આમ તો નવરાત્રીને થોડા દિવસની વાર છે.. પણ દેશમાં તો ક્યારની તૈયારીઓ શરૂ થઇ ગઇ હશે..! ઠેર ઠેર સ્ટેજ અને મ્યુઝિક સિસ્ટમ ગોઠવાઇ ગઇ હશે..! (એક જમાનામાં એ તૈયારીઓ ફક્ત ૨ કલાક પહેલા થતી..) અને વિદેશમાં તો આ weekend થી જ ગરબા શરૂ..! (અમે અમેરિકાવાળા ૯ દિવસની નવરાત્રી તો માણીએ, પણ એ ૨-૨ દિવસના installment માં..!! 🙂
ટૂંકમાં – આખી દુનિયામાં નવરાત્રીની તૈયારી થઈ રહી હોય, અને આપણે બાકાત રહીએ? ચલો.. માણીએ આ નોન-સ્ટોપ ગરબા..! અને હવે ગયા વર્ષે ક્યાંક પટારામાં મૂકેલા ચણીયા-ચોળી, ડાંડિયા એ બધુ બહાર કાઢો… નવરાત્રી આવી..!! 🙂
આજે ૧ લી ઓક્ટોબર – એટલે ગુજરાતી સુગમ સંગીતના જાજરમાન સંગીતકાર એવા આપણા ક્ષેમુદાદાનો જન્મદિવસ. એમની સ્મૃતિમાં અમદાવાદમાં જે કાર્યક્રમ હતો, એની માહિતી ટહુકો પર મૂકી હતી એ યાદ છે?
અહીં ટહુકો પર પણ આપણે ક્ષેમુદાદાને યાદ કરી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત…! ક્ષેમુદાદા પોતાના સ્વરાંકનો થકી આવનાર કેટલીય પેઢીઓ સુધી ગુજરાતીઓને હ્રદયસ્થ રહેશે..!
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.
સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
આજે ૩૦મી સપ્ટેમ્બર… પ્રખ્યાત કવિ-ગઝલકાર શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ નો જન્મદિવસ..! ચિનુકાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આજે સાંભળીએ એમની આ ગઝલ – એમના જ શબ્દોમાં..!!
April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!
ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી
*************** Posted on April 29, 2009 – by Vivek
(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)
(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)
મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…
મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.
પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…
પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?
ગુગલની દુનિયામાં રખડતા રખડતા આ વિડિયો હાથમાં લાગ્યો.. અને થયું કે આ પણ તમારી સાથે વહેંચી લઉં..! એમ પણ આજે રવિવારને… એટલે કદાચ તમને આ એક કલાકનો ખૂબ જ રસપ્રદ વાર્તાલાપ સાંભળવાની ફૂરસત હોય.. 🙂
લગભગ એકાદ વર્ષ પહેલા પ્રસ્તુત આ વિડિયો કદાચ દેશના કોઇક કાર્યક્રમ માટે રેકોર્ડ થયો હોય એવું લાગે છે. વધુ માહિતી કદાચ તમે શ્રોતાઓમાંથી કોઇ પાસે હશે જ – તો એ અહીં બધા સાથે વહેંચશો તો ગમશે.
સાંભળીએ – ર્પોફેસર મધુસૂદન કાપડિયાનો – અમેરિકન ગુજરાતી કવિઓ વિષેનો આ વાર્તાલાપ … સમય મર્યાદાને લીધે એમણે ફક્ત ૫ કવિઓ વિષે વાત કરવાનો નિર્ધાર કર્યો હતો..! વધુ સાંભળીએ – એમના પોતાના શબ્દોમાં…!
અને હા.. પ્રો. મધુસૂદન કાપડિયાને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો Los Angeles ના મિત્રોને થોડા દિવસોમાં જ મળશે. વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.
લયસ્તરો પર યાદગાર ગીતો શ્રેણીમાં આ ગીત મુકવાનું હતું, ત્યારે પહેલીવાર સાંભળ્યું. અને thanks to wordpress technical problem, આખા દિવસમાં ૧૦-૧૨ વાર આ ગીત સાંભળવું પડ્યું – music file play થાય છે કે નહીં એ જોવા માટે આમ તો એક ક્લિક કરીને બંધ કરી શકાય… પણ જેટલીવાર ક્લિક કર્યું – આખું ગીત સાંભળ્યું! પણ ગીત એટલું તો ગમી ગયું, કે બીજા ૧૦-૧૨ વાર બસ એમ જ સાંભળ્યાં જ કર્યું.. વિવેકે કહ્યું તેમ – આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે? !!
(નિખિલનો એક રંગ … Lone Cypress, 17 Mile Drive, CA)
કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !
વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં
પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે
આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)
કાવ્ય પઠન – હરિન્દ્ર દવે
.
સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
.
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.