બરાબર 13 વર્ષ પહેલાં ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રસ્તુત થયેલી આ રચના – આજે હેમંત જોષીના સ્વર-સ્વરાંકન સાથે ફરી માણીયે.
સ્વર – સ્વરાંકન – સંગીત : હેમંત જોષી
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા
આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”
– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે, વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?
કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,
આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!’
સ્વરકારના શબ્દોમાં આ ગીત વિષે –
“કવિ નિરંજન ભગતનું આ ગીત આજે વહેંચવું ગમશે-“આપણો ઘડીક સંગ”
ભગતસાહેબે “સ્વાધ્યાયલોક-8″માં ‘મૈત્રીના ઉપનિષદ’ સમા પોતાના આ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. એમાંની ખૂબ ગમતી પંક્તિઓ વહેંચવાનો આનંદ લેવો છે-
“આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે?કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી….મૈત્રીના સાર્વભૌમ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા છે…..
“…..’એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી’-બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બંનેને જીતવું હોય છે. પહેલાંને જીતવું છે પણ બીજો હારે નહીં તો પહેલો ક્યાંથી જીતે?એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ પહેલો અને બીજો બંને ત્યારે જ જીતે કે જયારે પહેલો અને બીજો બંને હારે.એટલે બંને ત્યારે જ જીતે કે જયારે બંને હારે!”. ભગતસાહેબે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે પોસ્ટકાર્ડમાં મોકલેલ કાવ્ય…
આ ગીત બંગાળી લયમાં હોવાથી બંગાળી ઢાળ પર આધારિત સ્વરનિયોજન કરવાની મજા મેં લીધી.”
– અમર ભટ્ટ
કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…જાણે કવિના જ શબ્દોની પ્રતીતિ….
નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી…
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ હવે આપણી વચ્ચે નથી. આજે એમણે કાયમી વિદાય લીધી.
કવિ ચંદ્રકાન્ત શેઠ મારા પ્રિય કવિ છે. એમાં પણ એમનાં ગીતો મને અંદરથી સ્પર્શે છે ને એમના આસ્વાદો મને અંદરથી તરબતર કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે કે કોઈ પણ કવિના કોઈ પણ કાવ્ય અંગે મને જયારે જયારે કોઈ પ્રશ્ન થાય ત્યારે ત્યારે હું કવિ ચંદ્રકાન્ત શેઠને ફૉન લગાવતો ને એ દરેક વખતે ત્વરિત જવાબ – instant answer – આપવાનું સૌજન્ય દાખવે.
આ ગીતની સ્હેજ વાત કરું તો ‘નથી નથી’ માં શૂન્યતા છે , તો વળી “‘હું’ જ ત્યાં નથી નથી”માં સભરતા છે. એટલે શૂન્યતામાં સભરતાના અનુભવનું આ કાવ્ય મને અત્યંત પ્રિય છે.
આકાશ ખોલવું, જળ ખોલવું, સૂર ખોલવા, નૂર ખોલવાં ને કૈંક ખોળવું … કવિને શું મળે છે? તે તમે પણ શોધો, માણો.
વર્ષો પહેલાં કવિએ લખેલું આ કાવ્ય છેક 2008માં મારાથી સ્વરાંકિત થયું ને એ જ વર્ષમાં રૅકોર્ડ થયું.
– અમર ભટ્ટ
અમર ભટ્ટ
નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી.
સતત છેડીએ તાર છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર? કશુંયે ચમકે નહીં
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી
લાંબી લાંબી વાટ, પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! -દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ!-હું જ ત્યાં નથી નથી!