Category Archives: વેણીભાઇ પુરોહિત

નભમાં નવલખ તારલિયાને – વેણીભાઇ પુરોહિત

રાતના આભનો એક એક તારો માતાના પગલાંની છાપ હોય અને દિવસે સૂરજ એક વિશાળ આકાશના કોડિયે દીવડો થઈ ઝળહળતો હોય એવા માતાના દરબારમાં આજે અમારી પ્રસ્તુતિ.

કવિ – વેણીભાઇ પુરોહિત
સ્વરકાર- રવિન નાયક

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત,એકતા દેસાઈ, રીની ભગત,કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર
દીવડા લઈને રાતડી કંઈ…
રમવા આવી બહાર કે રાતડી
રમવા આવી બહાર કે નવલખ દીવડાનો દરબાર….
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ઊંચે આભ ગહનને અદ્ભૂત વ્યાપક વિશ્વ વિરાટ,
નીચે ધરતી પર નયનોનાં દીપકનો કલકાટ,
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર
અનોખી જ્યોતિર્મય વણઝાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….

ગોખે ગોખે ઘર ઘરમાં ને મંદિરમાં મલકંત,
પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત પ્રકાશનાં
ભગવંત,
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર
અલૌકિક ચેતનનાં ચમકાર કે
ઝગમગ દીવડાનો દરબાર કે ઝગમગ દીવડાનો દરબાર…
નભમાં નવલખ તારલિયાને તેજ તેજ અંબાર….
– વેણીભાઇ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે ! – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે !

કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી

હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે !

-વેણીભાઈ પુરોહિત

ન લેજે વિસામો…. – વેણીભાઇ પુરોહિત

ગઇકાલે જ ટહુકોના વાચકમિત્ર શ્રી દિગંબરભાઇ સ્વાદિયા એ આ ગીત યાદ કરાવ્યું – એમણે કદાચ ગોપાલકાકાના બ્લોગ પર માણ્યું હશે – તો મને થયું – ટહુકોના બીજા મિત્રો માટે પણ અહીં જ લઇ આવું આ ગીત..! આનું સ્વરાંકન સાંભળ્યાનું મને યાદ નથી – કદાચ આશ્રમ ભજનાવલીમાં મળી આવે..! તમારી પાસે સ્વરાંકન હોય તો અમારી સાથે વહેંચશો? ત્યાં સુધી માણો આ મઝાનું ગીત – અને સાથે થોડી વાતો – સીધેસીધું ગોપાલકાકાના બ્લોગ પરથી કોપી-પેસ્ટ..! 🙂
******
થાકે ન થાકે છતાંયે હો માનવી! ન લેજે વિસામો!
ને ઝૂઝ્જે એકલ બાંયે—હો માનવી! ન લેજે વિસામો!

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,
તારે ઉધ્ધરવાના જીવન દયામણાં :
હિમ્મત ન હારજે તું ક્યાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તુજ આફતનો ટેકરો,
આગે આગે હશે વણખેડ્યાં ખેતરો :
ખંતે ખેડે એ બધાં યે–
હો માનવી ! ન લેજે વિસામો !

ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,
આવે અંધાર તેને એકલો વિદારજે :
છોને આ આયખું હણાયે–
હો માનવી ! ન લેજે વિસામો !

લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! ન લેજે વિસામો !
તારી હૈયા વરખડીને છાંયે હો માનવી ! દેજે વિસામો !
ન લેજે વિસામો….
– વેણીભાઇ પુરોહિત

*************
આ કાવ્ય “વિસામો” પાછળ એક નાનકડો ઇતિહાસ છે. આપણા યુગની મહાન વિભૂતિ—મહાત્મા ગાંધી—ના જીવનમાં આ કાવ્યમાં રહેલા સંદેશે કેવું સ્થાન મેળવ્યું હતું તેનો નિર્દેશ ગાંધીજીના નિકટના અંતેવાસી શ્રી મનુબહેન ગાંધી એ બાપુના સંસ્મરણો લખતાં કર્યો છે. એવાં ત્રણ અવતરણો આ રહ્યા:

“એમણે (સ્વ.શ્રી મહાદેવ દેસાઇ) જતાં પહેલાં મારી પાસે નીચેનું ગીત ગવડાવ્યું. એમને આ ગીત બહુ જ ગમતું હતું. હું કરાંચીમાં મારા શાળાના અભ્યાસ દરમિયાન શીખી હતી તેથી મારી પાસે વારંવાર ગવડાવતા:

’થાકે ન થાકે છ્તાંયે

હો માનવી!ન લે જે વિસામો ‘…(વિગેરે)…..

”આ ગીત એમને અને બાપુજીને બહુ જ વહાલું હતું;અને એમણે તો આવાં આવાં કેટલાંયે ગીતોને જીવનમાં ઉતારી જીવન સાર્થક કર્યું હોય તેમ છેલ્લી કડી:

’લેજે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો

તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી ! દેજે વિસામો’

”તેમ એમણે પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી બાપુની સેવા કરી. ન જોયો ટાઢ—તડકો, કે ન જોયાં રાત-દિવસ, અને છેલ્લા શ્વાસ પણ બાપુજીની સેવા કરતાં કરતાં જ બાપુજીમાં જ પોતાના પ્રાણને સમાવીને હૈયાવરખડીને છાંયે જ વિસામો લીધો.

”એટલે શું એમણે આગાહીરૂપે છેલ્લે મારી પાસે આ ગીત ગવડાવ્યું હશે?

”પોતાને મોઢે નહોતું આવડતું, તેમ હજુ સૂરેય નહોતો બેઠો, પણ જેણે જીવનમંત્ર કર્યો હોય તેને સૂરની શી પરવા?’મને એક કાગળ ઉપર ઝટપટ ઉતારી આપ’.મેં એક કાગળ પર ઉતાર્યું અને તે કાગળ પોતાના ઝબ્બાનાઆગળના ખિસ્સામાં સાચવીને મૂક્યો અને સેવાગ્રામ આશ્રમ કાયમને માટે છોડ્યો.”

(બા—બાપુની શીળી છાંયામાં)

“ હું (ગાંધીજી) નહોતો જાણતો કે મારામાં આટલી શક્તિ છે અને આ લોકો સામે હું ટકી શકીશ; કે મને છોડશે તો મારાથી આમ આનંદપૂર્વક નભાશે.એ બધો પ્રતાપ રામનામનો. બાકી આશ્વાસન મળે છે ગુરુદેવના ‘એકલા ચલો’ના ભજનમાં અને પેલા ‘થાકે ન થાકે છ્તાંયે હો માનવી! ન લેજે વિસામો’માં. તેમાંય એક કડી તો બહુ ભારે છે કે:

‘ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધર તેને એકલો વિદારજે;

છોને આ આયખું હણાયે

હો માનવી ! ન લેજે વિસામો.”

(‘ભાવનગર સમાચાર’,તા.28/07/1951ના અંકમાંથી)

“નિયમ મુજબ 30મી એ (30મી જાન્યુઆરી, 1948) સવારના 3.30 વાગ્યે બાપુજીએ પ્રાર્થના માટે અમને ઉઠાડ્યા.એક બહેન પ્રાર્થના માટે ઊઠ્યા નહિ,તેથી બાપુજીએ દાતણ કરતાં કરતાં મને કહ્યું,’હું જૌં છું કે મારો પ્રભાવ મારી પાસે રહેનારમાંથી ચાલ્યો ગયો છે.પ્રાર્થના એ તો આત્માને સાફ કરવાની સાવરણી છે. અને હું તો પ્રાર્થનામાં અડગ શ્રધ્ધા ધરાવું.’ અને કહ્યું કે આજે મારે પેલું “થાકે ન થાકે છતાંયે” ભજન સાંભળવું છે એટલે એ ગાજે”

”મેં એ ભજન ગાયું….. કોઇ દિવસ નહિ અને સવારની બ્રાહ્મમુહર્તની પ્રાર્થનામાં આ ભજનની બાપુજીએ પસંદગી કરી તેમાંય કેવું ગૂઢ રહસ્ય ભર્યું હતું !”

વેણીભાઇ પુરોહિત

ઘનશ્યામ નયનમાં – વેણીભાઈ પુરોહિત

આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…

ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.

Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.

સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

– વેણીભાઈ પુરોહિત

પ્યારનો પારો – વેણીભાઇ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

– વેણીભાઇ પુરોહિત

જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

આજે સ્વરકાર શ્રી પરેશ ભટ્ટનો જન્મદિવસ..! પરેશ ભટ્ટ એટલે ગુજરાતી સંગીતજગતને મળેલી એક અનન્ય ભેટ – જેની ખોટ ગુર્જરધરા ને હંમેશા સાલશે.. એમના સ્વરાંકનો થકી એ હંમેશા આપણી વચ્ચે રહેશે જ… આજે એમને ફરી યાદ કરી એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના પોતાના સ્વરમાં કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ રચના..

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

તું પોતે છે પરમપ્રવાસી...  Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)
તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

ફાગણ ફેન્ટેસી – જય વસાવડા

આજે ફાગણ સુદ પડવો..! રંગીલા ફાગણ મહિનાનો પહેલો દિવસ.. અને ફાગણનું એક ગીત જે તમારા માટે લાવવાની હતી, એના શબ્દો કદાચ તૈયાર મળી જાય એ આશાએ એની પ્રથમ પંક્તિ google કરવામાં જય વસાવડા લિખિત આ સ્પ્રેક્ટ્રોમીટરમાં પ્રકાશિત લેખ મળી ગયો. જાણે એક મોતી શોધવા ડુબકી મારો અને આખો ખજાનો મળે..! અને ‘ગમતું’ મળે તો ગુંજે ભરાય? એટલે હું એ આ આખો લેખ જ તમારા માટે લઇ આવી.. ગુજરાતી કવિતાના રસિયાઓ માટે આ લેખમાં પ્રસ્તુત ફાગણની કવિતાઓ ખજાનો પુરવાર થશે એની મને ખાત્રી છે..!

ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!

‘ગુજરાત સમાચાર (સ્પ્રેક્ટ્રોમીટર) માં પ્રકાશિત – ૧૬ માર્ચ, ૨૦૦૩

* * * * *

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
અહીં’યે છંટાય વળી તહીં’યે છંટાય
હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઉડે ગુલાલ!
* * *

બહેકે જૂઇ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
* * *

ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
એના રંગે રંગાઇ ગયો તડકો રે હો!

વનની વચ્ચોવચ સોહે પલાશ
ધરતીની આજે પુરાઇ છે આશ!

આજ ઉઘડયો શો અગ્નિ-ઉમળકો રે હો
ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
* * *

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!

તારો મારગ ઢૂંઢતા કે મારો ભુલ્યો રે…
વન વન મહેંકે મ્હેંકતો કે જીયરો ખુલ્યો રે
જોબનને ઝરૂખડે કે આતમ ઝૂલ્યો રે….
* * *

હતાશ બેઠી હોળિકા ખોળે લઇ પ્રહલાદ
પોતે ભસ્મ થઇ, મળ્યો શિશુને પ્રભુ-પ્રસાદ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’

હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
થતા પુલકિત અંગ સારાં, ચોંકી ઉઠે રક્ત ધારા
ધસે ફુંફવતી સફાળી જયમ મત્ત કો માગણી
આજ આવી ફાગણી!

પુષ્પભર પેલી નમેલી, ચારૂ ચમકે જો ચમેલી
ચંદ્ર ચળકે, સિંઘુ સળકે! તારલા મૃદુ મીઠું મલકે
રે! અકેલી તું જ શું આજે ઉદાસ અભાગણી?
ધીરી હલકે ધરા હીંચે વિશ્વખાટ સુહાગણી
આજ આવી ફાગણી!
* * *

છૂટે હાથે ફુલ વેરતી આવી,
હૈયે હૈયે રસ પ્રેરતી આવી
માનવઉર મ્હેંકાવતી આવી,
પ્રીતના ગીત લ્હેકાવતી આવી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ક્ષિતિજ કૂદતી, પૃથ્વી ખુંદતી, મદીલી ડોલતી, રસ હિલોળતી
દ્વેષના ક્લેશના ઇંધણ બાટતી, રંગ-ઉમંગ ગુલાલ ઉછાળતી
રંગભરી પિચકારીએ સૃષ્ટિના વનો બધા છંટકાવતી આવી
માનવના સૂતા હૃદય મંડળે કોકિલફુલ ટહુકાવતી આવી
અમી છલકતી છાતડી લાવી, ફાગણી આવી!
*****

ઉઉહમ્ફ! આવી કાવ્ય પંકિતઓ પર નજર નાખીને હાંફ ચડી ગઇ? આપણી ભાષાના જ નહિં, કોઇપણ ભાષાના ઉત્તમ કવિશ્રેષ્ઠ ગણાય એવા ઉમાશંકર જોશીની કેટલીક કૃતિઓની સિલેકટેડ પંકિતઓની આ ‘મેલડી’ છે. રિમિકસ કલ્ચરના બંદાઓને મેલડી શું એ સમજાવવું નહિં પડે. કોણ જાણે કેમ, ગુજરાતીમાં લખાયેલી કવિતાઓ પ્રત્યે ઘણાં ધાવણા વાચકોને એક બચકાની ચીડ હોય છે. આ જ બધા પાછા દર દસ મિનિટે ‘આઇ લવ ઇન્ડિયા’ અને ‘ગુજરાતના ગૌરવ’ના ગગનભેદી પોકારો કરતાં ફરે છે! ગુજરાતીના ડિયર બેબી રિડર્સ, જે દેશ અને રાજયની ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવા અને પચાવતા ન આવડતું હોય ત્યાં એ દેશ ટકવાના કે એ ટકાવવામાં આપના ફાળાના ખ્વાબ પણ જોવા એ કયામત હી કયામત હૈ! જો ફિલ્મગીતો ગમે, તો કવિતા પણ ગમે જ! જરૂર રસરૂચિ કેળવવાની છે. કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. ફાગ કે ફાગુ કાવ્યોની ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી પરંપરા છે. પરંપરા પૂર્વે ભૂલાઇ ગયેલા કવિ રત્નાએ લખેલું :-

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!

કોન્વેન્ટ જનરેશનના રીડર-‘રીડરાણી’ઓ માટે કેટલીક ટિપ્સ. તંબોળ એટલે પાન. કેસૂ કે કિંશૂક એટલે કેસૂડાંના ફૂલ. હવે કેસૂડો એટલે શું એવું પૂછવા કરતાં તો કેસૂડાના રંગમાં સાઇનાઇડ ઘોળીને આપી દેજો! પલાશ એટલે ખાખરો ઉર્ફે કેસૂડાંનું ઝાડ. વઘુ વિગત માટે જો ચડે જોશ, તો પ્લીઝ રિફર ભગ્વદ્ગોમંડલ કોશ!

જે તરવરાટ અને થનગનાટ મેટ્રોસિટીઝમાં વીક-એન્ડમાં ગ્રાન્ડ પાર્ટીઝમાં હોય છે, એ અનુભૂતિ એક જમાનામાં કેવળ ફાગણમાં થતી. સ્ત્રી-પુરૂષ, બાળક-વડીલ, દોસ્ત-દુશ્મન બધા ભેદ ભૂલીને તમામ સંબંધોની લાજશરમ મૂકીને ઘુળેટી પર બસ સાથે નાચવાનું, ઝૂમવાનું, એકબીજાને રંગવાના… એકબીજાની કાયાઓ મસ્તીમાં રગદોળવાની… ભીંજાવાનું અને ભીંજવવાના… ચીતરવાનું અને ચીતરવાના… ન કોઈ રોકે, ન કોઈ ટોકે… બસ રહેમાન સ્ટાઈલમાં ગાતા જવાનું : મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે….

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

આ મેલોડિયસ મેલડી કવિ બાલમુકુંદ દવેની છે… અડધી સદી અગાઉ રચાયેલી! કાન-ગોપીના સિમ્બોલ વડે હોળી-ઘુળેટી ખરેખર બંધિયાર ભારતીય સમાજમાં નર-નારીના ફ્લર્ટંિગ માટે ઉઘાડું ફટાક મુકાઈ જતું ફાટક હતું. અંગઉલાળા ને આંખઈશારાથી દેહ પર રંગ અને મનમાં કામતરંગ ઉડી જતા ઠંડીનો પડદો ઉઘડતો… અને તખ્તા પર મિલન સમાગમના અશ્વો હણહણાટી બોલાવી હોળીની અગનમાં જલતા! બાલમુકુંદ દવેના જ શબ્દોમાં કોઈ ઘેરૈયો અને રંગનાર છોગાળો યુવક, કોઈ રૂપ ઢોળાય એમ નજરમાં રંગો પૂરાય એવી ગોરીને કહેતોઃ

‘દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!

બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’

ઘૂળેટીની ટિખળી મસ્તીમાં ગોરી પણ રોકડુ પરખાવતી:
‘નીરમાં સરી જાય ઘડૂલો,
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા ખાલી વેણથી ખીજી,
બંધબારણે રે’ય એ બીજી!’

ઘેરૈયો કહેતો:
‘વાયરા વનના જાય ન બાંઘ્યા,
એવા અમારા મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી,
માગતા અમે નથી પરવાનગી!’

અને સામેથી મળતો ૨૧મી સદીનો લટકાળો જવાબ:
‘આપમેળે રંગ રેલાઈ જાય તો,
અમે નથી એને લુછીએ એવા
તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,
અમે નથી ઘર પૂછીએ એવા!’

ઘૂળેટીને જો ધારો તો એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી શકાય તેમ છે. વેસ્ટર્ન કલ્ચરના વિરોધ કરતાં આ વઘુ પોઝિટિવ પડકાર છે. શું નથી આ તહેવારમાં? ઉલ્લાસ છે, સમાનતા છે, મસ્તી છે, નશો છે. સંગીત છે, કુદરત છે, ડાન્સ છે, જોશ છે, પ્રકાશ છે અને કોઈપણ ઉત્સવના બ્રાન્ડ પોઝિશનિંગ માટે અનિવાર્ય એવા છોકરા અને છોકરી છે! વસંતની મંજરી આંબે જ થોડી આવે છે, જીવનમાં પણ ટીનએજમાં ઝણઝણાટીના મ્હોર બેસે છે! પ્રિયકાંત મણિયારે લખેલું :

છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી
જમુના જલમાં રંગ ગુલાબી વાટી….

અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી
શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે

તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું
માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું
જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી
છેલછબીલે છાંટી!

અને ગુજરાતીનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે. (આવી કલ્પનાઓને લીધે જ વગર પિચકારીએ કાવ્યો લખેલા ફકરાઓ કરતા વઘુ રંગીન બનતા હોય છે)… એમણે આ જ અનુભૂતિની પૂર્તિ કંઈક આમ કરી છે- અગેઈન ઈન મેલડી મિક્સઃ

ફરી ફરી ફાગુન આયો રી
મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
હોજી માટો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતા રે અલબેલ!

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

હો બાજે ઢોલક ડફ બાંસુરિયા, વસંતરો રત ગાવૈરી
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ, અપની ઘૂન મચાવૈરી
હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ!

આવું વાંચતાવેંત સીધા જૂની પેઢીને ગમતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પહોંચી ગયા છો? આમ તો આપણા જૂનવાણી માનસને ગુલાબી કરતા ભગવો રંગ વઘુ ગમે છે! તો હોળીની ઝાળોમાં પ્રગટતા ઉનાળાના ચેનચાળાને ઝડપવા કેસૂડાંની કલગીવાળો કેસરિયાળો સાફો પહેરીને, જૂની પેઢીના શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતના શબ્દોનો રંગ આંખોમાં આંજી લો.

સખી, કેસરિયો રંગ
રંગ છાંટે છે છેલડો રે…
નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે
ચગે સાંવરિયો મોર, ઔર નાચે છે તાનમાં રે…
સખી ફાગણ બેફામ, જામ પીધા છે સાનમાં રે…

ફાગણી રંગોત્સવની લિજ્જત એ છે કે એમાં ગાલમાં ખીલેલા ગુલાબોને માત્ર દૂરથી સૂંઘવાના નથી… એના સ્પર્શનું સુખ પણ મળે છે! અંગે અંગ હોળી રમવાના જંગમાં ભીંસાય, કોઈ ઓઢણી સરે ને કોઈ ઝભ્ભો ચિરાય… કોઈ ગુલાબી આંખોના જવાબી સરનામાવાળી પાંખો ફૂટી શકે છે. સ્વ. અમૃત ઘાયલે લલકારેલું :

એક ‘રસનું ઘોયું’ એમ મને ‘ટચ’ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ‘ખચ’ કરી ગયું!

એ સૂર્યને ય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

સંતને પણ સતત મસ્ત બનાવે એવી વસંતમાં ગોવિંદસ્વામીએ ઘાયલની શરારતથી સાવ ઉલટી જ કેફિયત આપેલીઃ

કાજળકાળા આભમહીંથી તારલા વાટે તેજ ચૂએ છે
સૌરભની પિચકારી ભરી ફૂલડા રંગે હોળી રમે છે!

મદભર્યા મુજ જોબનગીતો ઝીલવા આજે કોઈ નથી રે
ફાગણના મઘુ-ફૂલ-હિંચોળે ઝૂલવા સાથે કોઈ નથી રે!

વેલ, વેલ. તમે હોળી રમવા માટે રંગેચંગે સજજ હો, પણ તમારી સામે કે સાથે કોઈ રમવાવાળુ ન હોય તો? વેરી સેડ, રિયલી બેડ! પછી સુંદરમની જેમ ગાઈને માંગણી કરશો?

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ

વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.

રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
કેસૂડો કામણગારો જી. લોલ.

કે પછી ‘હોલિયા મેં ઉડે રે ગુલાલ’ જેવા ધીંગા ઉન્માદ અને જોરૂકા ઉત્સાહથી ભેરૂબંધો કે બહેનપણીઓની ટોળી જમાવી, બચ્ચા કચ્ચાની ફોજ લઈને પહેલા તો જીવનની થપાટો ખાઈને શુષ્ક થઈ ગયેલા ધોળા વાળોને રંગી નાખશો? એ શ્વેતકેશમાં ઉઠેલા રંગોના ચાંદરડાઓ વિખૂટા રહેતા વડીલોમાં પણ ઉંડે ઉંડે રંગોળી ચીતરશે, અને એમનામાં ગૌરવના ગુલમહોર ફૂટશે કે ‘મને રંગવાવાળુ પણ કોઈક છે, હજુ હું સાવ સૂકાઈ ગયેલું ઠુંઠુ નથી! પછી ગોકીરોદેકારો હલ્લાગુલ્લાના ‘રંગગુલ્લા’ ખાતા-ખવડાવતા જો ફાગણની ફોરમ લાગી જાય… ભીંજાતા ભીંજાતા કોઈ હીરોને આ વસંત પૂરતી હિરોઈન કે કોઈ નાયિકાને હોળીની જવાળાઓમાં તપાવતો નાયક મળી જાય.. તો જાણે લીલાલાલ વાદળી કાળા રંગ ઉપર પડે એક પીળો તેજલિસોટો! રંગ સાચો, સંગ સાચો, બાકીનો સંસારે થાય ખોટો! જો સતરંગી સપનાના સંગાથમાં બે અલગ કાયાના રંગો એક બીજામાં ભળીને એક નવો માયાનો રંગ રચે, તો હિતેન આનંદપરાનું ગીત ટહૂકે..

આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !

ફિનીશ! ફેન્ટેસી ઓવર… ફાગણની કેટકેટલીયે કલ્પનાઓને અઘૂરાં પણ મઘૂરાં સપનાઓની સલામ. એન્ટર ટુ રિયાલિટી! આમ તો વયોવૃઘ્ધ બાળસાહિત્યકાર રમણલાલ સોનીએ એક કવિતામાં દિવાળી સાથે હોળીને સરખાવીને હોળીને સામાન્ય માણસનો યાને ધાણી દાળિયાની ફાંકા મસ્તી પર જીવીને ફાટેલા કપડે શેરીઓમાં રંગારંગ ધમાલ કરવાનો સમાજવાદી તહેવાર ગણાવેલો. ફાગણમાં તડકો છે. ગરમી છે. મોૅઘવારી છે. મજદૂરી છે, પાણીની તંગી છે. આખા પર્વનો ‘મુડ’ કોળિયો કરી જતી કાળમુખી પરીક્ષાઓ છે. અને આમ તો ફાગણવાળું ભારતીય કેલેન્ડર પણ કોને યાદ છે?

સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’

ચિયર્સ ટુ કલર્સ!

ફાસ્ટ ફોરવર્ડ

મોરે કાન્હા જો આયે પલટ કે
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે

ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે
યે ગુલાલ અપને તન પે લગાકે
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..

કી જો ઉન્હોંને અગર જોરાજોરી
છીની પિચકારી બૈંયા મરોડી
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે

અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

(શ્યામ બેનગલની ફિલ્મ સરદારી બેગમ’ની ઠુમરી)

– જય વસાવડા

લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

.

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત