Category Archives: મુક્તક

ગ્લૉબલ કવિતા : ૧૦૦ : અમરુશતક

आलोलामलकावलीं विलुलितां बिभ्रच्चलत्कुण्डलं
किञ्चिन्मृष्टविशेषकं तनुतरैः स्वेदाम्भसः शीकरैः ।
तन्व्या यत्सुरतान्तदीप्तनयनं वक्त्रं रतिव्यत्यये
तत्त्वां पातु चिराय किं हरिहरस्कन्दादिभिर्देवतैः ॥३॥

વીંખાયેલ લટો, હલે સહજ જે કાને ધર્યાં કુંડળો,
ભૂંસાયો મુખલેપ ભાલ પરની પ્રસ્વેદ બુંદો થકી
આંખો વિહ્વળ મૈથુનાંત થઈ છે એ તન્વીનું મોઢું જ
દેશે રક્ષણ દીર્ઘકાળ, શું હરિ, મા’દેવ, સ્કંદાદિથી?

तद्वक्राभिमुखं मुखं विनमितं दृष्टिः कृता पादयो-
तस्यालापकुतूहलाकुलतरे श्रोत्रे निरुद्धे मया
पाणिभ्यां च तिरस्कृत सपुलकः स्वेदोद्गमो गण्डयोः
सख्यः किं करवाणि यान्ति शतथा यत्कंचुके संधयः ॥११॥

સન્મુખે મુખ જોઈ મેં મુખ નમાવ્યું, દૃષ્ટિ કીધી પગે,
તેના સાદપિપાસુ કાન ફટ ઢાંક્યા મેં અને હાથથી
સંતાડ્યો પસીનો કપોલ પરનો રોમાંચથી જે થયો,
સૈ! સો બાજુથી કંચુકીની કસ તૂટે; શું કરું, તું કહે.

दंपत्योर्निशि जल्पतोर्गृहशुकेनाकर्णितं यद्वच-
स्तत्प्रातर्गुरुसंनिधौ निगदत: श्रुत्वैव तारं वधूः ।
कर्णालम्बितपद्मरागशकलं विन्यस्य चञ्चवा: पुटे
व्रीडार्ता प्रकरोति दाडिमफलव्याजेन वाग्बन्धनम् ॥१६॥

પ્રેમાલાપ થયો હતો યુગલનો રાતે, શુકે એ સુણી
પ્રાતઃ સૌની સમક્ષ તારસ્વરથી એ બોલવા માંડતા,
કાઢીને મણિ કાનથી તરત એની ચાંચમાં મૂકી દૈ
લાજેલી વહુએ અનારભ્રમથી રોકી દીધી બોલતી.

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

જોઈ એક જ આસને પ્રિયતમા બેને, પૂરા માનથી
આંખો પાછળથી જઈ રમતના બા’ને બીડી એકની
ઢાળી ડોક જરા અને પ્રણયના ઉલ્લાસ-રોમાંચ ને
હાસ્યે ફુલ્લ કપોલવાળી અપરાને ધૂર્તે ચૂમી લીધી.

एकस्मिञ्शयने पराङ्मुखतया वीतोत्तरं ताम्यतो-
रन्योन्यं हृदयस्थितेऽप्यनुनये संरक्षतोगौरवम् ।
दंपत्योः शनकैरपाङ्गवलनान्मिश्रीभवंच्चक्षुषो
र्भग्नो मानकलिः सहासरभसं व्यावृत्तकण्ठग्रहः ॥२३॥

બંને એક જ સેજ પે અવળું મોં રાખી, જવાબો વિના
મૂંઝાતા, હૃદયે મનામણું છતાંયે ગર્વ રક્ષી સૂતાં.
થોડી આંખ ફરી, મળી નજર ને ટંટો હતો બેઉમાં
એ આલિંગન સાથ તુર્ત જ તૂટ્યો આવેગથી હાસ્યના.

तस्याः सान्द्रविलेपनस्तनयुगप्रश्लेषमुद्राङ्कितं
किं वक्षश्चरणानतिव्यतिकरव्याजेन गोपाप्यते ।
इत्युक्ते क्व तदित्युदीर्य सहसा तत्संप्रमार्ष्टुं मया
साश्लिष्टा रभसेन तत्सुखवशात्तस्याश्च तद्विस्मृतम् ॥२६॥

જે વિલેપન તેણીના સ્તનપુટે આલિંગતાં લાગ્યું છે
છાતીએ, ચરણે પડી શીદ છુપાવે એ બહાનાં તળે?
કે’તાં આવું, હું તુર્ત ‘ક્યાં છે’ વદતો એ લેપને ભૂંસવા
આલિંગ્યો સહસા, સુખે મગન થૈ તે વાત એ ભૂલી ગૈ.

प्रस्थानं वलयैः कृतं प्रियसखैरस्त्ररैजस्रं गतं
धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः ।
यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता
गन्तव्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥३५॥

ચાલ્યાં કંગન, આંસુ દોસ્ત સમ પૂંઠે એકધારાં વહે,
ને ધૈર્યે ન ક્ષણાર્ધ ટક્યું, મન તો પે’લાં જ માંડ્યું જવા,
કીધો નિશ્ચય જ્યાં જવા પ્રિયતમે, ચાલ્યાં બધાં સાથમાં,
છે નક્કી જવું સૌનું તો, હૃદય! શા માટે ત્યજે સંઘ તું?

तयाभूदस्माकं प्रथममविभक्ता तनुरियं
ततो न त्वं प्रेयानहमपि हताशा प्रियतमा ।
इदानीं नाथस्त्वं वयमपि कलत्रं किमपरं
मयाप्तं प्राणानां कुलिशकठिनानां फलमिदम् ॥६९॥

હતી પ્રીતિ એવી, તન ઉભયના એક જ હતા
તમે પ્રેમી થૈ ગ્યા, હું થઈ ગઈ આશાહીન પ્રિયા,
તમે બન્યા સ્વામી, હુંય ફકત પત્ની થઈ રહી.
અરે! નક્કી આ વજ્ર સમ મુજ પ્રાણોનું ફળ છે.

અમરુશતક – સ્ત્રી-પુરુષના સંબંધોના અમર શૃંગારકાવ્યો…

પંગોટથી નીકળીને અમે કોર્બેટ જવા નીકળ્યાને રસ્તામાં નૈનિતાલ આવતા અરવિંદ આશ્રમમાં ૨૭ વર્ષ જૂની યાદો તાજી કરવા ગાડી થોભાવડાવી. એવામાં એક ફોન આવ્યો. આ ‘એક વેશ્યાની ગઝલ’ તમે લખી છે? મેં હા કહી અને સામેથી સવાલોની અગનવર્ષા શરૂ થઈ. આ કવિતા કેમ લખી છે, કોના માટે લખી છે, એનો મતલબ શો થાય છે વગેરે વગેરે સવાલોનો જવાબ અચંભિત થઈને હું આપતો ગયો. એ ફોન મૂક્યો ત્યાં બીજો. ફરી એજ સવાલો. ફરી એ જ જવાબો. ત્રીજો ફોન. ચોથો ફોન. સામેથી સૂર બદલાવા માંડ્યો. સવાલો ગાળમાં અને ગાળ ધમકીઓમાં ફેરવાઈ ગઈ. વેશ્યાના જનનાંગ માટે સૂર્યનું પ્રતીક મૂકવા સામે એમને વાંધો પડ્યો હતો. ફોન ઉપાડવાનું બંધ કરી દેવું પડ્યું. છેવટે ફોન સ્વીચ ઑફ કરવાની ફરજ પડી. મારા અને મારા પરિવારને જાનહાનિની ધમકીઓ… ઘર-હૉસ્પિટલને નુકશાન પહોંચાડવાની ધમકીઓ… કવિતા કોઈ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે લખાઈ નહોતી. કવિતા આ પ્રસંગ બન્યો એના બાર વર્ષ પહેલાં લખાઈ ચૂકી હતી, સંગ્રહમાં છપાઈ ચૂકી હતી અને સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી શ્રેષ્ઠ સર્જનાત્મક પુસ્તકના પ્રથમ પારિતોષિક વડે સન્માનવામાં પણ આવી ચૂક્યો હતો. પણ વૉટ્સએપ અને ફેસબુક પર કોઈએ તિખારો મૂક્યો અને આગ કવિના અને કવિપરિવારના જાનમાલને દઝાડવા સુધી આવી પહોંચી. આ આજના ભારતની સહનશીલતા, સંસ્કાર અને સંસ્કૃતિની ભવ્યતાનો તરોતાજા દાખલો છે. આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં અમરુ નામનો એક કવિ સંભોગશૃંગારના સોએક શ્લોક લખી ગયો હતો એ શ્લોક આ સંદર્ભ નજર સામે રાખીને જોવા જેવા છે.

આપણી પાસે ભર્તૃહરિના ત્રણ શતક –શૃંગારશતક, નીતિશતક, વૈરાગ્યશતક- ઉપલબ્ધ છે. કવિ મયૂરનું મયૂરશતક એમ અમરુ કે અમરુકનું અમરુશતક. કેટલીક ટીકાઓમાં અમરુશતકના સ્થાને શૃંગારશતક કે શૃંગારદીપિકા નામ પણ જોવા મળે છે પણ ‘અમરુશતકમ્’ નામ જનમાનસમાં એ હદે રુઢ થઈ ચૂક્યું છે કે એ જ યથોચિત લાગે. આશ્ચર્ય થાય પણ એ હકીકત છે કે વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યમાંના એક અને વિશ્વની મોટાભાગની ભાષાઓના પાયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર પ્રાચીનતમ સંસ્કૃત સાહિત્યની સૌથી નબળી કડી ઇતિહાસ છે. ભાગ્યે જ કોઈ સંસ્કૃત સાહિત્યકારના જીવન વિશે આધારભૂત માહિતી જડી આવે છે. રાજા અમરુ કે અમરુક વિશે પણ માત્ર કિંવદંતીઓ જ હાથ લાગે છે. એવી કથા છે કે આદિ શંકરાચાર્ય દિગ્વિજય માટે કાશ્મીર ગયા ત્યારે લોકોએ એમની પાસે શૃંગારરસવર્ણનની ઇચ્છા વ્યક્ત કરી. શંકરાચાર્ય પરવપુઃપ્રવેશવિદ્યા વડે અમરુ રાજાના મૃતદેહમાં પ્રવેશી રાજાની સો રાણીઓ સાથે કામકેલિ કરીને કામશાસ્ત્રનો પ્રત્યક્ષ અનુભવ મેળવે છે. બીજી એક કથા એવી છે કે મંડનમિશ્રને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા બાદ એમના પત્ની શારદાદેવી શંકરાચાર્યને પડકાર ફેંકે છે અને કામવિષયક પ્રશ્નો પૂછે છે, જેનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માંગી આજીવન બ્રહ્મચારી શંકરાચાર્ય મૃગયા માટે નીકળેલા પણ સિંહનો શિકાર થઈ ગયેલા અમરુરાજાના શરીરમાં યોગવિદ્યાબળે પ્રવેશી કામશાસ્ત્રમાં પ્રવીણ થયા અને ‘અમરુશતક’ રચ્યું. શારદાદેવીએ હાર માનવી પડી. પણ આ વાત આજના સમયમાં પચાવવી અઘરી છે. એવું મનાય છે કે શંકરાચાર્યે નહીં, અમરુ કવિએ જાતે જ આ શતક લખ્યું હશે. અન્ય સંસ્કૃત સાહિત્યકારોના સમયકાળ, રચનારીતિ તથા અમરુના ઉલ્લેખોની હાજરી-ગેરહાજરી પરથી એમ ધારી શકાય કે આ રચનાનો સમયગાળો ઈ.સ. ૭૫૦ની આસપાસનો હશે. પ્રસિદ્ધ વિદ્વાન કે. હ. ધ્રુવ લખે છે: ‘ચાર જ પદમાં રસ જમાવનાર અમરુ કવિનો વૃત્તાંત પણ ચાર જ વાક્યમાં સમાય છે, જે ઈસવીસનના સાતમા સૈકાના છેવટમાં થયો હતો. એ દક્ષિણનો વતની હતો. એ જાતે સુવર્ણકાર હતો. એણે એકલું અમરુશતક રચ્યું છે.’

અમરુ રાજા હતા કે ફક્ત કવિ, ક્યારે થઈ ગયા અને એમણે બીજી કોઈ રચનાઓ કરી છે કે નહીં, એ બધા પ્રશ્નો રેતી પરથી સમયની આટલી લાંબી નદી ફરી વળ્યા બાદ હવે કંઈક અંશે અપ્રસ્તુત પણ છે. અમરુશતકની પણ એકાધિક પ્રત મળે છે, જેમાં શ્લોકોની સંખ્યા, ક્રમ અને ભાષામાં પણ તફાવત જોવા મળે છે. પણ આ તમામ વિપરિતતાને બાદ કર્યા બાદ આપણા હાથમાં જે સોએક શ્લોક હાથમાં રહે છે એ તમામ સો ટચનું સોનું છે અને એ જ આપણી સંસ્કૃતિની સાચી ઉપલબ્ધિ છે. જે લોકો આપણી સંસ્કૃતિના મૂળ સુધી ઊતર્યા જ નથી એ લોકો આજે જ્યારે ભારતદેશની સભ્યતા-સંસ્કૃતિ-સંસ્કારના નામે હુડદમ મચાવીને દેશ આખાને મૂઠ્ઠીમાં દબોચી બેઠા છે, ત્યારે લોકો, લોકશાહી, કાયદો અને સરકારની સહિયારી નિષ્ફળતા અને નિષ્ક્રિયતા આપણી ‘સાચી’ સભ્યતાના ઘોર પતન માટે જવાબદાર બને છે. જે લોકોને દેશનો ઇતિહાસ જ ખબર નથી, એ લોકો વર્તમાનને બાનમાં લઈ બેઠાં છે અને ભવિષ્યને દૂધ પીતું કરી રહ્યાં છે. અને છતી આંખે ભીષ્મ પિતામહની નપુંસકતાથી આપણે સૌ સંસ્કૃતિના નામે થતું આ સરાજાહેર વસ્ત્રાહરણ જોતાં બસ, બેસી જ રહીએ છીએ.. આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી. સંસ્કૃતિના નામે આપણે આજે જે ‘ઇનટોલરન્સ’ (અસહિષ્ણુતા) ફેલાવી છે એના જ દુષ્પરિણામે શેરી-શેરીમાં માસૂમ બાળાઓ વાસનાભૂખ્યા શિકારીઓના હાથે પીંખાઈ રહી છે..

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું સર્જન જ કેમ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? આદિકવિ વાલ્મિકીરચિત ભારતવર્ષના સૌપ્રથમ મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. રામાયણને પડતું મૂકો… આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે ઉત્થાન પામેલા શિશ્ન અને યોનિની પૂજા કરે છે… ખજૂરાહોને લો… શું છે ત્યાં? મંદિરની દીવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો કહેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. આપણો દેશ આબાલવૃદ્ધ સહુને કામકળા શીખવનાર મહર્ષિ વાત્સ્યાયનના ‘કામસૂત્ર’નો દેશ છે. ભર્તૃહરિના શૃંગારશતક અને અમરુના અમરુશતકનો આ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના આ ઉદાત્ત ઉદાહરણો આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે….

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો અમરુશતક એટલે મુક્તક-સંગ્રહ. વિશ્વનાથે તો वाक्यं रसात्मकं काव्यम् કહી જેમાં રસ જન્મે એ તમામ વાક્યોને કાવ્યકરાર આપી દીધો પણ મુક્તક એ સંસ્કૃત કવિતાનો વિશિષ્ટ પ્રકાર છે. મુક્તક એટલે મોતી. ચાર પંક્તિની ગાગરમાં આખો સાગર સમાવે એ મુક્તક. કવિ અમરુ મુક્તક વિશેની આચાર્ય વિશ્વનાથની વ્યાખ્યા छन्दोबद्धपदं तेन मुक्तेन मुक्तम् (છંદોબદ્ધ હોય પણ અન્ય કશીય આકાંક્ષાથી મુક્ત હોય એ મુક્તક)નું યથાર્થ પાલન કરતાં જણાય છે. અહીં છંદ છે પણ પ્રાસ ભાગ્યે જ જોવા મળે છે. છંદવૈવિધ્ય તો છે પણ બહુધા શાર્દૂલવિક્રીડિત છંદ જ પ્રયોજાયો છે. ભાષાની દૃષ્ટિએ અમરુ કદાચ કાલિદાસની હરોળમાં બેસે છે એમ કહીએ તો અનુચિત નથી. બહુ ઓછા સંસ્કૃત કવિઓ પાસે અમરુની સમકક્ષ બેસી શકે એવું ભાષાપ્રભુત્વ છે. અમરુશતકમાં પ્રમુખતઃ વિપ્રલંભશૃંગાર અને સંભોગશૃંગાર જોવા મળે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધના લગભગ તમામ આયામોને અમરુ બખૂબી સ્પર્શે છે. વિરહ, મિલન, પ્રતીક્ષા, બેવફાઈ, બહુસ્ત્રીત્વ, કલહ, ઈર્ષ્યા, રીસામણાં-મનામણાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના સંવેદનોમાં જે કશાની કલ્પના કરી શકાય એ તમામ લાગણીઓ અને પ્રસંગો અહીં જોવા મળી શકે છે. કામ અને કામકેલિ આ સમસ્ત કાવ્યજગતનું કેન્દ્રબિંદુ છે. બધા જ મુક્તકો એની આસપાસ ફરતાં અનુભવાય છે પણ સુચારુતાનો ક્યાંય ભંગ થતો જણાતો નથી. આ મુક્તકો માણીએ તો સમજાય કે હકીકતમાં આર્યાવર્ત ભારત દેશ હકીકતમાં શું હતો અને આજે ક્યાં પહોંચી ગયો છે…

કેટલાક મુક્તક આસ્વાદીએ…

(૧)
આપણા પ્રાચીન કાવ્યોમાં કાવ્યારંભે દેવી-દેવતાઓનો મહિમા કરવાની પરંપરા રહી છે. અમરુશતક તો શૃંગારશતક છે. સંભોગશૃંગારનું કલૌચિત ગાન છે. એટલે અહીં કયા દેવ-દેવીનો મહિમા હોવો જોઈએ એમ જરા વિચારતાં જ ‘વિષય’ ખુલીને સામે આવે છે. અહીં વિષયને subject matter તરીકે પણ લઈ શકાય અને કામભોગના સાધન તરીકે પણ ગણી શકાય. પ્રથમ મુક્તકમાં અંબા અને બીજા મુક્તકમાં કામને બાળનાર શંકરના અગ્નિને સ્મરીને આ ત્રીજા મુક્તકમાં કવિ સહજ હેતુ પર આવે છે. તાજી જ સંભોગથી પરવારી હોય એવી કૃશાંગી કન્યાના રૂપનું વર્ણન અહીં છે. કામકેલિના ઉન્માદના પરિણામે વાળની લટો વીંખાયેલી છે, કાનમાં પહેરેલાં કુંડળો હજીય ધીમું ધીમું હલી રહ્યાં છે, મુખ ઉપર જે ચંદનનો લેપ ક્રીડા પહેલાં હાજર હતો એ ક્રીડાંતે કપાળ પર ઉદ્ભવેલા પસીનાની ઝીણી ચળકતી બુંદોના કારણે ભૂંસાઈ ગયો છે, આંખો હજીય સ્થિર થઈ શકી નથી. કવિ કહે છે કે આવી આ તન્વીનું મુખ જ લાંબા સમય સુધી તમારું રક્ષણ કરશે. વિષ્ણુ, શંકર, કાર્તિકેય કે અન્ય પ્રમુખ દેવતાઓની આરાધના કરવાથી કશું વળવાનું નથી.

(૨)
સંસ્કૃત મુક્તકોની એક વિશેષતા એ છે કે એ ભાવકના પક્ષે પૂરતી સજ્જતા માંગે છે. ઘણી વસ્તુઓ અધ્યાહાર રહેલી હોય છે, એટલે વાચકે બોલનાર કોણ છે, કોને કહે છે અને/અથવા વાતની પશ્ચાદ્ભૂ શું છે એ કવિતાના આધારે સમજવું ફરજિયાત બની રહે છે. અચાનક પ્રિયતમ નજીક આવી ચડ્યો છે. એનું મોઢું પોતાના મોઢાની નજીક આવી ગયેલું જોતાં નાયિકા પોતાનું મોઢું નમાવી દે છે અને દૃષ્ટિ પગ પર ખોડી દે છે. જે કાન પ્રિયતમનો અવાજ સાંભળવા જાણે જનમ-જનમથી તરસ્યા હતા એ કાનને બંધ કરી દે છે. પ્રાણપ્યારાને નિકટવર્તી નિહાળી અચાનક થયેલા રોમાંચના કારણે ગાલ પર જે પસીનો થયો છે એને હાથ વડે ઢાંકી દે છે… ટૂંકમાં પોતે પ્રેમમાં છે પણ પ્રેમ પ્રદર્શિત કરવા મંગતી નથી, રાહ જોઈને જ બેઠી છે પણ પ્રતીક્ષા જાહેર કરવી નથી, સહરાની પ્યાસ લઈને ઝૂરે છે પણ પ્રિયતમને એનો અહેસાસ થવા દેવો નથી. શું કારણ હોઈ શકે? વ્રીડા હોય કે વૃથાભિમાન, રીસ હોય કે અદા – પણ છૂપાવીને છતુ કરવું એ સ્ત્રીની ખાસ લાક્ષણિકતાઓમાંની એક છે. બધી રીતે પોતાની પ્રતીક્ષા, પોતાનો પ્રેમ, પોતાનો ઉલ્લાસ સંતાડવામાં સફળ સ્ત્રી હરખ ન માવાથી ફાટ-ફાટ થતી છાતીના કારણે એની કંચુકીની કસો સો તરફથી તૂટું-તૂટું થાય છે એ સંતાડી શકતી નથી… એટલે સખી આગળ મીઠો છણકો કરતાં પોતાનો બચાવ કરે છે કે મેં મૂઈએ તો ફૂલપ્રુફ તૈયારી કરી હતી પણ વાંક તો આ કાંચળીનો છે, જેણે મારી ચુગલી કરી… કેવો મીઠો બચાવ!

(૩)
ઘરમાં પઢાવેલો પોપટ હોય એની તો વાત જ ન્યારી. આપણે જે કંઈ બોલીએ એના ચાળા જ્યારે એ એના મધમીઠા અવાજમાં પાડે ત્યારે કેવી મજા પડે છે! પણ માની લો કે આ પોપટ તમારા શયનકક્ષમાં છે… હવે? રાત્રે કામકેલિમાં જોતરાતા દંપતિ વચ્ચે જે પ્રેમાલાપ થાય એ કેટલો અંગત હોય! જે ભાષા જાહેરમાં વાપરતાં સંકોચ થાય એ સંકોચના આવરણ શયનકક્ષના મીઠા એકાંતમાં વસ્ત્રોની સાથોસાથ જ ઊતરી જતાં હોય છે. પણ પોપટ આ વાત સાંભળી જાય અને બીજા દિવસે સવારે સાસુ-સસરા કે અન્ય વડીલો દીવાનખંડમાં બેઠા હોય એમની ઉપસ્થિતિમાં મોટા અવાજે બોલવા માંડે ત્યારે કેવી ક્ષોભજનક પરિસ્થિતિ સર્જાય! પણ વહુ હોંશિયાર છે. પોપટ પોતાની રતિક્રીડાના વટાણાં વેરી રહ્યો છે એ જોઈને શરમની મારી પણ અત્યંત ચપળ વહુ સમયસૂચકતા વાપરીને કાનમાં પહેરેલી બુટ્ટીમાંના માણેકનો નંગ કાઢીને તુર્ત જ એની ચાંચમાં મૂકી દે છે અને દાડમનો દાણો ચાંચમાં મૂકી રહી હોવાનો ભ્રમ ઊભો કરી પોપટને છેતરીને એની બોલતી બંધ કરી દે છે. ચાર પંક્તિના શ્લોકમાં સાવ સરળ લાગતી ક્રિયા રજૂ કરીને કવિ અમરુ એક ઉત્તમ ચિત્રકારની પેઠે અદભુત અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર ખડું કરે છે.

(૪)
પોલિગામી-બહુસ્ત્રીત્વ શબ્દ તો હવે ચલણમાં આવ્યો પણ ભારતીય સંસ્કૃતિમાં તો બહુપત્નીત્વની રસમ શરૂથી જ છે. દ્રૌપદીના કેસમાં બહુપતિત્વ પણ જોવા મળે છે. ચાલ ગમે તે હોય પણ એકાધિક પ્રિય પાત્રને અન્યોન્યની હાજરીમાં એકસાથે ખુશ કરવાની કળા તો કદાચ સાક્ષાત્ કૃષ્ણનેય હાંસિલ નહોતી. સત્યભામા અને રુક્મણીની વચ્ચેનો ખટરાગ એ કદી દૂર કરી શક્યા નહોતા. એમણે પારિજાતનું ઝાડ પણ એકના આંગણામાં વાવવું પડ્યું હતું અને ફૂલ બીજીના આંગણામાં પડે એવી વ્યવસ્થા કરવી પડી હતી. અમરુનો નાયક કૃષ્ણથીય અદકું ચાતુર્ય દાખવે છે. બે પ્રિયતમાઓને એક જ આસન પર બેઠેલી એ પાછળથી જોઈ જાય છે. નાયક પ્રેમનો માર્યો છે એટલે નજીક ગયા વિના રહી શકાય એમ નથી ને નજીક જાય તો બંનેને એકીસાથે ખુશ કરી શકાય એ શક્ય નથી. એટલે ચાલાકીથી પાછળથી નજીક જઈને પૂરા આદરભાવ સાથે એ એક પ્રેયસીની બંને આંખો રમત કરી રહ્યો હોવાના ઓઠાં હેઠળ બે હાથ વડે ઢાંકી દે છે અને ડોકી વાંકી વાળીને બાજુમાં જ બેઠેલી બીજી પ્રેયસીને ચૂમી લે છે. ચુંબન મેળવનાર પ્રેયસી એમ સમજે છે કે આ તો ખાલી મને જ પ્રેમ કરે છે ને એટલે પ્રેમોલ્લાસ અને રોમાંચથી છલકાવાના કારણે એના ચહેરા પર હાસ્ય ફરી વળે છે જેના કારણે એના ગાલ ફૂલી જાય છે, અર્થાત્ એના ચહેરા પર એક નવી જ રંગત આવી જાય છે. પહેલી એમ સમજે છે કે આ મને જ ચાહે છે કેમકે બે જણ સાથે હતાં તોય એણે મારી જ આંખ મસ્તીથી દબાવી, ને બીજી એમ સમજે છે કે મને ચૂમવા આણે પેલીને મૂર્ખ બનાવી. હકીકતમાં નાયકથી વધીને કોઈ ધૂતારો નથી જે એક કાંકરે બે પક્ષી મારવામાં સફળ થાય છે.

(૫)
હૈયે પ્યાર પણ હોઠે ઇન્કારનું મધૂરું ચિત્ર. પતિ-પત્ની બંને વચ્ચે કોઈક ઝઘડો થયો છે. પરસ્પરની માનહાનિ થઈ છે. પરિણામે બંને જણ સૂતાં તો છે એક જ પથારીમાં પણ મોઢું એકબીજાથી ઊલટી દિશામાં કરીને. જે તકલીફ ઊભી થઈ છે એ માટેના કોઈ જવાબ પાસે ન હોવાથી બંને મૂંઝાઈ રહ્યાં છે. દિલમાં તો એકબીજાને મનાવી લેવાની ને માની જવાની અસીમ ઉત્કંઠા છે પણ પહેલ કરીને નીચું કોણ નમે વિચારી બંને પોતપોતાના કહેવાતા ગૌરવની ખોખલી રક્ષા કરી રહ્યાં છે. પણ જીવ તો બેચેન છે. પોતે શું નથી કરતું એ કરતાં સામું પાત્ર શું કરે છે એ જાણવા-જોવાની ઉત્કંઠા બંને છેડે સમાન છે. પોતે તો મોઢું ફેરવી લીધું છે પણ સામું પાત્ર પલટીને પોતાના તરફ જુએ છે કે નહીં એ જાણવાનો લોભ બેમાંથી એકે ખાળી શકતાં નથી. પરિણામે બંને જણ આંખના ખૂણા પલટાવે છે અને અનાયાસ બંનેની નજર એકમેક સાથે ટકરાય છે. ઝઘડો તો થયો જ છે, નારાજગી પણ છે જ પણ પ્રેમની લાગણી આ તમામની ઉપર સર્વોપરિ સિદ્ધ થાય છે. બંને વચ્ચે તારામૈત્રક રચાતાં જ ન જડતાં જવાબોની કે મનામણાંની કશી જરૂર જ ન રહી. વૃથા અભિમાનનો આડંબર તત્ક્ષણ નાશ પામે છે અને બંને જણ પોતાની મૂર્ખતા પર આવેગપૂર્ણ હસીને એકમેકને ગળે લાગે છે. શબ્દોની સરહદ વટી જાય છે ત્યાંથી પ્રેમનો પ્રદેશ શરૂ થાય છે…

(૬)
અહીં પણ પૉલિગામીનો જ કિસ્સો છે. બે પત્નીઓ છે, કે બે પ્રેયસી કે એક પત્ની અને એક પ્રેયસી એ હકીકત છતી થતી નથી ને એની જરૂર પણ નથી, પણ એટલું જરૂર સમજાય છે કે જે સ્ત્રી પાસે પુરુષ આવ્યો છે એ સ્ત્રી પુરુષના અપરા સાથેના સંબંધથી અનભિજ્ઞ નથી. પુરુષ એક સ્ત્રી સાથે સંભોગ કરીને પરત આવ્યો છે. પેલીના સ્તનમંડળ પર ચંદનનો ગાઢો લેપ હશે તે ક્રીડા દરમિયાન પુરુષની છાતી પર લાગી ગયો છે. કામના નશામાં ચકચૂર પુરુષના મનોમસ્તિષ્ક પર આ વાત આવી નથી અને અનંગવેગ હજી ટાઢો પડ્યો નથી એટલે એ જ હાલતમાં એ બીજી સ્ત્રી પાસે આવી ચડે છે અને એની રૂબરૂ થતાં જ એને સહસા પેલો ચંદનલેપ યાદ આવે છે એટલે પગે પડવાને બહાને એ છાતી અને આબરૂ –બંને છૂપાવવા મથે છે. પણ સ્ત્રીની આંખોમાં કુદરતે રડારયંત્ર મૂક્યું છે એની એને જાણ નથી. પેલી તરત જ ઉધડો લેતાં પૂછે છે કે પેલીને આલિંગતાં એના સ્તનપુટ પર જે લેપ હતો એ તારી છાતી પર લાગ્યો છે એ શા માટે મારા ચરણે પડવાના ઓથા હેઠળ છૂપાવે છે? પણ જો સ્ત્રીની આંખોમાં રડાર છે તો બેવફા પુરુષને કુદરત પડતો ચતુર પણ બનાવે છે. જેવો આવો પ્રશ્ન સામે થી આવ્યો કે તરત જ ક્યાં છે, ક્યાં છે કરતોક પુરુષ સ્ત્રીને એ લેપ ભૂંસી નાંખવા જોરથી સાહસ કરીને આલિંગે છે. અને જુઓ પ્રેમની રીત! હજી ક્ષણભર માટે પુરુષમાં બેવફાઈના પ્રમાણ શોધી ટોણો મારતી સ્ત્રી આલિંગનના સુખમાં એવી ખોવાઈ જાય છે કે એ પેલી લેપવાળી આખી વાત જ ભૂલી જાય છે… ખેર, પરસ્પરના સુખમાં મગન થઈ જઈને અરસપરસનાને ભૂલી જવું એ જ તો છે જિંદગી.

(૭)
પ્રિયતમે જવાનું નક્કી કરી લીધું છે. પણ અહીં વિરહ છે, વિસંવાદ નથી, જુદાઈ છે, પ્રેમવિચ્છેદ નથી એ મુક્તકમાંથી પસાર થતાં સમજાઈ જાય છે. પ્રિયતમના જવાની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલતી હોવી જોઈએ કેમકે છૂટા પડવાનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે, સ્ત્રી દૂબળી પડતી જાય છે. અંતે જ્યારે છૂટા થવાનો સમય આવી ચડે છે ત્યારે શરીર સૂકાઈને કાંટો થઈ ગયું હોવાથી પહેલાં જે કંગન હાથમાં રોફભેર ખણકતાં હતાં એ હાથ પાતળો થઈ ગયો હોવાથી હાથથી નીકળીને પડી જાય છે. હેમચંદ્રાચાર્યનો દૂહો યાદ આવે:

વાયસુ ઉડ્ડાવંતિઅએ પિયુ દિઠ્ઠઉ સહસત્તિ,
અદ્ધા વલયા મહિહિ ગય અદ્ધા ફુટ્ટ તડત્તિ !
(વાયસ ઉડાવનારીએ પિયુ દીઠો સહસા જ,
અડધા કંકણ ભૂમિમાં, અડધા તૂટ્યાં ત્યાં જ !)

સ્ત્રીના દરેક સંકટ સમયના સાથી ગણાતા પ્રિય સખા જેવા આંસુઓ પણ પ્રિયતમની પાછળ એકધારાં વહી રહ્યાં છે. ધીરજ તો ક્ષણભર પણ ટકતી નથી. મન તો આ બધાથી પહેલાં જ સાથ છોડી પ્રિયતમ સાથે ચાલ્યું ગયું હતું. આમ, પ્રિયતમે જવાનું નક્કી કર્યું ત્યારે એક પછી એક બધાએ એની સાથે જવા માંડ્યું. સ્ત્રી પોતાના હૃદયને પ્રશ્ન કરે છે: જો બધાનું જવાનું નક્કી જ છે તો તું શા માટે આ કાફલાનો સાથ છોડે છે? તું પણ કેમ સાથે ચાલ્યું નથી જતું? પ્રિયના વિરહમાં પોતે મરી કેમ નથી જતી એ વિડંબના નાયિકાને અકળાવે છે. પ્રિય પાત્ર વિનાની જિંદગી એ જિંદગી કે સાક્ષાત્ મોત જ? પ્રોષિતભર્તૃકા માટે પિયુવિરહમાં જીવવું અશક્ય થઈ પડનાર છે એ વાત સમજાતાં જ અમરુના કવિત્વની શ્રેષ્ઠતા માટે માન થઈ આવે છે.

(૮)
પ્રેમ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, સમયના હાથે ટોચાઈ-ટોચાઈને એ હતો-ન હતો જરૂર થઈ જાય છે. સમયના છીણી-હથોડા સમય જતાં પ્રેમના શિલ્પને કોરી-કોરીને નવો જ આકાર આપી દે છે એ વાત અમરુ બહુ અદભૂત રીતે સમજાવે છે. નાયિકા કહે છે કે પહેલાં આપણાં બેઉ વચ્ચેનો પ્રેમ એટલો બધો ગાઢ હતો કે આપણે બે અવિભક્ત હતાં, અદ્વૈતાવસ્થાએ હતાં. પણ પછી સમય વીતતાં તમે પ્રેમી બની ગયા અને હું હતાશ પ્રિય બનીને રહી ગઈ. અદ્વૈતમાંથી આ દ્વૈતગતિ નાયિકાને કષ્ટ આપે છે. પણ આ કષ્ટ પણ કંઈક અંશે સહ્ય હતું. સમસ્યા તો ત્યારે સર્જાઈ જ્યારે પુરુષ પ્રેમીમાંથી કાળક્રમે નાથ-સ્વામી-ધણી બની ગયો અને સ્ત્રીના ભાગ્યે આશાહીન પ્રિયામાંથી પત્ની-ક્લત્ર બનવાનું આવ્યું. સ્ત્રીને તકલીફ એ છે કે આવો સમય, આવું પરિવર્તન આવ્યાં છતાં એ હજી જીવી રહી છે, એનું હૃદય બંધ નથી પડી ગયું. નક્કી એનું પ્યારું હૃદય વજ્ર સમાન કઠિન હોવું જોઈએ અને આવા કઠોર હૃદયનું જ આ ફળ છે કે જીવનમાં આવો અસહ્ય બદલાવ-અલગાવ આવી ગયો હોવા છતાં એના પ્રાણ છૂટતાં નથી…

મુક્તકો – મનહરલાલ ચોક્સી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

***

તમારો ઈશારો મને ઓળખે છે
કહું શું? બહારો મને ઓળખે છે
હ્રદયનું તમે દાન આપી ચૂક્યાં છો
તમારા વિચારો મને ઓળખે છે

***

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

– મનહરલાલ ચોકસી

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

મુક્તક – આદિલ મન્સૂરી

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

– આદિલ મન્સૂરી

મુક્તકો – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

***

એક ઠંડી નજરથી થીજે છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત સાગર તરી જનારા પણ
છેવટે લાંગર્યા અખાતોમાં

***

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

***

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

***

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

( આભાર – લયસ્તરો.કોમ)

મુક્તકો – રમેશ પારેખ

ગઈ કાલે કવિ શ્રી રમેશ પારેખ નો જન્મદિવસ હતો…. તો આજે એમના આ મુક્તકો માણી એમને શ્રધ્ધાંજલી અર્પીએ..!

****

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

—-

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

—-

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !

ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

शतम् जीवम् शरदः |

jayudi2

જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.

હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!

– વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)

… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

-વિવેક મનહર ટેલર

* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! 🙂 -ઊર્મિ

ધીરે ધીરે લખ્યું – રઇશ મનીઆર

આજની પોસ્ટ એટલે ઊર્મિની છલકતી ગાગરમાંની એક બુંદ..! એટલે કે – કોઇ પણ ભેળ-સેળ વગર સીધ્ધી ઉઠાંતરી! 🙂 આમ પણ, Original material આટલું perfect હોય, તો એમાં મારી વાતો વચ્ચે મુકીને remix કરવાની જરૂર ખરી? (એટલે જ આ વાત અહીં શરૂઆતમાં જ કરી.) આગળ વાંચો ‘ઊર્મિ’ની ઊર્મિઓ…

cd-cover-sml.jpg

ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

*

અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

-ડૉ. રઈશ મનીઆર

તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી

જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..

અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો

સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી