Category Archives: કવિઓ

મનોજ પર્વ ૧૭ : ગઝલ મનોરંજન

ગઇકાલે આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાના મૃત્યુ વિષય પરના કેટલાક અદ્ભુત શેરનું સંકલન માણ્યું! અને એ જ કવિ જીવન વિષે આ મઝાનો શેર આપે છે –

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

આ ગઝલ ટહુકો પર પહેલા કવિ શ્રી ના અવાજમાં પઠન સાથે પ્રસ્તુત કરી હતી..! આ જે મનોજ પર્વ અંતર્ગત ફરી એકવાર આ ગઝલ માણીએ – આશિત દેસાઇના સ્વર-સ્વરાંકનના બોનસ સાથે..!

સ્વર-સ્વરાંકન : આશિત દેસાઇ

* * * * * * * * * * * * * * * * *
Previously posted on February 02, 2010

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

.

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે

સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે

આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે

કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

– મનોજ ખંડેરિયા

( અડાયું = ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું)

ગુંજન ગાંધીના શબ્દોમાં આ ગઝલના થોડા શેરનો આસ્વાદ :

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે…

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે…આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને ‘જીવવું’ કહીએ છે પણ..

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

હવે પછીનો અદભૂત શેર…વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ…આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર ‘જીવો’ છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..

આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે

મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે….પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..

આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે

અને છેલ્લો શેર…તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ ‘stage’ સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

મનોજ પર્વ ૧૬ : ‘મૃત્યુ’ વિશેષ (શેર સંકલન)

આજના મનોજ પર્વની પોસ્ટ ડૉ. વિવેક ટેલર તરફથી…!!
—————————–

ગુજરાતી ગઝલોને પ્રાણવાયુની જેમ શ્વસનાર મનોજ ખંડેરિયા સાંઠ વર્ષની ટૂંકી આયુમાં અચાનક કેન્સરની વ્યાધિ સામે ખુલ્લી છાતીએ લડીને ચાલ્યા ગયા પણ એમની કવિતાઓ ગુજરાતી સાહિત્યજગતમાં સીમાચિહ્ન બની રહી છે. શું ગઝલ કે શું ગીત કે શું અછાંદસ – આ માણસે જ્યાં હાથ નાંખ્યો, સોનું જ મળ્યું! મરાઠી ભાષામાંથી આપણે ત્યાં આવેલા અંજનીગીત પર એમને એટલું મજાનું કામ દિલથી કર્યું કે આપણને એક આખો સંગ્રહ ‘અંજની’ મળ્યો.

એમની કવિતામાં બરછટતા કે કટુતા જડી જડે એમ નથી. જેવો ઋજુ એમનો મિજાજ એવી જ લવચીક એમની કવિતા. મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલોના સિરમુકુટનો કોહિનૂર છે. ગુજરાતી ગઝલના દેહમાં નવો આત્મા પૂરનાર પાયાના શિલ્પીઓમાં એમનું નામ ગર્વભેર મૂકવું પડે. મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. એમની ગઝલોમાં જેટલું ઊંડે ઉતરતા જાવ, એટલી નવતર અર્થચ્છાયાઓ હાથ લાગશે…

કવિની ખરી ઓળખાણ તો જો કે એના શબ્દો જ છે… એક જ વિષયને એક જ કવિ અલગ અલગ કઈ કઈ રીતે જુએ છે એનો વિગતવાર અભ્યાસ કરીએ તો કવિની સાચી પ્રતિભા પરખાઈ આવે. મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

જાય છે – રમેશ પારેખ

પક્ષી માફક હું ટહૂક્યો તો ..... Happy Family, Sequoia National Park (May 2012)

જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?

પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !

જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.

તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.

– રમેશ પારેખ

બાલ્ટીમોરના જંગલમાં – અનિલ જોશી

બાલ્ટીમોર જવાનું આજ સુધી થયું નથી..! પણ આ ગીત વાંચીને લાગે છે કે ભવિષ્યમાં કોઇકવાર ચોક્કસ જવું પડશે બાલ્ટીમોરના જંગલમાં રખડવા માટે..!

વાવટાની જેમ ઊભાં ઝાડ.... Patterson Park, Baltimore

પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા

છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?

મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !

-અનિલ જોશી

આષાઢી સાંજનાં અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

૨ વર્ષ પહેલાના અષાઢ મહિનામાં સંભળાવેલું આ ગીત – આજે ફરી એકવાર… ગીત જો કે એટલું મઝાનું છે કે અષાઢ હો કે વસંત – એના તાલ સાથે ડોલવાનું મન થઇ જ જાય..! થોડા વખત પહેલા ‘ડગલો’ આયોજિત ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં જ્યારે માધ્વીબેન-અસીમભાઇ અને સાથીઓએ આ ગીત રજૂ કર્યું ત્યારે મારા જેવા કેટલાય શ્રોતાઓ માટે ખુરશીમાં બેસી રહેવું મુશ્કેલ થઇ ગઇ હતું..! 🙂

સ્વર : માધ્વી – અસીમ મહેતા અને સાથી (હેતલ બ્રહ્મભટ્ટ, સુમોહા પટેલ, આણલ અંજારીઆ)
ડગલો કાર્યક્રમ ‘મેઘાણી વંદના’ દરમ્યાન રજૂઆત

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

Posted on – July 19, 2010

આષાઢી બીજ આવી અને ગઇ.. અને આમ તો મમ્મી એ ૧૦-૧૨ દિવસ પહેલા યાદ કરાવેલું કે તારી પાસે પેલું ‘અષાઢી મેઘના અંબર ગાજે’ વાળું ગીત હોય તો અષાઢ મહિનો શરૂ થાય ત્યારે મૂકજે… પણ બીજી બધી દોડા-દોડીમાં રહી જ ગયું…

તો ચલો, માણીએ આ મઝાનું ગીત – અને સાથે પાર્થિવ ગોહિલનો અવાજ… એમણે વર્ષો પહેલા સારેગામાની મેગા ફાઇનલમાં કરેલી રજૂઆત સાથે..!

http://www.youtube.com/watch?v=02XJmaS6zqY

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે,મેઘાડંબર ગાજે !
—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—
આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે,સૂતી ગોપી જાગે.
—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે
—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.
—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે !

***********

(શબ્દો માટે ગોપાલકાકાનો આભાર)

પપ્પા વિશેનું ગીત – ભરત ભટ્ટ ‘પવન’

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે !

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો….

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો….

દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ તો પપ્પાની આંકો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો….

– ભરત ભટ્ટ ‘પવન’

બંસીના સૂર તમે – દિલીપ રાવળ

આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?

તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..!
શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા 


રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )

સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

– દિલીપ રાવળ

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

કાવ્યપઠન : રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
. હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ (કોમલ રિષભ – પૃ. ૯)

ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી