Category Archives: ટહુકો

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? – મેઘબિંદુ

સ્વર – હંસા દવે
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય (?)
કવિ – ??

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.

આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

શ્રીપ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો)

મિત્રો, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું‘, ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’ ના ગાયક એવા પ્રથમ કક્ષાના લોકગાયક અને ભજનિક શ્રીપ્રાણલાલ વ્યાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા!! તેમના વતન જૂનાગઢ ખાતે ગઈ કાલે બપોરે પોણા ત્રણ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

તેઓ પ્રખર શિવભક્ત હતા. ગાયકીના ક્ષેત્રમાં લગભગ પાંચેક દાયકાથી કાર્યરત એવા શ્રીપ્રાણલાલ વ્યાસ મુખ્યત્વે ડાયરા અને સ્ટેજ કાર્યક્રમોનું એક અભિન્ન અંગ બની ચૂક્યા હતા. લગભગ દરેકે-દરેક ડાયરામાં તેમેણે રસિક શ્રોતાજનોની ફરમાઈશ પર ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગાયું હશે! તેમેણે કુલ ૩૭ જેટલી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો. જેમાં “શેઠ સગાળશા” (૧૯૭૮) ફિલ્મનાં બે ગીત – ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’, “ગોરા કુંભાર” ફિલ્મનું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” તથા “ગંગાસતી” (૧૯૭૯) ફિલ્મનું “હાલો મારા હરિજનની હાટડીએ” ખૂબ જ લોકપ્રિય થયા હતા.

તો આજે એમને ટહુકો અને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના કંઠે ફિલ્મ ‘શેઠ સગાળશા’ ના આ બે ગીતો.. અને સાથે થોડી વધુ માહિતી..! (આભાર – કેતન રૈયાણી)
————————————————————————–

દંતકથા એવી છે કે – દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણ હેરાન થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હમેંશા બ્રાહ્મણોને, અને એ ય માત્ર સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત, તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં, વાણિયાના ખોળિયે શેઠ સગાળશા રુપે જન્મ ધારણ કરે છે.

શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતી (કે સંગાવતી) સદાવ્રત ચલાવે છે. સમાજનાં દરેક વર્ગના લોકોને બન્ને જણાં જમાડે છે. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુકાળનાં કપરાં વર્ષોમાં પણ શેઠ સગાળશાનાં અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે.

બધી વાતે સુખ હોવાં છતાં એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ-પત્ની પુત્રરત્ન પામે છે. ચેલૈયો એનું નામ. માતા-પિતા પાસેથી અત્યંત નાની ઉમરમાં જ ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે.

એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ લેતો નથી. નવ-નવ દિ’ વીતવા છતાં હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતો નથી. શેઠ-શેઠાણી અને ચેલૈયો લાંઘણ પર લાંઘણ ખેંચે રાખે છે. આખરે દસમે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ-શેઠાણી ગામમાં કોઈ અતિથિ – ભૂખ્યાંની શોધમાં નીકળે છે.

ગામને પાદર એક અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપ અને, મેલો-ઘેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠાં છે, જેમાંથી પરુ નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતિ એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહિ કરી શકો. વણિક દંપતિ ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે. એમને હૂંફાળા પાણીએ સ્નાન કરાવે છે, પરુથી નીતરતા એના ઘારા સાફ કરે છે, સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ!!

વણિક દંપતિ આવી માગણી સાંભળીને હતપ્રભ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે? પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે. ચંગાવતી બત્રીસ પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે? કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતિ સામે ઉભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે. થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે.

હવે શું? અતિથિની માગણી તો કંઇક ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે – “શેઠ! અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કંઇ ન ખપે…!”

વણિક દંપતિ પર આભ તૂટી પડે છે. માનવ-માંસ ક્યાંથી લાવવું? દંપતિ વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણેન્ય માનવજીવનો ભોગ ન આપી શકીએ. માનવ-માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો ઘટે. હૈયા પર પત્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળે પગે ઘરે જવા નીકળે છે. વિઘ્નસંતોષીઓ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા-પિતા તારો ભોગ આઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે, માટે ભાગી નીકળ. સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ‘ભાગું તો મારી ભોમકા લાજે..!’

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ભાગું તો મારી ભોમકા લાજે..!

ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર…(૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણે દાન…(૨)
શિબિરાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મે’માન,
અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વ્હાલભરી છેલ્લીવારની ચૂમીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ, ઝટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિદેવતા ક્ષુધાતુર છે, તેમને વધુ રાહ નથી જોવડાવવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહિ એ નક્કી જ છે. આથી, આતિથિના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલ માથું ખોળામાં લઈને પતિ-પત્ની પણ જીવનનો અંત આણવાનુ નક્કી કરે છે. ભયંકર વેદનાને હ્રદયમાં ભંડારીને દંપતિ પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, અને અતિથિને ધરાવે છે. કહે છે મહારાજ, હવે તો રાજી ને? ભોજન કરો. થાળીમાં નજર કરીને ફરીથી એ જ નારાજગી – “આ શું? તમારે મને ન જમાડવો હોય તો મને અહીંથી રજા આપો. મને શરીરનાં અંગોનુ માંસ? મારે તો મસ્તકનું ભોજન જોઈએ…!!”

અને પછી તો મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છેઃ “ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં મૂકીને ખાંડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડા પહેરો. માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ. તમને બન્નેને જો દીકરો ગુમાવ્યાનો જરા પણ રંજ હોય તો મારે ભોજન કરવું નથી…!!”

સગાળશા-ચંગાવતી આ તમામ શરતોનું અક્ષરશઃ પાલન કરે છે. ખાંડણિયામાં માથું ખાંડતી વખતે પતિ-પત્ની પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરીને હાલરડું ગાય છે, જે “ચેલૈયાનું હાલરડું” તરીકે લોકસાહિત્યમાં સચવાયું છે.

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ચેલૈયાનું હાલરડું

જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાંય ઉર,
પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર.

મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, ને જાડેરી જોડશું જાન,
પણ ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વિમાન.

માર નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર,
પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર.

તારા મે’તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ?
પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ.

મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર,
પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર.

તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ,
પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ.

મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પછી તો ચેલૈયાના મસ્તકનું ભોજન થાળીમાં આવે છે અને આખરે મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતિ અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે. પહેલો કોળિયો મોંમાં મૂકતા પહેલા અતિથિ સવાલ કરે છે – “તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું?” દંપતિ ભારે હૈયે જણાવે છે કે ચેલૈયો અમારે એક જ હતો. મહારાજ કોળિયો પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે – “બાળક વિનાનું સૂનું આંગણું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી…!!”

કસોટીની હવે તો હદ થાય છે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછીયે અતિથિ ભૂખ્યા ને ભૂખ્યા!! પણ પાછા પડે એ બીજા…! ચંગાવતી કહે છે કે – “મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહી શકાય. બે ઘડી થોભો.”. પછી શેઠને કહે છે કે – “મને કટાર આપો. મારા પેટમાં સાત માસનો ગર્ભ છે. એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિસંસ્કાર પછી કરજો, પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ..!!” હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાંખવા જાય છે, ત્યાં હરિએ પકડ્યો હાથ..!! હરિ ધ્રૂજ્યો, પ્રકાશ થયો અને કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરેલ દંપતિને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપ્યો.

૧૯૭૮માં રજૂ થયેલી ફિલ્મ “શેઠ સગાળશા”માં શેઠ સગાળશા અને ચંગાવતીનું પાત્ર અનુક્રમે શ્રીકાંત સોની અને સ્નેહલતાએ અદભૂત રીતે ભજવ્યું છે. “ભાગું તો મારી ભોમકા લાજે” અને “ચેલૈયાનું હાલરડું” – બન્ને લોકગીતો પહેલેથી જ લોકજીભે વણાયેલા હતા, એમાંય પ્રાણલાલ વ્યાસ / દિવાળીબેન ભીલનો ઘૂંટાયેલ અવાજ અને અવિનાશ વ્યાસનું સંગીત ભળ્યાં છે, એટલે ગીતો ખૂબ જ સુંદર બન્યા છે.

નોંધઃ- આ શેઠ સગાળશા જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જ્ગ્યા આવેલી છે. લોકો ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન કરવા અહીં આવે છે. જૂનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા આવે છે.

होके मजबूर मुझे उसने भुलाया होगा – कैफ़ी आज़मी

જહાંઆરા થી લઇને વીરઝારા જેવા – હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને કદી ન ભૂલાય એવા કેટલાય timeless classics ગણાય એવા સ્વરાંકનો આપનાર – સંગીતકાર શ્રી મદન મોહનને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એક એમનું ઘણું જ જાણીતું ગીત..! સાંભળતા પહેલા એકવાર શાંત ચિત્તે આ ગીતના શબ્દો વાંચી જજો… !

બે દિવસ પહેલા જ – So You Think You Can Dance – માં Coming Home એવું એક ગીત સાંભળ્યું – એના પરથી પણ હિન્દી ફિલ્મોના યાદગાર યુધ્ધભૂમિ ગીતોમાંનું એક આ યાદ આવી જાય..! સંગીતકાર મદન મોહન વિષે વધુ માહીતી એમના વિષેના આ વિકિપાના પર – અને એમની વેબસાઇટ પર પણ મળી રહેશે.

Film Name: Haqeeqat (1964)
Singer(s): Mohd. Rafi, Talat Mehmood, Manna Dey & Bhupendra
Lyrics: Kaifi Azmi

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
अश्क़ आँखों ने पिए, और न बहाए होंगे
बंद कमरे में, जो ख़त मेरे जलाए होंगे
एक-इक हर्फ़ जबीं पर उभर आया होगा

उसने घबरा के नज़र लाख बचाई होगी
दिल की लुटती हुई दुनिया नज़र आई होगी
मेज़ से जब मेरी तस्वीर हटाई होगी
हर तरफ मुझको तड़पता हुआ पाया होगा

छेड़ की बात से अरमां मचल आये होंगे
ग़म दिखावे की हँसी में उबल आये होंगे
नाम पर मेरे जब आंसू निकल आए होंगे
सर न काँधे से सहेली के उठाया होगा

ज़ुल्फ़ जिद करके किसी ने जो बनाई होगी
और भी ग़म की घटा मुखड़े पे चाई होगी
बिजली नजरो ने कई दिन न गिराई होगी
रंग चेहरे पे कई रोज़ न आया होगा

होके मजबूर मुझे उसने भुलाया होगा
ज़हर चुपके-से दावा जान के खाया होगा

– कैफ़ी आज़मी

તા.ક. : ફિલ્મ સંજોગનું આ ગીત – જેનું સંગીત પણ શ્રી મદન મોહનનું જ છે – એનું સારું રેકોર્ડિંગ મારી પાસે નથી એટલે આજે અહીં ઓડિયોમાં નથી મૂક્યું – પણ મને એ ગીત ખૂબ ખૂબ ખૂબ જ ગમે છે.. અને ગૂગલ કરતાં એનો વિડિયો મળી ગયો… એટલે એ પણ અહીં બોનસમાં મૂકી જ દઉં છું…

बदली से निकला है चाँद
परदेसी पिया, लौट के तू घर आजा, घर आजा..

http://www.youtube.com/watch?v=lIlsjHCwE_8

જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

આજે સ્વરકાર શ્રી પરેશ ભટ્ટનો જન્મદિવસ..! પરેશ ભટ્ટ એટલે ગુજરાતી સંગીતજગતને મળેલી એક અનન્ય ભેટ – જેની ખોટ ગુર્જરધરા ને હંમેશા સાલશે.. એમના સ્વરાંકનો થકી એ હંમેશા આપણી વચ્ચે રહેશે જ… આજે એમને ફરી યાદ કરી એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના પોતાના સ્વરમાં કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ રચના..

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

તું પોતે છે પરમપ્રવાસી...  Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)
તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

જુન ૨૫-૨૬ના દિવસે – અહીંના બે એરિયાની સંસ્થા – Sanskriti તરફથી – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે – Tagore Festival નું આયોજન કરવામાં આવ્યું છે.

એ કાર્યક્રમના એક ભાગરૂપે ગુજરાતી સંગીત-કાવ્ય જગત અને સમગ્ર વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે – જેમાં કવિવરના ગીતોનું ગુજરાતી ભાવાનુવાદ અને એ ગીતોની રવિન્દ્ર સંગીતમાં ઝબોળાયેલી પ્રસ્તુતિ – Bay Area ના ચુનંદા કલાકારો કરશે. અને આખા કાર્યક્રમના સૂત્રધાર – માધ્વી-અસીમ મહેતાએ ખાસ ટહુકોના વાચકોમાટે મોકલાવેલું આ રેકોર્ડિંગ સાંભળો..

સ્વર : માધ્વી મહેતા
સંગીત : અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી /a>

મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે
શ્યામલવરણી, કો, સ્વપ્નપરી, ઘૂમે વર્ષાભીની.. હે.. સુગંધે ભરી

ઘૂમે રક્ત, અલક્ત, શ્રૃંગારીત ચરણે
વહે રંગભીને ભી..ને પગલે
નિરભ્ર વ્યોમે, શશાંક કલા ઝગે કપોલભાલે..

મદમસ્ત બની મદિરાપાને કો ભાનભૂલી રમણી ઘૂમે
કોઇ નિર્ભિક મુક્ત તરંગ ડોલે, હળવે હળવે
આવી તારાહીન ઘનઘોર અંધકારે.. એ..
કોઇ નાવ તરે… હે.. સુગંધે..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

*******************

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

.

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (પ્રભાતિયા) જાગીને જોઉં તો જગત દીસે નહિ – નરસિંહ મહેતા

કવિ શ્રી હરીન્દ્ર દવે એ અહીં પ્રસ્તાવનામાં કહ્યું છે એમ – નરસિંહ મહેતા ૫૦૦ વર્ષ પહેલા આપણી ભાષામાં એક ચમત્કાર કરી ગયેલા. નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવાવૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ છાંડી જાને બાળા… એવા લોકગીત બની ગયેલા કેટકેટલાય પદો યાદ આવે! ગુજરાતીઓને હ્રદયસ્થ થયેલા નરસિંહ મહેતાના કેટલાક શબ્દો આજે કહેવત સમાન બની ગયા છે. જેમ કે – હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે;

અને આજે જે અહીં મૂક્યું છે – એ પ્રભાતિયાની આ પંક્તિઓ… ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે…

સ્વર – સંગીત – આશિત દેસાઇ

સ્વર – ઉદય મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ