Category Archives: કવિઓ

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’

આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..

થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..

ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?

અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )

શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.

.

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →

પ્રભુ, દેજો – સુન્દરમ

પ્રભુ, મારી અંધારી રાત્યું ને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરંતીને દેજો એનાં આભ જી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી.

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એના દૂધ જી.

આજે ગુજરાતી સારસ્વત પરિચય બ્લોગ ઉપર 100માં સારસ્વત તરીકે કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી મૂકાઇ છે.

કવિ શ્રી સુંદરમ્ ની જીવનઝાંખી વાંચવા માટે અહીં ક્લિક કરો.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર, એક મોરપિચ્છ પર. (અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં) અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)
સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

(કવિ પરિચય)

Paan leelu joyu ne tame yaad aavya, lilu – harindra dave

હરિવરને કાગળ લખીએ રે… – ભગવતીકુમાર શર્મા

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

shiva_parvati_PH40_l

.

હરિવરને કાગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવ
વ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવ

અમે તમારા ચરણકમળને પખાળવા આતુર
હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર

કંઇ ભીની ઝળહળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

શ્વાસમાં વરસે રામ રટણ ના કેમ ન પારિજાત
ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત

કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ
કાં આવીને શ્વાસ સમેટૉ મારા અંતરિયાળ

શું હાવાં આગળ લખીએ રે…
લઇને જમુના જળ લખીએ રે…

( કવિ પરિચય )

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ


– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

( કવિ પરિચય )

સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા… – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.

zarna bani ne

.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા

વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

– મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

– જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

– ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

– એસ. એસ. રાહી

અંતરપટ – જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ,
અરેરે ! આડું અંતરપટ આ અદીઠ !

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
આંખની આતુર મીટ,
પટ ઊપડી પટ તુરત બિડાયું,
વા વાયરો વિપરીત… અરેરે !

તું મારાં હું તારાં ઝીલું,
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે !

આ પા ઊછળે, તે પા ઊછળે,
હ્રદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે !

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે આ,
ઝાકળઝીણું ચીર… અરેરે !