Category Archives: રાસબિહારી દેસાઈ

23 જૂન … રાસ ભાઈની વર્ષગાંઠે, રાસ ભાઈની યાદમાં… 

ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીતને ચાહનાર લોકોના હૃદય જે કલાકાર બેલડીનું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ ” રાસભાઈ ” કહીને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.


આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીતના શ્રવણથી જૂની પેઢીના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુથી એક યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો અને એનું નામ પડ્યું બિલીપ્રત્ર!

ગુજરાતી સંગીતની જણસ સમા, લગભગ ક્યાંય સાંભળવા ન મળે એવા આ ગીતો માટે જયારે મેં વિભાબેનને પૂછ્યું, કે “હું આ ગીતો ટહુકો પર મૂકું?” વિભાબેનનો બસ આટલો જ ટૂંકો અને પ્રેમાળ જવાબ: “ચોક્કસ. સારાં સંગીતની લહાણી થાય એમાં તો આનંદ જ હોય ને?”

આજે ૨૩ જુન… મુરબ્બી રાસભાઈનો જન્મદિન….ટહુકો પર આ અલભ્ય ગીતોની શ્રેણીનો આરંભ કરવા માટે આનાથી રૂડો બીજો કયો અવસર હોય?!… તો આ સ્વર-યુગલના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસની એક ખુબ જ સુંદર રચનાથી અઠવાડિક શ્રેણીની શુભારંભ કરીયે –

રચના : અવિનાશ વ્યાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ


ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત…

જીવ તો તારું એક રમકડું 
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…

તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…

(રેકોર્ડીંગ લાઈવ પ્રોગ્રામનું છે.)

હરિ તને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર ,સ્વરાંકન : જયંતિ રવિ

.

સ્વર : રાસબિહારી દેસાઇ

.

હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ઘરમાં રહું ને તોયે ભીંજાઉ સોંસરવી – ભગવતીકુમાર શર્મા

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
ઓડીઓ માટે સૌજન્યઃ mavjibhai.com

.

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સ્વર – નૂપુર મોદી
સંગીત – ડો. પ્રભાતદેવ ભોજક

.

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!

કેટલું તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઝુમ્મર જડેલી મારી છતમાં ઘેરાય
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળીયે ટપ ટપ હું પગલાં મુકુને,
વન ઉભરાયે ભીની લીલાશનાં
વાડામાં વહેતી હો નાનકડી નીક,
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો ?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
-ભગવતીકુમાર શર્મા

ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી: રાસબિહારી દેસાઈ (23/6/1935-6/10/2012)

મારા જેવા કેટલાંય કલાકારોના ગુરુ રાસભાઈને સહર્ષ યાદ કરું છું.
રાસભાઈનો અવાજ પહેલી વાર ક્ષેમુભાઈના સ્વરાંકનમાં એમણે ગાયેલા ગીત ‘મધરાતે સાંભળ્યો મોર’માં સાંભળ્યો. મારી ત્યારે 11 વર્ષની ઉંમર. ટાગોરના એક કાવ્યમાં આ પંક્તિઓ છે-
‘સુનિ સેઈ સૂર
સહસા દેખિતે પાઈ દ્વિગુન મધુર
આમાદેર ધરા‘
(એ સૂર સાંભળીને એકાએક પૃથ્વી છે તેનાથી બેવડી સુંદર લાગવા માંડી)
આવી જ અનુભૂતિ મને રાસભાઈનો મેઘઘેરો (જાણે કે ગુફામાંથી આવતો ના હોય એવો) અવાજ સાંભળીને થઇ.
ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પર શિખરિણી છંદમાં એક કાવ્ય લખ્યું. એની આ પંક્તિઓ હું રાસભાઈ માટે ઉપયોગમાં લેવા માંગુ છું-
‘હતું તારે કંઠે પરમ કંઈ કરણામૃત રસ્યું
બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’
એ સ્વરલીન થયા 6/10/2012ના દિવસે પણ છેલ્લે સુધી એટલે કે 4/10/2012 સુધી તો સ્ટુડિયોમાં એમણે ગાયું. મકરંદ દવેને યાદ કરું?-
‘અમે ગાતાં ગાતાં જાશું,
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે
સુંદરના ખોળે ધન્ય સમાશું
અમે જાતાં જાતાં ગાશું
અમે ગાતાં ગાતાં જાશું’
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં એમનાં ગીતોનાં અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં રાસભાઈએ ગયેલું ગીત છે-
‘સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી,
પૃથ્વી પગથારે ઘૂમે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી’
આ ગીત રેકોર્ડ કરવા માટે મેં ખૂબ સંકોચ સાથે રાસભાઈને પૂછ્યું. મનમાં સંદેહ કે મારા જેવા જુનિયર સ્વરકારનું ગીત ગાવા એમને પૂછાય? પણ એમણે તો સહજતાથી, કોઈ પણ શરત વિના ગાવાનું સ્વીકાર્યું; એટલું જ નહિ પ્રોત્સાહનના શબ્દો કહી મને પોરસાવ્યો. રાસભાઈએ એકતારા એન્ડ ડફ ઉપર ફકીરી અદામાં અવધૂતી મસ્તીથી આ ગીત ગાયું છે.
ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ, પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન કલાકાર રાસભાઈને પ્રણામ.
– અમર ભટ્ટ

સ્વર – શ્રી રાસબિહારી દેસાઇ
સ્વરાંકન – અમરભટ્ટ

.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..

એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ

Updated on June 28, 2023

This was composed on 20.08. 2004. Performed live In USA. This track was received recently from some friend. Regrets for minor break before second stanza.
Source – Bilipatra channel on YouTube.

Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!

અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…

સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ

.

ધ્રુવ ગીત યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું

———————————————-
Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!

આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!

ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!

અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!

(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)

* * * * *

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

છેલ્લા લગભગ ૪ વર્ષથી ટહુકો પર ગૂંજતો આ ટહુકો આજે ફરી એકવાર… ગીતના સ્વરકારના પોતાના સ્વર સાથે..! અને હા, આજે તો દિવસ પણ special છે..! કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આજે ૭૭મો જન્મદિવસ..! ભગવતીકાકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
એમનું આ ગીત ફરી માણીએ..!

સ્વર – રાસબિહારી અને વિભા દેસાઇ
સ્વરાંકન – રાસબિહારી દેસાઇ


________________

Posted on March 1, 2007

ટહુકો પર હમણા સુધી મુકાયેલા ગીતો કરતા આ ગીત થોડુ અલગ પડે એવું છે. સૌથી પહેલા તો, ગીતના શબ્દો… અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો.. તમે!

ધવલભાઇના શબ્દોમાં કહું, તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે આ ગીત… અઢી અક્ષરનું ચોમાસુ ?? મોર છેડતો સાત અક્ષરની ચીજ ?? ( લયસ્તરો પર આ ગીતની સાથે comments section માં જે વાચકો વચ્ચે વાતચીત થઇ છે, એ વાંચવાનુ ગમે એવું છે… )

આશિત દેસાઇ અને હેમા દેસાઇના અવાજમાં live recording કરાયેલા આ ગીતમાં વચ્ચે વચ્ચે આશિતભાઇ જે રીતે પ્રેક્ષકો સાથે થોડી વાત કરે છે, એ સાંભળવાની પણ મજા આવશે. ફક્ત તબલા અને હારમોનિયના સંગીત સાથે રજુ થયેલું ગીત એક સાંભળો, અને તરત જ પાછુ સાંભળવાની ઇચ્છા ન થાય, તો જ નવાઇ.. !!

(લયસ્તરો પર મુકાયેલા ગીતના શબ્દોમાં થોડો ફેર છે… કદાચ ગીતનો લય જાળવવા સંગીતકારે શબ્દોમાં આટલો ફેર કર્યો હશે. )

સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ

mor

.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

— લયસ્તરો પ્રમાણે છેલ્લી કડી આ મુજબ છે. —

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

.

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી – ડો. દિનેશ શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૧મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.. ચૈત્ર મહિનામાં પણ જાણે શ્રાવણ હોય એમ તરબરત થઇ જવાય.. અને એ પણ બે અલગ-અલગ સ્વરાંકન સાથે..

સ્વર : રીંકિ શેઠ
સંગીત : જયદેવ ભોજક

.

સ્વર – સંગીત – રાસબિહારી દેસાઇ
તબલા : શ્યામસુંદર બ્રહ્મભટ્ટ

.

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

—————–
અને હા.. ડો. દિનેશ શાહની બીજી રચનાઓ અને એમના નવા આલ્બમ વિષે આપ અહીં વધુ જાણી શકો :
http://thetrivenisangam.wordpress.com/