Category Archives: સુરેશ દલાલ

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? – સુરેશ દલાલ

સ્વર – કૃષાનુ મજમુદાર

સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ..

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..

-સુરેશ દલાલ

મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ

આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!

અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!

ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

ક્ષણોને તોડતો, બુકાની છોડતો
હ્રદયને જોડતો ગઝલ-ઘાયલ કવિ
કેટલા લય નવા, કેટલી કલ્પના :
કલમની મશાલને તેં નથી ઓલવી.

તું મનોજ : કામદેવ :
ગઝલને સો વરસ થઈ ગયાં તે છતાં
મનોજના હાથમાં રેશમી દોર છે
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

– સુરેશ દલાલ

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ પ્રેમ કાવ્ય ભેટ..!  🙂

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

–  સુરેશ દલાલ

( આભાર – લયસ્તરો)

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… – સુરેશ દલાલ

આજે (April 22) આખી દુનિયાભરમાં ૪૦મો ‘ધરતી દિવસ’ – Earth Day – ઉજવાઇ રહ્યો છે.. ત્યારે આજનું આ કુદરતને અર્પણ.. જાણે હું કુદરતને કહેતી હોઉં કે – હું મારું (એટલે આમ તો સુરેશ દલાલનું 🙂 ) એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે..!!!

સ્વર : વૃંદગાન
સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : હસ્તાક્ષર – સુરેશ દલાલ

Celebrating the 40th Anniversary of Earth Day on 22nd April, 2010

.

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,

હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

અમે તો ગીત ગુલાબી ગાશું! – સુરેશ દલાલ

(મારા ભત્રીજાઓ.. ….આલાપ અને ઈશાન)

* * * * *

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!

ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!

સ્વર – માલિની પંડિત નાયક
સંગીત – ક્ષેમુ દિવેટીઆ

.

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

—————————-

આભાર : એ મિત્રનો, જેમણે આ સૂર-સંગીતના રંગો અહીં ટહુકો પર રેલાવવામાં મદદ કરી.. પોતાને ગમતા ગીતોનો ગુલાલ કરીને…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

દેશમાં તો ગઇકાલે ધૂળેટી ગઇ.. પણ અમેરિકા અને બીજી ગઇ જગ્યાએ ઘણા વખત સુધી હોળીના રંગો ઊડશે.. (અહીં બધું સગવડ પ્રમાણે.. હોળી હોય કે દિવાળી – Weekend વગર એ ના આવે.. 🙂 )

તો આજે ફરી એક હોળીના ઘેરૈયોઓનું મજેદાર બાળગીત.. સાથે સાથે તમને પણ ગાવાનું મન થઇ જાય એવું..!

સ્વર : ભદ્રાયુ ધોળકિયા, કસ્તુરી ધોળકિયા
કોરસ : માધવ ધોળકિયા, રોહન ત્રિવેદી, હરીતા દવે
સંગીત : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ
કવિ : સુરેશ દલાલ

.

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ

મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

.

સ્વર – સુરેશ વાઘેલા

.

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

.

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ