Category Archives: ગાયકો

આમ અચાનક જાવું નો’તું – દેવજીભાઈ મોઢા

સ્વર : આરતી – સૌમિલ મુન્શી
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
(આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી)

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
(ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા)

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
(દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

———————–

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!

આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….

પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?

Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા – ભાસ્કર ભટ્ટ

સંગીત : ડો. ભરત પટેલ
સ્વર : પ્રીતિ ગજ્જર

.

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…

સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.
મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.
ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા – જયંતી જોષી

સ્વર : સુમન કલ્યાણપુર
સંગીત : જયંતી જોષી

diya.jpg

.

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા,
તેજુના ભર્યા રે ભંડાર
ટમકંતા મલકંતા સોહે રે સોહામણા,
જાણે વરણાગી વણઝાર!

કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે,
છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે.
અજવાળી અવનીને અજવાળે અમ્બરને,
અજવાળે અન્તર પગથાર.
…કંચન કાયા ઘડેલા.

જમુનાના જળના એ ઝૂલતા ઝૂલણિયા,
તરતા તરંગે કરતા દેવના દરશનિયા.
શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા,
ઝબકંતા હીરલા શા હાર.
…કંચન કાયા ઘડેલા.

——————————–

કવિતા એ કવિના જીવનની કોઈ ઘટના, કોઈ દૃશ્ય, કોઈ ચિંતનના પરિપાકરૂપે સરજાતી લાગણી હોઈ શકે. કવિએ કયું દૃશ્ય કે ઘટના જોઈ, કે કયું ચિંતન કર્યું એની અન્દર આપણે ઝાંખી કરીએ તો આપણને કવિતાને ભેટવાનું મન થાય, નહીં તો કેમ છો, સારું છે કહી આપણે કવિતાને જાકારો દઈ બેસીએ. આપણે કવિતાને ભેટવું છે, એને પામવી છે.

જીવનની સન્ધ્યાટાણે પત્નિ સાથે તીરથે નીકળેલા કવિ, જમુના નદીકિનારે સૂર્યાસ્ત હમણાં જ થયો છે એવે સમયે એક દૃશ્ય જુએ છે. સન્ધ્યાનો સમય છે, ફેણ ચઢાવી નાગ ડરાવે એમ દૂરદૂરનાં અન્ધારાં જાણે હમણાં જ આ પૃથ્વીને અન્ધારાથી ઘેરી વળશે એવું લાગે છે. એવામાં મન્દિરમાં ઘંટનાદ સાથે સન્ધ્યા આરતી શરૂ થાય છે. ભાવુક બહેનો જમુનાનાં શાન્ત જળમાં પાંદડાના પડિયામાં દીવા મૂકી તરતા મૂકે છે. અને ચારેકોર આછું અજવાળું પ્રસરે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા કવિ પણ આ બધું જોતાં જોતાં પોતાના ભવિષ્યનું ચિંતન કરતા હોય છે ત્યાં એમની નજર એમની પત્નિ પર પડે છે. કવિપત્નિ પોતાના હાથમાં એક દીવડો લઈને આવે છે, પોતાના ભરથારને એ દીવાની આરતી આપે છે, એક મીઠું હસે છે અને દીવાને જમુનાજળમાં વહેતો મૂકે છે. ચિંતિત કવિને જાણે એ દીવા અને પત્નિના જીવનદીપમાંથી એક શક્તિનો સંચાર થયો હોય એમ ચિંતા ખંખેરી સ્ફૂર્તિથી ઊભા થઈ જાય છે…અને સ્ફૂરે છે આ કાવ્ય!! હવે વાંચીએ કાવ્યના શબ્દો..

સ્ત્રીને આપણી સંસ્કૃતિએ નારી તું નારાયણી કહી છે. સ્ત્રીમાં નારાયણી શક્તિ છે અને એટલે જ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તિ તત્ર દેવાઃ સ્ત્રી શું ભોગ માટે છે, કે પછી ઉપયુક્તતા કે companyના sales અને advertizing માટે છે? ના, સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પૂજનીય છે. એ ભોગ્ય કે ત્યાક્ત્ય નહીં , પણ પૂજ્ય છે. જેને market value છે એવી modelને bodyguardની જરૂર પડે, મન્દિરની દેવીને રક્ષણની જરૂર નથી એમ સ્ત્રીને રક્ષણની જરૂર નથી, એ મુક્ત છે. “શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા” એવી સ્વતન્ત્ર છે. સ્ત્રી એ એક “કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે” એવો દીવડો છે. સ્ત્રીની અન્દર “તેજુના ભર્યા રે ભંડાર” એવું તેજ છે, કે જેનાથી તો “છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે” એવાં સઘળાં અન્ધારાંનો નાશ થાય છે. સ્ત્રીમાં “કંચન કાયા ઘડેલા” જેવો કાંચનગુણ છે. સોનાની જેમ જ સ્ત્રી શુદ્ધ, તેજસ્વી અને અમૂલ્ય છે. આવી સ્ત્રી ફક્ત અવની નહીં પરન્તુ અમ્બર પણ અજવાળે છે, એની એક અમીદૃષ્ટિ માણસના અન્તરને અજવાળે છે. અને એટલે જ ભગવાનને પામવા માટે પુરૂષ કરતાં સ્ત્રી વધારે એનાથી નજીક છે- “તરતા તરંગે કરતાં દેવના દરશનિયા”!!

અને ધન્ય છે એ જીવ જેણે પોતાની પત્નિને આ ભાવ અને દૃષ્ટિકોણથી જોઈ છે. કવિની પણ આ જ feelings હોઈ શકે, જ્યારે જ્યારે પોતે મૂંઝવણમાં હતા ત્યારે ત્યારે જીવનભર પત્નિના પ્રેમમાંથી જેને માર્ગ મળ્યો છે, જેને ધ્યેય મળ્યું છે, જેને જીવનની એકએક વસ્તુ અને ઘટનાઓનો અર્થ મળ્યો છે એ કવિને પત્નિના જીવનદીપમાં આ કાવ્યની સ્ફૂરણા મળે છે.

દીવાળીમાં આપણે દીવા તો પ્રગટાવ્યા જ, સાથે સાથે ઘરમાં તેજથી ભરેલ, સોહામણો, ટમકંતો, મલકંતો, લાડકડો, હીરલા શા હાર જેવો જે જીવનદીપ છે, જે ઘરની લક્ષ્મી છે એનું પણ પૂજન કરીએ, એના પ્રત્યે મેં કેટલો ભાવ વધાર્યો એવો ચોપડાનો હિસાબ કરીએ એ આપણી દીવાળી!

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!

સ્વર : રમેશ પારેખ

————————————————

Posted on July 4th, 2007

ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )

સંગીત : ક્ષેમુ દિવેટીઆ

સ્વર : નાદબ્રહ્મવૃંદ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

યાદોનો દરિયો – અનિલ ધોળકિયા

વ્હાલા મિત્રો,
સૌ પ્રથમ તો બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ..!!
‘દિવાળી – મારો મનપસંદ તહેવાર’ આ વિષય પર નિબંધો તો ઘણા તમે પણ લખ્યા હશે, દેશની દિવાળીની મઝાઓ પણ ભરપૂર લીધી હશે… પણ જો મારી જેમ આમ દિવાળીની સમયે ઘર – દેશથી દૂર હશો, તો એ ફટાકડા, રંગોળી, મઠિયા અને મિઠાઇઓ… મિત્રો.. કેટકેટલું યાદ આવતું હશે, બરાબરને..??

ઘણી કોશિશ કરી, પણ દિવાળીના દિવસો માટે લખાયેલું કોઇ ગુજરાતી ગીત મળતું નથી. ( તમાર ધ્યાનમાં હોય તો કહેજો..!! )

પણ આજે એક એવું ગીત લઇને આવી છું, જેને આડકરતી રીતે પણ દિવાળી સાથે સંબંધ છે, કારણ કે આ ગીત જેના માટે લખાયેલું ( ડૉ. પ્રગ્નેશ ધોળકિયા ), એમનો આજે જન્મદિવસ છે.

પ્રથમ નજરે પ્રેમીઓ માટે લખાયેલું લાગતું આ ગીત ખરેખર તો એક ભાઇએ પોતાના નાનાભાઇ માટે લખ્યું છે. બચપણ સાથે વીતાવનાર બે ભાઇઓ છૂટા પડ્યા, અને નાનો ભાઇ જ્યારે વિદેશ ગયો, ત્યારે એને ખૂબ જ યાદ કરતા મોટાભાઇની કલમેથી આ શબ્દો ફૂટ્યા ‘ તું આવ જવાની ભૂલીને, ને સમયના બંધન તોડીને.. તો બચપણને પગલે પગલે.. આપણ બે ઘુમી વળીયે..!’

Happy Birthday, Dr. Pragnesh.!!
સાથે સૌને નવ વર્ષની શુભકામનાઓ… 🙂

સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સંગીત : અનિલ ધોળકિયા

73719016_3ccf9fbe21

.

યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું.. ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..

ઇંતઝારની કેવી ક્ષણ છે..
પળ પળ જાણે મોટો મણ છે.

જો તું આવે બંધ નયનના
દ્વારમાં થઇને મારા મનમાં

તો એકબીજાના દિલની ધડકનનો પડધો
મૌન બનીને સાંભળીયે

યાદોનો આ કેવો દરિયો… દરિયો….

શ્વાસની અજંપ ચકલી
ઘડીકમાં હિંચકાને સળિયે
ઘડીક બેસે નળિયે

તું આવ જવાની ભુલીને
ને સમયના બંધન તોડીને

તો બચપણને પગલે પગલે
આપણ બે ઘુમી વળીયે

યાદોનો આ કેવો દરિયો… દરિયો…
મોજા પર મોજું, મોજા પર મોજું..
મોજું..ઉપર લાવે… પળમાં ડુબું તળિયે…..

યાદોનો આ કેવો દરિયો… દરિયો…

મારા ભોળા દિલનો… – રમેશ ગુપ્તા

સ્વર : મુકેશ
સંગીત :  રમેશ ગુપ્તા


.

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા

સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સુરીલા કંઠે આ ગીત ખરેખર સાંભળવા જેવું છે. એકદમ સરળ શબ્દો.. ‘તમોને પ્રેમ કરું છું હું’ આ શબ્દો સાંભળવા કોને નથી ગમતા? અને એકવાર સાંભળવાથી પણ કોને ધરપત થઇ છે? દરેક પ્રેમીને આ શબ્દો વારંવાર સાંભળવા, અને વારંવાર કહેવા ગમે છે, અને આ ગીતમાં પણ એ જ ભાવના તો વ્યક્ત થઇ છે. અને આ ભાવના શબ્દોથી પર છે, એ વાત પણ કવિ કહી જ દે છે ને – મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ… ધડકન ધડકતી કહે, વારંવાર…
સ્વર : પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
swans1.jpg

.

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

આજે 31 ઓક્ટોબર, આપણા વ્હાલા અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર પટેલનો જન્મદિવસ. એમના જન્મદિવસે ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત..!!

હું છેલ્લા 4 કલાકથી આ એક જ ગીત સાંભળું છું.. અને મને ખાત્રી છે કે ગુજરાતમાં વસતા કે દુનિયાને ખૂણે ખૂણે પહોંચેલા અને ગુજરાતને હ્ર્દયમાં વસાવીને રહેતા દરેક ગુજરાતીને આ ગીત વારંવાર સાંભળવું ચોક્કસ ગમશે.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960

vibrant_gujarat.jpg

.

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મને દરિયો દેખાય તારી આંખમાં – પ્રફુલા વોરા

આ ગીત મારા માટે ખૂબ જ Special છે. શબ્દો.. ગાયકી.. સંગીત… અને સાથે દરિયો એટલો વ્હાલો છે કે આ ગીત પણ વ્હાલું થઇ ગયું.

અને બીજી એક વાત, આ ગીત હું છેલ્લા ૧૦ વર્ષથી શોધતી હતી. ‘તારી આંખનો અફીણી – ગુજરાતી Remix’ એવા આલ્બમમાં આ ગીત સાંભળ્યું હતું, ત્યારથી હ્ર્દયે વસી ગયેલું. પણ એ કેસેટ તુટી ગયા પછી એની બીજી કોપી મને આટલા વર્ષો સુધી ના મળી. તો યે એનું ખાલી કવર સાચવી રાખ્યું હતું, જે મને હમણા ઘરે ગઇ હતી ત્યારે અચાનક મળ્યું.. અને એના પર સંગીતકાર – ગાયકોના જે નામ હતા, એમાંથી એક જાણીતું નામ – ગાર્ગી વોરા. એટલે સૌથી પહેલા તો અચલભાઇ પાસેથી એમનો નંબર મેળવ્યો, અને ગાર્ગીબેન પાસેથી સંગીતકાર – ડો. ભરતભાઇ પટેલનો.

એમને રાજકોટ ફોન કરીને કહ્યું કે હું વાપીથી બોલું છું, અને તમારું એક ગીત ૧૦ વર્ષથી શોધું છું, તો એમણે મારું સરનામું લઇને તરત જ મને એમના બધા જ ગીતોની CD મોકલી આપી.

જ્યારે CD મને મળી અને આ ગીત સાંભળ્યું, ત્યારે શું ખુશી થઇ… એના પર તો કદાચ એકાદ કવિતા જ લખી શકાય..!! 🙂

સંગીત – ડો. ભરત પટેલ
સ્વર – પ્રીતિ ગજ્જર

462492485_ea413e6d51

.

દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઇ…

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું

માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં

દરિયાને જોઇ…

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી

વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

દરિયાને જોઇ હું તો…

તને નજરું લાગી છે મારા નામની ! – વંચિત કુકમાવાલા

હરીન્દ્ર દવેનું પેલું ગીત યાદ છે ? ‘સોળ સજી શણગાર, ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરું લાગી..‘ ( થોડા દિવસોમાં આ ગીત સંગીત સાથે પાછું મુકીશ, મજા આવી જાય એવું ગીત છે.. 🙂 )
એ ગીતના જવાબ જેવું આ ગીત પણ સાંભળવા જેવું છે.. કવિની કલ્પનાઓ અમુક વાર ખરેખર દાદ માંગી લે એવી હોય છે. હવે આ જ ગીતમાં, કવિ પ્રિયતમાને કહે છે કે – વાસીદું કરશે તો છાણવાળા હાથ હવે મહેંદી રંગેલ તને લાગશે…!! જેટલીવાર ગીત સાંભળો એટલીવાર એક મુસ્કાન લઇ આવે એવી છે આ કડી..!!

અને હા.. આ ગીત લીધું છે આલ્બમ ‘યાદોનો દરિયો’માંથી. ટહુકો અને આપણા બધા તરફથી શ્રી અનિલભાઇનો ખૂબ ખૂબ આભાર આ આલ્બમ માટે.
સંગીત : અનિલ ધોળકિયા
સ્વર : અનિલ ધોળકિયા , સોનલ રાવલ

rajasthani_belle_PI59

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું

ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !

વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે

વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !