Category Archives: સંગીતકાર

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!

સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

—————————-
Posted on : April 24th, 2007

સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં

.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.

( આભાર : લયસ્તરો )

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!

bamboo trees Pictures, Images and Photos

(વાંસના વન……..   Photo: http://photobucket.com/)

સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

કેસર કેરી વાવી – નયન દેસાઈ

થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું સર્જન – રવિન નાયકના અવાજમાં સાંભળેલું એ યાદ છે? એવું જ મઝાનું સ્વરાંકન અને મઝાની રજૂઆત સાથે આજે સાંભળીએ આ એટલું જ મઝાનું ગીત..!!! સાંભળ્યું છે કે આ વર્ષે તો દેશમાં ભરપૂર કેરીઓ આવી છે, અને એમાંથી કેટલીક તો ઊડી ને ન્યુ જર્સી-કેનેડા સુધી પહોંચે છે..! જો કે હું અને અમિત તો મેક્સિકોની કેરીમાં જ દેશની થોડી સુગંધ શોધી લેવોનો નિષ્ફળ પ્રયાસ કરી લઇ છીએ..! 🙂

સ્વર / સંગીત – રવિન નાયક

(કેસર કેરી વાવી…..     Photo from Web)

.

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

– નયન દેસાઇ

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

સ્વર / સંગીત – રવિન નાયક
કવિ – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭ના
રોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]

( શબ્દો માટે આભાર – માવજીભાઇ.કોમ)

કહેતી ગઇ – પન્ના નાયક

આમ તો ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ટહુકો પર શબ્દ સાથે મુકેલું આ ગીત.. આજે ફરી એકવાર સાંભળીએ, કવિયત્રીના પોતાના અવાજમાં, અને પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં…

અને સાથે માણીએ – 30 માર્ચ 2009નાં રોજ દિવ્ય ભાસ્કરનાં હયાતીનાં હસ્તાક્ષર વિભાગમાં શ્રી સુરેશ દલાલ દ્વારા આ ગીતનો આસ્વાદ…

bird

કાવ્ય પઠન : પન્ના નાયક

.

(Thanks Urmi for converting the audio cassette to mp3 format 🙂 )

સ્વરકાર: દિલીપ ઢોલકીયા
સ્વર: કલ્યાણી કૌઠાળકર
આલ્બમ : વિદેશીની

.

તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને

અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી

હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
– પન્ના નાયક

અંતિમ અવસરના જુહાર

પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:

આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.

અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

(આસ્વાદ: સુરેશ દલાલ)

સામાં મળ્યાં તો – આદિલ મન્સૂરી

આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા

.

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

– આદિલ મન્સૂરી

ગુલમ્હોરને ગામ આપણ મળવાનાં… – તુષાર શુક્લ

પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…

એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.

વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…

સ્વર : પરેશ નાયક, માલિની પંડિત નાયક
સ્વરાંકન : પરેશ નાયક

(ગુલમહોર ને ગામ………. Photo: ksklein)

.

ગુલમહોર ને ગામ આપણ મળવાનાં
હવે હોવું રાધા-શ્યામ આપણે ઝળહળવાનાં…

રંગ-ગુલાલી પગલાં વીણતાં ખોવાવું ને જડવું
સખી, શાને પળમાં મળવું ને પળમાં ટળવળવું?
હવે ભીંજે આખું ગામ એટલું ઝરમરવાનાં

શ્યામલ સાળુ અવની ઓઢે, આંખ ભરીને મળવું
કાંઠાનાં બંધનને ભૂલી એક થઇ ઓગળવું
હવે તટના છૂટ્યા નામ, વહેણની વચ મળવાનાં

–  તુષાર  શુક્લ

મને યાદ ફરી ફરી આવે – જગદીપ વિરાણી

સ્વર – મુકેશ
ગીત / સંગીત – જગદીપ વિરાણી
ગુજરાતી ફીલમ – નસીબદાર (૧૯૫૦)

.

મને યાદ ફરી ફરી આવે
મારા અંતરને રડાવે

જીવન વીણા તાર બસૂરા
રાગો મારા રહ્યાં અધૂરા
મારા જીવનમાં આવી ને
શાને ગઈ તું ચાલી રે….

આ ધડકતી છાતી ઉપર
સુગંધ તારા શિરની રે
શ્યામ કેશના ગુંછડા મારા
આંગળ માંહી રમતા રે….

તારી મસ્તી ભરેલી છટાઓ
મદભર નૈન અનૂપ અદાઓ
રસભરી ચાલ મલકતું મુખડું
ભૂલાય નહિ એ ભાવો રે….

શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ