Category Archives: સુન્દરમ

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં – સુન્દરમ્

આલ્બમ : સંગત
સ્વર : હિમાલી વ્યાસ-નાયક

.

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન : નયન પંચોલી

.

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમ્

પાંદડી – ‘સુન્દરમ’

પાંચ વરસની પાંદડી એનો દોઢ વરસનો ભાઈ,
પાંદડી ભાઈને રાખે ને માડી નિત કમાવા જાય,
ત્યારે પેટ પૂરતું ત્રણે ખાય.

ભાઈ હસે ત્યારે બેન હસે ને ભાઈ રડે ત્યારે રોય,
ચૂપ રહ્યો હોય ભાઈલો ત્યારે ખોયામાં બેનડી જોય,
રખે ભાઈ જાગતો સૂતો હોય.

રાણકી સહિયર રમવા આવી, પાંચીકા લાવી સાથ,
પાંદડીનું મન કૂદવા લાગ્યું, સળવળ્યા એના હાથ,
રહ્યું એનું હૈયું ન ઝાલ્યું હાથ.

ઘોડિયું મેલ્યુ ઓરડા વચ્ચે, ઉંબરે બેઠી બેય,
પગને અંગૂઠે દોરડી બાંધી હીંચકા ભાઈને દેય,
બરાબર રમત જામી રહેય.

વઢતા વઢતા બે બિલાડા દોડતાં આવ્યાં ત્યાંય ,
બંને છોડીઓ બીને ઊભી ઓસરીએ નાઠી જાય,
પાંચીકા બારણામાં વેરાય.

એક ને બીજું ડગ માંડે ત્યાં પાંદડી ગોથાં ખાય,
પગમાં બાંધેલ હીંચકા-દોરી, નાગણ શી અટવાય,
દશા પારણાની ભૂંડી થાય.

આંચકા સાથે ઊછળ્યું ખોયું, ઊછળ્યો ભાઈલો માંહ્ય,
ઘોડિયે ખાધી ગોથ જમીનપે, ભાઈલો રીડો ખાય,
ત્યાં તો મા દોડતી આવી જાય.

એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય,
બે બિલાડાંને લડવું એમાં કહો શુંનું શું ન થાય ?
ભલા ભગવાન ! આ શું કહેવાય ?
-સુન્દરમ્

મેં એક અચંબો દીઠો – સુન્દરમ

જન્માષ્ટમી:
કૃષ્ણમય થવાના દિવસે કવિ સુંદરમ્ નું એક ગીત માણો.

સુન્દરમે એક પદમાં ગાયું છે-
‘ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં
રો રો કર મોરી થક ગઈ મતિયાં’
અહીં કવિને ઘર ઘર કૃષ્ણ કનૈયો જોવા મળે છે. એ માટે મુગ્ધ નરસૈંયો બનવું પડે.
સ્વરાંકનમાં બીજી પંક્તિ પ્રથમ સ્વરબદ્ધ થઇ-
‘હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યો મુગ્ધ નરસૈંયો’-
વૈષ્ણવજનના ઢાળનો સહજ સંદર્ભ લઈને મુગ્ધતાથી તદ્રુપ થયાનો ભાવ તાર સપ્તકના શુદ્ધ ગંધાર (ગ) પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ ને અંતરાનું સ્વરનિયોજન થયું. કવિની તલ્લીનતાનું ગીત, કવિના અચરજના ઐશ્વર્યનું ગીત માણો.

કવિ: સુંદરમ્
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ:શબ્દનો સ્વરાભિષેક:4

.

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા ,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા ,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા
-સુન્દરમ

ગ્લૉબલ કવિતા : ૧૩૫ : તે રમ્ય રાત્રે – સુન્દરમ્

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે !

– સુન્દરમ્

સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચેથી પ્રકટતો રતિભાવ…

શરીરની ભાષામાં જેનો અનુવાદ નહીં થાય એવો કોઈ પ્રણય ખરો? ‘પ્લેટોનિક લવ’ના ગમે એટલા ફીફાં કેમ ન ખાંડીએ, પરંતુ ભાગ્યે જ કોઈ પ્રેમી મળી આવશે જેને માત્ર પ્રેમ અને પ્રેમની વિભાવનામાં જ રસ હોય, શરીરમાં નહીં. આત્મીય પ્રેમના ગાણાં ગાનાર પણ ભીતર તો જાતીય પ્રેમનાં સપનાં જ જોતો હોય છે. એવા વિરલા ભાગ્યે જ મળશે જેને દૈહિકના બદલે માત્ર ઐહિક પ્રેમ જ ખપતો હોય. અનાદિકાળથી પ્રેમના ગીતો ગવાતાં આવ્યાં છે, જેમાં સૌંદર્યશૃંગાર અને શરીરસુખની આરત કેન્દ્રસ્થ રહ્યાં છે. આત્મીય પ્રેમનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલી વાર થાય તે ઘડીએ જે વિમાસણ અનુભવાય છે, એ વિમાસણ અને ઉકેલ –બંનેને આલેખતી અદભુત કવિતા સુન્દરમ્ ની કલમે આજે માણીએ…

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. માતા ઊજમબેન. પિતા પુરુષોત્તમદાસ કેશવદાસ. ૨૨-૦૩-૧૯૦૮ના રોજ ભરુચમાં આમોદ તાલુકાના મિયામાતર ગામમાં જન્મ. ત્રણેય જગ્યાએ શિક્ષણનો લાભ. ૧૦ વર્ષની વયે પિતાનું અવસાન. લુહારીકામના પૈતૃક વ્યવસાયમાં જોતરાવું ગમતું. ૧૧ વર્ષની વયે મંગળાગૌરી સાથે બાળલગ્ન. ૧૯૨૯માં ‘ભાષાવિશારદ.’ ૧૯૨૬માં ‘એકાંશ દે’ એ પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. ૨૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો.’ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. બે વાર જેલવાસ. ૧૯૩૪ થી ૪૫ સુધી જ્યોતિસંઘમાં શિક્ષક. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડી. લિટ્.ની માનદ ઉપાધિ. અસંખ્ય ચંદ્રકો, પારિતોષિકો અને માન-અકરામ. ૧૯૮૫માં રાષ્ટ્રપતિ ઝૈલસિંહના હાથે પદ્મભૂષણ. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’નો મંત્ર આત્મસાત કરનાર સુન્દરમ્ પાતળી કાઠી, ગૌર વર્ણ, સદૈવ સ્મિતસભર બહુધા મૌન મુખમુદ્રા, તપસ્વીની આભા, ઋજુ વાણી, સ્વભાવે બાળક જેવા સરળ તથા નર્યા પારદર્શક વ્યક્તિત્વના સ્વામી હતા. બહુ ઓછા માણસને આવી અંદર હોય એ જ બહાર પણ હોવાની સહજતા હાંસિલ હોય છે. ચિત્રકામ, દિલરૂબાવાદન અને ફોટોગ્રાફીમાં પણ નિપુણ. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ દેહોત્સર્ગ.

કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક. ધોધમાર સર્જકતા. વિપુલ સાહિત્યસર્જન. ‘ત્રિશૂલ’, ‘મરીચિ’, ‘વિશ્વકર્મા’, ‘સુન્દરમ્’ – એક નામ અને ચાર ઉપનામ પણ આજે ‘સુન્દરમ્’ કવિના નામનેય અતિક્રમી ગયું છે. કવિએ કહ્યું હતું: ‘’સુન્દરમ્’ શબ્દ મને ગાંધીજીની આત્મકથામાંથી મળી આવેલો. એમાં બાલાસુન્દરમ્ નામનો એક તમિલ મજૂર ગાંધીજી પાસે આવે છે. મેં ‘બાલા’ શબ્દ દૂર કરીને બાકીનો ભાગ રાખ્યો. આમ તો આ શબ્દ સત્યમ્ શિવમ્ સુન્દરમ્ ની મહાત્રિપુટીમાંનો એક છે, પણ તે મારી પાસે તો એક દરિદ્રતમ વ્યક્તિ પાસેથી આવ્યો.’ સ્વાતંત્ર્ય યજ્ઞમાં અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. કલ્પનશીલ રંગદર્શી માનસ અને તીવ્રતમ ભાવોદ્રેકથી ભાવક તત્ક્ષણ ભીંજાઈ જાય. ઉમાશંકર કહેતા કે ‘સુન્દરમ્ થતાં થાય તેવા કવિ છે.’ ઉમાશંકરે જ સુરેશ દલાલને જવાબ આપ્યો હતો: ‘સુ ન્દરમ્ ની કવિતામાં પ્રથમ રણકો ઊઠે છે- સચ્ચાઈનો- લોહીમાંથી, મજ્જામાંથી જાણે ઊઠતો ન હોય! બીજું તથ્ય છે: તાકાત. સુન્દરમ્ ના શબ્દો ભૌતિક વિશ્વની ગંજાવરતા અને માનવીયતાની નિઃસીમતાનો ભાવ સહજભાવે, નિરાયાસ ભાવે, ઊઠાવી શકે છે. ત્રીજું તત્ત્વ: સિદ્ધ થયેલી કલા-પ્રભાવિત કરે એવી શબ્દશોધ અંગેની ઉપાસના અને રજૂઆત.’ એક જ સમયગાળામાં સાહિત્યાકાશને ઝળાંહળાં કરનાર ઉમાશંકર અને સુન્દરમ્ ને ગુજરાત ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. ‘ધ્રુવપદના સાધક’ સુન્દરમ્ પર છેલ્લા સાડા ચાર દાયકાના પોંડિચેરી-નિવાસ અને શ્રી અરવિંદ તથા માતાજીનો પ્રભાવ મહત્તમ રહ્યો. સૂક્ષ્મતમ આધ્યાત્મિક અનુભૂતિના કાવ્યનિર્ઝરના અસ્ખલિત પ્રવાહમાં અભીપ્સાની સાથોસાથ સમર્પણભાવ ઉદાત્ત અને પ્રમુખ. રમણલાલ જોશીને એમનામાં ‘સત્યની શોધ અને કળાની ગંભીર ઉપાસના, એ બંને ચીજો આગળ પડતી’ નજરે ચડી છે. વ્રજભાષાના પ્રયોગોમાં પણ માહિર.

સ્વરૂપની દૃષ્ટિએ મૂલવીએ તો ‘તે રમ્ય રાત્રે’ કવિતાને મુક્ત પદ્ય અથવા ઊર્મિકાવ્ય ગણી શકાય. કવિતા છંદમાં વહી જાય છે પણ પહેલા અને છેલ્લા બંધને બાદ કરતાં પ્રાસનો અભાવ છે અને ગીતનો આકાર પણ નથી, માત્ર ધ્રુવપંક્તિ કાવ્યાંતે પુનરાવર્તિત થાય છે એટલું જ. કવિએ મિશ્ર ઉપજાતિ છંદ પ્રયોજ્યો છે, જે ઇન્દ્રવ્રજા (ગાગાલગાગા લલગા લગાગા) અને ઉપેન્દ્રવ્રજા (લગાલગાગા લલગા લગાગા)નું સંમિશ્રણ છે, જો કે કવિએ ઘણી જગ્યાએ આખરી લગાગાના સ્થાને લગાલગા વાપરીને એક લઘુ ઊમેરી કાવ્યપ્રવાહને એકધારી ગતિ આપવાના બદલે લયનો આંચકો ભાવકને આપવાનું નિર્ધાર્યું છે. કાવ્યગતિ વચ્ચે વચ્ચે ખંડિત કરીને ભાવકને ક્ષણાર્ધ વહી જતો અટકાવનારી છંદ-ચેષ્ટાઓ વિશ્વકવિતાઓમાં અસંખ્ય જોવા મળે છે. આઠ દાયકાઓ પૂર્વે ૧૦-૦૭-૧૯૩૮ના રોજ, ભારત જ્યારે બસો વર્ષની ગુલામીમાંથી છૂટવા ઉન્નતમસ્તક લડી રહ્યું હતું ત્યારના પ્રખર રુઢિચુસ્ત સમાજમાં લખાઈ હોવા છતાં, પ્રણયમાં શરીરસુખની અનિવાર્ય અને અદમ્ય આકાંક્ષા આલેખતું નિતાંત સંભોગશૃંગારભર્યું આ કાવ્ય એટલું તો અદભુત થયું છે કે એને આજની તારીખે પણ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય કહીએ તો એમાં લવલેશ અતિશયોક્તિ નથી.

કવિતાનું જે શીર્ષક છે એ જ કાવ્યારંભ પણ છે. રામપ્રસાદ બક્ષીએ આ શીર્ષક સ-રસ ઊઘાડી આપ્યું હતું: ‘તે રમ્ય રાત્રે -મધુર સ્મરણોને વાગોળી રહેલા માનસનો આ એક જ ઉદગાર- વાચકના માનસમાં કુતૂહલ જગાડે છે. ‘રાત્રે’ એટલે રસરહસ્યમય રાત્રિસમયે; ‘રમ્ય રાત્રે’ એટલે કોઈ ચિરસ્મરણીય હૃદયસંતર્પક પ્રસંગથી ખાસ રમ્ય બની ગયેલી રાત્રે; ‘તે રમ્ય રાત્રે’ એટલે બીજી બધી રાત્રિઓથી જુદી, જુદો જ અપૂર્વ આહલાદ-અનુભવ કરાવી ગયેલી એવી, એ ચોક્કસ રાત્રે; આવી અર્થચર્વણામાં વાચક નિમગ્ન બને છે.’ રમ્ય એટલે માત્ર સુંદર જ નહીં, આંખ અને મન બંનેને તૃપ્ત કરે એવી પણ. અહીં બંને અર્થ સુસંગત છે. રાત રમણીય હતી કેમકે નાયિકા સાથે છે. સ્ત્રી-પુરુષના સાથે હોવાના અર્થમાં રાત્રિનો સંદર્ભ ભળતાં જ અર્થવિસ્ફોટ સર્જાય છે. રાતનું અંધારું શરીરના આકારની સાથે હોવાપણું પણ ઓગાળી દઈ એકાકાર કરી દેતું હોવાથી પુરુષ અને પ્રકૃતિનું જે સાયુજ્ય સર્જાય છે, એ અજવાળાના નસીબમાં ભાગ્યે જ આવે છે. સુંદરનો અહેસાસ અને સુંદરની અપેક્ષા બે ભેગાં થાય ત્યારે સુંદરતાનો સરવાળો નહીં, ગુણાકાર થાય છે. સુન્દરમ્ તો આમેય સૌંદર્યના કવિ છે. એ ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને; મૂકું કરી સુન્દર ચાહી ચાહી’ ગાનાર આકંઠ સૌંદર્યપ્રેમી છે. એટલે સૌંદર્યની અપેક્ષા સાકારિત થાય છે ત્યારે એમને પ્રેયસી રાત્રિ કરતાંય અધિક રમણીય લાગે છે. ન અંદર, ન બહાર એમ રમણી એની અધિકતર રમણીય દેહયષ્ટિ બારસાખ પર સહેજસાજ એમ ટેકવીને ઊભી હતી, જાણે થડ ઉપર કો’ક વેલી સહેજ ઢળીને ટકી ન હોય. ચાર ટૂંકી-ટૂંકી પંક્તિઓમાં કવિ એક સર્વાંગ ચિત્ર રજૂ કરે છે, જે દોરવા બેસો તો કદાચ કલાકો વીતી જાય!

પ્રેમના નામે વેવલાવેડા કરવાના બદલે કવિ ઝડપભેર નિર્ભીક નિર્દંભ અભિગમ સ્પષ્ટ કરે છે. ક્યાં સ્પર્શવી? ક્યાં ચૂમવી? આલિંગવી? આ કવિતા લખાયાના દાયકાઓ પછી પણ માત્ર સાહિત્યમાં જ નહીં, સાહિત્યથી એક કદમ આગળ ચાલતી હિંદી ફિલ્મોમાંય બે પ્રેમીઓનું મિલન બે ગુલાબ એકમેક સાથે ટકરાવીને પ્રણયના સ્થાને પ્રતીકપ્રદર્શનનો દંભ આપણે ત્યાં પ્રવર્તતો હતો. આ વરવી વાસ્તવિક્તા સમજીએ તો આ કવિતા એના જમાનાથી કેટલી આગળ હતી એનો ખ્યાલ આવે. વળી, અહીં નાયિકા કામકેલિની પહેલ કરે છે, એ અર્થમાં તો કવિતા આજના સમયથી પણ ઘણી આગળ ગણાય… શાશ્વત સૌંદર્યની આરાધ્યાદેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. એના ગાત્રો ગળી જય છે. આવી ઉત્તમ કામ્ય કાયાને કઈ જગ્યાએ અડવી, ક્યાં ચૂમવી ને સાચે આ દેહ પોતાને આલિંગવા માટે જ સર્જાયો છે એ નાયકનું હૈયું માની શકતું નથી. ‘કામ્ય કાયા’ પ્રયોગમાં પ્રસ્તુત કવિતામાં અવારનવાર અધિકતર સંગીત સર્જતી વર્ણસગાઈ તો છે જ પણ એ ઉપરાંત ‘કામ્ય’ શબ્દ ફરીથી સંયોગશૃંગાર બાબતમાં કવિનો નિખાલસ ઈરાદો સ્પષ્ટ કરે છે. કામ્ય એટલે સુંદર તો ખરું જ, જેની કામના હોય એય અને શબ્દમાં છૂપાયેલ ‘કામ’નો અછડતો સંસ્પર્શ પણ ખરો જ સ્તો. નાયિકાના ખરા સોના જેવા અવર્ણનીય સૌંદર્યના પ્રવાહમાં નાયકનું હૈયું જડ થઈ ગયું છે, થીજી ગયું છે. હૈમનો અર્થ સુવર્ણની સાથોસાથ જામવાની ક્રિયા અભિપ્રેત હોવાના કારણે હિમ-બરફ પણ કરી શકાય? નાયિકાના દેદિપ્યમાન પ્રભાવથી અંજાઈને ડઘાઈ ગયેલા નાયકના નિર્ણયો બરફ જેવા ઠંડા-થીજી ગયા છે.

પુરુષોની જિંદગીમાં અવઢવની ક્ષણે જડત્વ ઘણીવાર જોવા મળે છે. લાખ કોશિશો કર્યા બાદ, તેર-તેર વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અનિવાર્ય બની ગયેલા મહાભારતના યુદ્ધની વચ્ચોવચ પહોંચીને ગાત્રો શિથિલ થઈ જાય અને ગાંડીવ હાથમાંથી સરી જાય એવા અર્જુનોની દુનિયામાં કોઈ કમી નથી. તો સામા પક્ષે, દ્રૌપદીને આખા જીવનમાં કોઈ નિર્ણય કે સવાલ કરવામાં હિચકિચાહટ થઈ નહોતી. કારણ કદાચ એ હોય કે પુરુષ મગજથી વિચારે છે અને સ્ત્રી હૃદયથી. પુરુષના આચારની પાછળ અપ્રગટ વિચારો સંતાયેલા હોય છે, જ્યારે સ્ત્રીઓ બહુધા જે વિચારે છે, એ જ આચરતી હોય છે. પુરુષો મોટાભાગે હાથીના દાંત જેવા હોય છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા. કદાચ આ જ કારણે નિર્ણયની ઘડીએ ઘણીવાર પુરુષો અટકી જતા હોય છે, જ્યારે સ્ત્રીઓ સ્ફટિકસ્પષ્ટ માનસના કારણે તાત્ક્ષણિક નિર્ણય લેવામાં ખંચકાટ અનુભવતી નથી. અનિર્ણયનો કેદી અથવા તો સ્ત્રીદાક્ષિણ્યસભર નાયક પગ પાછા વાળવાની તૈયારી કરે છે, સ્ત્રી એના પારોઠના પગલાં વાંચી લેવામાંય નિષ્ફળ જતી નથી. માત્ર પુરુષ જ મિલનની આકાંક્ષાએ અહીં આવ્યો હતો એવું નથી, આ મિલન માટે નાયિકા પણ એટલી જ તૈયાર છે.

નાયકથી વિપરિત, નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ જ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાઈને એ ઊભી છે. એના હાથ કદાચ અત્યાર સુધી સોડિયામાં સમેટાયેલા હતા, એમાં ગતિનો સંચાર થયો. ધનુષકામઠા પેઠે વળાંક લઈને ઊભેલી કાયામાંથી નાયિકાનો હાથ નાયક તરફ લંબાય છે. સાક્ષાત્ કામદેવ ધનુષ પર તીર ચડાવીને શરસંધાન કરતા હોય એવું આ દૃષ્ય છે. કમાન થયેલી કાયાના ધનુષ્યમાંથી કામદેવના તીર જેવો નાયિકાનો હાથ માટીપગા પ્રેમીને વીંધવા જાણે નિશાન સાધી રહ્યો છે. જ્યાં પુરુષ હથિયાર ફેંકી દે છે, ત્યાં સ્ત્રી ‘હાથ ધરે છે.’ નથી રે જવાનું કહીને એ એને અટકાવી દે છે. નાયિકાને પામવાની કામના સાથે આગળ વધેલા પણ થીજી જઈને માત્ર નજરથી જ સૌંદર્યપાન કરતા નાયક અને નાયકને પામવા માટે પહેલ કરતી નાયિકા –એમ સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચે ક્રીડા કરતા રતિભાવને જોઈએ ત્યારે મુણ્ડકોપનિષદનો એક શ્લોક યાદ આવે:

द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥ (મુણ્ડક ૩, ખણ્ડ ૧, શ્લોક ૧)

સુંદર પાંખવાળા બે પક્ષીઓ, ઘનિષ્ઠ મિત્રો, એક જ વૃક્ષ પર રહે છે; એમાંથી એક વૃક્ષના સ્વાદિષ્ટ ફળ ખાય છે, બીજું ખાતું નથી પણ પોતાના મિત્રને જોયે રાખે છે. અહીં પણ કંઈક એવું જ બન્યું છે. નાયક મૂક સાક્ષી બની ગયો છે, જ્યારે નાયિકા પોતે શું કરવું છે એ બાબતમાં ન માત્ર સ્પષ્ટ છે, નિર્ણાયક પણ છે. પુરુષ તો નથી હલી શકતો, નથી ચાલી શકતો. નથી દૂર જઈ શકતો, નથી નજીક. ચુપકીદી દરિયા જેવડી વધી પડી. દરિયાની વચ્ચોવચ કોઈક એકલદોકલ ખડક પાસે છીછરા પાણીમાં કોઈ નાવ ભાંગીને ફસાઈ જાય અને ભાંગેલ નૌકાના અનંત મુસીબતોમાં ફસાઈ ગયેલા મુસાફરને બચાવવા કોઈ નૌકા નજીક સરી આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. મૌનના મહેરામણમાં મૂઢતાના એકલવાયા ખડક સાથે અથડાઈને, ખોટકાઈ પડેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે. કેવું અદભુત કલ્પન!

કવિ ન્હાનાલાલ રચિત દીર્ઘ પદ્યનાટક ‘જયા-જયન્ત’ના કેટલાક અંશ સાથોસાથ માણવા જેવા છે. અંક બીજો, પ્રવેશ પહેલાના સંવાદમાંથી કેટલાક અંશ આ રચનાના હાર્દને આનુસાંગિક છે.

કવિશેખર: રસમંજરીનો મુગટ શૃંગાર રસ; /ને શૃંગારનો આત્મા કામ.
દેવી: ભુવન ભુવન મદનનાં મહારાજ્ય રે, /ગાવ ! ગાવ ! ગીત મદનરાજનાં, સખિ !
આચાર્ય: ગાઈ છે એમ કામસ્તુતિઃ/તો કામનીંદક તે વેદવિરોધી.
દેવી: મન્મથ તે જ મહાપ્રભુઃ/ઇચ્છા પૂરવી તે જ સદ્ધર્મ.

વર્ષો પહેલાંનું નાનાલાલનું આ નાટક શૃંગાર રસનો અને કામદેવના મહારાજ્યનો જે રીતે મહિમા કરે છે, એ ગુજરાતી કવિતામાં જૂજ જ જોવા મળે છે. કામને મહાપ્રભુ ગણાવાયો છે અને કામનિંદા કરે એને વેદવિરોધી. ઇચ્છાપૂર્તિને સત્-ધર્મ કહ્યો છે. અહીં પણ ઇચ્છાભર્યો હોવા છતાં અણીના ટાંકણે હિંમત ખોઈ બેસતા નાયકને જોઈને ઇચ્છાપૂર્તિ માટે મિલનની આ પળોનું સુકાન નાયિકા ત્વરિત હાથ ધરે છે, કેમકે એ જાણે છે કે આ ક્ષણોમાં એ જ સત્ધર્મ છે.

આગળ શું ઘટના ઘટી હશે એનો ઉત્તર કવિ પ્રશ્નો વડે આપે છે. નાયકને ક્યાં સ્પર્શ કરવો અને કઈ જગ્યાએથી ગ્રહવો એ બાબતમાં નાયિકાના મનમાં લેશમાત્ર પણ ગૂંચ હોવાનું નાયકને નજરે ચડતું નથી. આ ઘડીએ, ત્યારે પછી અર્ધરેખા (ડૅશ) મૂકીને કવિ મુખડાના ઉઘાડની પંક્તિઓ સાથે પુનઃસંધાન સાધે છે. શબ્દો એ જ છે, બલ્કે, પહેલાં કરતાં ઓછા છે, પરંતુ હવે ‘તે રમ્ય રાત્રે’ અને ‘રમણીય ગાત્રે’નો અર્થ સમૂચો બદલાઈ ગયો છે. રતિભાવ હવે સ્થિતિભાવ મટીને ગતિભાવ બની ચૂક્યો છે.

નખશિખ સંયોગશૃંગારની કવિતા છે. કવિએ પણ કોઈ ભાવ ગોપિત રાખવાની ‘કુ’ચેષ્ટા કરી નથી. ને તે છતાંય આ કાવ્ય એકપણ મર્યાદારેખા વળોટતું નથી એ કવિતાની ખરી ઉપલબ્ધિ છે અને કવિની ખરી સમર્થતા છે. ‘તને મેં ઝંખી છે/યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’ના કવિ જ આવો અદભુત કલાસંયમ દાખવી શકે. બ.ક.ઠાકોર જેવા દુરારાધ્ય દેવ પણ આ કાવ્યના અંતભાગ ઉપર વારી ગયા હતા. ઉમાશંકરે પણ ‘ઉલ્બણ ઊર્મિને કલામાં ઢાળવાની સુન્દરમ્ ની શક્તિ અપ્રતિમ છે’ એમ અકારણ તો નહીં જ કહ્યું હોય ને?

પ્રેમ ( એક પ્રસ્તાવના ) – સુન્દરમ્

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ

તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?

આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.

તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.

સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.

એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?

– સુન્દરમ્

એક સવારે – સુન્દરમ્

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ? મુજને૦

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ? મુજને૦

– સુન્દરમ્

‘એક સવારે’ ગીતમાં પરમતત્ત્વની અનુભૂતિનો સ્પર્શ વિસ્મયયુક્ત મનોહર વાણીમાં પ્રશ્નરૂપ પામ્યો છે. જીવાત્મા જાગૃતિના પહેલવહેલા અનુભવની કૌતુકસભર વાતમાં ‘એક સવારે’ પોતે તો ગાઢમાં નિદ્રામાં હતો ત્યારે વસંતની ફૂલમાળા પહેરીને, કોયલના સ્વરની બંસી લઈ, પુષ્પરાગની પાવડીઓ પહેરી મારા ઉરમાં કોન પ્રવેશી ગયું ? વગેરે સૌંદર્યપરક ઘટકોથી સર્વસ્પર્શિતાનો અનુભવ તાદૃશ કરે છે. બીજી કડીમાં કિરણોની કોમળ આંગળીઓ (જાણે તેજ-સળી) વડે રમણીય રંગોળી મનમંદિરમાં રચી જઈને સ્નેહની સુવાસ પ્રસરાવી જનાર એ અદૃશ્ય તત્ત્વ જ સર્વત્ર વ્યાપ્ત છે, એ હવે ભક્તને સમજાય છે.

(આસ્વાદક : રમેશ એમ. ત્રિવેદી)

સૌંદર્ય – સુંદરમ

IMG_20140818_081701

(મારા બગીચામાં ઉગેલી સુંદરતા.. ૮/૮/૨૦૧૪)

*****

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુંદરમ

રીમઝીમ બરસે બાદલ બરસે – સુન્દરમ્

સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…

સ્વર – વિભા દેસાઇ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

2009.09_ 064

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે , બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ!!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર ,ગગન ગોખ થી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

– સુન્દરમ્

એક અચંબો – સુંદરમ્

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી
હું બન્યો મુગ્ધ નરસૈયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જસોદા. – મેં એક..

મેં નદીનદીમાં દીઠી યમુના,
મેં દ્રુહ દ્રુહ દીઠો કાલિ.
મેં પળપળ દીઠી કાલિ દહંતી
કાલી મહાકરાળી. – મેં એક..

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા.
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. – મેં એક..

બાનો ફોટોગ્રાફ – સુન્દરમ્

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરશી પરે
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી

‘જરા આ પગ લંબાવો ડોક આમ ટટાર બા’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે

સાળુને કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ પુસ્તક પાસમાં

ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી
લઈને જોઈતું ફોકસ પ્લેટ તેમાં ધરી પછી

ઢાંકણું ખોલતાં પહેલાં સૂચના આમ આપતો
અજાણ્યો મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો

‘જોજો બા સ્થિર હ્યાં સામું ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો હસતાં સુખડાં સ્મરી

આછેરું હસજો ને બા પાંપણો પલકે નહિ
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં’

અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો
જૂઠડાં વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બા તણી

યૌવને વિધવા પેટે બાળકે કંઈ સાસરે
સાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી

વૈંતરું ઘર આખાનું કરીને દિન ગાળતી
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી

બાએ ના જિંદગી જોઈ ઘરની ઘોલકી તજી
એને કોઈએ ન સંભાળી સૌને સંભાળતી છતાં

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યાં
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું

અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં
એહના મનને રાજી રાખવા મથતાં બધાં

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા

બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા બાગ મ્હેલ કૈં
સિનેમા નાટકો કૈં કૈં ગાડીઘોડે ઘુમાવી ને

અમારા પ્રેમ કે સ્વાર્થ તણા સ્મારક શો અમે
અનિષ્ટો શંકતા ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા

અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા

પુત્રોથી પતિથી સાસુ સસરાથી અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા

પડા’વા બેઠી ત્યાં ફોટો ફોટોગ્રાફર ત્યાં ઊભો
અજાણ્યો મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં
બોર શું આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં

ચિડાયો ચિત્ર લેનારો ‘બગડી પ્લેટ માહરી’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ હરિ !

-સુન્દરમ્

(આભાર – માવજીભાઇ.કોમ)