Category Archives: બાલમુકુન્દ દવે

પાછલા તે પહોરની – બાલમુકુંદ દવે

પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સૌ રે ઊંઘે ને અમે જાગતાં જી રે!
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈ-બહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે!
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતરને કોતરને ચાલ્યાં વટાવતાં,
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે!

રૂપા તે રંગની રેતી વેરાયેલી,
પાસે વહે છે વહેણ વાંકડુ જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું;
શાનું ગોઠે ઘર સાંકડું જી રે!

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે!

ખોળો ભરી વીણી શંખલાં ને છીપલાં,
આખાય વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે!

– બાલમુકુંદ દવે

બંદો અને રાણી – બાલમુકુન્દ દવે

સ્વર : પ્રહર વોરા,જ્હાન્વી શ્રીમાંકર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.

-બાલમુકુન્દ દવે

ગ્લૉબલ કવિતા : ૧૫૦ : જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય

माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.

બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.

અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’

‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.

પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’

પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.

નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.

કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.

કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’

લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.

જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

ફાગણ ફટાયો આયો – બાલમુકુંદ દવે

સૌ મિત્રોને હોળી – ધૂળેટીની શુભેચ્છાઓ..!! ગયા નવેમ્બર મહિનામાં કવિ શ્રી નીનુ મઝુમદારને સ્મરણાંજલી આપતો એક કાર્યક્રમ માણ્યો હતો – એમાં ઉદયભાઇએ એક ખૂબ જ મઝાનું ગીત સંભળાવેલું..!!

સમીર મંદ મંદ મંદ વાય પુષ્પકુંજમાં… ફાગ ખેલો હો હો રી ફાગ ખેલો..

બસ, ત્યારથી વિચાર્યું હતું કે કશેથી આ ગીત મેળવીને આવતી હોળી પર ટહુકો પર મુકીશ..! પણ મુકુલભાઇનો પેલો શેર યાદ છે?

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

બસ તો, મારી એ ગીત શોધવાની ઇચ્છા પણ હજુ સુધી નથી ફળી..! એટલે એ મઝાના ગીત માટે તો .. Stay Tuned! (તમને કશેથી મળે તો મોકલી આપજો!! Please !! 🙂 )

પણ હોળી -ધૂળેટીની મઝા હોળીના ગીત વગર કંઇ પૂરી થાય? માણીએ આ મઝાનું ફાગણ ગીત..! અને હા, થોડું શેકેલું નાળિયેર મારા તરફથી પણ ખાઇ લેજો! હોં ને? 🙂

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે............
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે…………

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે

વ્હાલી પૂર્ણિમાને… ખૂબ ખૂબ વ્હાલ સાથે.. !

તું તુલસીનો ક્યારો લાડકડી !

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – ?

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે

જૂઠી ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો –
શ્વાસને સેજારે જાશે ઊડી!
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

અત્તરિયાને – બાલમુકુન્દ દવે

હમણાં ટહુકો આયોજિત સ્વર અક્ષર – 2 શ્રેણીમાં વિજય ભટ્ટે ખુબ સુંદર સ્વરાંકન પ્રસ્તુત કર્યું. તમે પણ એની સુગંધ માણો 🙂

સ્વર:વિજય ભટ્ટ
સ્વરાંકન:વિજય ભટ્ટ

.

ગઇકાલે જ નિલયભાઇએ આ ગીત યાદ કરાવ્યું – તો મને થયું કે આવા મઝાના ગીતનું અત્તર દેવામાં વાર શેની? ઘટડામાં ઘેન ભરતી આ કવિશ્રી બાલમુકુન્દ દવેની ગજબની દેન… માણો અને થાઓ અત્તરભીના…!!

******

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

( આભાર : Readgujarati.com)

આકાશી અસવાર – બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકાર :
આવે રે રાજાનો રાજા મેહુલો.

– બાલમુકુન્દ દવે

ફાગણ ફેન્ટેસી – જય વસાવડા

આજે ફાગણ સુદ પડવો..! રંગીલા ફાગણ મહિનાનો પહેલો દિવસ.. અને ફાગણનું એક ગીત જે તમારા માટે લાવવાની હતી, એના શબ્દો કદાચ તૈયાર મળી જાય એ આશાએ એની પ્રથમ પંક્તિ google કરવામાં જય વસાવડા લિખિત આ સ્પ્રેક્ટ્રોમીટરમાં પ્રકાશિત લેખ મળી ગયો. જાણે એક મોતી શોધવા ડુબકી મારો અને આખો ખજાનો મળે..! અને ‘ગમતું’ મળે તો ગુંજે ભરાય? એટલે હું એ આ આખો લેખ જ તમારા માટે લઇ આવી.. ગુજરાતી કવિતાના રસિયાઓ માટે આ લેખમાં પ્રસ્તુત ફાગણની કવિતાઓ ખજાનો પુરવાર થશે એની મને ખાત્રી છે..!

ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!

‘ગુજરાત સમાચાર (સ્પ્રેક્ટ્રોમીટર) માં પ્રકાશિત – ૧૬ માર્ચ, ૨૦૦૩

* * * * *

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
અહીં’યે છંટાય વળી તહીં’યે છંટાય
હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઉડે ગુલાલ!
* * *

બહેકે જૂઇ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
* * *

ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
એના રંગે રંગાઇ ગયો તડકો રે હો!

વનની વચ્ચોવચ સોહે પલાશ
ધરતીની આજે પુરાઇ છે આશ!

આજ ઉઘડયો શો અગ્નિ-ઉમળકો રે હો
ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
* * *

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!

તારો મારગ ઢૂંઢતા કે મારો ભુલ્યો રે…
વન વન મહેંકે મ્હેંકતો કે જીયરો ખુલ્યો રે
જોબનને ઝરૂખડે કે આતમ ઝૂલ્યો રે….
* * *

હતાશ બેઠી હોળિકા ખોળે લઇ પ્રહલાદ
પોતે ભસ્મ થઇ, મળ્યો શિશુને પ્રભુ-પ્રસાદ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’

હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
થતા પુલકિત અંગ સારાં, ચોંકી ઉઠે રક્ત ધારા
ધસે ફુંફવતી સફાળી જયમ મત્ત કો માગણી
આજ આવી ફાગણી!

પુષ્પભર પેલી નમેલી, ચારૂ ચમકે જો ચમેલી
ચંદ્ર ચળકે, સિંઘુ સળકે! તારલા મૃદુ મીઠું મલકે
રે! અકેલી તું જ શું આજે ઉદાસ અભાગણી?
ધીરી હલકે ધરા હીંચે વિશ્વખાટ સુહાગણી
આજ આવી ફાગણી!
* * *

છૂટે હાથે ફુલ વેરતી આવી,
હૈયે હૈયે રસ પ્રેરતી આવી
માનવઉર મ્હેંકાવતી આવી,
પ્રીતના ગીત લ્હેકાવતી આવી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ક્ષિતિજ કૂદતી, પૃથ્વી ખુંદતી, મદીલી ડોલતી, રસ હિલોળતી
દ્વેષના ક્લેશના ઇંધણ બાટતી, રંગ-ઉમંગ ગુલાલ ઉછાળતી
રંગભરી પિચકારીએ સૃષ્ટિના વનો બધા છંટકાવતી આવી
માનવના સૂતા હૃદય મંડળે કોકિલફુલ ટહુકાવતી આવી
અમી છલકતી છાતડી લાવી, ફાગણી આવી!
*****

ઉઉહમ્ફ! આવી કાવ્ય પંકિતઓ પર નજર નાખીને હાંફ ચડી ગઇ? આપણી ભાષાના જ નહિં, કોઇપણ ભાષાના ઉત્તમ કવિશ્રેષ્ઠ ગણાય એવા ઉમાશંકર જોશીની કેટલીક કૃતિઓની સિલેકટેડ પંકિતઓની આ ‘મેલડી’ છે. રિમિકસ કલ્ચરના બંદાઓને મેલડી શું એ સમજાવવું નહિં પડે. કોણ જાણે કેમ, ગુજરાતીમાં લખાયેલી કવિતાઓ પ્રત્યે ઘણાં ધાવણા વાચકોને એક બચકાની ચીડ હોય છે. આ જ બધા પાછા દર દસ મિનિટે ‘આઇ લવ ઇન્ડિયા’ અને ‘ગુજરાતના ગૌરવ’ના ગગનભેદી પોકારો કરતાં ફરે છે! ગુજરાતીના ડિયર બેબી રિડર્સ, જે દેશ અને રાજયની ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવા અને પચાવતા ન આવડતું હોય ત્યાં એ દેશ ટકવાના કે એ ટકાવવામાં આપના ફાળાના ખ્વાબ પણ જોવા એ કયામત હી કયામત હૈ! જો ફિલ્મગીતો ગમે, તો કવિતા પણ ગમે જ! જરૂર રસરૂચિ કેળવવાની છે. કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. ફાગ કે ફાગુ કાવ્યોની ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી પરંપરા છે. પરંપરા પૂર્વે ભૂલાઇ ગયેલા કવિ રત્નાએ લખેલું :-

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!

કોન્વેન્ટ જનરેશનના રીડર-‘રીડરાણી’ઓ માટે કેટલીક ટિપ્સ. તંબોળ એટલે પાન. કેસૂ કે કિંશૂક એટલે કેસૂડાંના ફૂલ. હવે કેસૂડો એટલે શું એવું પૂછવા કરતાં તો કેસૂડાના રંગમાં સાઇનાઇડ ઘોળીને આપી દેજો! પલાશ એટલે ખાખરો ઉર્ફે કેસૂડાંનું ઝાડ. વઘુ વિગત માટે જો ચડે જોશ, તો પ્લીઝ રિફર ભગ્વદ્ગોમંડલ કોશ!

જે તરવરાટ અને થનગનાટ મેટ્રોસિટીઝમાં વીક-એન્ડમાં ગ્રાન્ડ પાર્ટીઝમાં હોય છે, એ અનુભૂતિ એક જમાનામાં કેવળ ફાગણમાં થતી. સ્ત્રી-પુરૂષ, બાળક-વડીલ, દોસ્ત-દુશ્મન બધા ભેદ ભૂલીને તમામ સંબંધોની લાજશરમ મૂકીને ઘુળેટી પર બસ સાથે નાચવાનું, ઝૂમવાનું, એકબીજાને રંગવાના… એકબીજાની કાયાઓ મસ્તીમાં રગદોળવાની… ભીંજાવાનું અને ભીંજવવાના… ચીતરવાનું અને ચીતરવાના… ન કોઈ રોકે, ન કોઈ ટોકે… બસ રહેમાન સ્ટાઈલમાં ગાતા જવાનું : મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે….

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

આ મેલોડિયસ મેલડી કવિ બાલમુકુંદ દવેની છે… અડધી સદી અગાઉ રચાયેલી! કાન-ગોપીના સિમ્બોલ વડે હોળી-ઘુળેટી ખરેખર બંધિયાર ભારતીય સમાજમાં નર-નારીના ફ્લર્ટંિગ માટે ઉઘાડું ફટાક મુકાઈ જતું ફાટક હતું. અંગઉલાળા ને આંખઈશારાથી દેહ પર રંગ અને મનમાં કામતરંગ ઉડી જતા ઠંડીનો પડદો ઉઘડતો… અને તખ્તા પર મિલન સમાગમના અશ્વો હણહણાટી બોલાવી હોળીની અગનમાં જલતા! બાલમુકુંદ દવેના જ શબ્દોમાં કોઈ ઘેરૈયો અને રંગનાર છોગાળો યુવક, કોઈ રૂપ ઢોળાય એમ નજરમાં રંગો પૂરાય એવી ગોરીને કહેતોઃ

‘દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!

બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’

ઘૂળેટીની ટિખળી મસ્તીમાં ગોરી પણ રોકડુ પરખાવતી:
‘નીરમાં સરી જાય ઘડૂલો,
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા ખાલી વેણથી ખીજી,
બંધબારણે રે’ય એ બીજી!’

ઘેરૈયો કહેતો:
‘વાયરા વનના જાય ન બાંઘ્યા,
એવા અમારા મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી,
માગતા અમે નથી પરવાનગી!’

અને સામેથી મળતો ૨૧મી સદીનો લટકાળો જવાબ:
‘આપમેળે રંગ રેલાઈ જાય તો,
અમે નથી એને લુછીએ એવા
તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,
અમે નથી ઘર પૂછીએ એવા!’

ઘૂળેટીને જો ધારો તો એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી શકાય તેમ છે. વેસ્ટર્ન કલ્ચરના વિરોધ કરતાં આ વઘુ પોઝિટિવ પડકાર છે. શું નથી આ તહેવારમાં? ઉલ્લાસ છે, સમાનતા છે, મસ્તી છે, નશો છે. સંગીત છે, કુદરત છે, ડાન્સ છે, જોશ છે, પ્રકાશ છે અને કોઈપણ ઉત્સવના બ્રાન્ડ પોઝિશનિંગ માટે અનિવાર્ય એવા છોકરા અને છોકરી છે! વસંતની મંજરી આંબે જ થોડી આવે છે, જીવનમાં પણ ટીનએજમાં ઝણઝણાટીના મ્હોર બેસે છે! પ્રિયકાંત મણિયારે લખેલું :

છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી
જમુના જલમાં રંગ ગુલાબી વાટી….

અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી
શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે

તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું
માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું
જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી
છેલછબીલે છાંટી!

અને ગુજરાતીનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે. (આવી કલ્પનાઓને લીધે જ વગર પિચકારીએ કાવ્યો લખેલા ફકરાઓ કરતા વઘુ રંગીન બનતા હોય છે)… એમણે આ જ અનુભૂતિની પૂર્તિ કંઈક આમ કરી છે- અગેઈન ઈન મેલડી મિક્સઃ

ફરી ફરી ફાગુન આયો રી
મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
હોજી માટો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતા રે અલબેલ!

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

હો બાજે ઢોલક ડફ બાંસુરિયા, વસંતરો રત ગાવૈરી
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ, અપની ઘૂન મચાવૈરી
હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ!

આવું વાંચતાવેંત સીધા જૂની પેઢીને ગમતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પહોંચી ગયા છો? આમ તો આપણા જૂનવાણી માનસને ગુલાબી કરતા ભગવો રંગ વઘુ ગમે છે! તો હોળીની ઝાળોમાં પ્રગટતા ઉનાળાના ચેનચાળાને ઝડપવા કેસૂડાંની કલગીવાળો કેસરિયાળો સાફો પહેરીને, જૂની પેઢીના શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતના શબ્દોનો રંગ આંખોમાં આંજી લો.

સખી, કેસરિયો રંગ
રંગ છાંટે છે છેલડો રે…
નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે
ચગે સાંવરિયો મોર, ઔર નાચે છે તાનમાં રે…
સખી ફાગણ બેફામ, જામ પીધા છે સાનમાં રે…

ફાગણી રંગોત્સવની લિજ્જત એ છે કે એમાં ગાલમાં ખીલેલા ગુલાબોને માત્ર દૂરથી સૂંઘવાના નથી… એના સ્પર્શનું સુખ પણ મળે છે! અંગે અંગ હોળી રમવાના જંગમાં ભીંસાય, કોઈ ઓઢણી સરે ને કોઈ ઝભ્ભો ચિરાય… કોઈ ગુલાબી આંખોના જવાબી સરનામાવાળી પાંખો ફૂટી શકે છે. સ્વ. અમૃત ઘાયલે લલકારેલું :

એક ‘રસનું ઘોયું’ એમ મને ‘ટચ’ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ‘ખચ’ કરી ગયું!

એ સૂર્યને ય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

સંતને પણ સતત મસ્ત બનાવે એવી વસંતમાં ગોવિંદસ્વામીએ ઘાયલની શરારતથી સાવ ઉલટી જ કેફિયત આપેલીઃ

કાજળકાળા આભમહીંથી તારલા વાટે તેજ ચૂએ છે
સૌરભની પિચકારી ભરી ફૂલડા રંગે હોળી રમે છે!

મદભર્યા મુજ જોબનગીતો ઝીલવા આજે કોઈ નથી રે
ફાગણના મઘુ-ફૂલ-હિંચોળે ઝૂલવા સાથે કોઈ નથી રે!

વેલ, વેલ. તમે હોળી રમવા માટે રંગેચંગે સજજ હો, પણ તમારી સામે કે સાથે કોઈ રમવાવાળુ ન હોય તો? વેરી સેડ, રિયલી બેડ! પછી સુંદરમની જેમ ગાઈને માંગણી કરશો?

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ

વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.

રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
કેસૂડો કામણગારો જી. લોલ.

કે પછી ‘હોલિયા મેં ઉડે રે ગુલાલ’ જેવા ધીંગા ઉન્માદ અને જોરૂકા ઉત્સાહથી ભેરૂબંધો કે બહેનપણીઓની ટોળી જમાવી, બચ્ચા કચ્ચાની ફોજ લઈને પહેલા તો જીવનની થપાટો ખાઈને શુષ્ક થઈ ગયેલા ધોળા વાળોને રંગી નાખશો? એ શ્વેતકેશમાં ઉઠેલા રંગોના ચાંદરડાઓ વિખૂટા રહેતા વડીલોમાં પણ ઉંડે ઉંડે રંગોળી ચીતરશે, અને એમનામાં ગૌરવના ગુલમહોર ફૂટશે કે ‘મને રંગવાવાળુ પણ કોઈક છે, હજુ હું સાવ સૂકાઈ ગયેલું ઠુંઠુ નથી! પછી ગોકીરોદેકારો હલ્લાગુલ્લાના ‘રંગગુલ્લા’ ખાતા-ખવડાવતા જો ફાગણની ફોરમ લાગી જાય… ભીંજાતા ભીંજાતા કોઈ હીરોને આ વસંત પૂરતી હિરોઈન કે કોઈ નાયિકાને હોળીની જવાળાઓમાં તપાવતો નાયક મળી જાય.. તો જાણે લીલાલાલ વાદળી કાળા રંગ ઉપર પડે એક પીળો તેજલિસોટો! રંગ સાચો, સંગ સાચો, બાકીનો સંસારે થાય ખોટો! જો સતરંગી સપનાના સંગાથમાં બે અલગ કાયાના રંગો એક બીજામાં ભળીને એક નવો માયાનો રંગ રચે, તો હિતેન આનંદપરાનું ગીત ટહૂકે..

આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે

કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી

ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !

ફિનીશ! ફેન્ટેસી ઓવર… ફાગણની કેટકેટલીયે કલ્પનાઓને અઘૂરાં પણ મઘૂરાં સપનાઓની સલામ. એન્ટર ટુ રિયાલિટી! આમ તો વયોવૃઘ્ધ બાળસાહિત્યકાર રમણલાલ સોનીએ એક કવિતામાં દિવાળી સાથે હોળીને સરખાવીને હોળીને સામાન્ય માણસનો યાને ધાણી દાળિયાની ફાંકા મસ્તી પર જીવીને ફાટેલા કપડે શેરીઓમાં રંગારંગ ધમાલ કરવાનો સમાજવાદી તહેવાર ગણાવેલો. ફાગણમાં તડકો છે. ગરમી છે. મોૅઘવારી છે. મજદૂરી છે, પાણીની તંગી છે. આખા પર્વનો ‘મુડ’ કોળિયો કરી જતી કાળમુખી પરીક્ષાઓ છે. અને આમ તો ફાગણવાળું ભારતીય કેલેન્ડર પણ કોને યાદ છે?

સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’

ચિયર્સ ટુ કલર્સ!

ફાસ્ટ ફોરવર્ડ

મોરે કાન્હા જો આયે પલટ કે
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે

ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે
યે ગુલાલ અપને તન પે લગાકે
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..

કી જો ઉન્હોંને અગર જોરાજોરી
છીની પિચકારી બૈંયા મરોડી
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે

અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.

(શ્યામ બેનગલની ફિલ્મ સરદારી બેગમ’ની ઠુમરી)

– જય વસાવડા

સમદર સભર સભર લહરાય ! – બાલમુકુંદ દવે

(સભર સભર લહરાય !……   Near Mendocino, CA..  Nov 08)

* * * * *

સમદર સભર સભર લહરાય !
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે, કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ રમે તેજની લકીર,
કોઇ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવન જાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય !

કોઇ બુંદે પોઢ્યું ગગન,
કોઇ બુંદે ઓઢી અગન,
કોઇ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય !

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઇ રોવે,કોઇ ગાય :
સમદર સભર સભર લહરાય !

– બાલમુકુંદ દવે