Category Archives: કવિઓ

હું જાણું – ઉશનસ્

આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ રચના..!

(Photo : Gujarati Sahitya Parishad)

હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી ન બીજું
મનુષ્યે વ્હાલાના મરણ થકી ટેવાવું જ રહ્યું
બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવું ય રહ્યું :

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું !
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહિ થકી
જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી
(અને જોવા જેવી બીજી ચીજ અહિ છે ય કંઇ તે?)

બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલસૂફ બની
પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું, અમ ગેહે જ? વસમું

છયે કોઠે જીતી ફિલસૂફી અહિ સપ્તમ ગઢે
જતી હારી, હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શૈયા સ્મૃતિશરની – દેશો ન ઠપકો
નિરાંતે ઓ મારાં નયન, અહિ એકાંત ટપકો.

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

.

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ – જિગર જોષી ‘પ્રેમ’

(કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં… અને આનું? … Blue Jay ~ Cyanocitta cristata
@ Michigan, Detroit, USA @ 11-11-2009. Photo by: Vivek Tailor)

******

વાદળની આંગળીને પકડીને આજ ફરી વરસાદને પાછો લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

આંગણામાં ઝાડ એક વાવશું તો રોજ રોજ ટહુકાઓ કેટલાયે આવશે
કો’ક કૂહુક કૂહુક કો’ક ચીં ચીં ચીં બોલીને આંગણાને કલરવતું રાખશે
ફૂલોથી રોજ બધા આંગણું મહેકાવતા, અમે પંખીથી આંગણું મહેકાવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

સાંભળ્યું છે હમણા તો વરસાદ ગયો છે ક્યાંક દૂર દૂર પરિઓના દેશમાં
એની સાથે જ પેલું મેઘધનુષ ગાયબ છે સાત સાત રંગોના ડ્રેસમાં
શું કામે ભાઇ હવે મોડુ કરવું હેં ? ચાલો બેઉને જલદી લૈ આવીએ
ચાલો આંગણામાં ઝાડ કોઇ વાવીએ

–  જિગર જોષી ‘પ્રેમ’

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

લયસ્તરો પર યાદગાર ગીતો શ્રેણીમાં આ ગીત મુકવાનું હતું, ત્યારે પહેલીવાર સાંભળ્યું. અને thanks to wordpress technical problem, આખા દિવસમાં ૧૦-૧૨ વાર આ ગીત સાંભળવું પડ્યું – music file play થાય છે કે નહીં એ જોવા માટે આમ તો એક ક્લિક કરીને બંધ કરી શકાય… પણ જેટલીવાર ક્લિક કર્યું – આખું ગીત સાંભળ્યું! પણ ગીત એટલું તો ગમી ગયું, કે બીજા ૧૦-૧૨ વાર બસ એમ જ સાંભળ્યાં જ કર્યું.. વિવેકે કહ્યું તેમ – આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે? !!

(નિખિલનો એક રંગ   … Lone Cypress, 17 Mile Drive, CA)

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

સ્વર : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સ્વર : હરિશ્ચંદ્ર જોશી
આલબમ : સંગત
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી

.

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

————
(લયસ્તરો પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં આ ગીતની સાથેની ધવલભાઇની પ્રસ્તાવના અહીં એમના જ શબ્દોમાં..!)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

(આખું જંગલ થઈ ગયું વાંસળી……..)

Date : 27 May 2006(2006-05-27), 13:06
Source : Adashino chikurin-no-michi
Author : solution_63

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ,
પોપચામાં નીંદરથી ચીતરાતું,
ભલું મારું સપનું બગડવાની ટેવ.

હું તો કાગડાથી બીઉં છું ને એટલે,
તને કાગડાઓ પાળવાનો શોખ થાય,
હું મારા ટેરવાંને કોયલ કરું ને
તારી આ આંબો સંતાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…

ને પવન એમ સોંસરવો વાય,
આખું જંગલ થઈ ગયું વાંસળી,
આ મારે પાણીનું ટીપું ___?
તને દરિયો ઉડાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…

અડોઅડ – સોનલ પરીખ

(લૈ સમુદ્રો પ્હાડ વચમાં….. )

***

હું ને મારા વ્રણ અડોઅડ
આગ ને ઈંધણ અડોઅડ

સાથ કે જોડાણ ક્યાં છે ?
રાખનું વળગણ અડોઅડ

લૈ સમુદ્રો પ્હાડ વચમાં
બેસતાં બે જણ અડોઅડ

કોણ કોને કેમ ફળવું
તથ્ય ને તારણ અડોઅડ

હું મને મળવા ગઈ ત્યાં
કોકે લીધું પણ અડોઅડ

આપણા કૈં કેટલાં ‘પણ’
શક્યતાની ક્ષણ અડોઅડ

મૌનની કોમળ સમજ છે
વ્યર્થના ભાષણ અડોઅડ

– સોનલ પરીખ

***

(વ્રણ = ઘા; નારું)

વરસોથી સંઘરી રાખેલી – સૈફ પાલનપુરી

સ્વર: મનહર ઉધાસ

.

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા

નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો.

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને;
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો.

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)

kaanuda

કાવ્ય પઠન – હરિન્દ્ર દવે

.

સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

तेरे जाने के बाद – ઊર્મિ

લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ લખવાની પ્રેરણા ઊર્મિને જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી છે.

અને આજે – વ્હાલી ઊર્મિના જન્મદિવસે આ ગઝલ આપણા સર્વ તરફથી ઊર્મિને… જન્મદિવસની અમિત શુભેચ્છાઓ સાથે.. 🙂

fall-season1-sml
(લીલોતરીની સૂકી સૂકી વિદાય…     7 નવેમ્બર 2008)

*

બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

*

સ્વર અને સ્વરાંકન – રિષભ મહેતા

.

સ્વર – ગાયત્રી મહેતા
સ્વરાંકન – રિષભ મહેતા

.

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

– ઊર્મિ (૬ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા