Category Archives: સંગીતકાર

મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ – રાજેન્દ્ર શુક્લ

આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!

અને મનોજભાઇ એમના પોતાના શબ્દોમાં જ કહે છે ને –

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.

આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

.

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

– રાજેન્દ્ર શુક્લ (18 જાન્યુઆરી, 2004)

મનોજ પર્વ ૦૫ : કોઈ કહેતું નથી

‘મનોજ પર્વ’ – ર માં જ્યારે એમની અષાઢ ગઝલ પ્રસ્તુત કરી’તી ત્યારે કહ્યું હતું ને કે પહેલા વસંત પછી અષાઢ.. અને વચ્ચે આવતા ઉનાળાની વાત પછી ક્યારેય..!! તો આજે એ જ ઉનાળાની વાત..

ખરેખર તો આખી ગઝલ નહીં, પરંતુ ફક્ત પહેલો શેર ઉનાળાને લગતો છે..! અને ગુજરાતી ગઝલમાં જ્યાં ગુલમ્હોરની વાત આવે ત્યાં આ શેરનો ઉલ્લેખ ના હોય એવું ભાગ્યેજ બને, એટલો પ્રચલિત છે આ શેર..!

તો સાંભળીયે શ્યામલ-સૌમિલની જોડી પાસે આ ગઝલ.. અને સાથે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં આસ્વાદ..!

સ્વર – સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી

.

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એ કરાવેલા આ ગઝલના આસ્વાદની એક ઝલક :

જે વહી ગયું છે, પ્રાયઃ લુપ્ત થઇ ચૂક્યું છે તે વ્યતીત વર્તમાન ક્ષણે પણ એવું એવું તાજું, એવું ને એવું જીવતુંજાગતું કેમ અનુભવાતું નથી એવિ તીવ્ર પ્રશ્ન કાવ્યાનુભવરૂપે પ્રગટ થાય ને આપણે ક્વચિત્ અન્યને ક્વચિત્ સ્વને પૂછીએ કે ક્યાં ગયું એ બધું? કશો જ ઉત્તર ન મળે પૂછતાં જ રહીએ છતાં. તો પ્રશ્નની અન્-ઉત્તરતા અવશભાવે સ્વીકારીએ ને કહીએ – ‘કોઇ કહેતું નથી !’

લાલઘૂમ તાપમાં મ્હોરતો ગુલમ્હોર, જે મસ્તીનો તોર તે બીજા શેરમાં રાત દિ’ ટોડલે બેસી ગ્હેકતા મોરમાં રૂપાંતરિત થઇ, બારી, બાર, ભીંત, લાલ નળિયાં, છજાં તથા ગોખને પૂછવા પ્રેરે છે – ક્યાં ગયો તે મોર? ને કોઇ કહેતું નથી. ગુલમ્હોરનું ચક્ષુરમ્ય છતાં અગતિશીલ પ્રતિરૂપ ગતિશીલ ચારુતાના વધુ જીવંત પ્રતિરૂપ મોરમાં પ્રગટ થાય છે. પેલો ક્યાં ગ્યોનો મૂળ પ્રશ્ન છ છ પદાર્થોને પુછાઇને, ઘૂંટાતો ઘૂંટાતો વધુ વ્યાપક તથા બહુપરિમાણી બને છે.

છ શેર સુધી ઘૂંટાતું ભાવસંવેદન ગઝલના અંતિમ શેરમાં સ્વયં કવિએ પણ પ્રથમથી ન કલ્પ્યું હોય એવું અપૂર્વ રૂપ ધારણ કરી પ્રશ્નમાલિકાના ચરમ પ્રશ્નમાં વિરમે છે. અહીં પ્રાસ તરીકે પ્રયોજાય છે સમયવાચક પ્હોર, પ્રથમ પ્હોર. તે પણ ‘ઝૂલણા છંદમાં નીત પલળતો’ તે. સમયચક્ર તો નિત્યની જેમ ચાલ્યા કરે છે. ‘પાછલી રાતની ખટઘડી’ એ જ ને એવી જ છે હજી. અહીં કૃતિમાં પ્રથમ વાર જ સ્થળવિષેશનો નિર્દેશ થયો, ‘એ તળેટી અને દામોદર કુંડ પણ – ‘ને છતાં નરસિંહના પ્રભાતિયાથી નિત પરિપ્લાવિત થતો પ્રથમ પ્હોર ક્યાં ગયો તે પ્રશ્નના ઉત્તરમાં કોઇ કંઇ જ કહેતું નથી.

આ ગઝલ માત્ર મનોજની ગઝલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલપ્રવાહમાં મહત્વનું અને માતબર સ્થાન ધરાવે છે. નિઃશેષપણે કશુંક જતું રહ્યાંના, કાળગ્રસ્ત થયાંના અવસાદને અનેક રીતે ઘૂંટતી અને અંતે તો એક પ્રકારની નિર્ભાતિમાં નિર્વહણ પામતી આ ગઝલ આપણી ગઝલનું એક કાયમી કંઠાભરણ બની રહેવા સર્જાયેલી ગઝલ છે.

મનોજ પર્વ ૦૩ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા / આદિલ મન્સૂરી

આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!

ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.

સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.

.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

————————————-

અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!

સ્વર : ચિનુ મોદી

.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.

– આદિલ મન્સૂરી

————————————

અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ

.

————————————

તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂

મનોજ પર્વ ૦૧ : રસ્તા વસંતના

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! કવિ એમની એક ગઝલમાં લખે છે :

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

ઓક્ટોબર, ૨૦૦૩ માં આપણી વચ્ચેથી વિદાય લીધા પછી પણ કવિ એમના શબ્દો થકી આપણી વચ્ચે જ રહ્યા છે.

મિત્રો, ચલો આપણે એક અઠવાડિયા સુધી ટહુકો પર ઉજવીયે મનોજ પર્વ. ગુજરાતી સાહિત્ય – ગઝલ વિશ્વને કેટલીય અમર રચનાઓ આપનાર કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ એ જ મનોજ પર્વ.

અને હા.. સાથે એક સરસ મઝાના ખબર કવિ શ્રી ના ચાહકો માટે.. આજથી launch થઇ રહી છે કવિને શ્રધ્ધાંજલીરૂપ વેબસાઇટ : http://www.manojkhanderia.com/ કવિને.. કવિના શબ્દને… વાચકો અને ભાવકોની વધુ નજીક લઇ જવાનો એમની દિકરીઓનો પ્રયાસ..! વાણી અને ઋચાને આ વેબસાઇટ માટે ખૂબ ખૂબ અભિનંદન.

કવિ મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ ઉજવવા માટે શરૂઆત ક્યાંથી કરવી એ જરા અઘરો પ્રશ્ન હતો, અને આખરે મેં પસંદ કરી આ વાસંતીગઝલ..! વસંતઋતુના વધામણાની, એના સોંદર્યના ગુણગાન ગાતી કેટલીય રચનાઓ ગુજરાતીમાં લખાતી આવી છે અને લખાતી રહેશે, પરંતુ મનોજ ખંડેરિયાની આ રચના એમાં હંમેશા મોખરેના સ્થાને રહેશે…! કોઇ પણ સમયે વાંચો – સાંભળો અને આજુબાજુ વસંતને મહેસૂસ કરી શકો, એને કવિના શબ્દનો જાદુ ના કહેવાય તો બીજું શું? અને જેમ વસંતકાવ્યોનો ઉલ્લેખ આ ગઝલ વગર અધૂરો છે, એમ જ મનોજ-કાવ્યોનો ઉલ્લેખ પણ આ ગઝલ વગર અધૂરો જ રહે..!

સાંભળીએ આ અમર રચના – અમરભાઇના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ આ ગઝલના અલગ-અલગ કવિઓએ કરાવેલા આસ્વાદની એક ઝલક.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

‘મનોજની કથનની રીત પણ કેવી નોખી છે ! વસંતને જોવા માટે એક નવી જ આંખ આપણને પ્રથમ પંક્તિમાં મળે છે. (મનોજ અને વસંતનો સંબંધ આમ પણ સનાતન છે !) વૃક્ષની આ ડાળ એ જ ખરેખર વસંતની પગદંડી છે. વસંત ચાલે અને જે પગલાં પડે છે એ જ આ ફૂલો. જે દ્રશ્ય છે એની પાછળ રહેલાં અદ્રશ્યને મ્હોરાવવાંઆ જ કવિની કુશળતા છે. આંખ સુગંધિત થઇ જાય એવો આ શેરનો મિજાજ છે. ‘
– જગદીશ જોષી

‘ગઝલના આરંભના બંને શે’રમાં કવિ કલ્પન સહાયથી અનવદ્ય એવું વાસંતી વાતાવરણ સર્જે છે. પરંતુ કવિને તો વસંતની સમાંતરે માનવીય સંવેદનાની પણ વાત કરવી છે. વસંતના માદક વાતાવરણનું સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયું હોય એવે વખતે યુવાન હૈયામાં કંઇ હલનચલન ન મચે તો જ નવાઇ, અને કવિ એને વ્યક્ત કર્યા વિના રહે તો જ આશ્ચર્ય. અને એટલે જ તો કવિ અહીં વસંતની શોભાની સાથે જ – સમાંતરે જ નાયિકાના સોંદર્યને પન પ્રત્યક્ષ કરાવે છે. નાયિકાનું સોંદર્ય વસંતની શોભાની સાથે જાણે સીધું સ્પર્ધામાં ઊતર્યું છે. વસંતની માદકતા ભરપૂર એ, તો નાયિકાનો કેફ પણ ક્યાં ઓછો છે?’
– નીતિન વડગામા

‘શિયાળા પછી આવતી વસંતઋતુનો અર્થ એ કે તમારી ઠીંગરાઇ ગયેલી માનવતાને હૂંફની જરૂર છે. માટે આ વાસંતી સુખની ને સ્મરણોની ફાંટ બાંધી લો. વસંતના તડકા એટલે વરણાગીવેશ નહીં, પણ સમજણ અને સંવાદનો સંદેશ. જીવનનું એ ભાથું આગળ જતાં તમને કામ આવવાનું છે. તમારી ફાંટ ભરી હશે તો તમારા હાથ ને હૈયું ઉદાર બનીને તમે જે માર્ગ પર પસાર થશો તેના પર છુટ્ટે હાથે વસંતના વાવેતર કરવાની મોજ માણશો. ફાંટમાં બાંધ્યું હોય તે મારગમાં વેરી-વેરીને હળવાફૂલ થઇ જવું તે. તો તમે આ લાખેણા અવસર બે હાથે નહીં, બત્રીસ હાથે લૂટો અને બત્રીસલક્ષણા બની જાવ ! કુદરતના આવા રમ્ય સાક્ષાત્કારની ઘડીઓ ફરી નસીબમાં આવે, ન યે આવે. ‘
– રમેશ પારેખ

સાભાર : શબ્દો જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાનાં કાવ્યોનો આસ્વાદ, સંપાદન – નીતિન વડગામા)

એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ)

આજના ગીતની પૂરેપૂરી Credit મેહુલ શાહને… પ્રાર્થનામંદિર – વિદ્યાવિહાર ગીતો પર એણે એના નાનાજી – ભાઇલાલભાઇ શાહનાં અવાજમાં ગીત મુક્યું છે, ત્યાંથી જ મને આ ગીત અને શબ્દો મળ્યા..! અને હા, મેહુલે સાથે સાથે ઓરીજીનલ બંગાળી ગીત, કિશોરકુમારના અને સોનુ નિગમના અવાજમાં પણ મૂક્યું છે..! આભાર મેહુલ.. 🙂

તો સાંભળીયે, રવિન્દ્રનાથ ટાગોરના આ અમર ગીતનો મહાદેવભાઇ દેસાઇએ કરેલો અનુવાદ.. ભાઇલાલભાઇના સ્વરમાં !

(એકલો જાને રે!…….. Near Muir Beach, CA -April 09)

* * * * * * *

સ્વર – સંગીત : ભાઈલાલભાઈ શાહ

સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ)
અનુવાદ : મહાદેવ દેસાઈ
આલબમ:રવીન્દ્ર ગુર્જરી

.

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

વર્ષા એ કરી કમાલ – નીલેશ રાણા

આજે ફરી એક મસ્ત મજાનું, અને એકદમ તાજ્જું વર્ષાગીત… પહેલા વરસાદની સાથે ગરમાગરમ ભજીયા જેવું refreshing..! અને એ પણ કવિના હસ્તાક્ષરમાં..! ‘મોન્સૂન મુબારક’ ના સંદેશ સાથે.. 🙂

અને કવિના શબ્દોની સાથે બીજી એક કમાલ છે ગીતના મધુર સંગીત સાથે રેલાતો  નિશા ઉપાધ્યાયનો મદમાતો અવાજો.. ગીત શરૂ થાય કે તરત થાય કે વરસાદ પડો.. મારે ય ભીંજાવું છે..!!

varsha

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : નયનેશ જાની
આલ્બમ : મિજાજ

.

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષા એ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઇ નદીઓનું વ્હાલ

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમરપર
પીડાની છલક છે ગાગર

વાત ચઢી વંટોળે
હું થઇ ગઇ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષા એ કરી કમાલ

આભ અરીસે મીટ જો માંડી
કાયા થઇ ગઇ કંકુવરણી
ફોરાં અડે મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી

ભીતર કનડે ભીજા રાગો
સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષા એ કરી કમાલ

મને ઝાકળ જેવું તો કંઈક આપો! – વીરુ પુરોહિત

થોડા દિવસો પહેલા શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવતા રસ્તામાં વિમાનમાંથી એવા સરસ રૂ ના ઢગલા જેવા વાદળો જોવા મળ્યા, કે સ્હેજે આ ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી જાય. દરિયો વાદળની કામના કરે કે ના કરે, એ વાદળા જોઇને મને તો થઇ આવ્યું – મને વાદળ તો આપો..! 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

(વાદળ જેવું તો કંઈક આપો…. Utah, June 09)

.

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.

આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઈક આપો.

જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.

માંડવાની જૂઈ – જીતુભાઇ મહેતા

ગુજરાતી સુગમસંગીતના ‘Vintage Era’ નું આ ગીત.. સૌપ્રથમ પારૂલબેનની ફરમાઇશને કારણે મળ્યુ, અને લગભગ અઢી વર્ષથી ટહુકો પર ટહુકે છે..! વાચકો ઘણું બીરદાવ્યું આ ગીત, પણ જેમણે મૂળ ગીત સાંભળ્યું હશે, એમને માટે આટલા વર્ષો પછી મળેલું આ ગીત સોનું તો ખરું, પણ ૨૨ કેરેટનું, ૨૪નું કેરેટનું નહી.

અને મારા જેવા ઘણા જેમણે મૂળગીત પહેલા નો’તુ સાંભળ્યું, એમને પણ આ નવું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એકાદ વાર તો ઇચ્છા થઇ જ હશે એને મૂળ ગાયકોના સ્વરમાં સાંભળવાની..!

તો આજે.. ટહુકો.કોમ proudly presents માંડવાની જૂઇ.. મૂળ ગાયકોના સ્વરમાં… (૧૯૬૨માં મુંબઇના કોઇક સંમેલનમાં થયેલી રજુઆતનું રેકોર્ડિંગ).

મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકીન મહેતા

.

—————————-

Posted on February 21, 2007.

આજની આ પોસ્ટ ધવલભાઇ તરફથી 🙂
કવિ : જીતુભાઇ મહેતા
આ સ્વરાંકનમાં સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

.

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

ગુજરાતી સુગમ સંગીતના દરિયાના મોતી જેવું આ ગીત એક વાચક, પારુલની ફરમાઈશને લીધે સાંભળવામાં આવ્યું. ગીત શોધવામાં થોડી મહેનત કરી અને છેવટે આ ગીત શ્રી મેહુલભાઇ નાયક પાસેથી મળ્યું.
જૂઈના રૂપકથી એમાં એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલા જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં – સુરેન ઠક્કર ‘મેહુલ’

આજે ફરી એક કૃષ્ણગીત… ના.. ખરેખર તો મીરાકાવ્ય..! આ ગીતનું સંગીત શરૂ થાય એના પરથી જ જાણે સ્વરકાર દક્ષેશ ધ્રુવના હસ્તાક્ષર દેખાઇ આવે છે..!

(બાઇ હું તો…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો

બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

આ ગીત આમ તો વર્ષાગીત કરતા વધુ પ્રેમગીત છે.. ગીતની નાયિકાને માણસને બદલે મીઠાની ગાંગડી થવું છે, કે જેથી પિયુજીના પ્રેમના છાંટે એ ઓગળી જાય..

(હું પાટો બંધાવા હાલી રે…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : હેમા દેસાઇ
સંગીત : ઉદય મઝુમદાર

.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….