ગ્લૉબલ કવિતા : મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત)

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

મૃત્યુ આજે મારી સન્મુખ છે

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


…કારણ કે અનુભૂતિ સ્થળ અને સમયથી પર હોય છે…

મૃત્યુ સજીવમાત્રના જીવનની આખરી પણ એકમેવ મંઝિલ છે. દરેકેદરેક શ્વાસ આપણને સુનિશ્ચિત ગતિએ મૃત્યુની નજીક લઈ જતો હોવા છતાં આપણે સહુ એ રીતે જીવીએ છીએ જાણે આપણે કદી મરવાના જ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંનો એક કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું તે આ જ. મોટાભાગના માણસોને મૃત્યુ ગલીના વળાંક ઉપર અણધાર્યું મળી જતું હોય છે, પણ મૃત્યુનો ‘નક્કર’ પૂર્વાભાસ થાય એવાય કેટલાક માણસ હોય છે, અને ગણ્યાગાંઠ્યા લોકો એવાય હોય છે જેઓ જાગૃતાવસ્થામાં મૃત્યુનો સાક્ષાત્કાર કરીને આંખ મીંચે છે. ટીબીની તૂટૂં-તૂટું થતી કરાડ પરથી મૃત્યુની ખીણમાં લટકી રહેલ રાવજી પટેલને પણ મૃત્યુનો પૂર્વાભાસ થયો હશે ત્યારે જ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી કાળજયી કૃતિનો જન્મ થયો હશે ને! આજે જે વિશિષ્ટ કવિતા આપણે માણવી છે, એ પણ આવા જ કોઈ પૂર્વાભાસ કે સાક્ષાત્કારની ફળશ્રુતિ જણાય છે.

રચના વિશિષ્ટ એટલા માટે છે કે આજથી ચારેક હજાર વર્ષ પહેલાં એ લખવામાં આવી છે. મધ્યકાલીન ઇજિપ્તના સમયના પેપાયરસ પર લખાયેલી જે કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ શકી છે, એમાંની એક તે ‘ડાયલોગ ઑફ અ મિઝાન્થ્રોપ વિથ હિઝ સૉલ’, જે હવે ‘ડિસ્પ્યુટ બિટ્વિન અ મેન એન્ડ હિઝ બા’ નામે ઓળખાય છે. આ પેપાયરસ મનની અવસ્થા વિશે વાત કરતા પુરાણતમ દસ્તાવેજોમાંનો એક છે. પ્રસ્તુત કાવ્ય આ કૃતિનો એક ભાગ છે.

ઇજિપ્ત. આ નામ કાને પડતાવેંત પિરામિડ આપણને દૃષ્ટિગોચર થવા માંડે છે. ઇજિપ્ત ગયા હોઈએ કે ન ગયા હોઈએ, પિરામિડની તસવીરો ન જોઈ હોય કે પિરામિડો વિશે સાંભળ્યું ન હોય એવા શિક્ષિત માણસ મળવા મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે પિરામિડો એ જે તે સમયના રાજાઓ અને સામંતોની કબર છે. હજારો વર્ષ પછી આજે પણ આ તોતિંગ કબરો તે સમયના લોકોની જીવન-મૃત્યુ વિશેની માન્યતાના પ્રતીક તરીકે આપણી વચ્ચે જીવી રહી છે. એ સમયના મિસ્રવાસીઓ માનતા હતા કે મૃત્યુ બાદ એમનું આધ્યાત્મિક શરીર (આત્મા) મરણોત્તર જીવન (આફ્ટર-લાઇફ)માં જીવતું રહે છે. જીવનકાળ દરમિયાન જેણે ‘યોગ્ય’ તૈયારીઓ કરી હોય, એવી વ્યક્તિને જ મૃત્યુપર્યંતના આ જીવનમાં પ્રવેશ મળવાની સંભાવના રહેતી. આ તૈયારીઓમાં યોગ્ય અંતિમક્રિયા માટે જરૂરી સાધનસામગ્રીની ખરીદી, શબ્તી (મરણોત્તર જીવનમાં કામ આવનાર સેવકો), તાવીજ વિ. તથા શબપેટી અને કબર વગેરેનો સમાવેશ થતો હતો. પિરામિડ પણ આવી જ પણ ગંજાવર કબરો જ છે, જેમાં જીવન પછીના જીવનમાં કામ આવે એવી તમામ વ્યવસ્થાઓ સાથે મૃતદેહોને સજાવી-ધજાવીને સાચવી રખાયા છે, જેથી પ્રેતલોકમાં રહ્યા બાદ શાશ્વત પુનર્જીવન પ્રાપ્ત થાય ત્યારે આત્માને કોઈ તકલીફ ન પડે. ઇજિપ્તનો સમાજ જીવનનો મોટો ભાગ મૃત્યુ પછીના જીવનની તૈયારીમાં જ વિતાવતો. પિરામિડ એની બોલતી સાબિતી છે.

जातस्य ही ध्रुवो मृत्युः એ સાચું પણ મૃત્યુનો ચહેરો કોઈએ જોયો નથી. મૃત્યુને મળીને કોઈ પરત ફરે તો મૃત્યુનો ચહેરો આપણને જોવા મળે, પણ ત્યાં સુધી તો આપણે મૃત્યુ વિશે કેવળ અટકળ જ કરી શકીએ. મોત સંસારનું એકમાત્ર અફર સત્ય હોવા છતાં મૃત્યુ ઘરના દરવાજે આવીને સાંકળ ખખડાવે ત્યારે ઊભા થઈને ચાલ, જઈએ એવું કહેવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હોય છે. શ્વાસની છેલ્લી કગાર પર લટકતા હોઈએ એ ક્ષણે પણ જિજિવિષા ભાગ્યે જ મરણ પામી હોય છે. એટલે જ લાંબું જીવવા માટે માણસ જીવનભરની જમાપૂંજી પણ દાવ પર લગાવી દેતા ખચકાતો નથી. જે હોય એ, પણ અકળ-અગમ્ય હોવાથી મૃત્યુ આપણને સૌથી વિશેષ આકર્ષે છે. હકીકતે એ કેવું હોય છે એ તો કોઈ જાણતું નથી, પણ એના વિશે ધારણા બાંધવામાં આપણે કોઈ કમી પણ રાખતા નથી. પ્રસ્તુત રચનામાં પણ જે-તે કવિએ મૃત્યુનો ચહેરો આકારવાની કોશિશ કરી છે. પણ આ કોશિશની સમાંતરે જ ચાર હજાર વર્ષ પહેલાંની સમાજવ્યવસ્થાની રૂપરેખા પણ કવિ આકારી બેઠા છે એ આપણે જોઈશું.

મૂળ કવિતા ઇજિપ્શન (મિસ્ર) ભાષામાં છે અને મૂળ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદો મળી આવે છે. પ્રારંભિક પંક્તિઓ તો મોટાભાગના અનુવાદોમાં એકસમાન નજરે ચડે છે, પણ અંતિમ પંક્તિઓની સંખ્યા અને અનુવાદિત વાક્યોમાં પણ તફાવત જોવા મળે છે. અમુક અનુવાદકોએ મૂળ ઇજિપ્શન ભાષા પણ રોમન લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરી છે, પણ એમાંય ફરક નજરે ચડે છે અને એકસમાન ભાસતી મિસ્ર લિપિનો અંગ્રેજી અનુવાદ આ સર્જકોએ અલગ કર્યો હોવાનું પ્રતીત થાય છે. સરવાળે, જો કે બહુ મોટો તફાવત નથી અને આપણે નજીવા વિગતદોષ કે દૃષ્ટિફેરનું પિષ્ટપેષણ કરવામાં સમય અને ઊર્જા વેડફીએ એના કરતાં ચાર સહસ્ત્રાબ્દીઓ પહેલાં કોઈકને થયેલ કાવ્યાનુભૂતિનો આનંદ ન ઊઠાવીએ? પૌરાણિક મિસ્ર સાહિત્યના જાણીતા અનુવાદક મિરિઅમ લિચથાઇમનો અંગ્રેજી અનુવાદ આધારભૂત ગણીને આગળ વધીએ. ‘એન્શન્ટ ઇજિપ્શન લિટચરેચર’ના ત્રણ ભાગોમાંના પ્રથમ ભાગ ‘ધ ઓલ્ડ એન્ડ મિડલ કિંગ્ડમ્સ’માંથી આ અનુવાદ સાંપડ્યો છે. ‘વર્લ્ડ પોએટ્રી’ નામના તેરસોથી વધુ પાનાંના દળદાર થોથામાં આ જ કવિતાનો ડબલ્યુ. એસ. મર્વિને કરેલ અનુવાદ પણ નોંધપાત્ર છે. મૂળ ભાષાની જાણકારીના અભાવે કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે વાત કરવી શક્ય નથી એટલે આપણે શુદ્ધ કાવ્યાનંદ તરફ જ આપણી વાતચીતનું સુકાન ફેરવીએ.

ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે. વળી, વિચારવું એટલું જ મનુષ્ય માટે કદી પર્યાપ્ત નહોતું. પોતાના વિચારોને પોતાની આગવી શૈલીમાં રજૂ કઈ રીતે કરી શકાય એ મથામણ પણ અનાદિકાળથી માનવમનમાં થતી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખંડની શરૂઆત ‘મૃત્યુ આજે મારી સન્મુખ છે’ એ પંક્તિથી જ થાય છે. પુનરાવર્તિત થયે રાખતી આ પંક્તિ ગીતના ધ્રુવપદની પણ યાદ અપાવે છે. સર્જકને કોઈ વાત ભાર મૂકીને કહેવી હોય ત્યારે એ પુનર્કથન કે પુનરોક્તિનો આવો કીમિયો પ્રયોજે એ કાવ્યવિધા આજે આપણને સહેજ પણ નવાઈ ન પમાડે, પણ આજથી ચાર સહસ્ત્રાબ્દીઓ પૂર્વે પણ મનુષ્યમન આવી કાવ્યતરતીબ વિશે વિચારતું હોય એ જાણીને તો અવશ્ય જ સાનંદાશ્ચર્ય અનુભવાય.

કવિ મૃત્યુને પોતાની સન્મુખ ઊભેલું જુએ છે, ત્યાંથી આ વાત શરૂ થાય છે. રચનાના છએ છ ખંડમાં વાત ફરી-ફરીને અહીંથી જ આરંભાય છે. મૃત્યુને માથે ઊભેલું જોઈને કવિને અલગ-અલગ પરિસ્થિતિઓ યાદ આવે છે. મૃત્યુ કવિને બીમાર માણસના સાજા થવા સમું લાગે છે. જિંદગી જાણે કે એક લાંબી બિમારી હતી અને મૃત્યુ જાણે કે એ બિમારીનો અંત છે. મૃત્યુ જાણે કે સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિનું બીજું નામ છે. માંદગીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરવાને મૃત્યુ સાથે સરખાવ્યા બાદ કવિ એક ડગલું આગળ વધીને કહે છે કે લાંબો સમય બિમારીને લઈને પથારીવશ રહ્યા બાદ ઘરબહાર પ્રકૃતિને ખોળે જવા મળે એ પણ મરણ સરીખું જ છે. લાંબો સમય ખાટલામાં પડી રહેનાર માણસ ચાર દીવાલોને જોઈ જોઈને કેવો કંટાળી જાય! પુનઃ નિરામયતા પ્રાપ્ત થતાં જ એ બહાર ખુલ્લામાં જવા નીકળી પડે છે. હવાફેરનો સાચો આનંદ તો આવી કેદ પછી જ સમજાય. જિંદગી કેવળ બિમારી નથી, પણ થકવી નાંખે એવી, એક જગ્યાએ બાંધી રાખે એવી બિમારી છે અને મરણ આ માંદગીમાંથી સાજા થઈ ખુલ્લી હવામાં શ્વાસ ભરવાનું બીજું નામ છે.

આવી જ એક પ્રાચીનતમ ઇજિપ્શન કવિતામાં ’જાત’ મૃત્યુને સ્વયં, શરીર અને મૃત્યુના સમુદાયની નિરંતરતાના અંત સ્વરૂપે જુએ છે. શરીર તૈયારી માટે સમય માંગે છે, પણ આત્મા પ્રેતલોક, મરણોત્તર જીવન અને શાશ્વતીને આભાસી અને નિરર્થક ગણે છે. સૌથી પુરાતન મહાકાવ્ય ‘ગિલ્ગામેશ’માં સિદુરી ગિલ્ગામેશને કહે છે કે, “ખુશમિજાજ દિવસોને અનુસરો. દુઃખને વિસારે પાડી દો. મૃત્યુ અંત છે, ત્યાંથી કોઈ વાપસી સંભવ નથી. કબરો ખંડેર બની જાય છે અને એના માલિકો હોય કે રસ્તામાં પડેલા ભિખારીઓ, બધાને ભૂલી જવામાં આવે છે. મરણોત્તર જીવનનું સ્વપ્ન વિશુદ્ધ ભ્રમણા છે.’

કવિ કહે છે કે, મૃત્યુ હીરાબોળની સુગંધ જેવું છે. હવાદાર દિવસે ચંદરવા નીચે આરામથી બેસવાનું સુખ એટલે મૃત્યુ. કમળના પુષ્પોની ખુશબૂ એટલે મૃત્યુ. નશાના કિનારે બેસવું એટલે મૃત્યુ. નશાના સમુદ્રમાં ગરકાવ થવું એમ કવિ નથી કહેતા. નશો તો ખરો પણ એના કિનારે રહેવાનું છે. કિનારે પગ ભીના કરી શકાય, ડૂબી ન શકાય. જીવનમાં ‘ધ રોડ લેસ ટેકન’ સાચો તફાવત સર્જવામાં કારણભૂત અવશ્ય બને, પણ મૃત્યુ તો એક બહુખેડી કેડી છે. કરોડો-અબજો માણસો આ રસ્તેથી પસાર થઈ ચૂક્યા હોવાથી આ રસ્તો ભૂલથીય ચૂકી જવાની સંભાવના રહેતી નથી. જીવન એક યુદ્ધ છે જાણે, અને આ યુદ્ધમાંથી માણસનું ઘર પરત ફરવું એ મૃત્યુ. ચાર હજાર વર્ષ પહેલાંની આ રચનામાં જે તે સમયની સમાજવ્યવસ્થામાં યુદ્ધની ઉપસ્થિતિ છતી થાય છે. રાજાઓ હતા, મતલબ રાજ્યો હતા અને રાજ્યો હતા, મતલબ યુદ્ધો પણ હતા. જીવન એટલે જાણે કે ગોરંભાયેલું આકાશ અને મૃત્યુ એટલે બધા જ વાદળ દૂર થઈ ગયા બાદનું નિરભ્ર સ્વચ્છ સાફ આકાશ. જે કંઈ ગૂંચવાડા છે, એ જીવનમાં જ છે. મૃત્યુમાં જે છે એ બધું સાફ છે. મૃત્યુના આકાશમાં વાડલના ડાઘાડૂઘીને કોઈ અવકાશ નથી. મરણોન્મુખ માણસ જ સમજી શકે કે આજીવન એ શું અવગણતો રહ્યો હતો. કારણ જીવ એકધારા સંતાપનું બીજું નામ છે, જ્યારે મરણની ગોદમાં માના ખોળા જેવી શાતા છે. વરસોથી કેદમાં સબડ્યા કરતો માણસ ઘર જોવાને તરસતો હોય એ તલસાટ એટલે મૃત્યુ. જીવન એટલે વરસોવરસની કેદ અને મૃત્યુ એટલે માણસનું પોતાનું ઘર. યુદ્ધની જેમ જ કેદનો ઉલ્લેખ જે તે સમયના સમાજ વિશે આપણને અછડતો ખ્યાલ આપે છે.

આમ તો આ છએ છે શ્લોકોને કોઈ ભાષ્યની આવશ્યકતા જ નથી. આખી વાત દીવા જેવી સ્પષ્ટ છે. કવિએ ન તો ભારઝલ્લી ભાષા પ્રયોજી છે, ન તો મગજમાં આંટી પડી જાય એવા રૂપક-પ્રતીકો વાપર્યાં છે. આવી સ્વયંસિદ્ધા રચનાને આપણે res ipsa loquitar (it speaks for itself) શ્રેણીમાં મૂકી શકીએ. પણ મૃત્યુની વિભાવના થોડો વિચાર માંગી લે એવી છે. જેન આસમાન ‘અ ડાયલોગ બિટવીન સેલ્ફ એન્ડ સૉલ’ લેખમાં ઇજિપ્તના લોકોના જીવન-મૃત્યુ વિશેનો થોડો અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ કહે છે કે, આ કવિતા ખ્રિસ્તી (યહૂદી?) માન્યતાને રજૂ કરે છે, જેવી કે મૃત્યુ પરમાત્મા પાસે પરત જવાની ક્રિયા છે, આપણે આ દુનિયામાં આગંતુક છીએ, આપણે બીજી દુનિયાના છીએ, અને મૃત્યુ પશ્ચાત્ આપણે એ દુનિયામાં પરત ફરીએ છીએ. જેનના કહેવા મુજબ મિસ્રવાસીઓ પોતાને આ દુનિયામાં કદી આગંતુક લેખાવતા નહોતા, ઊલટું, તેઓ આ જગત અને પોતાની વચ્ચે પ્રબળતમ નાતો હોવાનું અનુભવતા હતા. એ લોકો મૃત્યુની ઝંખનાને ઘોર પાપ ગણતા. અને આ કવિતામાં કહ્યું છે એમ મૃત્યુને બિમારીમાંથી સાજા થવા સાથે સરખાવવું, કેદમાંથી મળતી આઝાદી ગણવું કે જુદાઈ પછીના મિલનનું નામ આપવું નિંદ્ય કૃત્ય છે. જેનના આ વિચારો સાથે સહમત થઈએ તો આ કવિતા મૃત્યુ વિશેના વિચારો અંગે વિરોધાભાસોની નાનકડી શૃંખલા ગણી શકાય. જે હોય એ, પણ એક વાત સ્પષ્ટ સમજાય છે કે ચાર હજાર વર્ષ પહેલાનો માણસ પણ જીવન-મૃત્યુ વિશે એ જ રીતે વિચારતો હતો, જે રીતે આજનો માણસ વિચારે છે. ટૂંકમાં, જીવનની અનુભૂતિઓ અને સંવેદનો સમય અને કાળના મહોતાજ નથી હોતા. આ દેશ હોય કે પેલો દેશ હોય, આ સમય હોય કે પેલો સમય હોય, મનુષ્યમાત્રની મૂળભૂત અનુભૂતિઓ લગભગ એકસમાન જ રહી છે.

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *