Category Archives: ગીત

અમારો ગુણિયલ ગુર્જર-દેશ – ન્હાનાલાલ કવિ

આજે ગુજરાતના મહાકવિ શ્રી ન્હાનાલાલની પુણ્યતિથિ. (જાન્યુઆરી ૯, ૧૯૪૬). ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૨૦૧૦માં ૫૦ વર્ષ થશે, એટલે ગુજરાત અને ગુજરાતીઓ આ વર્ષે સ્વર્ણિમ ગુજરાત ઉજવી રહ્યા છે, તો ટહુકો પર પણ આપણે વારેવારે ગુજરાતગીતો વાંચતા – સાંભળતા જ રહીશું.

તો આજે કવિ શ્રી ન્હાનાલાલને શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું ગુર્જરગીત..!

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ.

કૃષ્ણચંદ્રની કૌમુદી ઊજળો, કીધ પ્રભુએય સ્વદેશ…ધન્ય.

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય;
ગ્રીસરોમથીય જૂના કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ,ગિરિનગર,દ્વારિકા;
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભીને કાલસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર…ધન્ય.

સ્થળેસ્થળ નવ પલ્લવના પુંજ,
નદીને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરથાળ
સિન્ધુ જ્યાં દે મોતીના થાળ;
જૂગજૂનાં નિજ ગીત ગર્જતો, ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ:
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંન્દિરે ધ્વજ ને સન્તમહન્ત…………………..ધન્ય.

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વહેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલ-રોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈનગરી જુઓ !
શું પાથર્યો કિનખાબ;
નિત્ય નવ ફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ…………………….ધન્ય.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ;
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના, સુંદરતાનો શું છોડ ?
આર્ય સુન્દરી ! નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ:
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથનાં સજ્યાં તેજશણગાર………………………..ધન્ય.

ખેતરો નાનાં, નાની શી પોળ,
નાતજાતે નાનડિયાં ઘોળ;
ક્ષત્રીજાયાનાં નાનલ રાજ્ય,
ધર્મના નાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે, વર્ણ્યાં પૂર્વે નાનાં પ્રજાનાં તંત્ર,
એહ પુરાતનના પડછાયા આ આમ જીવનજંત્ર:
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારી એક સુગન્ધ, અમૂલ………………………ધન્ય.

દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગતઇતિહાસે અનુપ ઉદાર;
ઈસ્લામી જાત્રાળુનું આ મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલમિન પારસીઓને અહીંયાં તીરથદ્વાર;
પ્રભુ છે એક, ભૂમિ છે એક,
પિતા છે એક, માત છે એક,
આપણે એકની પ્રજા અનેક……………………….ધન્ય.

નથી રમી શમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની માંહ્ય
લીધાં વ્રત જાણે હજીય પળાય;
એક ઈડરના વનકેસરીએ, ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી ચિતોડ કીધ યશછાંવ:
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ…………………….ધન્ય.
સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી સંસ્થાનોની વેલ;
મહાસાગરનાં પૃથ્વી-વિશાળ
સરોવર કીધાં ગુર્જરી-બાળ…………………………ધન્ય.

વનેવન લીલો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જઈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર:
ભારતીએ કંઈ ફૂલ-ફુવારો અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી દિલનાં પરિમલ દીધ !
હિન્દમાતની લાડીલી બાળ !
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !

– ન્હાનાલાલ કવિ

( આ ગુર્જરગીત શોધીને આપણા સુધી Net-ગુર્જરી પર લાવવા માટે જુગલકાકાનો ખૂબ ખૂબ આભાર )

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે..
વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા — અમે નીલ..

અષાઠની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા
સાંજ પડે ધીરીરાત ઢળે ત્યાં સપનાં સાથ ભમંતા — અમે નીલ..

ઉષા અરૂણના કુમકુમ પગલે રંગ સુરંગ રચંતા
કાજળ કેરા કેશ કરી કદી મયુરને નચવંતા.. — અમે નીલ..

વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

– પ્રવીણ બક્ષી

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય..

આજે સાંભળીએ આ મઝાનું લોકગીત… (કોઇ પાસે ગામડાની ઘંટીનો ફોટો હોય તો મોકલશો? અને હા, સાંબેલાનો ફોટો પણ જોઇએ છે… પેલા સાંબેલુવાળા ગીત માટે..  🙂 )

.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય,
લાપસીનો કોળિયો ભરતા જાય.

મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય,
રાંધી રસોઈયું ચાખતાં જાય.

મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય
મારું ઉપરાણું લેતા જાય.

મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય
ઊઠતાં બેસતાં ભાંડતાં જાય.

મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય, ફરતા જાય,
માથામાં ટપલી મારતા જાય.

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ નવ ખાય

– લોકગીત

ગુજરાત તને અભિનંદન -ભાગ્‍યેશ જહા

સૌને ૨૦૧૦ ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. નવુ વર્ષ સૌને માટે (અને આ અમેરિકાની ઇકોનોમી માટે) ખુશીઓ અને સમૃધ્ધિ લાવે એવી પ્રભુપ્રાર્થના… 🙂

અને નવા વર્ષની શરૂઆત કરીએ મેહુલ સુરતીના આ મઝાના ગુજરાતગીત સાથે…!!

સંગીત : મેહુલ સુરતી

સ્વર : પાર્થિવ ગોહિલ

ગુજરાત તને અભિનંદન
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્‍યારા,

તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્‍કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
સરળ-સહજ થઇ સંતાડયું તેં આંસુભીનું ક્રંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

કોમ્‍પ્‍યુટરમાં કૃષ્‍ણ નિહાળે,
ગરબે અંબા રમતી
દેશવિદેશ વેબસાઇટમાં
વિસ્‍તરતી ગુજરાતી / ગુજરાતી વિસ્‍તરતી

સમૂહજીવનમાં સૌની સાથે, વ્‍હેંચે કેવાં સ્‍પંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.’
સ્‍વર્ણિમ સંકલ્‍પો જાગ્‍યા છે,
જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય
બોલે હર ગુજરાતી. દેશ અને દુનિયાને ખૂણે
કરીએ મળીને વંદન

-ભાગ્‍યેશ જહા

ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગઇકાલે ઘણીવાર સુધી એક એવું ગીત શોધતી રહી, જે આજે તમારી સાથે વહેંચી શકું. આજે ૨૦૦૯ નો છેલ્લો દિવસ, હોં ને? આખી દુનિયા જુદી જુદી રીતે ૨૦૦૯નું સરવૈયુ કાઢશે, અને સાથે ૨૦૧૦ને આવકારવાની તૈયારી..!! તો એ રીતે દિવસ થોડો ખાસ તો ખરો ને? પણ ખાસ ગીત જાણે ખોવાઇ ગયું હોય એમ ઘણીવાર શોઘવું પડ્યું.. અને આખરે મળ્યું, ખોવાઇ ગયેલા ગીતનું ગીત..!!

આ પહેલા ગાર્ગી વોરાના સ્વર સાથે માણેલું આ ગીત, આજે પ્રકાશ નાયકના સ્વરાંકનમાં – નીચે કોમેંટમાં કેતનભાઇએ જે ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમની વાત કરી છે, એવા જ એક ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ વખતે રજુ થયેલા ગીતનું લાઇવ રેકોર્ડિંગ.

sunrise

સ્વરાંકન – પ્રકાશ નાયક
સ્વર – રવિન નાયક, પ્રકાશ નાયક અને વૃંદ

.

———-
Posted on October 8th, 2007

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

તારા સ્મરણોને કેમ કરી ખાળું ? – વિવેક મનહર ટેલર

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને ચાર વર્ષ પૂરા થયા..! ચાર વર્ષમાં વિવેકે ઘણું આપ્યું છે આ વેબસાઇટ થકી, અને હા, મને ખાત્રી છે એણે એટલું જ મેળવ્યું પણ છે..!!

તો આજના દિવસની વિવેકને – ‘શબ્દો છે શ્વાસ મારા’ વેબસાઇટને ખૂબ ખૂબ.. ખોબલે ખોબલે, અમિત શુભેચ્છાઓ સાથે.. માણીએ વિવેકનું એક તાજ્જુ.. અપ્રકાશિત (હા જી, એમની વેબસાઇટ પર પણ નહીં મળે આ 🙂 ) ગીત…! અને એ પણ એમના જ કેમેરામાં એમની આંગળીઓએ કેદ કરેલી ક્ષણની સાક્ષીએ…

(આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું?     …   ખાવડા ગામ, કચ્છ, ઓક્ટોબર-2009)

* * * * *

રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?

સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.

વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !

– વિવેક મનહર ટેલર
(૨૫/૨૬-૧૧-૨૦૦૯)

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત, અમરભાઇના સ્વરાંકન અને ઐશ્વર્યા મજુમદારના મઘમીઠા સ્વરમાં..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

Happy Birthday Aunty..!! 🙂

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીત : અમર ભટ્ટ

.

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

શિશુસ્તાન – રૂપાંગ ખાનસાહેબ

૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૯ ના દિવસે – મધુસુદન પારેખ લિખિત નાટક ‘શિશુસ્તાન’ લગભગ ૩૦ વર્ષ પછી, નવા રૂપરંગ સાથે સુરતના ગાંધીસ્મૃતિભવન ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. સાંભળીએ એ બાળનાટકનું શિર્ષકગીત… એ નાટક વિષેનો ગુજરાતમિત્રમાં છપાયેલ લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

સ્વર – સંગીત – શબ્દો : રૂપાંગ ખાનસાહેબ
કોરસ : ધ્વનિ, ઐશ્વર્યા, સુપલ, વ્રતિની
સંગીત વ્યવસ્થા : મેહુલ સુરતી

.

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

ભૂલકાઓનો દેશ અનેરો નહિ કોઇ રહેતા બીજા
જયારે માગો ફ્રીમા મળતા આઈસક્રીમ ને પિત્ઝા

પાસપોર્ટ છે કોમીક્બૂક્સ ને ચોક્લેટની કરન્સી,
મમ્મી પપ્પા ને પણ અવવા લેવા પડતા વીઝા,

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

આંગળી ઝાલી સૂરજ્દાદા સ્કૂલે મૂક્વા આવે,
ચાદામામા જાતે આવી હાલ્રરડા સભળાવે,
સપનામા જ્યા બાળપણ ને ભણતર ના બિવડાવે,
શૈશવની મસ્તીનો અંત સમય પહેલા ના આવે,

ચાલો ચાલો ને તમને બતાવીયે
ચાલો ચલો ને રંગ જમાવીએ
શિશુસ્તાનના નગરોની તમને સહેલ કરાવીએ,

શિશુસ્તાન… શિશુસ્તાન… દેશ અમારો શિશુસ્તાન..!!
શિશુસ્તાન… શિશુસ્તાન… દેશ અમારો શિશુસ્તાન..!!

લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

.

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ

તું મળે ના જ્યાં સુધી -રિષભ મહેતા

આજે જ ગાગરમાં સાગર પરથી રિષભઅંકલનાં જન્મદિવસ અને એમને ભેટરૂપે મળેલા બ્લોગ વિશે ખબર પડી… તો રિષભઅંકલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આપણે પણ એમનાં એક કમ્પોઝિશનને માણીએ… ઊર્મિનાં એ બ્લોગ પરથી સીધી જ એમની એક પોસ્ટ કોપી-પેસ્ટ  કરીને… 🙂  

krishna-radha0.jpg(સાથ શું પૂરતો નથી…?)

સંગીતઃ રિષભ મહેતા
સ્વરઃ રિષભ મહેતા, ગાયત્રી દવે

ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?

ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.

જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.

ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.

ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…

જ્યાં જશું રસ્તો થશે…

ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…

રિષભ મહેતા

કવિશ્રી રિષભ મહેતાનાં બ્લોગની મુલાકાત આપ સૌ અહીં લઈ શકો છો…