ગ્લૉબલ કવિતા : ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
All around us
the blossoms
flurry down
whispering,

Be patient
you have an ancient beauty.

Be patient,
you have an ancient beauty.

– Toi Derricotte (DARE-ah-cot)

ફુલ્લકુસુમિત

હું વાંકી વળી
મારા શ્વાસનું
ફુલ્લકુસુમિત વસંતના
શ્વાસ સાથે તાદાત્મ્ય સાધવા.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
માતાઓ પોતાના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગન કરતાં કરતાં,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષોની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક યુવતી
ચાદર બિછાવી પત્તા રમવાનું ટેબલ સજાવે છે,
ઉપર ગોઠવે છે મીણબત્તીઓ,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ ઉપર નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

ધીરજ ધર,
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…*

પળ અને જળ –બંને વહેતાં જ સારાં. પળ સ્થિર થઈ જાય તો જીવન પૂરું અને જળ સ્થિર થઈ જાય તો લીલ. બંનેનું વહેતાં રહેવું કુદરતી છે, પણ વહેવું જ જેની નિયતિ હોય એનેય ઝાલી રાખવું-અટકાવવું આપણને ગમે છે. એમ કરવાથી આપણામાં રહેલ શ્રેષ્ઠતાની જન્મજાત ભાવના પોષાય છે. કેમેરાનો આવિષ્કાર પણ આવી જ કોઈ ઝંખનામાંથી થયો હશે ને! વીતેલી કાલના ઓરડામાં મનફાવે ત્યારે પ્રવેશવા માટેનો પાસપોર્ટ એટલે ફોટોગ્રાફ. અસ્થાયીભાવ આપણને સ્થાયીભાવે ગમે છે. પરપોટો એટલે જ વધારે આકર્ષે છે કે ચળકતું લિસ્સુ મેઘધનુષ દેખાડીને એ પળમાં જ ફૂટી જવાનો છે. કળા કરતો મોર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પણ મોર ચોવીસે કલાક કળાની મુદ્રા ધારી રાખતો હોત તો શું આપણને એનું આકર્ષણ હોત ખરું? જે સ્થાયી છે, એ આકર્ષક રહેતું નથી. આકર્ષણ અસ્થાયીનું જ હોવાનું. પ્રકૃતિમાં એટલે જ એકેય તત્ત્વ સ્થિર નથી. જળથી લઈને વાદળ સુધી બધું જ પળેપળ નિતનવ્ય રૂપ ધારે છે. કોઈ બે સૂર્યોદય કે સૂર્યાસ્ત એકસમાન હોતા નથી. સ્થિર જણાતી ધરતી પણ ઋતુએ ઋતુએ નિતનવાં સ્વરૂપ ધરતી રહે છે, એટલે જ આપણી મુગ્ધતા બરકરાર રહે છે. અસ્થાયીપણાના સૌંદર્ય વિશેની ટોઇની એક કવિતા જોઈએ.

ટોઇ ડેરહકોટ. (જન્મસમયનું નામ: ટોઇનેટ વેબ્સ્ટર) અશ્વેત કવયિત્રી, શિક્ષિકા. ૧૨ એપ્રિલ, ૧૯૪૧ના રોજ મિશિગન, અમેરિકા ખાતે જન્મ. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક. આફ્રિકન-અમેરિકન કવિઓને પ્રોત્સાહિત કરવા માટે એમણે ‘કેવ કેનમ’ની સ્થાપના કરી. ટોઇની ભાષા અને રજૂઆતની ખાસિયત એની છેતરામણી સરળતા છે. એમની રચનાઓ એટલે આત્મકથનાત્મક લેન્સમાંથી થતું વિશ્વદર્શન. તેઓ ઇચ્છે છે કે એમની કવિતાઓ વિશ્વ સમક્ષ એક એવો સંદેશ મૂકે, જે વાસ્તવિક હોય, ન કે જે લોકોને સાંભળવો ગમે. પોતે આપેલ શિક્ષણ અને પોતાની કવિતા નિઃશંકપણે પરિવર્તનાર્થે જ હોવાની દૃઢ માન્યતા તેઓ ધરાવે છે. અશ્વેત હોવા ઉપરાંત સ્ત્રી હોવાને લઈને પોતાને થનાર અન્યાયોને તેઓ સ્વીકારે પણ છે અને અતિક્રમે પણ છે. આ બેવડી સામાજિક અસમાનતાના સ્વીકારમાંથી જ એમનો પ્રતિકાર પણ જન્મ્યો છે. ‘અ પ્લેસ ઇન ધ કન્ટ્રી’ કવિતામાં નાયિકાનો પરિવાર એક નવા ઘરની શોધમાં છે. કહે છે, ‘અમારું જૂનું ઘર વેચવામાં વરસ લાગી ગયું અને અંતે એક હબસીએ જ એ લીધું. એક મિત્રએ સમજાવ્યું, એકવાર એક ઘર અશ્વેત લોકોની માલિકીમાં હોય, તો તેઓ (દલાલો) એમને (અશ્વેતોને) જ એ બતાવશે. શું આપણે રાજકારણને નજરઅંદાજ કરી શકાય એવી કોઈ જગ્યાએ રહેવા માંગીએ છીએ?… શા માટે આ ઉજ્જવળ દેશની દરેક સડક નફરતના ઇતિહાસથી સુસજ્જ છે?’

કવિઉરમાં જે સંવેદન જાગ્યું હોય, એ જ સંવેદન ભાવકઉરમાં પણ યથાતથ જાગે એમાં કવિતાનું ખરું સાફલ્ય છે. પણ શબ્દો આ માટેનું એકમાત્ર સાધન છે, એમ કહીશું તો કળાના કસબીને અન્યાય થઈ શકે. કાન્તની ‘સાગર અને શશી’ રચનાની સફળતા કેવળ એની શબ્દાવલિને જ નહીં, ઝૂલણા છંદને પણ આભારી છે. એ જ રીતે રાવજીનું ‘કંકુના સૂરજ’ શોકગીત પણ લોકગીતના ઢાળને લઈને વધુ મર્મસ્પર્શી બન્યું છે. કંઈક અંશે એ રીતે પ્રસ્તુત રચનામાં સર્જકે કાવ્યાકારની મદદ લીધી જણાય છે. ચારેતરફ ફૂલોથી લચી પડતા વૃક્ષો તેમજ એની ખુશબૂને જેમ નિશ્ચિત આકારમાં બાંધી ન શકાય, એમ જ કવિએ આ કાવ્યને છંદોલયથી મુક્ત રાખ્યું છે. અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી પંક્તિઓની રચનાકૃતિ વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં મદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરાયો હોવાનું સમજાય છે. ‘ચેરી બ્લૉસમ્સ’ માટે આપણી ભાષામાં કોઈ નિયત સંજ્ઞા ન હોવાથી ‘ફુલ્લકુસુમિત’ શીર્ષક રાખવું મને ગમ્યું છે. આપણી ભાષાના વાચકો માટે આ એક શબ્દ જ આખું ચિત્ર ખડું કરી શકવા સમર્થ જણાય છે.

‘ચેરી બ્લૉસમ’ એટલે શોભાની ચેરીના સંખ્યાબંધ વૃક્ષો એકીસાથે અને આખેઆખા આછા ગુલાબી રંગના પુષ્પોથી ભરાઈ જવાની વાર્ષિક ઘટના. આજે તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના મોટાભાગના દેશોમાં આ વૃક્ષો જોવા મળે છે, પણ એનું સાચું કેંદ્રબિંદુ જાપાનમાં છે. સદીઓથી જાપાનમાં ચેરી બ્લૉસમનું અપાર સાંસ્કૃતિક અને સામાજીક મહત્ત્વ રહ્યું છે. આમ તો મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ એની ઋતુ, પણ હવામાન, ગ્લૉબલ વૉર્મિંગ, પ્રદુષણ વગેરેના કારણે આ સમય આગળ-પાછળ થઈ શકે છે. ઈસવીસનની આઠમી સદીમાં (અમુક સૂત્રો મુજબ તો છેક ત્રીજી સદીથી) જાપાનમાં નારા સમયકાળ દરમિયાન ચેરીના ફુલ્લકુસુમિત વૃક્ષો નીચે ભેગાં થઈને ચોખાનો દારૂ પીવાની પ્રથા શરૂ થઈ હતી. આ ઝાડ સકુરા કે ઉમે તરીકે ઓળખાતાં. અને આ પ્રથા હનામી કહેવાતી. સમય જતાં હનામી અને સકુરા સમાનાર્થી બની ગયા. મોટી માત્રામાં સામૂહિક ધોરણે ખીલવાની તેમની પ્રકૃતિના કારણે જાપાનમાં ચેરી બ્લૉસમ વાદળોનું પ્રતીક ગણાય છે. ફૂલોનું અપ્રતિમ સૌંદર્ય તથા ક્ષણભંગુરતાને લઈને તેઓ જીવનની નશ્વરતા ઉપરાંત નિયતિ તથા કર્મની કૃપાપૂર્ણ અને સહજ સ્વીકૃતિ કરતાં આપણને શીખવે છે. અલગ-અલગ દેશોમાં એનું અલગ-અલગ મહત્ત્વ છે. ૧૯૧૨માં જાપાને અમેરિકાને ચેરીના ત્રણ હજાર ઝાડ ભેટ આપ્યાં અને વૉશિંગ્ટન ડીસીથી એના અમેરિકાભરમાં ફેલાવાની શરૂઆત થઈ. આજે અડધી દુનિયાને એનું ઘેલું લાગ્યું છે.

ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવની કવિતા તો છે જ, પણ વધુ તો એ જીવનોત્સવની કવિતા છે.કવિતાની શરૂઆત ‘હું વાંકી વળી’થી થાય છે એ બહુ સૂચક છે. કુદરત સાથે શેક-હેન્ડ કરવા માટેની પહેલી શરત હુંની અકડ જતી કરવી અને બીજી શરત એની આગળ નમવું એ છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકા વળ્યાં છે. સમ ખાવા પૂરતુંય એકે પાંદડું નજરે ન ચડે એ રીતે આખાને આખા વૃક્ષો પર ફૂલોના ગુચ્છેગુચ્છાએ કબજો જમાવ્યો હોય એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. પોતાના શ્વાસમાં કવયિત્રી કેવળ ચેરી બ્લૉસમ્સની સુગંધ ભરવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી તો પોતાના શ્વાસમાં વસંતના શ્વાસને ભેળવી દેવા માંગે છે અને ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિને આસ્વાદવાની નહીં, પણ એની સાથે એકાકાર થઈ જવાની, ઓગળી જવાની છે. કવિને સુગંધ માણવા કરતાં તાદાત્મ્ય અનુભવવાની તમા વધારે છે. વાંકા વળવાની ક્રિયામાં રહેલ સમર્પણ વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વધુ સંપૂર્ણ અનુભવાય છે.

પક્ષીની આંખ જેવી પૂર્ણ એકરસતા જો કે હજી સાધી નથી શકાઈ. એટલે વસંતના શ્વાસ સાથે શ્વાસ ભેળવીને સમાધિસ્થ થવાના સ્થાને સર્જક આસપાસની ઘટનાઓ જોવી ચૂકતા નથી. એમનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે. એમાંય આ તો ફુલ્લકુસુમિત વસંત! ઋતુ મહોરે એ ટાંકણે આ સ્થળો પર્યટન સ્થળ બની રહે છે. પ્રકૃતિના આ રૂપ-રંગ-ગંધ માણવા લોકો વિશ્વના ખૂણેખૂણેથી અહીં આવે છે. એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હોવાના જ. બધી અનુભૂતિઓને આપણે સ્મરણપટ પર સાચવી શકતા નથી. યાદોની હાર્ડડિસ્ક અસંખ્ય ડેટા સાચવતી હોવા છતાં એનો બહુ મોટો ભાગ સતત ફૉર્મેટ થયે રાખે છે. મનુષ્ય પોતાની આ મર્યાદાઓથી માહિતગાર છે, એટલે એ આવી યાદગાર ક્ષણો કે સ્થળોને ચિરંજીવ બનાવવા પ્રયત્નશીલ રહે છે. ફોટોગ્રાફર્સ જે જે વ્યક્તિઓના ફોટા લઈ રહ્યા છે એમના વ્યક્તિચિત્રોના ઓથે સર્જક પોતાની વાત આપણી સાથે સહિયારે છે.

માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. વિરોધાભાસ ચૂકશો નહીં. માતાઓ મરજી મુજબ ગોઠવી શકે એવાં બાળક એટલે જિંદગીની ડાળ પરનું નવપલ્લવિત પર્ણ. અને ફોટો પાડવા માટે જેનો પૃષ્ઠભૂ તરીકે ઉપયોગ થાય છે એ વૃક્ષો એટલાં જૂનાં છે કે એમના વિશાળ થડ ગાંઠદાર બની ગયાં છે. જિંદગીના બે અંતિમોને અડખેપડખે કરીને કચકડે કંડારવાની માતાઓની આ સ્થૂળ ક્રીડામાં શાશ્વત અને નશ્વર- ઉભય એકસાથે દૃષ્ટિગોચર થાય છે. પરસ્પર આલિંગન કરી રહેલ એક યુગલ પસાર થનાર રાહદારીને આલિંગનબદ્ધ સ્થિતિમાં જ પોતાનો ફોટો પાડી આપવા કહે છે. હેતુ એ કે પ્રેમની આ ઉત્કટ પળ ફોટોગ્રાફ તરીકે ચિરંજીવી બની રહે. પ્રેમમાં ચસોચસ ભેટવું કોને ન ગમે? પણ મુશેક્ટાટ આલિંગનની સ્થિતિમાં શું આજીવન રહી શકાય ખરું? પ્રેમ ગમે એટલો બળવત્તર કેમ ન હોય, દરેક આલિંગન પર એક્સપાઇરી ડેટ લખેલી જ હોવાની. ચેરી બ્લૉસમ કાયમી નથી એમ આશ્લેષ પણ હંગામી જ હોવાનો. આલિંગનમાં સુખ છે, પણ એ એટલા માટે જ છે કે આલિંગનના છેદગણમાં આવી ગયા બાદ બંને પ્રેમીએ પોતાપોતાના હિસ્સાના વેન સર્કલમાં પરત ચાલ્યા જવું ફરજિયાત છે. ક્ષણિક છે માટે જ એ ક્ષણેક્ષણે કરવું ગમે છે. સ્થાયી બની જાય તો આલિંગનમાંથી મજા ઊડી જાય. વારંવાર વાગોળવા મળે એ હેતુસર અંતરંગ પળોમાંય આપણે આગંતુકોને પ્રવેશ આપવા માંડ્યા છીએ. ચુંબન-આલિંગન તો યુગલના જીવનની અંગતતમ બાબત કહેવાય, પણ મૉમેન્ટ્સ કેપ્ચર કરી લેવાના મોહમાં આપણે આપણા અંગતને જાહેરકરાર આપતાં અચકાતા નથી. લગ્નપ્રસંગે ફોટો લેવાનું ચૂકી જવાય તો ફોટોગ્રાફર્સ હસ્તમેળાપ પણ એકથી વધારે વાર કરાવે છે. જિંદગી તો રિટેકની સગવડ આપતી નથી, પણ આપણને જીવાતી જિંદગીનો રિટેક લેવાની કુટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં ફરી માણવાના લોભ પર અંકુશ મૂકી શકવાની અસમર્થતાને કારણે આપણે વર્તમાનને પૂર્ણતયા માણી શકવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ.

સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?
ઉપર બાઝી જશે જાળાં, ભલે ને એ જ રહેશે ફ્રેમ.

પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવવા કરતાં સાચવી રાખવાની કામના આજના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. બે હૈયાં વચ્ચેની દોસ્તી અને બે મનુષ્યો તથા પ્રકૃતિ વચ્ચેની દોસ્તી સાચવી રાખવા માટે આજના માનવીને ઉપકરણોની જરૂર પડે છે. આપણું હૈયું આપણી છાતીના પિંજરામાં ઓછું અને ગેજેટ્સની માયાજાળમાં વધારે ધબકે છે. આજે વાતવાતની રિલ બનાવવાનો જે જુવાળ જનમાનસમાં ફેલાયો છે એ એની જ સાબિતી છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? ટોઇનું બાળપણ ગરીબી અને સંઘર્ષભર્યું હતું. કુંવારી સગર્ભા સ્ત્રીઓ માટેના ઘરમાં રહેવાની ફરજ પણ પડી હતી. કુંવારી મા બનીને સંતાન સાથે તેઓ પિતૃગૃહે આવ્યા, ત્યારે જાણ થઈ કે એમનું સમગ્ર લખાણ એમના પિતાએ સળગાવી નાંખ્યું હતું. લખવું એમને માટે સદા પીડાજનક રહ્યું છે. પોતાની અંગતતમ વેદનાઓને સાર્વજનિક સ્વીકૃતિ માટે કાગળ પર કંડારવું પડકારરૂપ છે. પણ જે અંદરની તકલીફોને જોઈ શકે, એ જ બાહરી સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે. અંતર્દૃષ્ટિ ખુલી ન હોય એની બહિર્દૃષ્ટિ કુંઠિત જ હોવાની.

નજીકમાં જ બરાબર છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પત્તા રમવા માટેનું ટેબલ સજાવી રહી છે. ટેબલ પર ચાદર બિછાવી એ એના પર મીણબત્તીઓ, પિકનિક માટેની છાબ અને વાઇનની બોટલ ગોઠવે છે. વાત પિકનિકની છે એટલે અન્ય પરિવારજનો કે મિત્રમંડળના આગમનની અપેક્ષા અને પ્રતીક્ષા પણ ખરાં જ. અત્યારે એ એકલી જ છે પણ જે રીતે ઋતુ આવતાં જ આ વૃક્ષો ભરાઈ ગયાં છે એ જ રીતે સમય આવતાં જ એનું ટેબલ અને એનું હોવું –બંને ચેરી બ્લૉસમ બની રહેશે. પાસે જ એક પિતા પોતાના અપંગ પુત્રની વ્હીલચેરને પાછળની તરફ નમાવે છે, જેથી કરીને એ આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય. પોતે જે જોઈ-માણી શકે છે એનો આનંદ પોતાના આત્મીયજન ચૂકી ન જાય એ બાબતની દરકાર આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી. એક બીજો સંદર્ભેય અહીં ખૂલે છે. ભાવિ પેઢી પ્રકૃતિથી વિમુખ થતી જાય છે એને ફરી પ્રકૃતિ સાથે તાદાત્મય થતાં શીખવવાની વાત છે. પ્રકૃતિ સાથે એકત્વ ન અનુભવતી નવી પેઢીનું ભાવિ ધૂંધળુ છે એ વાત અપંગ બાળક અને વ્હીલચેરના પ્રતીક વડે સ-રસ કહેવાઈ છે. સમગ્ર કવિતાના પ્રવાહમાં ભળી જતી બે પંક્તિની એક નાનકડી અલાયદી કવિતાનો સંસ્પર્શ વર્તાય છે. માનવજીવનના સાવ નાનાં નાનાં પાસાંઓને સર્જકે નાનાં નાનાં વાક્યોમાં પણ અખિલાઈથી આલેખી બતાવ્યાં હોવાથી સાધારણ ભાસતી આ રચના હૃદયસ્પર્શી બની રહે છે.

સપાટાભેર ખરી રહેલ ઢગલાબંધ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે, એ મારફતે પ્રકૃતિ જાણે કવિના સવાલનો જવાબ દઈ રહી છે: ધીરજ ધર. તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે. આ બંને પંક્તિઓ કવિએ મુખ્ય હરોળથી અળગી તો મૂકી જ છે, પણ એને ઇટાલિક્સમાં લખીને આખી રચનાની સાપેક્ષે એનું મૂલ્યાંકન પણ સવિશેષ આંક્યું છે. એ સિવાય રચનામાં કેવળ આ બે જ પંક્તિઓ પુનરોક્તિ પણ પામી છે. આગળ ઇટાલિક્સનો પ્રયોગ સર્જકે સવાલ પૂછવા કર્યો હતો, આ વખતે કુદરતના પ્રત્યુત્તરને અધોરેખિત કરવા માટે કર્યો છે. કવિ સુંદર કવિતાની તલાશમાં છે. પ્રકૃતિ જવાબ આપે છે કે એ તો પુરાતન કાળથી તારી અંદર જ છે. કસ્તૂરી મૃગ યાદ આવ્યું ને?:

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને. (મનોજ ખંડેરિયા)

સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. ધીરજ ધરીને લીલપ પહેરીને વર્ષ આખું ઊભા રહેલ ઝાડ આજે ફુલ્લકુસુમિત થયાં છે અને ફૂલો સતત આપમેળે ખરી રહ્યાં છે, એ જ રીતે ધીરજ ધરીને પ્રતીક્ષા કરીશું તો કવિતાના પુષ્પો આપમેળે ખીલશે પણ ખરાં અને કાગળ પર ધીમેધીમે ખરશે પણ ખરાં. વાત જાતમાં ભરોસો રાખીને રાહ જોવાની છે. જોનારની દૃષ્ટિ પોતે પણ એક ઉત્તમ કવિતા છે. સરવાળે, જીવનની ક્ષણભંગુરતાનું આ મધુરું ગાન છે. જે આજે છે એ જવાનું છે, એને ભરપૂર માણી લઈએ. ભલે બે પળનું કેમ ન હોય, પણ જીવનને પૂરેપુરું ખીલીને પૂરેપૂરું માણીએ. ટોઇ કહે છે: ‘આપણે એ ચીજના કેદી છીએ જેને આપણે જાણતાં નથી, જેનો આપણે સ્વીકાર કરતાં નથી, જેને આપણે બહાર આણતાં નથી, જેના વિષયમાં આપણે સચેત નથી, જેને આપણે નકારીએ છીએ….’

(*શીર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *