આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..
થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..
ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?
અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )
શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.
.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →
એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….
એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !
કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !
એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….
શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.
જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?
શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
– જયેન્દ્ર મહેતા
કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું