Category Archives: કવિઓ

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…

ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

———-

લયસ્તરો પર વિવેકે જણાવ્યું હતું એ મુજબ – ૨૦૦૬ના દિવ્યભાસ્કરમાં કવિ શ્રી સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. ઇન્ટરનેટ પર ૨ કલાક શોધવા છતાં મને એ ન મળ્યો, તો મને થયું કે તમને જ પૂછું. કોઇને એ આસ્વાદ મળે તો અમારી સાથે વહેંચશો?

ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

ઊર્મિના શબ્દોમાં આ ગીત વિષે:-
મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત અને હવે સ્વર્ણિમ ગુજરાત ! આપણા વ્હાલા ગુજરાતમાં (અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓની વચ્ચે પણ) આખું વર્ષ ‘સ્વર્ણિમ ગુજરાત’ નો આ ઉત્સવ ઉજવાશે. બે વર્ષે પહેલા (1 May 2008) ટહુકો પર મુકેલું શ્રી ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે ગીત મૂક્યું હતું. આ વર્ષે એ જ ગીત આપણે ફરી માણીએ, પરંતુ સંગીતબદ્ધ અને શ્રી પ્રફુલ દવેનાં કર્ણપ્રિય અવાજમાં… એક વાર ગાઈને કેમ કરી ભૂલવું ? એ તો વારંવાર સાંભળવું ગમે એવું સ-રસ ગુર્જર-ગીત !
જય ભારત…જય ગુજરાત…!

સંગીત : ?
સ્વર : પ્રફુલ દવે

.

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

– ઉમાશંકર જોશી

કોરી, કુંવારી સોગાદ – હેમંત પુણેકર

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત – સુરેશ દલાલની કલમે લખાયેલ ‘હયાતીના હસ્તાક્ષર’માંથી સાભાર….

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો. કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ?

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો

સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો

આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!

એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો

એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

-હેમંત પુણેકર

‘કવિતા’ના તંત્રી હોવાને કારણે સૌથી મોટો ફાયદો એ કે નવા નવા કવિઓની કૃતિઓનાં પરિચયમાં આવવા મળે. એવા કેટલાયે કવિઓ છે કે જેમને હું કદીએ મળ્યો નથી અને છતાંયે હું કદીયે એમનાથી છૂટો પડ્યો નથી.

યુવાન કવિ હેમંત પુણેકર વિશે માત્ર એટલી જ ખબર છે કે પૂનામાં રહે છે અને એમને મળવાનો યોગ હજી સુધી થયો નથી. કવિતાને મળીએ એ જ મોટું સદભાગ્ય છે.

કવિતામાં હમણાં હમણાં ગઝલયુગ ચાલે છે. ગાંધીયુગની કવિતામાં સોનેટયુગ ચાલતો. સાહિત્યમાં પણ આ વર્તન, પરિવર્તન- આવું બધું થયા કરતું હોય છે. આઘાત અને પ્રત્યાઘાતની પણ મોસમ આવતી હોય છે.

ગઝલકારો તો ચિક્કાર છે, પણ ઉત્તમ ગઝલો વિરલ હોય છે. ગઝલનું સ્વરૂપ લપસણા ઢાળ જેવું હોય છે. એમાં કલમને સ્થિર રાખવી એ અશક્ય નહીં પણ મુશ્કેલ કાર્ય હોય છે.

હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.

માણસની ઝંખના બહુ નથી હોતી. શાયર કહે છે કે મેં ક્યાં બાગ કે ફૂલછાબ માગી છે. મેં તો માગ્યું છે એક ફૂલ અને એ ફૂલોમાં પણ મારી પસંદગી કઈ છે એ તમને કહી છે. મને ફૂલછાબ નહીં પણ ગુલાબ જોઈએ છીએ. સુંદરમના બે ગીતના ઉપાડ યાદ આવે છે.

એક ગીતનો ઉપાડ છે: મને ફાગણનું એક ફૂલ આપો કે લાલા મોરા કેસૂડો કામગણગારો જી લોલ. તો બીજા ગીતનો અંતરો છે: એક પાંદડી આપો આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપોને મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. કાળી રાતમાં જેમ ચંદ્ર હોય એમ બંધ આંખમાં કોઈ સ્વપ્ન હોય. સ્વપ્નની સંખ્યામાં તો ગણતરી થઈ શકે એમ નથી પણ ક્યારેક કોરો નહીં પણ આંસુભીનો હિસાબ તો આપો.

આપણે એકમેકને આંખથી પ્રશ્ન પૂછીએ છીએ તો હોઠથી જવાબ તો આપો. કવિને રદીફ કાફિયા સહજ મળે છે. પ્રાસ અનાયાસ આવતા જાય છે. એને માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ શબ્દનો સહજ પ્રવાસ થતો હોય એવું લાગ્યા કરે છે.

કાવ્યનાયક કહે છે કે હું કશું છુપાવતો નથી. મારા મનમાં જે કંઈ હોય છે તે અને મને જે કંઈ લાગે છે તે હું વિના સંકોચે પૂછી લઉ છું. તો મારામાં જે સહજતા છે એ સહજતાથી, એ સરળતાથી કોઈ પણ ભેદ રાખ્યા વિના કે ભેદી થયા વિના મને આપોઆપ જવાબ તો આપો.

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો.

કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ? એટલે બહેતર છે કે જીવન આપણું હોય અને એને આપણે કોરી કિતાબ સોંપી દઈએ.

પ્રિય વ્યક્તિને આવી કોરી અને કુંવારી સોગાદથી વિશેષ માણસ આપી પણ શું શકે? આ શાયરની એક બીજી ગઝલ જોઈએ:

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પુણેકર

ઊગી જાય જંગલો – મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇની પૂણ્યતિથિને દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ…

(વ્હેલી સવારે……જંગલો.. – Muir Woods, California.. May 1, 2010)

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો થાય, અહીં કોઇ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

– મણિલાલ દેસાઇ

(આભાર – ઊર્મિસાગર.કોમ)

ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ

તમને કદાચ નવાઇ લાગશે કે ગીતા રોય દત્તના અવાજમાં ગવાયેલું આ અવિનાશ વ્યાસનું ખૂબ જ પ્રચલિત ગીત હમણા સુધી ટહુકો પર કેમ ન આવ્યું? Well.. મને પણ એ વાતની નવાઇ લાગી આજે કે ચાર વર્ષમાં આ ગીત કેમ ન મુક્યું? 🙂 કદાચ આ સ્પેશિયલ દિવસની રાહ જોતી હતી..!!

તો આજે આ નણંદ તરફથી, આજ ના ખાસ દિવસે.. વ્હાલા પારુલભાભીને સપ્રેમ ભેટ..! Happy Anniversary Bhaiji-Bhabhijaan.. 🙂

સ્વર : ગીતા રોય દત્ત
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)

.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાળી લલનાઓ જાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી

કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.


આ ‘ગુણસુંદરી’ ફિલ્મ તો મેં નથી જોઇ, પણ આ ગીત વર્ષોથી સાંભળતી આવી છું. અને વારંવાર આ પ્રશ્ન થયો છે – આ ગુજરાતી ફિલ્મમાં ‘થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ આવે છે? ‘થોડુ ગુજરાતી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ નથી આવતું? પણ હજુ સુધી ફિલ્મ નથી જોઇ એટલે આ વાતનો ખુલાસો હજુ નથી મળ્યો.. 🙂

નવું નવું ગુજરાત – કૃષ્ણ દવે

આજે માણીએ કવિ શ્રી કૃષ્ણ દવેની કલમે લખાયેલ આ સ્વર્ણિમ ગુજરાત સ્પેશિયલ ગીત…

નવી સવારે નવું કિરણ લઇ આવ્યુ નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત
નવા જ સંકલ્પોને લઇને પ્રગટ્યું નવું પ્રભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી જ માટી, મૂળ નવા ને મ્હેક નવી પણ માંગે
અંદર લીલ્લુછમ સૂતેલુ હોય બધુ એ જાગે
જેમ સમયને આદર દઇને વૃક્ષ પર્ણને ત્યારે
એમ જુના જે હોય વીચારો પોતે ખરવા લાગે

હરીયાળી પાથરતા ફરતા વહે નર્મદા માત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
જે મારગ પર ડર લાગે છે સૌ ને જાતા જાતા
એ મારગ નીકળી પડવાનુ ગીતો ગાતા ગાતા

નવી દિશામાં નવા જ સાહસ માટે જગવિખ્યાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવો સમય છે નવું જોશ લઇ મળવા સૌને આવે
અંધારાના ઘરઘરમાં જઇને દીપક પ્રગટાવે
નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે
તેજ તરસતી એ આંખોમાં સૂરજ આંજી લાવે

નવ આકાશે નવું જ ચમકી નવી જ પાડે ભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

અમારૂ મનગમતુ ગુજરાત, અમારૂ થનગનતું ગુજરાત.
અમારૂ ઝળહળતુ ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

– કૃષ્ણ દવે

જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા

આજે ૫૦મો ગુજરાતદિન… ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા… ૨૦૧૦ની શરૂઆતથી જ આમ તો ગુજરાતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની તૈયારીઓ થઇ ગઇ હતી, અને જે હજુએ કેટલાય દિવસો સુધી ચાલશે..!! વ્હાલા ગુજરાતને વંદનપૂર્વક સાંભળીએ મેહુલ સુરતીના સ્વરકાંનમાં પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાના અવાજમાં ભાગ્યેશ જહાની આ નવ્વીનક્કોર રચના – ખાસ આજના દિવસમાટેની રચના..!!

અને હા, વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!!

સ્વર – પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા
સ્વર વૃંદ – નુત્તન સુરતી, અમન, રુપંગ, આશીશ શાહ, શ્રધા શાહ, જીગીશા પટેલ, ખુશબૂ રોટીવાલા, રુપલ પટેલ, ભાવીન શાસત્રી
સંગીત – મેહુલ સુરતી

.

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ
વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ

ઉત્તરદિશિ અમ્બાદેવ્યાઃ આશિર્વાદૈઃ અલંક્રૂતમ્
મધ્યે મહાકાલિકાસ્થાનં રક્ષાહેતું પ્રતિષ્ઠિતમ્

ક્રુષ્ણસ્ય દ્વારિકાપીઠં અશેષ વિશ્રે વિખ્યાતમ્
કલ્યાણકરત્નાકરતીરે સોમનાથઃ સંપૂજિતમ્

અવતુ અવતુ અવતુ ગુજરાત અવતુ

ગાંધીગિરા હ્રદયેધ્રૂત્વા ગુજરાતીત્વં સંભૂતમ્
સરદારસ્ય દ્ર્ઢસંકલ્પમ શ્રેત્રે શ્રેત્રે સમર્થિતમ્

પંચશક્તિ સંકલ્પિતશાસન દેશ વિદેશે પ્રશંસિતમ્
વિકાસયાત્રા ગ્રામે ગ્રામે નગરે નગરે શોભિતમ્

ભવતુ ભવતુ ભવતુ કલ્યાણં ભવતુ
જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

– ભાગ્યેશ જહા

કવિતા – મીનાક્ષી પંડિત

સ્કૂલમાંથી મારાં દીકરા-દીકરી આવીને
જે રીતે પોતાનાં દફ્તરો ફંગોળે છે
એ જોઇને હું દંગ રહી જાઉં છું.

દફ્તરોનો બોજ લાદતાં, ઘરે આવી
લુશલુશ નાસ્તો કરી બેસી જાય છે
હોમવર્ક કરવા માટે.

હું પરાણે એમને બહાર રમવા જવાનું
કહું છું તો તેઓ મારા પર વરસી પડે છે :
‘અમારું લેસન પૂરું કરી લેવા દો,
નહીં તો અમને અમારી સિરિયલ જોવા નહીં મળે.

આજે તો હું રૂરૂશ્ જોવાનો છું.
ના, મારે તો કાટૂર્ન નેટવર્ક જોવું છે.’

બંને બાળકો પોતપોતાની મનપસંદ
ટીવી સિરિયલો જોવાની લમણાંઝીકમાં પડી જાય છે:

હું એમને બહાર જઇ આંધળોપાટો, પકડદાવ,
કબ્બડી, ગિલ્લીદંડો કે દોરડા કૂદવા કહું છું તો
એમના ચહેરા પર મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છે

મમ્મી આ બધું શું બકી રહી છે ?
આવી તો કોઇ રમત રમાતી હશે ?

ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોના
મનનો કબજો કર્યો છે.

લાગે છે આપણે આપણી જૂની રમતોનું
એક પુસ્તક છપાવવું પડશે અથવા
એની સીડી તૈયાર કરાવવી પડશે !

બાળકો કદાચ કોમ્પ્યૂટર સામે બેસી
રમતો શીખી તો શકે !!!

—મીનાક્ષી પંડિત

દિવ્યભાસ્કરમાં કવિ સુરેશ દલાલે કરાવેલો આ કવિતાનો આસ્વાદ :

હવેની પેઢીને જોઇને ક્યારેક એમ લાગે છે કે માત્ર બે-પાંચ વર્ષમાં જ જમાનો બદલાતો રહે છે. ઘરમાં બે બાળકો હોય અને બંને વચ્ચે પાંચ-દશ વર્ષનું પણ અંતર હોય તો એમ લાગે કે ઘરમાં એકી સાથે બે પેઢી ઊછરી રહી છે, બધું જ ઝડપથી બદલાય છે જાણે કે ઝડપથી નાશ થવા માટે જ.

એક જ ઘરમાં માણસો વચ્ચે અનેક અંતરો અને અનેક અંતરાયો છે. કોઇને દોષ દેવાથી કશું વળે એમ નથી. અહીં કશું નિર્દોષ નથી. તમામ શાળાઓ બંધ કરી નાખવાનું મન થાય એવી શિક્ષણપદ્ધતિ થઇ ગઇ છે. સ્કૂલમાંથી સંતાનો પાછાં વળે છે, હાશ છૂટ્યા ! એવા મનોભાવ સાથે. જે રીતે દફ્તરોને ફંગોળે છે એ વર્તન પરથી પણ ખ્યાલ આવે. કવયિત્રીએ વર્તન દ્વારા ભાષાને પ્રયોજી છે અથવા એમ કહો કે આ વર્તન પોતે જ એક ભાષા છે. નાયિકા દંગ થઇ જાય છે. વિદ્યાર્થીઓ મજૂર હોય એમ બોજો ઊંચકીને આવે છે. નાનપણથી જ જાણે કે એ કાળના કોળિયા થઇ ગયા છે.

નિરાંત જેવું કશું નથી કે કશું નથી મિરાત જેવું. કોઇને સમય જ ક્યાં છે. બધા જ સભાનપણે સમયપત્રકના ગુલામ થઇ ગયા છે. નાસ્તો કરે છે. માણતા નથી. મોઢામાં કોળિયો મૂકે છે પણ મનમાં વિચાર હોમવર્કનો છે. બધા જ વિભાજિત રીતે જીવે છે. એક જાપાનીસ હાઇકુ યાદ આવે છે.

વાત સીધી સાદી છે. ભૂખ લાગે તો ખાવ અને ઊંઘ આવે તો સૂઓ. આ સાદી વાતમાં ગહન સત્ય છે. ખાતી વખતે બીજો કોઇ જ વિચાર નહીં. વિકેન્દ્રિત કે એવું કોઇ સત્ય નહીં. દીકરા-દીકરીઓ દફ્તરને ફંગોળી શક્યાં, થોડીક ક્ષણ માટે, પણ એક ન દેખાતો બોજો હોમવર્કનો તો છે જ. સ્કૂલ છોડીને આવ્યાં એટલું જ પણ સાથે સાથે પડછાયાની જેમ સ્કૂલ પાછળ ને પાછળ આવવા માંડી.

એક જમાનો એવો હતો કે રમતધેલા છોકરાઓને કહેવું પડતું કે લેશન કરો. આજે હવે છોકરાઓ જ માબાપને કહે છે કે રમવું નથી, લેશન પૂરું કરી લેવા દો. અહીં પતાવી નાખવાની વાત છે. આટોપી દેવાની વાત છે. જીવ સિરિયલમાં છે. ક્યાંય કોઇ પણ બાબતમાં એકાગ્રતાનું નામોનિશાન નથી.

સિરિયલ સક્રિય આનંદ ન આપે, પણ નિષ્ક્રિય આનંદ આપે. આપણે કુસ્તીના ખેલ જોઇએ અને રાજી થઇએ કે આપણે જ કુસ્તી કરીએ છીએ. આપણે આપણું જીવન જીવતા નથી અને બીજાનું જીવન જીવવાનો ખેલ કરીએ છીએ. ઇશ્વરે આપણને માણસ તરીકે મોકલ્યા પણ આપણે કાટૂર્ન થઇ ગયાં.

કાટૂર્ન જોઇજોઇને સમયને આપણે બરબાદ કરીએ છીએ. કોઇ રમે અને આપણે રમતનો આનંદ લઇએ. આ આનંદ પણ ઉછીનો.

નવી રમતો આવી. જૂની રમતો વિસરાઇ ગઇ. વચ્ચેનાં વરસો કયાં વહી ગયાં કોને ખબર ? આંધળોપાટો, પકડદાવ આ બધી આપણી જ કહેવાય એવી અસલ રમતો કાળના કબ્રસ્તાનમાં દટાઇ ગઇ. મમ્મીની વાતો બાળકોને લવારો કે સનેપાત લાગે. મમ્મીના શબ્દો બકવાસ લાગે.

બાળકો પાસે પ્રશ્નાર્થચિહ્ન છે અને મમ્મી પાસે આઘાતચિહ્ન. ‘ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોનાં મનનો કબજો કર્યો છે.’ – આવી બોલકી પંકિત કવયિત્રી ટાળી શક્યાં હોત. કાવ્યનો અંત કટાક્ષથી થાય છે. એક જમાનાની રમતો હવે ઇતિહાસ થઇ ગઇ છે. એને જાળવવી હોય તો રમીને જળવાશે નહીં.

એને પુસ્તકોના મોર્ગમાં રાખવી પડશે. સાચવવી પડશે એને સી.ડી.ના સ્વર્ગમાં. કદાચ બાળકો કોમ્પ્યૂટર પર આ બધી રમતો જુએ અને જીવે અને કદાચ વિસરાઇ ગયેલી આ રમતો માત્ર સ્મૃતિ ન રહે પણ જીવંત બને. જોકે આવી મૃગજળિયા આશા પર જીવવું એ પણ આત્મવંચના જેવું લાગે.

મીનાક્ષી પંડિત સામાન્ય રીતે અછાંદાસ કાવ્યો લખે છે. એમનાં કાવ્યોમાં અંગત સંવેદનો અને સામાજિક સંવેદનો ઝંકૃત થતાં હોય છે.
આ સંદર્ભમાં કૃષ્ણ દવેનું આ ગીત ગૂંજીને ગાજવા જેવું છે.

.

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું

દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે

અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

નમતું દીઠું નેણતરાજૂ – રાજેન્દ્ર શુક્લ

સ્વર સંગીત – અમર ભટ્ટ

https://youtu.be/2J4S_bUerLI

નમતું દીઠું નેણતરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

– રાજેન્દ્ર શુક્લ

ગઝલ – શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.

– શયદા