Category Archives: સંગીતકાર

શ્રીકૃષ્ણચન્દ્ર કૃપાલુ ભજમન – કવિ જયરામ

સ્વર : આશિત – હેમા દેસાઇ

784285597_f0ed7c8e16_m.jpg

.

શ્રીકૃષ્ણચન્દ્રકૃપાલુ ભજમન નન્દનન્દન સુન્દરમ્
અશરણશરણ ભવભયહરણ આનન્દઘન રાધાવરમ્

શીરમોરમુકુટ વિચિત્રમણિમય મકરકુંડલધારિણમ્
મુખચન્દ્રદ્રુતિનગ ચન્દ્રદ્યુતિ પુષ્પિતનિકુંજવિહારિણમ્

મુસ્કાનમુનિમનમોહની ચિતવનિચપલવપુનટવરમ્
વનમાલલલિત કપોલ મૃદુ અધરન મધુર મુરલીધરમ્

વ્રિષભાનુ નન્દિનીવામદિસી શોભિતસુમન સિંહાસનમ્
લલિતાદિસખીજન સેવહી કરી ચવર છત્ર ઉપાસનમ્

ઇતિ વદતિ કવિ જયરામદેવ મહેશ હ્રદયાનન્દનમ્
દીજે દરસ પ્રિય પ્રાણઘન મમ વિરહ કેસ નિકન્દનમ્

———————————-

આ સ્તુતિ સાંભળીને એના શબ્દો લખવાનો પ્રયત્ન કર્યો છે. ભુલ હોય ત્યાં ધ્યાન દોરશો તો ગમશે.

ગળતું જામ છે – મરીઝ

ઘણા વખત પહેલા બેગમ અખ્તરના અવાજમાં સાંભળેલી આ ગઝલ – આજે આ ગઝલના સ્વરકાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં :

.

લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશ, મોહમ્મદ રફી…. વગેરે હિન્દી સંગીત જગતના દિગ્ગજોથી લઇને, શાન, સાધના સરગમ, જગજીત સીંગ, રૂપકુમાર રાઠોડ જેવા આજના જાણીતા બીન-ગુજરાતી કલાકારોના ગુજરાતી ગીતો આપણે સાંભળ્યા છે, પણ તમને ખબર છે કે ‘મલ્લિકા-એ-ગઝલ’ તરીકે ઓળખાતા ‘બેગમ અખ્તર’ના અવાજમાં પણ ગુજરાતી ગીતો છે ? સાંભળો ‘મરીઝ’ સાહેબની આ ખૂબ જ જાણીતી ગઝલ…

સ્વર : બેગમ અખ્તર

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને ટહુકોની વર્ષગાંઠ પર આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

હે વીણાવાદિની – હીના મોદી

સંગીત : મેહુલ સુરતી

સ્વર : અમન લેખડિયા , સત્યેન જગીવાલા

saraswati.jpg

.

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
ધવલ ધવલ વસ્ત્રધારીણી
વંદુ તુજને શીશ નમાવી

બ્રહ્મ કમંડળમાંથી પ્રગટી
વસંતપંચમી દિન તું જન્મી
થઇ તું ગંગાની જન્મોત્રી
તવ કૃપા આ ઋષી સંસ્કૃતી

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી

આદ્યદેવી તું જ્ઞાનીઓની
લક્ષ્મીજીની પ્રિય સહેલી
દીપ જ્ઞાનના તું પ્રગટાવે
જગમાંથી અંઘાર મીટાવે

___ વસનારી તું મધુરી
સુવાસ જ્ઞાનની તેં ફેલાવી
જ્ઞાનધાર અવનીમાં વહાવી
ન્યાલ કરે તુજ અમૃતવાણી

સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે

વીણાવાદિની, મયુરવાહીની…

( સરગમ… )

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

સ્વર : આનંદકુમાર સી.
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
river.jpg

.

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;

શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;

નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન

કોરા કાગળ પર લીટી દોરે સખી – ભરત વિંઝુડા

સ્વર – સંગીત : ડો. ભરત પટેલ

.

કોરા કાગળ પર લીટી દોરે સખી
ને અમે એ માપની પંક્તિ લખી

ચીતરે કંઇ એમ એનો એક હાથ
જેમ ઝુલે વૃક્ષની એક ડાળખી

આંખ ખોલું તો મને દેખાય એ
એ કે જેને મેં હ્દયથી નીરખી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં જાણે કે જળની પાલખી

કેમ પાણીમાંથી છુટું પાડવું
એક આંસુના ટીપાંને ઓળખી

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો – રિષભ Group

1200528189_a40a9db429_m.jpg

.

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાઇ રે…
વાંસળીના સૂર સૂની, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાઇ રે…

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાઇ રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાઇ રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

આજના માણસની ગઝલ – જવાહર બક્ષી

સ્વર : આશિત દેસાઇ
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી

———–

સાથે કવિ જવાહર બક્ષી વિષે થોડી વાતો વાંચવી પણ ગમશે ને ?

મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ

તુષાર શુક્લ – એક એવા કવિ અને વક્તા, કે એ સામે હોય તો બસ સાંભળ્યા જ કરીયે… હસ્તાક્ષરની આખી સિરિઝમાંથી સૌથી પહેલું ખરીદેલું અને સૌથી વઘુ સાંભળેલુ કલેકશન એ તુષાર શુક્લના ગીતોનું !

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. 🙂

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

અમારે કેલિફોર્નિયામાં આજકલ વરસાદની મૌસમ છે.. તો તુષાર શુક્લનું આ વરસાદી ગીત એ જ ખુશીમાં –

અને આ જ વરસાદી મૌસમ વિષે એમનો આ શેર પણ ગમી જાય એવો છે :

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

356561454_25f2d26dfa_m

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

.

સ્વર: ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકન: આલાપ દેસાઈ
આલબમ :સુરવર્ષા

.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ફૂલ કેરા સ્પર્શથી- સૈફ’ પાલનપુરી

સ્વર : મનહર ઉધાસ

.

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

નયણાં – વેણીભાઈ પુરોહિત

સ્વર અને સંગીત : અનિલ ધોળકિયા

.

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાનીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)