ગઈ હોવાનંિ ઉત્તમ ઉદાહરણ છે. સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે પણ આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

‘નાઇટ એન્ડ ડેથ’ તરીકે પણ જાણીતું આ સૉનેટ પ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાયેલ પેટ્રાર્કશાઈ સૉનેટ છે. કવિના પોતાના હસ્તાક્ષરમાં એનું શીર્ષક ‘ટુ નાઇટ’ જોવા મળે છે. અષ્ટકમાં a-b-b-a/ a-b-b-a પ્રમાણે ચુસ્ત પેટ્રાર્કશાઈ પ્રાસવ્યવસ્થા છે, પણ ષટકમાં c-d-c-d-e-e મુજબ અંગ્રેજી ભાષામાં પાછળથી દાખલ થયેલ પેટ્રાર્કશાઈ પ્રાસગુંથણી છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. શીર્ષક અગોચર તરફની કાવ્યગતિ માટે આપણને તૈયાર કરે છે. રાત્રિને સંબોધીને કવિ મૃત્યુ વિશે વાત કરે છે. રાતનું અને મોતનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. અંધારા અને અટકળની બાબતમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

યુરોપમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં કળાના ક્ષેત્રમાં ‘રોમેન્ટિસિઝમ’ ચરમસીમાએ હતું. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા-ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ આ રચનામાં એની ઝાંય સાફ વર્તાય છે. રૉમેન્ટિસિઝમના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ વળી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા ડરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જેના પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હીમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ યાદ આવે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. આજ પૂર્વે આદમે કદી રાત જોઈ નથી. સ્વર્ગમાંથી નિકાસિત થઈ પૃથ્વી પર આવ્યા બાદની સર્વપ્રથમ રાત્રિ સાથેના આદમના અક્ષુણ્ણ સાક્ષાત્કારથી કાવ્યારંભ થાય છે. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર દિવ્ય અહેવાલો દ્વારા, દેવો મારફત રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે. રાત સાથે કોઈ જ પૂર્વપરિચય ન હોવાથી એ સ્વાભાવિકપણે ડર અનુભવે છે કે દુનિયાને ક્રમશઃ ગળી રહેલું અંધારું એને પણ ગળી જશે. પ્રથમ રાત્રિએ જ આદમને અંતનો અહેસાસ થયો છે. એટલે જ ઉજાસ અને આસમાની રંગથી ભરેલી ભવ્યાતિભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે જાણે કે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યાસ્તની સાથે જ અંધારી રાત રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અગણ્ય તારામંડળ લઈને પધારે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને આદમને સર્જનની વિશાળતાનો પહેલવારુકો અહેસાસ થાય છે. દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં સૃષ્ટિ મનુષ્યની દૃષ્ટિ ઊઘાડે છે અને વિકસાવે પણ છે. કુદરતની આ જ તો કરામત છે અને કુદરતની કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘હે સૂર્ય!’ કહીને સીધું જ પૂછે છે કે, ‘તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે.’ જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાનામાં નાની વસ્તુઓ પણ સૂર્યના અજવાળામાં છૂપી રહી શકતી નથી. દિવસના અજવાળામાં દૃષ્ટિનો વ્યાપ સમષ્ટિને આવરી લે છે. પણ આકાશમાં જુઓ તો કશું નજરે ચડતું નથી. ચંદ્ર-ગ્રહો-તારાઓ-નક્ષત્રો-આકાશગંગા –આ તમામ આકાશની ભૂરી તેજસ્વી છતમાં હાજર હોવા છતાં સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આંખોથી એ રીતે ઓઝલ રહે છે, જાણે અજવાળાંએ એમના અસ્તિત્વને ભૂંસી ન નાંખ્યું હોય! રાતના તમામ રત્નો યથાતથ જ છે. માત્ર અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ ગયાં છે. આમ, અજવાળાંની અંધારી બાજુ અને અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ‘ખરા’ અંધાપાને કવિ ચાક્ષુષ કરે છે. કેવું અદભુત! કવિતા અહીં પૂર્ણ થઈ હોત તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકી હોત. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ તો અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને બીજું જ નિશાન તાકવા ઇચ્છે છે.

ચૌદમાંથી બાર પંક્તિ રાત્રિના નામે છે અને બે જ પંક્તિ મૃત્યુના નામે છે પણ કાવ્યાંતે સમજાય છે કે ચૌદેચૌદ પંક્તિઓ કેવળ મૃત્યુના જ સંદર્ભે છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો ખબર નથી જ પણ એ જ્યાં લઈ જાય છે ત્યાંથી પરત પણ આવી શકાતું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. મૃત્યુની તરફેણમાં દલીલ કરતાં કવિ કહે છે કે જો સૂર્યપ્રકાશ આપણને છેતરીને નભછતરમાં હાજર અલૌકિક રત્નમંડળોથી નાવાકિફ રાખી શકે તો જીવનનો પ્રકાશ મૃત્યુરૂપી અંધકારને છતો ન થવા દે એમાં નારાજગી શા માટે? પ્રકાશ ખુદ ઊઠીને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે ન છેતરે? દિવસના ભરઅજવાળામાં જેમ તારાઓનું અસ્તિત્વ છે જ, એ જ રીતે જીવનઅજવાસમાં પણ મૃત્યુ સદૈવ હાજર જ છે. જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ શકતા નથી. તો આવામાં જિંદગી સાથે ઝઘડો શીદ કરવો? કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

મનુષ્ય સ્વભાવગત આપણે દેખાય એ જોવામાં મશગુલ થઈ જતી વખતે ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની આપણને દેખાતી બાજુને જ એકમાત્ર બાજુ ગણી લેવી એ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એને નકારતા રહેવું એ આપણી પ્રકૃતિ છે. જાણે આવવાનું જ ન હોય એમ મૃત્યુને આપણે અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજના આદમીને આવરી લે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે – અંકિત ત્રિવેદી

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ખ્યાલ ના હો એ જગાથી નીકળે છે,
કાઢવો જો હોય તો રસ્તો નીકળે છે,

સ્હેજ જીવીને વિચારો આપણામાં,
હૂંફ આપોઆપ મળશેતાપણામાં;
ભાસ જોઈશે ગતિની તીવ્રતાનો,
એ જ આવીને મળે છેઆંગણામાં.
પગ પડે છે ત્યાં નવો થઈ સળવળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

હા, પડેલું એને વાંકુ એ જ રસ્તો,
બારી પાસે બેસી તાકું એ જ રસ્તો;
ક્યાંક ખાડા, ક્યાંક સમથળ, ક્યાંક ટૂંકો,
ક્યાંક લાંબો જોઈ થાકું એ જ રસ્તો.
આપણે વળીએ ન એ પાછો વળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

ચોતરફ ફરતો રહું છું એની ઉપર,
જે ભરે ભાંખોડિયા મારી જ અંદર;
એ જરસ્તાનેપૂછું છું ફાવશે ને?,
ડગ ભરે છે ગિરદીમાં રોજ જીવતર.
એ જ જગ્યાએ ફરી પાછો મળે છે,
કાઢવો જો હોય તો રસ્તો મળે છે.

– અંકિત ત્રિવેદી

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો – ચંદ્રકાન્ત શેઠ

સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

અન્તરમાંથી ઉઘાડ નીકળ્યો ! તું આવે છે ? આવ !
ઊંડાણમાંથી દરિયો ઊછળ્યો! તું આવે છે ? આવ !

તારી પ્હેલાં ન્હોતાં વૃક્ષો,
ન્હોતાં વિહંગ – ગાન,
તું આવી ને તારી પાછળ
ઊમટ્યું આખું રાન !

પ્રાણે પ્રાણે પરિમલ પમર્યો ! તું આવે છે ? આવ !

તું મૂંગી તો દુનિયા મૂંગી,
મૂંગા બધા મુકામ !
તું રીઝે તો તારી સાથે ,
રમતા મારા રામ !

પળપળનાં ઝળહળતાં પુષ્પો ! તું આવે છે ? આવ !
ખાલીમાં પણ ખીલી ખુશબો ! તું આવે છે ? આવ !

– ચંદ્રકાન્ત શેઠ

ગ્લૉબલ કવિતા : ૨૨૬ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora


નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ વર્ષનો એક ટાબરિયો એકલોઅટૂલો મેક્સિકોની સરહદ પર ઊભા રહીને સામે દેખાતા સ્વપ્નપ્રદેશ અમેરિકાને એકટક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. એ એક વર્ષનો હતો ત્યારે બાપ અને પાંચ વર્ષનો હતો ત્યારે મા સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યાં હતાં. મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ અડધે રસ્તેથી જ વળી ગયા હતા. મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. અહીંથી ઝામોરાની આ કવિતા શરૂ થાય છે…

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતું સાલ્વાડોરનું ગૃહયુદ્ધ એને નડ્યું. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગવું પડ્યું. નોકરી માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થયા વિના નહીં જ ચાલેની ખાતરી થતાં માતાએ પણ દેશ છોડ્યો. થોડા વર્ષ દાદા સાથે રહ્યા બાદ જાવિએર એકલવાયા બસમાં, બોટમાં, તો ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક અને ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘પ્રતિકારની કવિતાઓ’ તરીકે બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરતાં હોય તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. ઘરની હદ. ગામની હદ. રાજ્યની હદ. દેશની હદ. અને આ ભૌતિકતામાં પૂળો મૂકો, માણસે તો લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કશામાં હદ નક્કી કરવાનું બાકી છોડ્યું નથી. અને, આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. કવિ લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે. ચુસ્ત ભાષાકીય દૃષ્ટિએ જોવા જઈએ તો સરહદ સામે વિદ્રોહ કરતી આ કવિતા માણસો વચ્ચે ભેદ જન્માવતી ભાષા સામેનો વિદ્રોહ હોવાનું પણ અનુભવાય.

દુનિયા આખીનો પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સ્થાનિક સરકાર અને વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એલ સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈ ગયા એ સમજાય એ પહેલાં તો કવિતા પાણીના રેલાની જેમ આગળ વધી જાય છે. પાછળ છૂટી ગયેલ વાક્ય, શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા. પણ દુઃખ વાડ કે વાડાને ગાંઠતું નથી. ભલભલી વાડમાં એ છીંડા પાડી દે છે. અને સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા કરે છે. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી પૂછે છે, ‘આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી?’ ઝામોરીની પ્રસ્તુત રચના નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

કરી તાપણું શેક્યા શબ્દો – દિનેશ પંડ્યા

“આંગળીઓથી ઠેક્યા શબ્દો
ક૨ી તાપણું શેક્યા શબ્દો
સૂરાઝબોળી આડીઅવળી
વાતોથી આ બહેક્યા શબ્દો”

-દિનેશ પંડ્યા

આજે વાત કરવી છે કવિ શ્રી દિનેશ પંડ્યાના નવા કાવ્ય સંગ્રહ “કરી તાપણું શેક્યા શબ્દો” માના કવિને ગમતા ત્રણ પદો વિષે,

ઝાઝુ ઝીણું ક્યાં દળવું છે? એકમેકને ક્યાં મળવું છે? (પૃષ્ઠ ૬૫)
ઝાઝુ ઝીણુ ક્યાં દળવું છે ?
એકમેકને ક્યાં મળવું છે ?

લાક્ષાગૃહ ભાડે રાખ્યું છે,
ખાખ થવાથી ક્યાં ડરવું છે ?

ધૃતરાષ્ટ્રથી આંખ મળી છે,
શોણિત જોઈ ક્યાં છળવું છે ?

કરવત કાજે કાશી આવ્યા,
વહેરો, પાછા ક્યાં વળવું છે ?

પવનપાવડી પહેરી શ્વાસે,
હવે ચિતામાં ક્યાં બળવું છે ?
– દિનેશ પંડ્યા

ગામની યાદ (પૃષ્ઠ ૯૬)
તળાવનો ભીનો ઓવારો
સાંજ પડે ને યાદ આવે છે
જલમાં ક્રિડા કરતો તારો
સાંજ પડે ને યાદ આવે છે.

ધુમ્મસ જેવો છવાઈ જાતો
ચૂલાનો મીઠો ધુમાડો
ભાગોળે અંધારું ઓઢ્યું
સાંજ પડે ને યાદ આવે છે.

તમરાંનો તંબૂરો લઈને
ચીબરી ગજવે આ સીમાડો
ધજા ફરકતી ભગવી પેલી
સાંજ પડે ને યાદ આવે છે.

આછું અંધારું ઓઢેલી
ગલીઓમાં શોધું પડછાયો
દૂર દૂર ટમટમતો દીવો
સાંજ પડે ને યાદ આવે છે.
– દિનેશ પંડ્યા

તુનતુન તાર બજાયો સાધો! કૌન મલકસે આયો સાધો! (પૃષ્ઠ ૮૦)

તુન તુન તાર બજાયો સાર્ધો !
કૌન મલકસે આયો સાધો !
અગમ નીગમકી કો૨ી બાતેં,
મન કાહે ઉલઝાયો સાધો !

જ્ઞાની કો જબ સુન્યો ધ્યાનસે,
મનહી મન મલકાયો સાધો !
ઢાઈ અક્ષર પઢ્યો પ્રેમ કો,
નયનનકો છલકાયો. સાધો !

ખૂલી આંખકો અચ્છો–બૂરો,
બંધ કિયો, સબ ભાયો સાધો !
ગુરુ બચાયો ગોરખ બન કર,
બૂઝ્યો દીપ જલાયો સાધો !
– દિનેશ પંડ્યા

આવી બીજી અનેક સુંદર રચનાઓ વાંચવી હોય તો એમનો કાવ્ય સંગ્રહ મેળવી શકો છો.

પુસ્તક મેળવવા નું સરનામુ :
ધ્વનિ સંજય પટેલ
7/A મેઘદૂત બંગ્લોઝ
સરદાર એવેન્યૂ
વલ્લભ વિદ્યાનગર
388120
ફોન:9428660382

કવિનો ટૂંકમાં પરિચય :
દિનેશ પંડ્યા
B.A.(1962), M.A.(1964) ,Ph D(1987)
દાહોદની નવજીવન આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ૩૭ વર્ષના આધ્યાપનકાર્ય બાદ નિવૃત્તિ.

પુસ્તકો :

*જયન્ત પાઠક: વ્યક્તિત્વ અને વાંગ્મય (મહાનિબંધ)
*માય નૉઈઝ (હાસ્ય-કટાક્ષના લેખો)
*સ્માઈલ પ્લીઝ (હાસ્ય-કટાક્ષના લેખો : સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)
*બચુભાઈ બેસણાવાળા (હાસ્ય-કટાક્ષનીલઘુનવલ)
*તું પૂનમ હું બીજ (કાવ્યસંગ્રહ)
*કરી તાપણું શેક્યા શબ્દો (કાવ્યસંગ્રહ: પ્રાપ્તિસ્થાન:શબ્દલોક પ્રકાશન,1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ:380001)
*હું મારામાં રહું છું(કાવ્યસંગ્રહ:પ્રેસમાં)

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી – રાજેન્દ્ર શુક્લ

સ્વર : હરિશ્વંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી !
ક્યા હૈ મેરુ, ક્યા હૈ મંદર, ચેત મછંદર !

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા!
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા!
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા!
નજર સધી અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકઁવલ કી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઇ ભૈરવસૂર ગાયા, ગોરખ આયા!

એક ધરીમેં રુક્યો સાંસ કિ અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો બિજરી હલસી,
ઘિર આઇ ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હવે, અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

– રાજેન્દ્ર શુક્લ

આમ રોજે ઘેરાય, નહીં વરસે – તુષાર શુક્લ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આમ રોજે ઘેરાય, નહીં વરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…
મને તરસાવી પોતે પણ તરસે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

કોરા રહે ને વળી જાતે હિજરાય એવા
બંને સ્વભાવથી છે સરખા,
મન મૂકી વરસે નહીં બેમાંથી કોઈ
મને લથબથ ભીંજ્યાના અભરખા;
એમ સમજાવ્યો સાનમાં ન સમજે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

મનના માનેલ અને આષાઢી છેલ,
હું તો કેમ કરી સમજાવું તમને?
ઓઢણીનું આછેરું ઈજન ન ઓળખો તો
લાજ્યું ન આવે કાંઈ અમને?
સાવ આઘે આઘેથી મને અડકે,
વરસાદ મારા વ્હાલમજી જેવો…

– તુષાર શુક્લ

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી