Category Archives: કાવ્યપ્રકાર

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી

લાડકી દીકરી સાસરે જાય, ત્યારની વિદાયવેળાના ઘણા ગીતો આપણે સાંભળ્યા છે, અને વધુ એવા ગીતો હજુ ટહુકો પર આવશે… પણ આ ગીત થોડુ અલાયદું છે.

અહીં પ્રસ્તુત ગીતમાં એક દીકરી જ્યારે સાસરે ગયા પછી પપ્પાને યાદ કરે છે, તેની વ્યથા છે. મા-બાપ સાથેનો નાતો અનોખો જ હોય છે.. અને તેમાં પણ જ્યારે દીકરી પપ્પાની થોડી વધુ લાડકી હોય.. ત્યારે એને આમ પપ્પાથી દૂર પરદેશે જવાનું વધારે આકરું લાગતું હોય.

આજે ‘ફાધર્સ ડે’ ના દિવસે આ ગીત ખાસ દીકરીઓ અને દીકરીઓના પપ્પાઓ માટે.

Happy Father’s Day, Pappa.

સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી

.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

તારા વિના નર્મદામાતા…. – મુકુલ ચોક્સી

સંગીત : મેહુલ સુરતી
સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

ગીત પહેલા મમળાવો એક વાચકમિત્રના શબ્દો :

બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે માતાનું દૂધ (બાટલીનું નહીં) જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ માણસ માટે નદીનાં પાણીનું છે. પૃથ્વીમાતાનાં સ્તન એટલેકે પર્વતોમાંથી નીકળતી વાત્સલ્યની ધારા એટલે નદી! સમગ્ર જીવસૃષ્ટિને પોષણ આપનાર નદી આપણી માતા છે, અને ગુજરાતની આવી એક માતા એ नमामी देवी नर्मदे!! સા દદાતિ નર્મ યા નર્મદા- જેનું દર્શન માત્ર આપણને નર્મ અર્થાત આનંદ આપે છે તે નર્મદા. નર્મનો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું એ પણ થાય છે, તો જે આપણને શીખવે છે કે જીવન એક રમત છે, ગીતામાં કહ્યું છે તુષ્યન્તિ ચ રમન્તિ ચ તેમ એવી નદીમાતા એટલે નર્મદા!

આપણી સંસ્કૃતિના નિર્માણ અને સંવર્ધનમાં નર્મદાનો ઘણો મોટો ફાળો છે. હજારો વર્ષો પૂર્વે બલિ રાજા નર્મદાના દશાષ્વમેઘ ઘાટ પર રહેતો હતો અને એને ઘરે ખુદ ભગવાન વામન અવતાર રૂપે આવ્યા અને સંસ્કૃતિનુ રક્ષણ કર્યું હતું. એના કિનારે કાંઈ કેટલાયે ઋષિઓના આશ્રમો હતા. સ્કંદ પુરાણમાં લખાણ છે કે નર્મદાકિનારે 100 million તીર્થયાત્રાળુઓ આવતા હતા. ભૃગુ ઋષિ ૫૦૦૦ વર્ષ પૂર્વે ભરુચ (ભૃગુપુર અથવા ભૃગુકચ્છ)માં નર્મદાકિનારે વસતા હતા. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ તો આખી સંસ્કૃતિનું નિર્માણ નર્મદાકિનારે કર્યું હતું અને આપણને શુક્લ યજુર્વેદ આપ્યો. અત્યારે આપણા ગુજરાતીઓનાં લગ્ન થતી વખતે પુરોહિત જે મંત્રોચ્ચાર કરે છે અને આપણે બીજીબધી ધાર્મિક વિધિઓ કરીએ છીએ એ બધી આ નર્મદા કિનારે રચાયેલા શુક્લ યજુર્વેદમાંથી આવેલા છે! શંકરાચાર્યએ નર્મદા કિનારે અભ્યાસ કર્યો અને આપણને અદ્વૈત philosophy આપી, નર્મદાની સ્તુતિ કરતું नमामी देवी नर्मदे સ્તોત્ર આપ્યું. ત્યારે સરદાર સરોવરથી ગુજરાતને ઘણા બધા materialistic લાભ થાય છે અને થવાના છે, અને એની પાછળ જીવાદોરી ગુજરાતની નર્મદા જ છે, અને સાથે સાથે આપણને આ પણ યાદ રહે કે આપણી સંસ્કૃતિ ઊભી કરવામાં અને ટકાવવામાં નર્મદા માતાનો કેટલો મોટો ફાળો છે. નર્મદા કિનારે સાક્ષાત ભગવાન આવીને વસ્યા છે તો આપણને આટલું બધું મળ્યું છે. જ્યારે જ્યારે train ભરુચથી સુરત જાય ત્યારે નર્મદાનાં દર્શન કરતી વખતે આપણને આ કૃતજ્ઞતા હૈયામાં ઊભરાઈ આવે અને માથું નર્મદા માતાનાં ચરણોમાં નમી જાય!!

.

નર્મદા… નર્મદા… નર્મદા….
બંધના બંધનથી તને બાંધુ જીવતરને હું જળથી સાંધું
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

નર્મદા… નર્મદા… નર્મદા….

sabindu sindhu suskhalatta ra~Nga bha~Nga ra~njitaM
सबिन्दु सिन्धु सुस्कलत्त रंगभंग रंजितम
dviShatsu paapa jaatajaata kaadivaari sa.nyutam.h |
द्विश्त्सु पाप जातजात कदीवरी संयुतम
kR^itaantaduuta kaalabhuuta bhiitihaari varmade
क्रितांतदूत कालभूत भीतिहारी वर्मदे
tvadiiya paada pa~NkajaM namaami devi narmade || 1||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

tvadam bulii nadiinamiinadivyasaMpradaayakaM
त्वदम्बुली नदीनमी दिव्य संप्रदायकम
kalau malaugha bhaarahaari sarvatiirtha naayakam.h |
कलौमलौघ भारहारी सर्वतीर्थ नायकम
sumach ChakachCha nakra chakra vaakachakrasharmade
सुमच चक्च नक्र चक्र वाकचाक्र शर्मदे
tvadiiyapaadapa~NkajaM namaami devi narmade || 2||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

તુજ પરિક્કમા કરતા કરતા પાવન થાનારા છે અહીંયા
કહી નમામી દેવી નર્મદે, મહીમા ગાનારા છે અહીંયા
જો તારા ઘોડાપૂર મહીં તારાજ થનારા પણ છે
ને તારી શ્રધ્ધાના મીઠા ફળ ખાનારા છે અહીંયા

ભિક્ષુક યાત્રિક હો કે પથીક હો
સાધુ સંત હો કે શ્રમિક હો
જે તુજ જળમાં ભીંજાતા, પાવન એ સહુ થાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા
નર્મદા… નર્મદા… નર્મદા….

વરસાદ વિનાના ગામોમાં ધરતીની હથેળી કોરી છે
ત્યાં નહેરના પાણી પહોંચાડો ને જુઓ હરિયાળી મ્હોરી છે
તુજ વીજળીથી, તુજ ઉર્જાથી, ને તુજ સિંચાઇના પાણીથી
ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી ખેતીની મૌસમ ફોરી છે

આખું વરસ ભરપૂર રહે છે, કાંઠાઓ છલકાવી વહે છે
તુ જીવનની માતા, તું છે અન્નની દાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

થઇ તુજથી અળગા દૂર જઇ કઇ વિસ્થાપીતો ઉભા છે
તેઓના હકને માટે લડનારા મેદાનમાં ઉતર્યા છે
સરદાર સરોવર ખેતી ને વીજળીનો તારણહાર હશે
પણ યાદ રહે એ જળમાં કંઇ કેટલા ગામો ડૂબ્યા છે

એ ગામની ભીની માટી પર આંસુની વધતી સપાટી પર
વાયરા એવા વાતા, પ્રશ્નો વધતા જાતા
તારા વિના નર્મદા માતા, કોણ મને આપે શાતા

કોઇ વિસ્થાપીત નહીં રહે સહુ કોઇને જાણ એ વાતની છે
આ સકલ્પનો સંકલ્પ ફળે એ ઇચ્છા ભારતમાતની છે

આ સપનું છે આ વર્તમાન, આ ભાવિ છે આ જીવન છે
આ બંધ એ કેવળ બંધ નથી, જીવાદોરી ગુજરાતની છે

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે….

વ્હાલા ગુજરાતી મિત્રો,

આજે ટહુકોની સાચ્ચી બર્થ ડે. 😀 (સ્કૂલમાં લખાવેલી 25 નવેમ્બર, 2006)

આમ તો હંમેશા મને તમારો સાથ, સૂચનો, શુભેચ્છાઓ અને વ્હાલ મળ્યા જ છે, પણ આજે પહેલી વર્ષગાંઠ નિમિત્તે હું બધાનો હ્ર્દયપૂર્વક આભાર માનવાની તક ઝડપી લઉં છું.
ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોક્સી, રઇશ મનીઆર, મેહુલ સુરતી, અમન લેખડિયા, વિવેક ટેલર.. શબ્દ, સ્વર અને સંગીત જગતના આ સિતારાઓ તરફથી એક ખાસ શુભેચ્છા સંદેશ મળ્યો છે, એના માટે એમનો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો પણ નથી.
A video used to be embedded here but the service that it was hosted on has shut down.

અને સાથે હું આભારી છું એ દરેક કલાકારની જેમની રચનાઓને લીધે જ ટહુકોનું અસ્તિત્વ ટકી રહ્યું છે.

સાથે જ આભાર આપનો, ટહુકોના દરેક મુલાકાતી મિત્રનો… તમારા સ્નેહની આંગળીના મળી હોય, તો આ એક વર્ષનું બાળક આજે જે પગલીઓ માંડી રહ્યું છે, એ શક્ય ન હોત.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોના સ્નેહ શુભેચ્છાના ટહુકાઓ મને અવિરત મળતા રહ્યા છે, અને ભવિષ્યમાં પણ મળતા રહેશે… એ વિશ્વાસ સહ,

– જયશ્રી હીરાભાઇ ભક્ત.

વરસાદ જેવું છે કશુંક – ઉર્વીશ વસાવડા

peacock

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે – શૂન્ય પાલનપુરી

boat

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા…

લગભગ 3-4 વર્ષ પહેલા એક જન્માષ્ટમીમા કાર્યક્રમમાં થોડા બાળકોએ સ્ટેજ પર આ ગીત રજુ કર્યું હતું, ત્યારે સૌથી પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું, પણ ત્યારથી આ ગીત ખૂબ જ ગમે છે.

આવી આવી આવી આવી ગાડી આવી રે…

મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા

ઇ રે ગાડી કિયા ગામ હાલી રે, હો દરિયાલાલા
ઇ રે ગામ ગોકુળિયે હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને ઉભી રાખો રે…

ઇ રે ગાડી ઉંધે મારગ હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને પાછી વાળો રે,

ઇ ગાડીમાં કોણ કોણ બેઠું રે, હો દરિયાલાલા
ઇ ગાડીમાં ગોવાળિયા બેઠા રે, હો દરિયાલાલા
ઇ ગાડીનો પાવો વગાડો રે…

ઇ ગાડીમાં ગીતડા ગવડાવો રે, હો દરિયાલાલા
——- ઢોલને ધમકાવો રે, હો દરિયાલાલા
ઇ ગાડીને જલ્દી હાંકો રે,

ચોટ ગોઝારી – અમૃત ‘ઘાયલ’

મોરપિચ્છ પર ઘણા વખત પહેલા ફક્ત 4 શેર સાથે મુકેલી ગઝલ, આજે પૂર્ણ સ્વરૂપે.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર…..

આપણા ગુજરાત – મુંબઇમાં ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે, અને કેટલીક જગ્યા તો વરસાદ એકાદ ડોકિયું પણ કરી ગયો છે. અને આ વરસાદની મોસમમાં આપણે વરસાદના ઘણા ગીતો સાંભળવાના છે, પણ આજે શરૂઆત થોડી સંકલિત પંક્તિઓથી.

આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
– બાલુભાઇ પટેલ

પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
ાટીના ભીના શ્વાસમાં જઇએ
– શોભિત દેસાઇ

ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
– હરીન્દ્ર દવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
– રમેશ પારેખ

આજે નથી જાવું કોઇનાયે કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર
– વેણીભાઇ પુરોહિત

————————-

અને હા…. આ મુંબઇના મેહુલાની મજા  પણ માણવા જેવી છે.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

સ્વર : દિવાળીબેન ભીલ

.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

——————–

ફરમાઇશ કરનાર મિત્રો – S.Vyas, ટીના.