Category Archives: ગીત

મનોજ પર્વ ૨૧ : વિદાયનું ગીત

આ વર્ષના મનોજ પર્વની આજે છેલ્લી કડી.! પરંતુ આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!! અને આજે માણીએ મનોજભાઇનું એક સુંદર વિદાયનું ગીત – અને સાથે કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ના સંસ્મરણો..!

——————–
લગભગ સન ૧૯૯૭ ની આ વાત છે. મારી પત્ની અપર્ણા એ સમયે એક NGO મારફતે ગરજુ મહિલાઓને સીવણકામ શીખવવા માટે જતી. એકવાર એણે ઘેર આવીને કહ્યું કે ‘આવતા અઠવાડીએ મારે સીવણકામ શીખવવા માટે જૂનાગઢ જવાનું છે’. મેં કહ્યું ‘એટલે તું મારા પ્રિય કવિ મનોજ ખંડેરિયાને ગામ જાય છે એમ ને ! તો મનોજ ખંડેરિયાને મળતી આવજે.’

આ વાત મેં માત્ર મજાક માં જ કહેલી. મનોજ ખંડેરિયા મને ઓળખે એવો કોઈ પ્રશ્ન જ ન હતો કારણકે એ વખતે હજી હું કવિ તરીકે જાણીતો થયો નહોતો. પણ મઝાની વાત તો એ પછી બની. અપર્ણાનો જૂનાગઢથી ફોન આવ્યો ‘બોલ, હું ક્યાંથી બોલતી હોઈશ ?’ મેં કહ્યું ‘જૂનાગઢથી, બીજે ક્યાંથી ?’ તો કહે કે ‘એ તો બરાબર વિવેક, પણ હું અત્યારે તારા પ્રિય કવિ મનોજ ખંડેરિયા ને ત્યાં થી બોલું છું.’ હું તદ્દન અવાચક ! મેં મજાકમાં કહેલી વાત આમ સાચી પડશે એવું મેં સપનામાં પણ ધારેલું નહીં. વાત એમ હતી કે અપર્ણા જે સંસ્થામાં સીવણકામ શીખવવા ગઈ હતી એના મુખ્ય સંચાલકોમાં પૂર્ણિમાબેન ખંડેરિયા એક હતાં.

પહેલાં તો અપર્ણાનો ઉતારો ગેસ્ટહાઉસ ઉપર હતો, પણ જેવી પૂર્ણિમાબેન ને ખબર પડી કે અપર્ણા સગર્ભા છે (સોપાન એ વખતે ગર્ભમાં હતો), એ અપર્ણાને સીધી ઘેર લઇ ગયા અને બે ત્રણ દિવસ ખૂબ લાડ લડાવ્યા. પછી મનોજભાઈને મળવાનું થયું ત્યારે અપર્ણાએ એમને મારા વિષે વાત કરી કે ‘વિવેક તમારો મોટો ફેન છે અને એ પોતે પણ કવિ છે’ ત્યારે મનોજભાઈ એમનું જાણીતું મંજુલ સ્મિત વેરીને મૌન રહ્યા. આજે પણ અપર્ણા મને કહે છે કે ‘મ.ખ.ને હું તારાથી પહેલાં મળી છું’.

મારે મનોજ ખંડેરિયાને પ્રથમ મળવાનું બન્યું તે સીધું INT ના મુશાયરાના મંચ ઉપર – બિરલા માતોશ્રી સભાગૃહ, ૧૯૯૯, મુંબઈ. આપણા માનીતા કવિને ‘કલાપી’ એવોર્ડ એનાયત થતો નિહાળવો – અને એ પણ એમની જ સાથે મંચ પર બેસીને – એ અમારા સૌ યુવાન કવિઓ (હું, મકરંદ, હિતેન, મુકેશ વગેરે) માટે ગૌરવની વાત હતી, એક અનેરો લહાવો હતો. એ પછી પણ મનોજભાઈ સાથે મંચ share કરવાના પ્રસંગો આવ્યા અને એ પ્રત્યેક પ્રસંગ મારા માટે જીવનભરનું સંભારણું છે.

મ.ખ. જેટલા ઉત્તમ કવિ, એટલા જ ઉમદા માણસ. જાન્યુઆરી ૨૦૦૦ માં મને INT દ્વારા ‘શયદા’ એવોર્ડ એનાયત થયો એ પહેલાં અને પછી પણ મનોજભાઈને મળવાનું બન્યું હતું પણ ‘શયદા’ એવોર્ડની ચયન સમિતિમાં એ વખતે મ.ખ. અને ચિનુ મોદી હતા એની જાણ તો મને એ પછી ઘણા વર્ષે આડકતરી રીતે થઇ હતી. બાકી મ.ખ. તો ભદ્રતા અને શાલીનતાની જાણે પ્રતિમૂર્તિ – એ પોતે તો આવી વાત કદી સામે ચાલીને કહેતા હશે !

૨૦૦૨ ની સાલમાં, મારું વાસ્તવ્ય મુંબઈમાં હતું ત્યારે રમેશ પારેખના સમ્માન પ્રસંગે મનોજભાઈ એમની સાથે આવેલા. કાર્યક્રમના મધ્યાંતરમાં હું મનોજભાઈને મળ્યો ત્યારે એમણે એમની હોટેલનું નામ-ઠેકાણું વગેરે આપ્યાં અને આગ્રહથી કહ્યું કે કાલે સમય હોય તો મળવા આવજો. હું બીજે દિવસે મળવા ગયો ત્યારે મને થોડું અચરજ થયું, કારણકે જે કલાક દોઢ કલાક મેં એમના રૂમ માં વિતાવ્યો, એમાં મ.ખ. પોતે માત્ર ૫ મિનીટ માંડ કંઇ બોલ્યા હશે. બાકીનો સમય હું અને ર.પા. જ વાતો કરતા રહ્યા. કૈંક વિચિત્ર લાગણી સાથે મેં વિદાય લીધી અને મ.ખ.ની આ વર્તણુક વિષે તર્ક-વિતર્ક કરતો રહ્યો. એ પછી બે ચાર મહિનામાં જ સમાચાર મળ્યા કે મ.ખ.ને ગળાના કેન્સરનું નિદાન થયું છે ! અને તરત જ એમની હોટેલમાંની વર્તણૂક નો મને જાણે ખુલાસો મળી ગયો. આવું આવું કરતા કેન્સર ને કારણે મ.ખ. બોલવામાં તકલીફ અનુભવી રહ્યા હોવા જોઈએ. પોતે બહુ વાત નહીં કરી શકે એની જાણ હોવા છતા એમણે હોટેલ પર મને મળવા બોલાવ્યો કારણ કે એ કદાચ મને એક વાર નિરાંતે મળી લેવા માગતા હતા. અને ખરેખર, એ જ મારી એમની સાથેની છેલ્લી મુલાકાત પુરવાર થઇ.

જયશ્રીએ મનોજપર્વ માટે કૈંક લખવાનું કહ્યું અને એ નિમિત્તે આ વાત કરવાનું થયું. બાકી આજ સુધી, મારા અંતરંગ વર્તુળ સિવાય આનો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

‘ટહુકો’ નો ખૂબ ખૂબ આભાર અને મ.ખ.ને આદરાંજલિ…

વિવેક કાણે ‘સહજ’
વડોદરા

—————————-
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

બાલ્ટીમોરના જંગલમાં – અનિલ જોશી

બાલ્ટીમોર જવાનું આજ સુધી થયું નથી..! પણ આ ગીત વાંચીને લાગે છે કે ભવિષ્યમાં કોઇકવાર ચોક્કસ જવું પડશે બાલ્ટીમોરના જંગલમાં રખડવા માટે..!

વાવટાની જેમ ઊભાં ઝાડ.... Patterson Park, Baltimore

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

આષાઢી સાંજનાં અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂

સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted on – July 19, 2010

આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…

તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!

http://www.youtube.com/watch?v=02XJmaS6zqY

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !

***********

(શબ્દો માટે ગોપાલકાકાનો આભાર)

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

કાવ્યપઠન : રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
. હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ (કોમલ રિષભ – પૃ. ૯)

ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!

– એષા દાદાવાળા

ઘનશ્યામ નયનમાં – વેણીભાઈ પુરોહિત

આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…

ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.

Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.

સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

– વેણીભાઈ પુરોહિત

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં, એ.આર.ઓઝા
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પરણેતર (૧૯૫૧)

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

નાવલિયા તને નિરખી
મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે

હાથોમાં હાથ સાથે
મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર

વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

– અવિનાશ વ્યાસ

(ગીતના શબ્દો માટે આભાર – માવજીભાઈ ડોટ કોમ)

મારે પાલવડે બંધાયો – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ

સ્વર – શુભાંગી શાહ
સંગીત – અવિનાશ વ્યાસ

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો, જશોદાનો જાયો…

એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો, જશોદાનો જાયો…

મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો જાયો…

સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું મહીં
ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,જશોદાનો જાયો…

– અવિનાશ વ્યાસ