ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી… છેલ્લા 1 મહિનામાં લગભગ 5-6 જેટલા ‘Construction In Progress’ projects નું audit કર્યા પછી આ વાત મને કદાચ વધુ સારી રીતે સમજાય છે..!! 🙂
પણ સાચ્ચે.. ગઝલનો મત્લા (પ્રથમ શેર) એવો જાનદાર છે કે આખી ગઝલ વાંચવા મજબૂર કરી દે..!! અને આવા શાનદાર શબ્દોને જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં ‘ધનાશ્રી પંડિત’નો દમદાર અવાજ મળે, ત્યારે સાંભળનાર ડોલી ના ઉઠે તો જ નવાઇ..!!
.
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.
ફાગણ આવે એટલે કેસુડાના અને હોળીના રંગોની સાથે ગુલમહોર પણ લાવે.. અતુલમાં બાળપણના કેટલાય સંભારણાઓ સાથે ગુલમહોર પણ સ્મૃતિમાં અકબંધ છે. હા, આજકલ ગુલમ્હોરને સ્મૃતિઓ અને ફોટામાં જ જોવા પડે છે! 🙁 આખી સુવિધા કોલોનીમાં કેટલા ગુલમહોર હતા એ તો યાદ નથી, પણ આખી કોલોનીનો કોઇ જ એવો રસ્તો હશે જેના પર તમને ગુલમ્હોર ના હોઇ… અનેે જ્યારે એ મહોરે.. આ હા હા..
આજે ફાગણ સુદ એકમ… અને હમણાં જ તો આપણે ‘ક્ષેમુ દિવેટીઆ સ્પેશિયલ’ અઠવાડિયુ ઉજવ્યું – તો પછી આજે રંગીલા ફાગણને આવકારવા આના કરતા વધારે સારું ગીત કયું હોય, બરાબર ને? ફાગણના અલગ-અલગ રંગોને કવિને ખૂબ સુંદર રીતે વણી લીધા છે ગીત માં – અને સાથે એવાજ ખુશાલીના રંગો ઉમેર્યા છે ક્ષેમુદાદાના સંગીત અને ભવન્સવુંદના સ્વરો એ..!!
આપણને ય જાણે મન થઇ જાય કે ટોપલામાં ફાગણ નાખીને વહેંચવા નીકળી પડીયે… કોઇ ફાગણ લ્યો… કોઇ ફાગણ લ્યો…!!
આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?
‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –
” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”
અને આવા કરુણાસભર શબ્દોને ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…
વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…
ઘૂંટડે બુઝાતી ચિર પ્યાસ… કવિતાની, ગુજરાતી સુગમની ચિર પ્યાસને બુઝાવતો એક ઘૂંટડો પાતી ક્ષેમુ દિવેટીઆની આ રચના વિષે વધુ તો શું કહું? ખૂબ જ સુંદર શબ્દોને અનુરૂપ ગીત-સંગીત મળે ત્યારે આવી કોઇ રચના બને….