Category Archives: ગીત

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ

બરાબર 13 વર્ષ પહેલાં ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રસ્તુત થયેલી આ રચના – આજે હેમંત જોષીના સ્વર-સ્વરાંકન સાથે ફરી માણીયે. 

સ્વર – સ્વરાંકન – સંગીત :  હેમંત જોષી 

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

મામા, કાકા, ફોઇ, માસી

ચોરી કરવા ચાલ્યાં ચોર, સોની પોળમાં થાતો શોર
સિપાહી મળ્યાં સામા, બાના ભાઈ તે મામા

મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીનાં રંગ પાકા, બાપનાં ભાઈ તે કાકા

કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલા
કાકી પડ્યાં રોઈ, બાપની બહેન તે ફોઇ

ફોઇ ફૂલડાં લાવે, ફૂઆને વધાવે
ફૂઆ ગયાં કાશી, બાની બહેન તે માસી

વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય | પંડિત ઓમકારનાથ ઠાકુર ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭

આપણા વ્હાલા ભારત દેશને અને આપણ સૌને ૭૮મો સ્વાતંત્ર્ય દિવસ મુબારક!

ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુરે સરદાર વલ્લભ ભાઈ પટેલના આમંત્રણને માન આપીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ’ સંપૂર્ણ કાવ્ય ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટુડીઓમાં ઉભા રહીને ગાયું, જે સવારે ૬ઃ૩૦ વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયું અને આખા ભારતે સાંભળ્યું.

Courtesy – Prasar Bharti Archives YouTube channel.

सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम ॥

सुखदां वरदां मातरम् ॥
कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

હું માણસ છું કે શું? – ચંદ્રકાન્ત શાહ | અમર ભટ્ટ

કવિ ચંદુ શાહની યાદો અમર ભટ્ટના શબ્દોમાં…

“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”

– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

વિશ્વ મિત્રતા દિવસ – આપણો ઘડીક સંગ… – નિરંજન ભગત

વિશ્વ મિત્રતા દિવસ પર મારું ખૂબ ગમતું ગીત…

કવિ: નિરંજન ભગત
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: શબદનો અજવાસ

‘કાળની કેડીએ ઘડીક સંગ’

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,
આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,

વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,

કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;

એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!’

સ્વરકારના શબ્દોમાં આ ગીત વિષે –

“કવિ નિરંજન ભગતનું આ ગીત આજે વહેંચવું ગમશે-“આપણો ઘડીક સંગ”
ભગતસાહેબે “સ્વાધ્યાયલોક-8″માં ‘મૈત્રીના ઉપનિષદ’ સમા પોતાના આ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. એમાંની ખૂબ ગમતી પંક્તિઓ વહેંચવાનો આનંદ લેવો છે-
“આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે?કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી….મૈત્રીના સાર્વભૌમ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા છે…..
“…..’એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી’-બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બંનેને જીતવું હોય છે. પહેલાંને જીતવું છે પણ બીજો હારે નહીં તો પહેલો ક્યાંથી જીતે?એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ પહેલો અને બીજો બંને ત્યારે જ જીતે કે જયારે પહેલો અને બીજો બંને હારે.એટલે બંને ત્યારે જ જીતે કે જયારે બંને હારે!”. ભગતસાહેબે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે પોસ્ટકાર્ડમાં મોકલેલ કાવ્ય…
આ ગીત બંગાળી લયમાં હોવાથી બંગાળી ઢાળ પર આધારિત સ્વરનિયોજન કરવાની મજા મેં લીધી.”
– અમર ભટ્ટ

ફરીથી પાછા નવેસરથી – જયશ્રી મર્ચન્ટ | અસીમ મહેતા | મ્યુઝિક આલબમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૬: ગીત
ફરીથી પાછા નવેસરથી

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સ્વર–સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

ફરીથી પાછા નવેસરથી
જો મળીએ તો કેવું સારું
ફરીથી પાછા હું ને તું
હસી લઈએ તો કેવું સારું

ઊઘડું ઊઘડું કરતું આકાશે
અજવાળું ઘેરું ઘેરું
તોય આંખ તો કહ્યા કરે
કે હું અંધારું પ્હેરું પ્હેરું
લઈને હોડી સપનાની
તરીએ તો કેવું સારું
-ફરીથી પાછા હું ને તું …

ઝાકળભીની હવા પીગળે,
હુંફાળી સવારે,
ફૂટે ટેરવાં તડકાને,
પહોંચે શ્વાસોને દ્વારે
સ્પર્શોની પાંદડીએ સાજન,
ઊગીએ તો કેવું સારું!
-ફરીથી પાછા હું ને તું …

(આ સાથે છ ગીતોનું મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું” સંપન્ન થાય છે.)

દીકરીનું ગીત: પરીઓની એ રાજકુમારી – જયશ્રી મર્ચન્ટ : મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: માધ્વી મહેતા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ. પ્રિયા શાહ

Lyrics:

પરીઓની એ રાજકુમારી
તે દિ’ આવી મારે દ્વાર
મધમીઠી રેશમી ચાંદની
તે દિ’ આવી મારે દ્વાર!

રાતરાણી ખીલી’તી તે દિ’
કે ખીલ્યાં’તા પારિજાત?
મોગરાનાં પગલાંની તે દિ’
પડી’તી હવામાંયે ભાત
ચમેલી ચંપાના અમૃતમાં
જૂઈનો ઘૂંટાયો પમરાટ
મધમીઠી…

રાજકુમારીની તો મીઠી
એવી કાલીઘેલી બોલી
હ્રદયની સોનલ વાટકડીને
એણે કેસર રંગે ઘોળી!
કસુંબલ કેફી આંખો એની
મહેંદીના રંગે ઝબોળી!
મધમીઠી…

મંગળ આનંદનું જગ આખું
દીકરી તેં અમને છે આપ્યું
અનંત આભનો શક્તિપુંજ તું
સુખનું તું બ્રહ્માંડ આખું
દીકરી મારી, કહું જ એટલું,
શિવાસ્તે પન્થાનઃ સન્તુ!
મધમીઠી…

– જયશ્રી વિનુ મરચંટ

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…જાણે કવિના જ શબ્દોની પ્રતીતિ….

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી…

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ હવે આપણી વચ્ચે નથી. આજે એમણે કાયમી વિદાય લીધી.
કવિ ચંદ્રકાન્ત શેઠ મારા પ્રિય કવિ છે. એમાં પણ એમનાં ગીતો મને અંદરથી સ્પર્શે છે ને એમના આસ્વાદો મને અંદરથી તરબતર કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે કે કોઈ પણ કવિના કોઈ પણ કાવ્ય અંગે મને જયારે જયારે કોઈ પ્રશ્ન થાય ત્યારે ત્યારે હું કવિ ચંદ્રકાન્ત શેઠને ફૉન લગાવતો ને એ દરેક વખતે ત્વરિત જવાબ – instant answer – આપવાનું સૌજન્ય દાખવે.
આ ગીતની સ્હેજ વાત કરું તો ‘નથી નથી’ માં શૂન્યતા છે , તો વળી “‘હું’ જ ત્યાં નથી નથી”માં સભરતા છે. એટલે શૂન્યતામાં સભરતાના અનુભવનું આ કાવ્ય મને અત્યંત પ્રિય છે.
આકાશ ખોલવું, જળ ખોલવું, સૂર ખોલવા, નૂર ખોલવાં ને કૈંક ખોળવું … કવિને શું મળે છે? તે તમે પણ શોધો, માણો.
વર્ષો પહેલાં કવિએ લખેલું આ કાવ્ય છેક 2008માં મારાથી સ્વરાંકિત થયું ને એ જ વર્ષમાં રૅકોર્ડ થયું.

– અમર ભટ્ટ


અમર ભટ્ટ

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી.

સતત છેડીએ  તાર છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર? કશુંયે    ચમકે નહીં
ખોલી જોયા સૂર, હલક  એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી

લાંબી લાંબી વાટ, પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! -દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ!-હું જ ત્યાં નથી નથી!

– કવિ:ચંદ્રકાન્ત શેઠ
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: સ્વરાભિષેક:2