Category Archives: સંગીતકાર

પાસપાસે તોયે – માધવ રામાનુજ

( મોરપિચ્છ બ્લોગ પર પહેલા મુકાયેલુ આ ગીત, આજે સંગીત સાથે ફરીથી એક વાર રજુ કરું છું )
સ્વર : રાસબિહારી – વિભા દેસાઇ

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;

આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?

પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

Paas paase to ye ketala jojan – madhav ramanuj

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ – જવાહર બક્ષી

આલ્બમ : લાગણી
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

(આભાર : લયસ્તરો)

Phari na chhutavanu bal jama kare koi – jawahar bakshi

વાતોની કુંજગલી – જગદીશ જોષી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

lonely

.

વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

Vate vate tane vanku padyu ne main vaato ni kunj gali chhodi didhi – jagdish joshi

ગઢને હોંકારો તો કાંગરાય દેશે – રમેશ પારેખ

gadh ne

સ્વર – વિનોદ પટેલ

આલ્બમ: સંગત
પ્રસ્તાવના :વિનોદ જોશી

.

સ્વર: ઓસમાન મીર
આલબમ: સંગત

.

સ્વરઃ અમર ભટ્ટ

.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

( કવિ પરિચય )

Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh

Taro mevaad meera chhodashe

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો – સુરેન ઠક્કર ‘મેહુલ’

કવિ : સુરેન ઠક્કર ‘મેહુલ’
ગાયક : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી
jagat ma kon

.

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

Jagat ma kon bhala khush naseeb aap kaho – suren thakkar mehul

તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : રાસબિહારી દેસાઇ

ran

.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ

સ્વર : ફાલ્ગુની શેઠ
આલ્બમ : ટહુકે છે લીલીછમ ડાળ
સંગીત : અજીત શેઠ
paper pen

.

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Vahaalap ne naam nav daiye – medhanad bhatt

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂

સ્વર : મન્ના ડે

gandhijee

.

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,

.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

( કવિ પરિચય )

રાધાનું નામ વ્હેતું ના મેલો – સુરેશ દલાલ

.

જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…

કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’

“The difference between what we do and what we are capable of doing suffice to solve most of the world’s problems.” – Mahatma Gandhi.

“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે.” – મહાત્મા ગાંધી

બેફામસાહેબની આ ગઝલના આ શેરમાં ગાંધીજીની ઉપર જણાવેલી વાત પડઘાય છે, એવું નથી લાગતું ?

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જ ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

સ્વર : મનહર ઉધાસ

.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

( કવિ પરિચય ) (આભાર ઃ અમીઝરણું )