મારા દાદીમા શ્રીમદ રાજચંદ્રના અનુયાયી હતા, એટલે એમનો ફોટો અમારા ઘરના મંદિરમાં કાયમ રહ્યો, પણ મને એમના વિષે ઘણુ મોડેથી જાણવા મળ્યું, કારણ કે જ્યાર સુધી દાદી અમારી સાથે હતા, ત્યાર સુધીમાં એવા સવાલો પૂછવા જેટલી સમજ મારામાં નો’તી આવી.
નાનપણથી એમને ફક્ત નામ અને ફોટાથી ઓળખ્યા હતા, પણ એકવાર ચિત્રલેખામાં એમના વિષે લેખ વાંચ્યો, થોડુ ઓનલાઇન વાંચ્યુ, અને એમને સૌથી વધુ ઓળખ્યા : ‘અપૂર્વ અવસર’ નાટક જોયા પછી. Marrow Drive માટે volunteer કરવા અહીંના જૈન દેરાસર ગઇ હતી, અને આ નાટક આવે છે એ જાણ્યુ. પછી હું આ નાટક ના જોઉં એવું બને? ખરેખર, તમે જૈન હો કે ના હો, પણ એકવાર આ નાટક જોવા જેવું છે. આપણા રાષ્ટ્રપિતાના ગુરુ (હા, શ્રીમદ ને ગાંધીજી ગુરુ માનતા..) ને એકવાર ઓળખવા જેવા છે.
અને એ નાટકમાં જ્યારથી મેં આ સ્તુતિ સાંભળી, ત્યારથી વિચારતી હતી કે ક્યાંથી મેળવું? પણ અનાયાસ મુંબઇમાં શ્રી સુરેશ જોષીને મળવાનું થયું, અને એમણે કહ્યું કે જો મેં ‘અપૂર્વ અવસર’ અને ‘મૃત્યુંજય’ નાટક વિષે સાંભળ્યું હોય તો એમાં એમનું સંગીત છે. મને તો જાણે ઘર બેઠા ગંગા મળી…!!
સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : સુરેશ જોષી
.
બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.
સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી. પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.
તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)
તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!
———————–
કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!
આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….
પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?
Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!
કવિતા એ કવિના જીવનની કોઈ ઘટના, કોઈ દૃશ્ય, કોઈ ચિંતનના પરિપાકરૂપે સરજાતી લાગણી હોઈ શકે. કવિએ કયું દૃશ્ય કે ઘટના જોઈ, કે કયું ચિંતન કર્યું એની અન્દર આપણે ઝાંખી કરીએ તો આપણને કવિતાને ભેટવાનું મન થાય, નહીં તો કેમ છો, સારું છે કહી આપણે કવિતાને જાકારો દઈ બેસીએ. આપણે કવિતાને ભેટવું છે, એને પામવી છે.
જીવનની સન્ધ્યાટાણે પત્નિ સાથે તીરથે નીકળેલા કવિ, જમુના નદીકિનારે સૂર્યાસ્ત હમણાં જ થયો છે એવે સમયે એક દૃશ્ય જુએ છે. સન્ધ્યાનો સમય છે, ફેણ ચઢાવી નાગ ડરાવે એમ દૂરદૂરનાં અન્ધારાં જાણે હમણાં જ આ પૃથ્વીને અન્ધારાથી ઘેરી વળશે એવું લાગે છે. એવામાં મન્દિરમાં ઘંટનાદ સાથે સન્ધ્યા આરતી શરૂ થાય છે. ભાવુક બહેનો જમુનાનાં શાન્ત જળમાં પાંદડાના પડિયામાં દીવા મૂકી તરતા મૂકે છે. અને ચારેકોર આછું અજવાળું પ્રસરે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા કવિ પણ આ બધું જોતાં જોતાં પોતાના ભવિષ્યનું ચિંતન કરતા હોય છે ત્યાં એમની નજર એમની પત્નિ પર પડે છે. કવિપત્નિ પોતાના હાથમાં એક દીવડો લઈને આવે છે, પોતાના ભરથારને એ દીવાની આરતી આપે છે, એક મીઠું હસે છે અને દીવાને જમુનાજળમાં વહેતો મૂકે છે. ચિંતિત કવિને જાણે એ દીવા અને પત્નિના જીવનદીપમાંથી એક શક્તિનો સંચાર થયો હોય એમ ચિંતા ખંખેરી સ્ફૂર્તિથી ઊભા થઈ જાય છે…અને સ્ફૂરે છે આ કાવ્ય!! હવે વાંચીએ કાવ્યના શબ્દો..
સ્ત્રીને આપણી સંસ્કૃતિએ નારી તું નારાયણી કહી છે. સ્ત્રીમાં નારાયણી શક્તિ છે અને એટલે જ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તિ તત્ર દેવાઃ સ્ત્રી શું ભોગ માટે છે, કે પછી ઉપયુક્તતા કે companyના sales અને advertizing માટે છે? ના, સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પૂજનીય છે. એ ભોગ્ય કે ત્યાક્ત્ય નહીં , પણ પૂજ્ય છે. જેને market value છે એવી modelને bodyguardની જરૂર પડે, મન્દિરની દેવીને રક્ષણની જરૂર નથી એમ સ્ત્રીને રક્ષણની જરૂર નથી, એ મુક્ત છે. “શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા” એવી સ્વતન્ત્ર છે. સ્ત્રી એ એક “કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે” એવો દીવડો છે. સ્ત્રીની અન્દર “તેજુના ભર્યા રે ભંડાર” એવું તેજ છે, કે જેનાથી તો “છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે” એવાં સઘળાં અન્ધારાંનો નાશ થાય છે. સ્ત્રીમાં “કંચન કાયા ઘડેલા” જેવો કાંચનગુણ છે. સોનાની જેમ જ સ્ત્રી શુદ્ધ, તેજસ્વી અને અમૂલ્ય છે. આવી સ્ત્રી ફક્ત અવની નહીં પરન્તુ અમ્બર પણ અજવાળે છે, એની એક અમીદૃષ્ટિ માણસના અન્તરને અજવાળે છે. અને એટલે જ ભગવાનને પામવા માટે પુરૂષ કરતાં સ્ત્રી વધારે એનાથી નજીક છે- “તરતા તરંગે કરતાં દેવના દરશનિયા”!!
અને ધન્ય છે એ જીવ જેણે પોતાની પત્નિને આ ભાવ અને દૃષ્ટિકોણથી જોઈ છે. કવિની પણ આ જ feelings હોઈ શકે, જ્યારે જ્યારે પોતે મૂંઝવણમાં હતા ત્યારે ત્યારે જીવનભર પત્નિના પ્રેમમાંથી જેને માર્ગ મળ્યો છે, જેને ધ્યેય મળ્યું છે, જેને જીવનની એકએક વસ્તુ અને ઘટનાઓનો અર્થ મળ્યો છે એ કવિને પત્નિના જીવનદીપમાં આ કાવ્યની સ્ફૂરણા મળે છે.
દીવાળીમાં આપણે દીવા તો પ્રગટાવ્યા જ, સાથે સાથે ઘરમાં તેજથી ભરેલ, સોહામણો, ટમકંતો, મલકંતો, લાડકડો, હીરલા શા હાર જેવો જે જીવનદીપ છે, જે ઘરની લક્ષ્મી છે એનું પણ પૂજન કરીએ, એના પ્રત્યે મેં કેટલો ભાવ વધાર્યો એવો ચોપડાનો હિસાબ કરીએ એ આપણી દીવાળી!
આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!
સ્વર : રમેશ પારેખ
————————————————
Posted on July 4th, 2007
ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )