Category Archives: મનોજ પર્વ

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

.

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.

મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ

આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!

અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!

ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

ક્ષણોને તોડતો, બુકાની છોડતો
હ્રદયને જોડતો ગઝલ-ઘાયલ કવિ
કેટલા લય નવા, કેટલી કલ્પના :
કલમની મશાલને તેં નથી ઓલવી.

તું મનોજ : કામદેવ :
ગઝલને સો વરસ થઈ ગયાં તે છતાં
મનોજના હાથમાં રેશમી દોર છે
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

– સુરેશ દલાલ

મનોજ પર્વ ૧૩ : સ્પેકટ્રોમીટર – એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું….

ટહુકો પર કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં ઉજવાતો આ ‘મનોજ પર્વ’ ની ૧૩મી કડીમાં આજે આ સ્પેક્ટ્રોમીટરમાંજય વસાવડાની કલમે કવિ શ્રી મનોજ ખંડેરિયાને અપાયેલી શ્રધ્ધાંજલીરૂપ લેખ. (આમ તો આ લેખ કવિના નિધનના એકાદ મહિના પછી છપાયો હતો – પણ મને લાગ્યું કે આટલા વર્ષે આ લેખ વાંચીને ફરી એક વાર કવિ ને શ્રધ્ધાંજલી આપીએ).
*******

ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે
ફરું છું લઈને મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે

પડી ગઈ સાંજ, હું સૂરજ નથી એ સત્ય છે કડવું
ફરી ઉગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરુ છે!

સૂર્ય ડૂબ્યા પછી ફરી ઉગે એનો ભરોસો છે, પણ આત્માની જયોતિ બૂઝાયા પછી ફરી કયારેય પ્રગટવાની નથી! આજથી એકાદ માસ પહેલા જૂનાગઢમાં અવસાન પામેલા કવિ મનોજ ખંડેરિયા જેવું વ્યકિતત્વ ફરી કઃઈં૧૪૬તી ઉગવાનું નથી. કોઈ પણ જાતના ભારેખમ શબ્દોના પ્રયોગ વિના- મરીઝ, શૂન્ય, રૂસ્વા, ઘાયલ ઈત્યાદિ ગઝલકારોએ ગુજરાતીમાં કંડારેલી પરંપરાગત ગઝલનો મનોજભાઈએ આધુનિક અવતાર કરાવ્યો હતો. સામાન્ય રીતે સાહિત્યસર્જકોને મોત પછી તરત જ અંજલિ આપી દેવાની પ્રથા છે. એ દ્રષ્ટિએ જોઈએ તો હવે મનોજ ખંડેરિયાના નિધનની ‘ન્યૂઝ વેલ્યુ’ પૂરી થઈ ગઈ ગણાય.

પણ સર્જક વિદાય લે છે, એનું સર્જન થોડું મરે છે? માણસ મરે ત્યારે જ એના ગુણાનુવાદ કરવા અને પછી ન્યૂઝ ચેનલોની ભાષામાં ‘હાલાત અબ પહેલે જૈસે સામાન્ય હૈ’ કહી દેવું એ કયાંનો ન્યાય? પાંચસો વરસ પહેલા દૂર પરદેશમાં થઈ ગયેલા કોઈ કવિને આજે પણ અંજલિઓ અપાતી હોય, તો આપણી જ ધરતી પર થઈ ગયેલા આપણા કવિને આટલી ઝડપથી કેમ ભૂલી જવાય?

કરે વહેતી એને જ ડૂબાડી દેતી
અહીં શાહી સાથેના અનુભવ છે કડવા!

મનોજ ખંડેરિયાએ લખેલી આ પંક્તિ ગુજરાતના તો શું, ભારતભરના કલમજીવીઓ અને શબ્દસમર્થોને લાગુ પડે છે! જે લોકો શબ્દોને વહેતા મુકે છે, એમના માટે ઉપયોગ પૂરો થયા પછી ભાગ્યે જ સમાજ શબ્દો ખર્ચ કરે છે! અહીં ગાંધી, નહેરૂ, સરદાર, ઈંદિરા જેવા નેતાઓને પ્રતિવર્ષ તસવીરો સાથે યાદ કરવામાં આવે છે. પણ એમના પર જ લખનારો લેખક એક દિવસે જયારે ભેજું ઘસી અને આંગળીઓ તોડી છેલ્લા શ્વાસ લે છે… પછી એમને મુઠ્ઠીભર વાચકો સિવાય કયારેય મિડિયા યાદ કરતું નથી! મનોજભાઈએ લખેલું :

સપના નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય

ખખડાવું બંધ દ્વાર, યુગોથી ને જાણું છું
આ ઘર અવાવરુ છે, કોઈ પણ નહીં જ હોય

*

શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે
કૈ યુગો તે છળતું છળ જેવું હશે

એ પ્રસંગોનું હવે અસ્તિત્વ તો –
વસ્ત્ર પરની કોઈ સળ જેવું હશે!

કપડાં પર કરચલી પડે, ને હાથ ફેરવી દો તો તરત અલોપ થઈ જાય…. આપણે ત્યાં કદાચ શબ્દ તો ઠીક, એના સર્જકોનું અસ્તિત્વ પણ આટલું જ માન ધરાવે છે. મહેફિલ, પ્રવચન, મુશાયરામાં સાંભળીને વાહ વાહ કરી લીધી… આપણું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. ખલાસ. પછી કોણ એ સર્જકોને યાદ કરતું ફરે કારમાં કેસેટ વાગતી હોય તો આપણે ગીતને પણ ગાયકથી ઓળખીએ છીએ. જગજીતસિંહની પેલી ગઝલ સાંભળી?’ કહીને નિદા ફાઝલીની રચના જગજીતના નામે ચડાવીએ છીએ. જેમ કે, સોલી કાપડિયાના મધુર કંઠે નીતરેલી આ ગઝલ મનોજ ખંડેરિયાની છે, એવું કેટલા જાણતા હશે?

.

જે શોધવામાં જીંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

જીંદગી! ફિફટી ટુ એકસની સ્પીડે કલાકની ૩૬૦૦ સેકન્ડના આંટા ફરી જતી કોઈ સીડી રોમ! હજુ હમણા જ આ લખનારના પ્રવચનમાં શ્રોતા બનીને ખભે ઉમળકાથી છલકાતો સ્પર્શ કરનાર મનોજ ખંડેરિયાની આકૃતિ હવે ન સ્ટેજ પર, ન ઓડિયન્સમાં! સાહિત્યના મરમી પપ્પા લલિત વસાવડાના આત્મીયજન તરીકે દાયકાઓ પહેલા જૂનાગઢની (કયાંક હજુ યે કરતાલ વાગતી હોય’ એવી) તળેટીમાં એમણે સાથે ગુજારેલી સાંજોની વાત બચપણમાં સાંભળી હતી. ત્યારે યુવાન થઈ ગયેલા એ માણસમાં કવિનો જન્મ થતો હતો. પછી તો એ કવિતાને સુગંધ ફૂટી. સૌરાષ્ટ્રની સરહદો વિસ્તારની મનોજની મહેક આખી પૃથ્વીને ચકરાવો લઈ ગઈ… અને કાળ નામનું પોતું કેન્સર હોસ્પિટલની ફિનાઈલ ભરેલી વાસ અને સુગંધ પર ફેરવતું ગયું.. ‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના’ ના કવિને પાનખર અડકી ગઈ! ખર્યા આ શબ્દોઃ

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

આખુંય વન મ્હેકતું રહેશે સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

મારો અભાવ મોરની માફક ટહૂકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.

*

યાદ ભૂંસાતી રહી કે હું- ખબર પડતી નથી
જયોત બૂઝાતી રહી કે હું- ખબર પડતી નથી

*

ખાલી કડાંનો કાળો કિચૂડાટ રહી જશે
હિંડોળાખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

*

કૈ ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ

મનોજ ખંડેરિયા જેવા મુલાયમ આદમીને પણ મૃત્યુ જેવી બરછટ ઘટનાનું ઓબ્સેશન હતું. ‘શબ્દ અને મૃત્યુ’ એ બને એમના પ્રિય વિષય, એક કૃતિમાં એમણે ટેબલ પરથી અચાનક પડી ને ફૂટી જતા ગ્લાસની વાત લખી છે, જેમાં મિત્રો સાથે રવિવારની સરકતી સોનેરી સાંજ ફરી ગાળવાની તડપનો ઉલ્લેખ છે. તો એક રચનામાં ‘આખાય આકાશમાં વ્યાપી ગયેલા શબ્દોનો તંબૂ સંકેલીને’ ચાલી નીકળવાની વાત છે. કયાંક મીણના નગરમાં પીગળવાની વેદના છે, તો કયાંક મૃગજળના રેણમાં ફસાયાની મૂંઝવણ!…. આ બધું સામાન્ય વાચકને જરા અઘરું અઘરું લાગે, પણ ધેટસ આર્ટ! જે ઝટ ખબર પડી જાય, તેમાં કંઈ રોમાંચ નથી. જે હળવે હળવે ઉઘડે એ ઉત્તેજના આપે છે. સીધી જ કોઈ ચિઠ્ઠી પકડાવી દે, અને પહેલાં મોબાઈલના સ્ક્રીન પર મેસેજ પ્રગટયાનો ઝબકારો થાય, પછી ‘ઇન્બોકસ’ ખોલીને નામ વંચાય…. પછી એ મેસેજ ધીરે ધીરે સ્ક્રીન પર સરકતો જાય- આ બે ક્રિયામાં નેચરલી બીજી ક્રિયા લહેજતદાર છે! જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, એ ‘જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુ’ની ફિલસૂફી વેઃદકાળના ૠષિથી લઈને ગામડાંગામના ભાભા પણ જાણે છે. પણ કોઈ પાન હંમેશા લીલું રહેતું નથી… એ કુદરતી ઘટનાને વણીને મનોજભાઈએ આ જ ચિંતન કેવી રસિકતાથી સમજાવ્યું હતું.

પાંદડાને લીલમથી હોઈ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ

ખેરવેલા પીંછાની ઊંડી લઈ વેદના
પંખી તો ઉડતું આકાશમાં

કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે ય સરવાનું ઘાસમાં

*

ઈચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ

આવી ગયો છે સામે શકુનિ સમો સમય
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ

પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે
ઘર અંધકાર ગ્રસ્ત થવાની ઘડી છે આ

કેવું વેધક દ્રશ્ય રચ્યું છે! ભારતીય સંસ્કાર મુજબ મૃત્યુ બાદ પાણિયારે સ્વજનો ઘીનો દીવો કરતાં હોય છે. આમ જુઓ તો દીપક પ્રકાશ આપે. પણ આવા અવસરે થયેલ દીવો સંકેત આપે છે કે ઘરનો પ્રકાશ જેની હાજરીથી હતો, એવી એક વ્યકિત કાયમ માટે ઘર છોડીને જતી રહી છે, હવે હેલોજન લાઈટ પણ દૂર ન કરી શકે એવું અંધારું કાયમ માટે ઘરમાં ફેલાઈ ચૂકયું છે!

મને અંત-વેળાએ છળતું રહ્યું
હવે મારું રથ-ચક્ર ગળતું રહ્યું

ઢળ્યો સૂર્ય, ચાંદરણું ચાલ્યું ગયું
સ્મરણ એનું આ ઘર ચગળતુ રહ્યું

*

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

પણ મૃત્યુ મનોજ ખંડેરિયાના શરીરનું થયું છે શબ્દોનું નહિ! મનોજ ખંડેરિયા સૌમ્ય, સરળ અને સમૃધ્ધ- સુખી ઈન્સાન હતા. છતાં દુઃખ, પીડા યાને ‘વિષાદ’ એમના શબ્દોતોમાં સતત પડઘાતો રહેતો. આજે હવે કવિની યાદો જ રહી છે, ત્યારે એમના ‘સ્મરણ’ વિશેના શબ્દોનું તરત જ સ્મરણ થઈ આવે…

હટાવો જૂના કાટમાળો બધા!
નીચે જીવતી એક પળ નીકળે

અંગ્રેજીમાં શબ્દ છેઃ ‘ડાઉન મેમરી લેન! યાઃદોની શેરીમાં લપસવું! કયારેક કોઈ એક નાનકડી ઘટના આજીવન દિમાગમાં સમડીની જેમ ચકરાવા લેતી હોય છે. એ કોઈ નમણા ચહેરાને જોયાનો થનગનાટ પણ હોઈ શકે, કે કોઈ કૂમળાં ટેરવાને અડકયાની ઝણઝણાટી પણ! એ કોઈ કડવા અપમાનનો સણકો પણ હોઈ શકે અને કોઈ દુખઃદ પ્રસંગની ઘૂટન પણ! પછી કોઈ જૂની વસ્તુ જોતાં કે કોઈ સ્થળે પહોંચતા કે કોઈ વાકય સાંભળતા જ આ સ્મરણોના ડેમના દરવાજા ખૂલી જાય! કયારેક કોઈ નિર્જીવ પદાર્થમાં કોઈ સજીવ વ્યકિતની જીવંત સ્મૃતિ હોય…

કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ

ભરાયો’તો કયારેક મેળો અહીં પણ
મને આ જગ્યાની મમત માત્ર એક જ

ચલો મારી અંદર, ભર્યા લાખ વિશ્વો!
તમે જોયું છે આ જગત માત્ર એક જ

*

અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે
અજાણી શેરીમાં એમ જ મને સ્મરણો મળી આવે

હથેળીમાં લખી એક નામ, મુઠ્ઠી બંધ કર હળવે
પછી ખોલી જરા જો તો કૂણો તડકો મળી આવે

*

અમે કયારેક કોડીથી રમ્યા’તા એ જ કારણથી
દિવસને રાત ખળભળતો રહ્યો દરિયો હથેળીમાં

છબી ફૂટયાની ઘટના પર રજ ચડી કૈંક વરસોની
છતાં ખૂંચે છે ઉંડે કાચની કરચો હથેળીમાં

હંમેશા સ્મરણ માટે સમય અનિવાર્ય છે. સમય જ ઘટનાઓ સર્જે છે. અને સમય જ એને યાદોની ફ્રેમમાં મઢે છે. મનોજભાઈને રચનાઓમાં એટલે જ ‘સ્વપ્નની ઝંખનાના હરણ’ દોડ્યા કરે છે. અર્થાત, મનના વિચારો કલ્પનામાં ચોથા ગિયરમાં પૂરપાટ ભાગે છે. એમના પુસ્તક ‘અટકળ’માં ‘જીરાફ’ નામની એક લાં… બી રચના છે. જેમાં બાળક હોઈએ ત્યારે સ્કૂલમાં ભણતી વખતે જોયેલા સપના પાછળથી કેવા તાજાં થાય. તેની લીલીછમ વાત છે. એવી જ એક રચના ‘કાલે સવારે’ છે. જેમાં બૂઢાપામાં આંખ સામે તરતી યુવાનીની મોસમ છે. સંગ્રહ ‘અચાનક’માં આવી જ રચના ‘વૃધ્ધ’ છે. જેમાં જીંદગીના છેલ્લા પ્રકરણોમાં આળસ મરડીને બેઠાં થતાં ભૂતકાળની રજુઆત છે. આ બધી રચનાઓ વાંચવા ‘અચાનક’, ‘અટકળ’, ‘હસ્તપ્રત’ જેવી એમની કિતાબો ફંફોસવી પડે. એમાં નજર નાખતી વખતે તરત જ એક વાત સ્પષ્ટ થાય. કયાંય કોઈ પ્રસ્તાવના કે આત્મનિવેઃદન નથી. રદ્દીફ- કાફિયાના સંતુલનમાં ઉસ્તાદ આ કવિએ કોઈ એવોર્ડ પણ સ્વીકાર્યો નહોતો. આમ પણ સાહિત્યના એવોર્ડ આપનારા પંડિતોના ત્રાજવાં- તોલામાં વજન કાગળના થોથાઓનું હોય છે, સર્જનની શ્રેષ્ઠતાનું નહિ! બાકી મનોજ ખંડેરિયાની કૃતિઓમાં અંશોની એક છાલક લો, અને માણો કે એમાં ચપટીક શબ્દોમાં કેવી રીતે કંકુ-ચોખા જ નહીં, પકવાનો પણ છે!

ટેકવી કાંટા ઉપર મસ્તક સમય
રાતભર જાગ્યા કરે છે ઘડિયાળમાં!

*

તુલસીનાં કૂંડામાં કૂમળા બે હાથેથી
સિંચાતુ જળ મારા રૂંવેરૂંવે રે નહી જાય.

*

આયનાની જેમ હું તો ઉભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને

*

આંખને જીભના કરો સાટા
દ્રશ્યના સ્વાદ છે તૂરા- ખાટા

*

મજબૂરી કેવી ડાળીની, બટકી ય ના શકે
એનાં ખરેલા પાનને અડકી ય ના શકે

*

રણ ગળામાં સ્વીકાર્યું ધખધખતું
માત્ર મનગમતી પ્યાસ લેવામાં

*

માંડ કણું આંખેથી કાઢું, ત્યાં ધુમ્મસના ધાડા આવે
નભ ના જોવા મળતું ખુલ્લું, સાવ ગીચોગીચ દહાડા આવે

*

એ રીતે સરે છે સમય તારા ખ્વાબમાં
ટૂકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં

*

કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂના દ્વારોના ભણકારા ભરું છુ, ખાલી ગજવામાં

*

કદી ના રોકી શકી આ ફૂલોની સમૃધ્ધિ
મને તો માળીની આ સાદગીએ રોકયો છે

*

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્રયા બધાને કિંતુ
હવે અમારી સભાથી અમને વહ્યા જવાની સજા મળી છે!

*

ભીંત ફાડી પીપળો ઉગતો તમે જોયો હશે
છાતી ફાડી મ્હોરતો ગુલમહોર જોયો છે તમે?

*

દીર્ઘ નાટક છે, એક પાત્રી છે
કેમ ભજવું ટૂંકી રાત્રિ છે

કોઈ મારું ભવિષ્ય શું લખશે?
મારે માટે કલમ વિધાત્રી છે!

જી હા. જરાક આ ખુમારી કેળવો. આમાંથી કદાચ ઘણી પંકિતઓ એક જ ધડાકે નહિ સમજાય. પણ એજ એની મજા છે. કોઈની પાસે સમજજો. નહિ તો આ લખનારને ફકત ‘મુકામ પોસ્ટઃ ગોંડલ’ કરીને કાગળિયો લખજો… પણ મનોજ ખંડેરિયાના સર્જનને જરા યાદ રાખજો.. કારણ કે એમણે જ અગાઉથી જ સ્પષ્ટતા કરેલીઃ

જાણું છું શ્વાસની દગાબાજી, છે ભરોસો- હવા ઉપર કોને?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ, થાવું છે અમર કોને?

ફાસ્ટ ફોરવર્ડ

હું ક્ષિતિજની બહાર હોઈશ, આવજે
આ જગામાં આ રીતે રોકાઉ કયાં?

હું સ્વયં અંધારુ છું, ના શોધ કર
તારી ફરતો છૂં, તને દેખાવ હું કયાં?

મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે –

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

.

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૧ : શાહમૃગો

કાવ્યસર્જનના આરંભકાળમાં મનોજ ખંડેરિયા, ગઝલ ઉપરાંત ગીત, અંજનીકાવ્ય અને અછાંદસની સાથે પણ કામ પાડે છે; તો કેટલાંક સંતર્પક દીર્ઘકાવ્યો પણ આપે છે. ‘શાહમૃગો’, સાધંત પ્રવાહી શૈલીમાં વહેતી અને ઝીણવટભર્યું કવિકર્મ દાખવતી કવિની ખૂબ જ જાણીતી બનેલી કૃતિ છે. આ રચનામાં કવિ, શાહમૃગોને પ્રતીકાત્મક સ્તરે પ્રયોજીને, માનવજીવનની સાથે જોડાયેલાં આકર્ષણો-પ્રલોભનો અને વળગણોની મર્મવેધક વાત કરે છે. અને એમ, આજના મનુષ્યની દશાને અસરકારક રીતે આલેખે છે.
આબાલ-વૃધ્દ્ર સૌ કોઈ જેનાથી સંમોહિત છે એવા શાહમૃગોની મોહિની વ્યાપક સ્તરે પ્રભાવ પાથરે છે, એની વેધક અભિવ્યક્તિ આ પંક્તિઓમાં થઈ છે –

શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.

અને પછીથી ભારે શરીરે ભાગી છૂટેલા શાહમૃગોને પકડવાના પ્રયત્નોને અંતે પણ એ હાથ ન લાધે ત્યારે –

શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.

ભાવવ્યંજકતા અને ગતિશીલતાના ગુણથી સોહતું આ કાવ્ય આમ, કવિની કવિત્વશક્તિનો પરિચય આપવા ઉપરાંત એમની આગવી ઓળખ પણ રચી આપે છે.

નીતિન વડગામા

***********

(શાહમૃગ….San Francisco Zoo)

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

.

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

મનોજ પર્વ ૦૭ : તળેટી સુધી ચાલ ગઝલ – રાજેન્દ્ર શુક્લ

આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!

અને મનોજભાઇ એમના પોતાના શબ્દોમાં જ કહે છે ને –

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.

આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

.

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

– રાજેન્દ્ર શુક્લ (18 જાન્યુઆરી, 2004)