આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – મહામનુ, માંગે શું ચિનગારી – યાદ છે? (યાદ હોય કે ના હોય, એકવાર ક્લિક કરીને ફરી સાંભળી લેવા જેવું છે 🙂 ) કંઇક એ જ ભાવવાળું આ કવિ શ્રી ભોગીલાલ ગાંધીનું કાવ્ય માણીએ – એ પણ અંકિત ત્રિવેદીના આસ્વાદ સાથે. (આભાર – ગુજરાત સમાચાર)
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચંન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
– ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
***************************************************
આસ્વાદ – અંકિત ત્રિવેદી
જીવનના હકારની કવિતા
ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી હોતાં! અજવાળું તો આપણી અંદર પ્રગટવું જોઇએ. આ શરીર માટીનું કોડિયું જ છે. એને અજવાળાનું ખોળિયું બનાવતાં આવડવું જોઇએ. અજવાળું હાથઉછીનું નથી મળતું. વળી, એનો રંગ સુખમાં અને દુઃખમાં એક જ હોય છે! કવિ ભોગીલાલ ગાંધીનું આ કાવ્ય બાળપણમાં પ્રાર્થનામાં સમૂહમાં ગવાતું હતું ત્યારથી હાડકામાં કોતરાઈ ગયેલું છે. દીવો થવાનું તો કવિ કહે જ છે પણ દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.
બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતને ઘસીને ચંદનની જેમ કે પછી ફૂલોને નીચોવીને અત્તરની જેમ અંતરને સુગંધથી તરબતર રાખવાનું છે. સંઘર્ષ કરીશું તો સફળતાને વરીશું. જાતમહેનત જેટલી વફાદાર એટલી જ આપણી પ્રતિભા વઘુ ચેતનવંતી બનશે. આ બઘું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે. ‘પારકી આશ સદા નિરાશ’ – વાળી કહેવત એમનેમ નથી આવી. આપણે જાતે જ પગભર થવાનું છે. આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે. તપના તાપથી જીવનનો સંતાપ દૂર રહે છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. એ સફળતાનો મરજીવો છે.
ઓશિયાળા થઇને બીજાના સહારે જીવન જીવતા રહેવું એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતા શોધીને એને વળગીને જીવન વિતાવવું વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે. સાંત્વનાનું સફરનામું છે. જેને આંતરપ્રવાસ કરવો છે એવા યાત્રિકનો નકશો છે. કેટલીક કવિતાઓ કોઇપણ ઉંમરે, કોઇપણ સમયે આપણને નવા નવા અર્થો સાથે નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જે આપણને ફરીથી જીવવાનું જોમ અને હતાશામાંથી મુક્તિ આપે છે. આપણે મોટેભાગે બીજાને કારણે જ દુઃખી થઇએ છીએ. અને સુખી આપણે કારણે જ થતાં હોઇએ છીએ. જેમાં ભાગ પાડવાના છે તેમાં આપણે ભાગ નથી પાડતાં! અને જેમાં નથી પાડવાના એમાં દુઃખી થઇને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર આપણે નાનકડી સળીની જેમ પ્રગટતા શીખીને આપણી જાતને વફાદાર રહેવું પડશે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિતાને કવિ રણછોડની ઓળખાણ થાય છે. એમના પદનું જાણીતું મુખડું છે… એનાથી જીવનના હકારની કવિતાનો અંત કરું છું…
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે…




