Category Archives: સંગીતકાર

કારજીપૂર્વક સાંભરજો નહીં તો… (ળ ને બદલે ર) – ડો. શ્યામલ મુન્શી

શ્યામલ મુન્શીને આપણે એક ઉત્તમ સંગીતકાર – ગાયક તરીકે કદાચ વધારે ઓળખીએ છીએ. પણ આ ગીત વાંચીને ખ્યાલ આવશે કે શ્યામલભાઇ એટલા જ મઝાના કવિ પણ છે. અને હા, તમે જો શ્યામલભાઇને એકાદ-વાર પણ મળ્યા હોવ, તો શ્યામલભાઇ આટલી ખડખડાટ હસાવતી કવિતા લખે એ વાતની જરા પણ નવાઇ ના લાગે.. (શ્યામલભાઇ અને રઇશભાઇની હઝલોનું એક આલ્બમ આવવાનું છે, જેની હું ખૂબ આતુરતાથી રાહ જોઇ રહી છું..)

‘ળ ને બદલે ર’ બોલતા ભાઇનું આ ગીત ખરેખર કારજીપૂર્વક સાંભરવું પડે એમ છે.. નહીં તો ગોટારા થવાના પૂલેપૂલા chance છે.. ( મારો ભત્રીજો ઘણીવાર ‘ર ને બદલે લ’ બોલે છે..!! 🙂 )

અને હા, શ્યામલભાઇના અવાજમાં આ ગીતનું રેકોર્ડિંગ ઘણા વખતથી શોધું છું. તમે મદદ કરશો?

* * * * * * *

હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા

વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….

કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…

મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…

– ડો. શ્યામલ મુન્શી

—————-

(આભાર : અક્ષરનાદ.કોમ)

ક્ષેમુદાદાને શ્રધ્ધાંજલી : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી – બાલમુકુન્દ દવે

શ્રાવણ મહિનો શરૂ થયો ત્યારથી વિચારતી હતી કે એકાદ દિવસ આ ગીત મુકુ… (જે આમ જુઓ તો લગભગ ૫-૬ મહિનાથી સાચવી રાખ્યુ હતુ, શ્રાવણ મહિનામાં મુકવા માટે)

અને ગઇ કાલે જ ક્ષેમુદાદાની વિદાયના સમાચાર મળ્યા…

તો આજે સાંભળીએ અમર ભટ્ટ અને કાજલ કેવલરામાની – ના સુરીલા અવાજમાં એમનું આ મઝાનું ગીત…
એમના બીજા ગીતો ટહુકો પર અહીં કલિક કરી સાંભળી શકો છો.
https://tahuko.com/?cat=245

.

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જી
આ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઇ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઇ ઝીલો જી
આ સમણાં કેરા કરા પડે કોઇ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઇ ઝીલો જી

આ ચળકે વાદળ-તલાવડી કોઇ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઇ ઝીલો જી
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઇ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઇ ઝીલો જી

આ દૂધે ધોયા ડુંગરા કોઇ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઇ ઝીલો જી
આ જતિ-સતીનાં તર રેલે કોઇ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઇ ઝીલો જી

સ્વરકાર ‘ક્ષેમુ દિવેટીઆ’ ને અલવિદા….

ગુજરાતી સંગીત જગતના જાજરમાન સ્વરકાર શ્રી ‘ક્ષેમુ દિવેટીઆ’ ગઇકાલે – 30 July, 2009 ના રોજ અવસાન પામ્યા..! સંગીત-સુધાના ૧૦ ભાગમાં જેંમણે ગુજરાતી કવિતાની કેટકેટલીય અમર રચનાઓ – ગુજરાતભરના કલાકારો સમક્ષ ગવડાવીને, દેશ-દુનિયાના ખૂણે ખૂણે આપણી ભાષાની મહેક પ્રસરાવી છે, એ ક્ષેમુદાદા એમના સંગીત થકી હંમેશા આપણી વચ્ચે જરૂર રહેશે.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેમને ગુજરાતી સંગીતના ભિષ્મપિતામહ કહીને અવિનાશ વ્યાસ પછીનું સ્થાન આપે છે, એવા ક્ષેમુદાદાની ખોટ ગુજરાતી સંગીત જગતને હંમેશા સાલશે. ‘કાશીનો દિકરો’ ફિલ્મના ગીતો માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો, પરંતુ એ એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં એમણે સંગીત આપ્યું. અને થોડા સમય પહેલા જ એમના ગુજરાતી-સંગીત ક્ષેત્રના પ્રદાન માટે એમને મોરારીબાપુના હસ્તે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ એનાયત કરાયો હતો.

જેમાંથી ‘ગુજરાત’ની મહેક આવે એવા એમના ગીતોમાં એમણે શાસ્ત્રીય રાગો અને ગુજરાતના લોકસંગીતનો અદભૂત સમન્વય સાધ્યો. ઉત્તમ સંગીતકાર, અને એટલાજ ઉમદા વ્યક્તિ. જીવનના ૬૦ વર્ષની ઉજવણી એમણે ગુજરાતને ‘સંગીત-સુધા’ની ભેટ આપીને કરી.. ૩૦થી પણ વધુ નામી-અનામી કલાકારોને કંઠે ૫૦થી વધુ કવિઓની સ્વરરચનાનો ખજાનો – એમણે મને એમના હાથે, એમના આશિર્વાદ સાથે આપ્યો હતો લગભગ ૨ વર્ષ પહેલા, એ દિવસની એમની સાથેની મારી મુલાકાત મને હજુ યે યાદ છે.

એમના કેટકેટલાય ગીતો અસંખ્ય વાર સાંભળ્યા છે.. પણ આજે એમને શ્રધ્ધાંજલીરૂપે અહીં કયું ગીત મુકવું એ નક્કી જ ન કરી શકી. કહું ગીત સંભળાવું ને કયું બાકી રાખું?

એમના જ શબ્દો અહીં ટાંકું છું –

સ્પંદનોનું વ્યક્ત વૈવિધ્ય એ સહુને સહજસિધ્ધ નથી.
સુવાસને શબ્દસ્થ કરવાનું સહેલું કયાં છે? ત્યારે,
કવિતા મદદે આવે છે. આ છે કેસેટ-સ્થ કવિતા.
ભાવ-ઉર્મિ-વિચારનો સૂરીલો ધબકાર.
મૌન સંવેદનાની સંગીત સભર અભિવ્યક્તિ.
વિભિન્ન ક્ષણોની મૂક અનુભૂતિનું સૂર-શબદમાં
સહિયારું પ્રાગટ્ય,
“સંગીત સુધા”.
આવો,
અસ્તિત્વ સમગ્રથી એનું પાન કરીએ.

– ક્ષેમુ દિવેટીઆ

.

પ્રભુ એમના આત્માને ચિરશાંતી અર્પે એવી હ્રદયપૂર્વકની પ્રાથના સાથે એમને નતમસ્તક વંદન કરું છું.

ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

(ભીની ભીની ઢેલડને, થનગનતો મોર….  Photo : team-bhp.com )

સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નવીન શાહ

* * * * * * *

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

મન મળે ત્યાં મેળો…

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
કવિ : ??

(મળેલા મનનો મેળો… Photo : from Flickr)

.

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો
મન હસે તો સુખની હેલી
નહીં તો દુઃખનો દરિયો

મનડું હોય ઉદાસી ત્યારે
મરુભોમ શુ લાગે
ફૂલ ખુશીના ખીલી રહે તો
નંદનવનશું લાગે
ધરતી ઉપર સ્વર્ગ રચી દે
મનનો આનંદમેળો

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો

મનમાં રામ વસ્યો છે મનવા
મનમાં છે ઘનશ્યામ
મંદિર જેવું મન રહે તો
મનમાં તિરથધામ
મનડા કેરો રામ રિઝે તો
પાર જીવનનો બેડો

મન મળે ત્યાં મેળો
રે મનવા, મન મળે ત્યાં મેળો

હાં રે અભિસારે નીસરી હું અનંતના – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

હાં રે અભિસારે નીસરી હું અનંતના
છાયો અંધાર ઘેરીઘેરી રાતલડી
જ્યોતિઓ ઝગે રે દિગંતમાં

મેંદી મુકી’તી મેં તો રાગને વિરાગની
માળા ગુંથી તી મેં તો અશ્રુના બિન્દુની
નૂતન શૃંગાર મારા હંસના… હાં રે..

નુપૂરના નાદ મારે ગાજે બ્રહ્માંડમાં
કંકણના નાદ સરી જાય ખંડખંડમાં
રંગે રંગાઇ હું વસંતના… હાં રે..

સોળસોળ પાંખડીનું પોયણું પ્રફૂલ્લ આ
સૃષ્ટિ સોહાગભર્યો ઉડતો પરાગરજ
પાંખડીયે પાંખડીયે ઝંખના… હાં રે..

– પ્રવીણ બક્ષી

કોઈ જોડે કોઈ તોડે -ઉમાશંકર જોશી

શ્યામલ-સૌમિલના હસ્તાક્ષર સિરિઝમાં ‘ઉમાશંકર જોષી’ ના આલ્બમનું આ ગીત. એકદમ મઝાના શબ્દો, અને સાથે કર્ણપ્રિય સંગીતમાં ભળીને આવતો ગાર્ગી વોરાનો મીઠેરો કંઠ. જાણે વારંવાર સાંભળયા જ કરીએ.

સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: ગાર્ગી વોરા

.

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી…

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી

કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.

તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.

અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!

અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/

(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )

* * * * * * *

સ્વર – સંગીત : અનંત વ્યાસ

.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી

જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)

રોયા હશે ઘનશ્યામ – કિસન સોસા

કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે.

સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ ,કિરણ સંપત

.

રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.

રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ

સૌરભના મધપુડા બંધાયા હશે પછી વૃંદાવને ફૂલફૂલમાં
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં

રાધાને કાંઠડે બેસીને ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ

ક્હાનજીની છાતીએ ઘોળાયુ હશે પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

– કિસન સોસા