Category Archives: સંગીતકાર

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? – મેઘબિંદુ

સ્વર – હંસા દવે
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય (?)
કવિ – ??

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.

આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

આજે સ્વરકાર શ્રી પરેશ ભટ્ટનો જન્મદિવસ..! પરેશ ભટ્ટ એટલે ગુજરાતી સંગીતજગતને મળેલી એક અનન્ય ભેટ – જેની ખોટ ગુર્જરધરા ને હંમેશા સાલશે.. એમના સ્વરાંકનો થકી એ હંમેશા આપણી વચ્ચે રહેશે જ… આજે એમને ફરી યાદ કરી એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના પોતાના સ્વરમાં કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ રચના..

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

તું પોતે છે પરમપ્રવાસી...  Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)
તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

.

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ

મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની – અવિનાશ વ્યાસ

સ્વર : આનંદકુમાર સી.

_______________
Posted on November 23, 2007

સ્વર : આશિત દેસાઇ

.

એક રે તંબુરાનો તાર (૨), અને બીજી તાતી તલવાર રે,
એક જ વજ્જરમાં થી બે ઊપજ્યાં, તોય મેળ મળે ના લગાર

સાચી પ્રિત શેવાળની કે જળ સૂકે સૂકાય રે
પણ આ માંયલો હંસલો સ્વાર્થી, કે આ જળ સૂકે ઊડી જાય.

પંખી વાણિયો ચરે, કે આખર જવું એક દા’ડે,
કે આ નથી નીજનું ખોરડું, કે આ તો મકાન રાખ્યું ભાડે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

રાધાની લટની લહેરાતી કાળાશે… – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ રચના ફરી એકવાર.. એક નવા સ્વર સાથે.
સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – મેધા યાજ્ઞિક

———————–

Posted on: July 15, 2009

આજે ફરી એક કૃષ્ણગીત.. હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં..! ગઇકાલે સુરતમાં પરેશ ભટ્ટની સ્મૃતિમાં એક કાર્યક્રમ યોજાયો. એનું રેકોર્ડિંગ મળે તો ચોક્કસ આપના સુધી પહોંચાડીશ. ત્યાં સુધી આ અને પરેશ ભટ્ટના બીજા મજાના સ્વરાંકનોની મઝા માણીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઉગ્યા કદંમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભુલી હું ભાન કેમ શોધું?

ઉડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં

યમુનાના વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?

– હરીન્દ્ર દવે