દર શનિવારનું ritual
સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી –
કેવું સારું!
કશુંય પૂછવાગાછવાનું નહીં!
આંખો અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!
ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિકઃ બેવડા કવરમાં
સચવાઈ પડેલા ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા!
માનવસંપર્કમાંથી સાવ વિખૂડી ગાયો કણસે છે,
માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
અને
સંભળાય છે ત્રાસની ચીસ
“disjointed chicken in family size” માં… !
હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ
“fortified, homogenized, pastuerized
અને vitamins added!”
બિચારી ગાયો શું વિચારતી હશે!
અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
શબ્દો ગૂગળાતા, અકળાતા;
સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપાટપ…
ઘસડાઈ ઘસડાઈને
શૉપિંગ કાર્ટનાં ખખડી ગયેલાં પૈડાંનો ઘરઘરાડ
અને
કેશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…
બહાર આવું છું –
જાણે હું
બહેરાંમૂંગાની નિશાળની
આંખ-હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ…!
– પન્ના નાયક
Chitralekha’s 61st annual issue had 61 prominent Gujarati’s including Panna Naik
આજે ૨૯ ડિસેમ્બર.. ગુજરાતી વેબ-જગતમાં સ્વરચિત કાવ્યો-ગઝલોનો સૌપ્રથમ, અન સૌનો માનીતો બ્લોગ – ‘શબ્દો છે શ્વાસ મારા‘ નો ત્રીજો જન્મદિવસ.. ત્રણ વર્ષમાં ૨૦૦થી વધુ ગીત-ગઝલોની સાથે સાથે ઘણું બધું આપ્યું છે વિવેકભાઇએ, અને ખરેખર તો આ હજુ એક શરૂઆત જ કહી શકાય. તો આજે આ ગઝલ-પ્રેમી કવિનું એક મસ્તીભર્યું ગીત એમના જ અવાજમાં સાંભળીને આપણા તરફથી એમને શુભેચ્છાઓ આપીએ. (અને સાથે આ ફોટો પણ એમના તરફથી જ – એમની Prior Permission વગર.. 🙂 )
આજે ૧૨મી માર્ચ છે. આજથી ૮૨ વર્ષ પહેલા, ગાંધીજીએ ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ કર્યો હતો. તેની યાદમાં પ્રસ્તુત છે, ઉમાશંકર જોશીનું આ કાવ્ય….
“Bapuji” (1930) by Nandalal Bose
(Photo: National Gallery of Modern Art, New Delhi)
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
– ઉમાશંકર જોશી
૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઈસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભાંગ કરવા હું દાંડી માટે ઊપડીશ”. એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા.
પચીસ દિવસ બાદ ૩૮૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો.
દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદૂભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય ! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. પણ એમના દાંડીકૂચના લિનોકટ જેટલો સ્કેચ વિખ્યાત નથી થયો.
– અમૃતલાલ વેગડ (આભાર – ગાંધી-ગંગા [ભાગ ૧] સંપાદક : મહેન્દ્ર મેઘાણી [લોકમિલાપ ટ્રસ્ટ] )