Category Archives: કવિઓ

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

રીમઝીમ બરસે બાદલ બરસે – સુન્દરમ્

સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…

સ્વર – વિભા દેસાઇ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

2009.09_ 064

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે , બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ!!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર ,ગગન ગોખ થી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

– સુન્દરમ્

जसोदा हरी पालने झुलावे – संत कवि श्री सूरदास

બસ થોડા દિવસો પહેલા જ બધાએ જન્માષ્ટમીના દિવસે વ્હાલા કાનુડાને Happy Birthday તો કર્યું જ હશે..! તો એ જ અવસર પર આજે ટહુકો પર સાંભળીએ અમારા SF Bay Area ના ઘણા જ જાણીતા ગાયિકા દર્શનાબેનના અવાજમાં કવિ શ્રી સૂરદાસના શબ્દો…!

સ્વરાંકન : પ્રવિણ ચઢ્ઢા
સ્વર : દર્શના શુક્લ

આલ્બમ : સૂર હરિ સુમિરન

jashoda hari palane zulave

जसोदा हरी पालने झुलावे।
हलरावै दुलराई मल्हावे, जोई सोयी कछु गावै ।। १

मेरे लाल को आऊ निंदरिया, कहे ना आनी सुनावे।
तू कहे नहीं बेगहिं आवे, तोकौं कान्हा बुलावै।। २

कबहु पलक हरी मुंदी लेत है, कबहु अधर फरकावे।
सोवत जानी मौन है कै राहि, करी करी सैन बतावै।। ३

इहि अंतर अकुलाई उठे हरी, जसुमति मधुरै गावै।
जो सुख सूर अमरमुनि दुर्लभ, सो नंदभामिनी पावै।। ४.

– संत कवि श्री सूरदास

પીધાં અક્ષર ઢાઈ – જિગર જોષી ‘પ્રેમ’

પીધાં અક્ષર ઢાઈ મેં તો પીધાં અક્ષ્રર ઢાઈ
ભીડ ચૂભે છે કાંટા થઇને સતત ચહુ તનહાઇ

પીધાં અક્ષર ઢાઈ

જનમ જનમની પ્રીત પિયાસી મૌન મૌનમાં ગાતી
અધર ઉપર ઉઘડ્યા છે હરિવર મહેક મહેક હું થાતી

પરમ પદારથ પામી હું તો બજુ થઈને શહેનાઇ

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ
તમ હોંઠો પર હું બંસી થઉં પછી અજબ આરામ

जहाँ कहो वहाँ चलेंगे अब तो मैं तुम्हरी परछाई
પીધાં અક્ષર ઢાઈ

– જિગર જોષી ‘પ્રેમ’

એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે

ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે

એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે

– હેમંત પુણેકર

******
(આભાર – હેમકાવ્યો)

એકલો દરિયો – સુરેશ દલાલ

the cove
(સાવ એકલો દરિયો…. Photo: Dr. Chirag Patel)

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

(આભાર – લયસ્તરો)

કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ

સ્વરકાર – નીનુ મઝુમદાર
સ્વર – કૌમુદી મુન્શી
પ્રસ્તુતકર્તા – તુષાર શુક્લ (રેડિયો રેકોર્ડિંગ)

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

– દયારામ

વાદળની રેલગાડી – કૃષ્ણ દવે

મન મુકીને વરસી રહેલા વરસાદનું બાળગીત …….

vaadal
વાદળની રેલગાડી… The famous Bay Area Fog & the Bay… May 2010 @ Mt. Tamalpais

વાદળની રેલગાડી આવે રે લોલ
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ

ગરજીને વ્હીસલ વગાડે રે લોલ
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ

ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ
મેઘધનુષ એના છે પાટા રે લોલ

સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ
ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ

ખળ ખળ ખળ ઝરણાઓ દોડે રે લોલ
ઊંચા બે પર્વતને જોડે રે લોલ

ખેતર ક્યે ખેડુતજી આવો રે લોલ
મનગમતા સપનાઓ વાવો રે લોલ

કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ
લીલ્લુંછમ લીલ્લુંછમ બોલે રે લોલ

– કૃષ્ણ દવે

ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયાના સ્વરમાં સાંભળો

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

– લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ

ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

Januanry 2010 માં ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ મઝાનું પ્રકૃતિ ગીત – આજે પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સંગીત અને હંસા દવે ના સ્વર સાથે ફરી એક વાર …. નીચે comments માં અર્પણાબેને જે ‘અલક ચલાણું’ આલ્બમની વાત કરી છે – એ જ કેસેટમાંથી જ એમણે Digitize કરી ને આ ગીત ખાસ ટહુકોના વાચકો – શ્રોતાઓ માટે મોકલ્યું છે – તો આપણા બધા તરફથી એમને હૃદયપૂર્વક આભાર …!! 🙂

*********

Posted on January 2, 2010:

આ ગીત તો જાણે મારા જેવા જંગલ – ઝાડવા પ્રેમીઓ માટે જ લખાયું છે..!! અતુલની કોઇ પણ કોલોનીમાં ઘર કરતા ઝાડ વધારે.. (એટલે કે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા, at least..!!). અને એવા વાતાવરણમાં મોટા થયેલા ને એક-એક ઝાડની માયા હોય જ ને… 🙂 અને મારા સદનસીબે અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ એવો મઝાનો ગોલ્ડન ગેટ પાર્ક છે કે કોઇ પણ પ્રકૃતિ પ્રેમી ઝુમી ઉઠે..!!

(મને એક એક ઝાડની માયા……….       Sequoia National Park, CA…   Sept, 2008)

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

– સુરેશ દલાલ

(અડધી સદીની વાચનયાત્રા, ભાગ ૩)