Category Archives: કવિઓ

બહાર આવ્યો છું – મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

– મનોજ ખંડેરિયા

(આભાર : ગુંજારવ)

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

સ્વર – સાધના સરગમ, પાર્થિવ ગોહિલ
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે.
જ્યાં જ્યાં તમારા પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝમકવાનું છે.

કેસર-ગુલાબી ચુંદડીને સંગ,
સજનીને સાંજે મળવાનું છે,
મઢૂલી બનાવી કાનની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે.

નજરયુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે,
ફૂલની સંગે મહેંકવાનું છે,
લજામણી થઇ શરમાવાનું છે.

ઉભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આદિલને બહેકવાનું છે,
મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે.

– કમલેશ સોનાવાલા

પઢો રે પોપટ રાજા રામના – નરસિંહ મહેતા

Photo: Madhubani Paintings)

સ્વર :  કૌમુદિ મુન્શિ
સંગીત સંચાલન : નીનુ મઝુમદાર
આસ્વાદ : હરીન્દ્ર દવે

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

– નરસિંહ મહેતા

ચાતક પીએ એંઠું પાણી – સરોદ ( મનુભાઇ ત્રિવેદી )

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી:
હે સંતો, તો ય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

માનસર છોડીને આવ્યો હું હંસલો
માછલીએ મન આણી !
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી !
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઇ
માયા આજ મહારાણી !
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

– સરોદ ( મનુભાઇ ત્રિવેદી )

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ
(આભાર – લયસ્તરો.કોમ)

ખોટ વર્તાયા કરે – ગની દહીંવાલા

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક! ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે.

આપણે, હે જીવ! કાઠાં સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

-ગની દહીંવાલા

અભણ અમરેલવીએ કહ્યું – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

પ્રહલાદ પારેખ પર્વ ૭ : હાલો મારા ગાનને મારગ

સ્વર – સમુહ ગાન

હાલો મારા ગાનને મારગ !હાલો રે !
ગાનના નારગ મારા જાય ગગનમા,

જાયે ધરામા, એ તો જાયે પવનમા
જાયે એ માનવ કેરા મનમા , હાલો રે !
–હાલો મારા

મારગડા એ નથી સુંવાળા,
જો જો નથી એ રુપાળાં રે
ખેતર કેરા ઢેફાં ભરિયાઃ
એ તો ધુળવાળા રે, હાલો રે!
— હાલો મારા—-

ગાનને મારગ મારા, ખીણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારા રે;
એ રે મારગને આવરી લેશે
કાળાં ધુમાદા રે, હાલો રે !
— હાલો મારા –

એ રે મારગમાં સંકટ સાથી થાશે,

દેખાશે મોત મુખ કાળાં રે;
એજ મારગમા આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે !
—- હાલો મારા

પ્રહલાદ પારેખ પર્વ 6 : એવું રે તપી ધરતી

આ પહેલા ટહુકો પર શ્રી ભાઇલાલભાઇ શાહના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – એના મૂળ રાગ સાથે ફરી એકવાર..!

સ્વર : ચિંતન પંડ્યા – દેવયાની
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા
કવિ – પ્રહલાદ પારેખ

 

ગીતવર્ષા આલ્બમ વિષેઃ

પ્રહલાદ પારેખ પર્વમા પ્રકાશીત થયેલા ગીતો “પ્રહલાદ પારેખ શતાબ્દી ઉત્સવ સમિતિ” એ ‘ઘરશાળા” નિશાળના પ્રાંગણમા યોજેલ “ગીત વર્ષા” કાર્યક્રમમા ગવાયા હતા.આ પ્રસંગે પ્રહલાદજી ના કુલ ૩૩ ગીતો ધ્વનિ મુદ્રિત ( રેકોર્ડ) થયા હતા. બધાજ કલાકારો ભાવનગરના રહેવાસી છે.

શ્રી ચિંતન પડ્યા એ મૂળ ઢાળ શોધી ગાયકો – રચના, નિતીન,રાજેન, નિધિ, દેવયાની,સ્વાતિ, પ્રાર્થિત,કર્મવીર, દર્શન જેવા નવોદિતો પાસે ગવરાવ્યા હતા. વાદ્ય સંગત :

કીબોર્ડ – જયદીપ શાહ
તબલાં – કર્મવીર મહેતા
ઢોલક – પ્રાર્થિત મહેતા
સાઇડ રીધમ -અભિજિત ગોહિલ

આ સીડી અને એના પ્રાપ્તિસ્થાન વિષે વધુ માહિતી આવતીકાલે 🙂

————————————–
Posted on June 27, 2010

આજે સવારે પપ્પા સાથે વાત થઇ, ત્યારે પપ્પા કહેતા હતા કે અમદાવાદમાં હજુ મેઘરાજાની મહેર નથી થઇ..! તો ચાલો, આપણે પણ સૌ અમદાવાદીઓ સાથે આજે મેહુલાને વિનંતી કરીએ, અને સાંભળીએ એ જ મિજાજનું આ કવિ શ્રી પ્રહલાદ પારેખનું ગીત. સ્વર અને સ્વરાંકન – શ્રી ભાઇલાલભાઇ શાહ.

(એવું રે તપી ધરતી.…. Photo: NeenaBeena @ Flickr)

સ્વર અને સ્વરાંકન : ભાઈલાલ શાહ

.

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

——-

(ગીતના શબ્દો અને ઓડિયો ફાઇલ માટે આભાર – મેહુલ શાહ : શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર)

પ્રહલાદ પારેખ પર્વ 5 : મોરલા રે! જરી કરજે ને તારા ટહુકાર

ટહુકો પર આ પહેલા પ્રસ્તુત કરેલા’female duets’ યાદ છે?

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી
આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

 

બે ગાયિકાઓનો સ્વર ભળે, એટલે જાણે આપોઆપ જ ગીતો વધુ મધુર લાગે એ… અને એવો જ જાદુ અહીં દેવયાની અને સ્વાતિના સ્વરો સાથે માણીયે…

સ્વર : દેવયાની-સ્વાતિ
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા

 

મોરલા રે! જરી કરજે ને તારા ટહુકાર…

કવિ વિષે થોડી વધુ માહિતીઃ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)

તેમના કાવ્યો જેટલીજ ઋજુતા, સરળતા તેમના વ્યક્તિત્વમા હતી. જીંદગીભર ખાદીના વસ્ત્રો પહેરતા અને ભાગેજ ખાદીનો લેંઘો, કફની અને બંડી શીવાય બીજો પોશાક ધરણ કરતા..તેમના વિદ્યાર્થીઓમા તેઓ ખુબ પ્રિય હતા.ગાંધીજી ના સમયમા તેમના પ્રભાવમા ન આવી શુધ્ધ નિસર્ગ અને સૌંદર્યલક્ષી કાવ્યો નું સર્જન કરવું તેજ તેમનુ કવિ તરીકેની અલગપણાની સાબીતી છે.

૧૯૪૦મા તેમનુ પ્રથમ પુસ્તક ‘બારી બહાર’ પ્રસિધ્ધ થયું.તેના આમુખમા ઉમાશંકર જોશીએ તેને ‘નાક,કાન,આંખની કવિતા” તરીકે બીરદાવી અને આ રચનાઓ મા નીતરાં પાણીનો ગુણ છે તેમ કહ્યું.ઊમાશંકર ભાઇએ આ બારી બહાર ગ્રંથની વિસ્ત્રુત ( જેટલા પાના કવિતાના લગભગ તેટલાંજ પાના આમુખના) પ્રસ્તાવના લખી છે. ગુજરાતી સાહિત્યના આ સ્વનામ ધન્ય કવિ અને કષ્ટસાધ્ય એવા કવિ ઉમાશંકર પ્રહલાદ પારેખ પર મન મુકીને વરસ્યા છે.ઉ.જો. લખે છે “પાણીદાર મોતી જેવા ઉર્મિકાવ્યો રસની ઘુંટેલી કણીકા જેવી શ્લોકપંક્તિઓ કવિ પાસેથી સારા પ્રમાણમા મળી રહે છે.વિવિધ વિશયની વિવિધતા માટે વલખાં મારવાને બદલે માનવીના ચિરંતનન ભાવો આલેખવામા આનંદ માન્યો છે.કવિએ માનવ હ્રદયને જાણે પોતાનો કાવ્ય વિશય બનવ્યો છે.

૧૯૪૮મા બીજો સંગ્રહ ‘સરવાણી’ પ્રસિધ્ધ થયો.તેની પ્રસ્તાવનામા ભ્રુગુરાય અંજારીયા તેમના વિશે લખે છે ‘જેના અંતરનો મર્મ પામતાં શાતા વળે એવી વિશાળ,સૌમ્યસ્વરુપીર્ણી પ્રક્રુતિનો સાદ કવિ એ સાંભળ્યો છે”

કવિશ્રી વિનોદ જોશી તેમની કવિતાને આ શબ્દોમા મુલવે છે.”પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે’

પ્રહલાદના કાવ્યો મા આંતરમનના ; પ્રણય– અલ્યા પુછું અજાણ્યા રે,મેં જે ગીત ગાયા છાના એ તો કેમ રે કરીને તારા પાવામાં ઝીલાયા રે , અને વિરહ- એવું રે તપી ધરતી એવું રે તપી જેવાં તપ રે તપ્યા એક દિ’ પારવતી સતિ,અને ત્રુશા – દીધી તેં આ જગાડી ત્રુશા, અને તલસાટ- પેલો જાય મેહુલિયો મનને મારા લૈ ગયેલો,અને ઝંખના- હે વૈશાખ લાવ લાવ તુજ ઝંઝાવાત, અને પ્રતિક્ષા – કોની જુવે તું વાટ અભાગી મન, અને મુંઝવણ – હાંરે આજ શું રે ગાઉંને શું ન ગાવુ – અને જુદાઇ- કોણ આજ રહે બંધ બારણે, એવા વિવિધ ભાવોનુ જેને ઉમાશંકર ભાઇ એ ‘છટકણાં’ તરીકે ઓળખાવ્યા છે તે કોમળ ભાવોનું અત્યંત સુંદર રીતે વર્ણન કર્યું છે.પ્રક્રુતિને તો તેમણે મન ભરી ને માણી છે – આભ,તારા, ધરા, ડુંગર, ખીણ,પવન , પાણીના અવનવાં રુપો તેમના કાવ્યોમા ઉમટી પડ્યા છે.

કવિ પ્રહલાદ બહુજ સહજતા અને સરળતાથી વાચકોમા મનમા વસ્યા છે. આજે સાત દાયકા વીતી ગયા પછી પણ તેમની કવિતા દર વર્શે આવતા વરસાદ જેટલીજ નીત નવી લાગે અને તરો તજા લાગે છે. વર્શા ઋતુને તો એમણે મન ભરી ને માણી છે અને અનેક રીતે રજુ કરી છે. એમના ગીતોમા તરબોળ કરી દેતી મુલાયમ લયસમ્રુધ્ધિ,નાદવૈભવ-સૌંદર્ય સાંપડે છે . આ બે વિલક્ષણાથી સર્જતી સંગીતમયતા ગુજરાતી સાહિત્યનુ મહમુલું ઘરેણું છે.

તેઓ મુંબઇમા કાંદીવલિમા પરામા રહેતા.૦૨/૦૧/૧૯૬૨ ના રોજ સ્કુલે જતાં જતાં તેમને રસ્તામા હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું.

(compiled by Bharat Pandya from various sources)