Category Archives: સંગીતકાર

અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

છેલ્લા લગભગ ૪ વર્ષથી ટહુકો પર ગૂંજતો આ ટહુકો આજે ફરી એકવાર… ગીતના સ્વરકારના પોતાના સ્વર સાથે..! અને હા, આજે તો દિવસ પણ special છે..! કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આજે ૭૭મો જન્મદિવસ..! ભગવતીકાકાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે
એમનું આ ગીત ફરી માણીએ..!

સ્વર – રાસબિહારી અને વિભા દેસાઇ
સ્વરાંકન – રાસબિહારી દેસાઇ


________________

Posted on March 1, 2007

ટહુકો પર હમણા સુધી મુકાયેલા ગીતો કરતા આ ગીત થોડુ અલગ પડે એવું છે. સૌથી પહેલા તો, ગીતના શબ્દો… અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો.. તમે!

ધવલભાઇના શબ્દોમાં કહું, તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે આ ગીત… અઢી અક્ષરનું ચોમાસુ ?? મોર છેડતો સાત અક્ષરની ચીજ ?? ( લયસ્તરો પર આ ગીતની સાથે comments section માં જે વાચકો વચ્ચે વાતચીત થઇ છે, એ વાંચવાનુ ગમે એવું છે… )

આશિત દેસાઇ અને હેમા દેસાઇના અવાજમાં live recording કરાયેલા આ ગીતમાં વચ્ચે વચ્ચે આશિતભાઇ જે રીતે પ્રેક્ષકો સાથે થોડી વાત કરે છે, એ સાંભળવાની પણ મજા આવશે. ફક્ત તબલા અને હારમોનિયના સંગીત સાથે રજુ થયેલું ગીત એક સાંભળો, અને તરત જ પાછુ સાંભળવાની ઇચ્છા ન થાય, તો જ નવાઇ.. !!

(લયસ્તરો પર મુકાયેલા ગીતના શબ્દોમાં થોડો ફેર છે… કદાચ ગીતનો લય જાળવવા સંગીતકારે શબ્દોમાં આટલો ફેર કર્યો હશે. )

સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : આશિત દેસાઇ, હેમા દેસાઇ

mor

.

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

— લયસ્તરો પ્રમાણે છેલ્લી કડી આ મુજબ છે. —

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

– ભગવતીકુમાર શર્મા

ડેલીએ આવે તો -પ્રજ્ઞા વશી

સંગીત: મેહુલ સુરતી

સ્વર: અનિતા પંડિત

ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,
કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;
કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,
હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;
મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

-પ્રજ્ઞા વશી

દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી

જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી  પડી.

-જવાહર બક્ષી

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની આ મનગમતી ગઝલ – ફરી એકવાર… એક તરોતાજા સ્વરાંકન સાથે

સ્વર – સંગીત – શૌનક પંડ્યા

Posted on October 23, 2010

અંકિત ત્રિવેદીની આ મને ખૂબ જ ગમતી ગઝલ.. આજે ફરી એક વાર – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!

*********

ગઝલ પઠન: અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે

કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –

ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.

અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.

સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.

સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.

– મકરંદ મૂસળે

અડધી રમતથી… (એક ઝલક)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

પાનખર – વિહાર મજમુદાર

શબ્દ : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : વિહાર મજમુદાર – નિનાદ મહેતા

પાનખર...  Photo by Vivek Tailor
પાનખર... Photo by Vivek Tailor

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

શાંતિ પમાડે તેને તો સંત કહીએ – બાપુ ગાયકવાડ

સ્વર -દિલીપ ધોળકિયા

શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે… ભાઈ રે શાંતિ

કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?… ભાઈ રે શાંતિ

રાજાની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?… ભાઈ રે શાંતિ

વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો
ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

વૈધ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો
ત્યારે વૈધ્યની તે ગોળી શીદ ખાઈએ રે?… ભાઈ રે શાંતિ

કીધી બાંધણી ને માથું વઢાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?… ભાઈ રે શાંતિ

નામ અનામ સદ્ગુરુ બતાવ્યું
તે નામ ચોંટયું છે મારે હઈયે રે?… ભાઈ રે શાંતિ

બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે?… ભાઈ રે શાંતિ

– બાપુ ગાયકવાડ

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ:

બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.

કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.

જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?

હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.

એક રાજા હતો એક રાણી હતી – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર – સંગીત : આશિત દેસાઇ

એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી
મારી તો વાટ આખી અજાણી હતી

માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી

જિંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં બીજી કયાં કમાણી હતી

એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો એ ય કાણી હતી

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.

– બરકત વિરાણી ‘બેફામ’