Category Archives: અજીત શેઠ

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

માનવીના હૈયાને નંદવામાં વાર શી – ઉમાશંકર જોશી

૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!

સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

– ઉમાશંકર જોશી

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

Happy 2nd Birthday to KhusheeFrom Masi & Masa
Happy 2nd Birthday to Khushee

સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
https://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

.

સ્વર : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

માધવ, વળતા આજ્યો હો ! – મકરન્દ દવે

પહેલા, Nov 13, 2009 માં મુકેલું મકરન્દ દવેનું આ ગીત ફરી એક વાર, એક નવા સ્વરમાં……

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત : અજીત શેઠ ?

* * * * * * * * * * * * * * * * * * *

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે ક્ષેમુદાદાના સંગીત અને મૃદુલા પરીખના મધુર સ્વર સાથે ફરી એકવાર…

માધો, મન માને તબ આજ્યો – કવિ શ્રી ઉશનસ્ નું આ ગીત ઐશ્વર્યાના મધુર કંઠમાં સાંભળ્યુ હતુ – એ યાદ છે? (ચૂકી ગયા હોય તો સાંભળી લેજો.. ) – એ ગીતની પ્રસ્તાવનામાં અમરભાઇએ મકરંદ દવેના આ ગીતની વાત કરી હતી.

સ્વરઃ મૃદુલા પરીખ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

(Picture: Hare Krishna Books)

.

માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હ્રદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

– મકરન્દ દવે

મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી

સ્વર : ભુપીન્દર
સંગીત : અજીત શેઠ
આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

– જગદીશ જોષી

મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ

સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

– રવિન્દ્રનાથ ટાગોર

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ

આપણા દુ:ખનું કેટલું જોર ?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

-રાજેન્દ્ર શાહ