ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લૉબલ કવિતા : ૧૪૧ : નિર્દોષ ને નિર્મળ આંખ તારી – હરિશ્ચંદ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!

– હરિશ્ચંદ્ર ભટ્ટ

સ્વજનના મૃત્યુની કવિતા સુખ આપે કે દુઃખ?

મૃત્યુ. મૃત્યુને તમે કેવી રીતે જોશો? નિકટના સ્વજનના મૃત્યુને? નિકટના સ્વજનના અકાળ મૃત્યુને? પહેલા શ્વાસની સાથે જ આખરી શ્વાસ અવિનાભાવી સંબંધથી બંધાઈ ચૂક્યો હોવા છતાં જન્મ અને મરણ- આ બેઉને જોવા માટેનાં આપણાં ચશ્માં સાવ અલગ છે. આપણી તો ગીતા અને શંકરાચાર્યની સંસ્કૃતિ. जातस्य हि ध्रुवो मृत्युः અને पुनरपि जनमं पुनरपि मरणं ના મંત્રો આપણને ગળથૂથીમાં પિવડાવાયા છે. મૃત્યુ પશ્ચાત્ પણ આત્માને नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જાણતાં હોવા છતાં આપણે સહુ अशोच्यानन्वशोचस्त्वं (જેનો શોક કરવો ઉચિત નથી, એનો શોક કરીએ છીએ.) ખેર, આ મનુષ્યની પ્રકૃતિ છે. જન્મ આપણે ત્યાં ઉત્સવ છે, અને મૃત્યુ શોક. એમાંય જો કોઈ અત્યંત નજીકનું સગું હોય અને કૂમળી વયે અવસાન પામ્યું હોય તો શોક નિરવધિ બની રહે છે. પણ ગીતાપાઠ પચાવી ચૂકેલ સાચા જ્ઞાનીઓ મૃત્યુને સમ્યક ભાવે જોઈ શકતા હોય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની પ્રસ્તુત રચના જન્મ અને મરણને સમાનભાવે આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. ૦૬-૧૨-૧૯૦૬ના રોજ દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ ખાતે જન્મ. મેટ્રિક પાસ કર્યા બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણવું હતું. પિતાજીની બિમારીના લીધે યોજના પડતી મૂકવી પડી. કાલબાદેવીની એક પેઢીમાં ‘મહેતાજી’ થયા. કમિશન એજન્ટ તરીકે પુસ્તકોની લે-વેચ કરી. પૉલેન્ડની રાજદૂત કચેરીમાં કામ મળ્યું. ‘નાલંદા પબ્લિકેશન્સ’ના નામે પુસ્તક પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો. ‘યુગદર્શન’માં પણ જોતરાયા. પણ કદાચ ક્યાંય કાયમી મેળ સધાયો નહીં. ભાઈ, બનેવી, બહેન જેવા સ્વજનોનાં અકાળ મૃત્યુના સાક્ષી બનવું પડ્યું. છેવટે કવિએ ૧૮-૦૫-૧૯૫૦ના રોજ માત્ર ૪૩ વર્ષની વયે જિંદગીથી પડતું મેલ્યું. અત્મહત્યા કરી. જિંદગી માટે એમને કોઈ ‘અટૅચમેન્ટ’ નહોતું. એ કહે છે: ‘મને attachment ક્યાંથી હોય? મિત્રોએ મારી દયા ખાધી છે અને ક્યાં તો સલાહ આપ્યા કરી છે. જેણે પોતાનામાંથી શ્રદ્ધા ગુમાવી હોય તેનું એવું જ થાય, એ હું જાણું છું. જીવવાની તાકાત માણસે પોતાનામાંથી મેળવવાની હોય છે.’ ઉ.જો.ને એક પત્રમાં એમણે લખ્યું હતું કે, ‘મારાં કાવ્યો પ્રસિદ્ધ કરશો નહિ, સરસ્વતીનો મેં અપરાધ કર્યો છે.’ જો કે આ અપરાધ ઉ.જો. કર્યા વિના ન રહ્યા એ આપણી ભાષાનું સદનસીબ.
એમની કવિતાઓમાં વયષ્ટિથી લઈને સમષ્ટિ સુધીનો છલોછલ પ્રેમ છલકે છે તથા માનવવેદના માટે સંવેદનાનો સૂર પ્રગટતો સંભળાય છે. વિશ્વકવિતા-સાહિત્યના આજન્મ વાચક, ભાવક અને સાધક. પૉલિશ ભાષામાંથી અનેકાનેક ઉમદા અનુવાદો પણ એમણે આપ્યા છે. સુરેશ દલાલ તો લખે છે, ‘આપણા કવિઓને અને કવિતાને યુરોપિય સાહિત્ય તરફ વાળવામાં એ નિમિત્ત થયા છે. રિલ્કે અને બૉદલેર માટે એમને પક્ષપાત છે. ક્યારેક તો આપણને એમ લાગે કે આ જીવ ભારતમાં ભૂલો પડ્યો છે, મૂળે તો એ યુરોપના જગતમાં જન્મ્યો હશે. કવિતા એ એમને માટે પ્રયોગનો અખાડો નહીં, પ્રયોગશાળા હતી.’ જયંત પાઠકને પણ હરિશ્ચંદ્રમાં ‘પદ્યપ્રયોગો માટેની ધગશ અને સૂઝ’ બંને દેખાયાં છે. ઉમાશંકર જોશી એમને ‘બહુશ્રુત કવિ’ કહે છે. એ કહે છે, ‘આપણું સંસ્કૃતિમધુ હરિશ્ચંદ્રની બાનીમાંથી સહજ રીતે ઝમે છે.’ વિશ્વસાહિત્યના બહોળા આચમનનો એમના કાવ્યવિશ્વ ઊંડો પ્રભાવ રહ્યો. પ્રખર અભ્યાસુ સર્જક પણ લખેલી પંક્તિ જવલ્લે જ મઠારવી પડતી. છંદોલય પર પ્રભાવશાળી પ્રભુત્વ. પ્રાસવ્યવસ્થાના હિમાયતી, પણ દુરાગ્રહી નહીં. જો કે સૉનેટ કે ગીતકવિ તરીકે તેઓ બહુ જામી શક્યા નહીં.

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક પણ છે. સમજાય છે કે કથક એવી વ્યક્તિને સંબોધીને વાત કરનાર છે જે હજી દુનિયાના રંગોથી ખરડાઈ નથી, જેની દૃષ્ટિમાં કોઈ દોષ કે મલિનતા હજી પ્રવેશ્યાં નથી. કવિએ મુરલીધર ઠાકુર સાથે ૧૯૪૦માં ‘સફરનું સખ્ય’ નામે સંયુક્ત સંગ્રહ આપ્યો હતો, એમાં આ રચનાનું શીર્ષક ‘વસંતપંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ રાખ્યું હતું. કવિના મૃત્યુપર્યંત ૧૯૫૯માં ઉમાશંકર જોશી સંપાદિત ‘સ્વપ્નપ્રયાણ’માંના ટિપ્પણ વિભાગમાં એ વિષેની નોંધ છે. કવિએ સંગ્રહનું નામ, મુખપૃષ્ઠનું કલ્પનાચિત્ર તથા ૧૭૪ કૃતિઓને દસ સ્તબકમાં વહેંચીને સંગ્રહની હસ્તપ્રત પણ તૈયાર કરી હતી. કમનસીબે સ્વપ્નપ્રયાણ વાસ્તવપ્રયાણ બને એ પહેલાં કવિ જ સ્વર્ગપ્રયાણ કરી ગયા એટલે એમના એ સંગ્રહને ઉમાશંકરે આકાર આપ્યો. કવિની આ બહુખ્યાત રચના છે. લગભગ દરેક વિવેચકે અને સંપાદકે આ કવિતાની નોંધ લેવી પડી છે. કૂમળી વયે, દુનિયા જે દિવસે વસંતોચ્છવ મનાવે છે, એ જ દિવસે અવસાન પામેલી બહેન માટે એના ભાઈએ લખેલી આ અમર કવિતા છે.

કવિએ સોળ પંક્તિના આ ઊર્મિકાવ્યને ચાર-ચાર પંક્તિના ચાર ખંડમાં વહેંચી નાંખ્યું છે. મોટાભાગની પંક્તિઓમાં કવિએ ઉપજાતિ છંદ કામમાં લીધો છે, જે ઇંદ્રવજ્રા તથા ઉપેંદ્રવજ્રાના સંયુક્ત ઉપયોગથી બનેલો છે. ૧૧ અક્ષરોના આ અખંડ રૂપમેળ છંદને સ્વતંત્ર રીતે જોવા જઈએ તો ૧, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૩ તથા ૧૪મી પંક્તિમાં ઇંદ્રવજ્રા તેમજ બીજી અને આઠમી પંક્તિમાં ઉપેંદ્રવજ્રા છંદ વપરાયો છે. પણ સોળમાંથી છ પંક્તિઓમાં કવિએ ૧૨ અક્ષર વાપર્યા છે, જેમાં ૫, ૧૨, ૧૫ તથા ૧૬મી પંક્તિમાં વંશસ્થ અને છઠ્ઠી-સાતમી પંક્તિમાં ઇંદ્રવંશા છંદ પ્રયોજ્યો છે. આ ચારેય છંદ લગભગ એકસમાન છે. ઇંદ્રવજ્રાના ‘ગાગા લગાગા લલગા લગાગા’માં પહેલા ગુરુના સ્થાને લઘુ મૂકતાં ઉપેંદ્રવજ્રા થાય. ઇંદ્રવજ્રાના છેલ્લા ‘લગાગા’ના સ્થાને ‘લગાલગા’ કરો એટલે ઇંદ્રવંશા અને ઉપેંદ્રવજ્રામાં એમ કરો એટલે વંશસ્થ. આમ, નજીક-નજીકના ચાર છંદોની કૉક્ટેલ કરીને કવિએ મજાનું પીણું તૈયાર કરી આપ્યું છે. કવિ પ્રાસની પળોજણમાં પણ પડ્યા નથી. બે પંક્તિ ઓછી કરીને રચનાને સૉનેટ કહેવડાવવાનું બહુ આસાન હતું, પણ કવિએ એનીય તમા કરી નથી. ચારેય ખંડોનો અંત ઉદગાર ચિહ્ન પર આવે છે.

મૃત્યુના ભયાવહ પંજામાંથી કોઈ બચી શકતું નથી. જન્મે એનું મૃત્યુ અફર છે એ જાણતાં હોવા છતાં આપણે સહુ એવી રીતે જીવીએ છીએ, જાણે આપણું કે આપણા સ્વજનોનું મૃત્યુ તો કદી થનાર જ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે યક્ષના સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે એ પ્રશ્નના જવાબમાં આ જ ઉત્તર ટાંક્યો હતો. આપણે સહુ અમરપટો કે ઇચ્છામૃત્યુ લખાવીને આવ્યાં હોઈએ એમ જ જીવીએ છીએ. કદાચ ખભા પર પળેપળ મૃત્યુનો બોજો ન અનુભવાય એ માટે આ આત્મવંચના (self-denial) પણ જરૂરી છે. પણ યમરાજનો પાશ આપણી નિકટના કોઈકના ગળામાં પડે ત્યારે આપણી તકલીફ વધી જાય છે. એમાંય જ્યારે કોઈ જુવાનજોધ સ્વજન અકાળે સ્વર્ગલોક સિધાવે ત્યારે એ ઘા વધુ અસહ્ય બની રહે છે. અહીં જેની આંખો હજી દુનિયાના કાળાધોળાથી મલિન થઈ નથી કે જેની નજરોમાં હજી કોઈ ગંદકી પ્રવેશી નથી એવી સાવ નિર્દોષ અને નિર્મળ આંખવાળી બહેનના અકાળ અવસાનની વાત કવિ કરે છે. શોક છે, પણ પોક નથી. યાદ છે, પણ ફરિયાદ નથી. મરણ હવે સ્મરણ બની ચૂક્યું છે. મૃતક સાથે સંવાદ છે, પણ મૃત્યુ સાથે વિખવાદ નથી. કસાઈ મૃત્યુને જરાય આછકલાઈ વિના ભાઈએ સ્વીકાર્યું છે. કવિનો આ વિવેક ‘નયનમાં કરુણા થકી જો ગ્રહે,/જીવન મૃત્યુ બધું સરખું જ છે’ પંક્તિઓમાં પણ દેખાય છે.

યાદના ઝરુખામાં હંમેશા ચહેરો જ પ્રથમ ડોકાય. ચહેરામાંય આંખ અને આંખની ચમક કદાચ સૌપ્રથમ ચાક્ષુષ થાય. કવિનેય પ્રથમ તો બહેનની આંખ જ યાદ આવે છે. દોષરહિત અને મળરહિત આંખોવાળી બહેન યૌવનથીય હજી અજાણ હતી. માંડ એણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો ને આ દુર્ઘટના ઘટી. વસંત વીત્યે આંબાના બદલે કાયાનો મોર ખરી પડ્યો. કવિ અન્યત્ર કહે છે: ‘વસંત વીતી, નવ આમ્ર-મંજરી/ખરી, પડી યૌવનદેહ-મંજરી.’ કવિ આમ પણ લખે છે:

આ આમ્રની મંજરી મ્હોરતી હજી
અધૂકડી, ને સ્વજનો ગુમાવવાં;
વસંત ઓ! જીવનની વસંતમાં
સ્નેહી અને આપ્તનું મૃત્યુ જોવું?

બહેનના લગ્ન જાણે ગઈકાલની વાત છે. સામાન્યરીતે સ્ત્રી લગ્ન સમયે જે શણગાર સજે એટલો કદાચ આખા જીવનમાં સજતી નહીં હોય. પણ અહીં કવિ બહેનનો શૃંગાર લગ્નપ્રસંગે નહીં, ચિતાના અગ્નિમાં પૂર્ણ થયેલો કલ્પે છે. ભાઈનું હૃદય તો પીડાના મારથી આખું તળેઉપર થઈ ચૂક્યું છે, પણ એના બાહ્ય વર્તનમાં, કવિના શબ્દોમાં ભારોભાર સંયમ છે. પોતાની બહેનના અસ્તિત્વના આખરી અંશોને ઓહિયા કરી જનાર અગ્નિ માટે ક્રોધવચન ઉચ્ચારવાના બદલે એ અખંડ સૌભાગ્યવતી હરિશરણ પામેલી બહેનનો શણગાર એમાં જઈ સંપૂર્ણ થયો હોવાનું કહે છે. અગ્નિનું કામ આમ તો ખાક કરવાનું, ભસ્મીભૂત કરવાનું. પણ અહીં એ અગ્નિ શણગાર ‘પૂર્ણ’ કરે છે, એમ કહીને કવિએ વક્રોક્તિને ધાર કાઢી છે. અત્યંત સમ્યક્ અને શાલીન જણાતી પંક્તિઓની વચ્ચે ભડભડ સળગી રહેલી બહેનની ચિતા આપણને અંદરબહાર બધેથી દઝાડે છે.

હજી તો બહેનની કાયાનો પૂર્ણ વિકાસ પણ થયો નહોતો. સોળે સાન ને વીસે વાન એમ આપણે અમથું નથી કહેતાં. બહેનનો વાન હજી પૂરો ખીલ્યો-ખુલ્યો નહોતો. ગુલાબની કળી જેવું કૌમાર્ય પણ આછું-આછું ઊઘડ્યાં-ન ઊઘડ્યાં જેવું અધખીલ્યું જ હતું. જીવન જીવે-ન જીવે ત્યાં તો મૃત્યુ આવી ગયું, જાણે ચૂંદડી દેહ પર પહેરતાં પહેલાં તો સરી પડી. આમ આ કવિ પ્રાસના બંધાણી નથી. પણ જુઓ, અહીં પાંગરી-જરી-સરીની સાથે કૂંળી-પ્હેરી-ચૂંદડી-પડી-અંગથી -એમ ચાર પંક્તિમાં સળંગ આઠ-આઠ ‘ઈ’કાર કવિતાની ગતિ અત્યંત ઝડપી બનાવી ચૂંદડીના પહેરાયા પહેલાં જ સરી જવાની ઘટનાને કેવા સાકાર કરે છે, અને પીડાની ચીસને અસહનીય તીવ્રતા પણ બક્ષે છે!

નવપરિણીત ભગિનીએ હજી તો સંસારરસ ચાખવું આદર્યું પણ નહોતું. સાગરમાં ઊંડા ઊતરી મજા લેવાની વાત તો દૂર, કિનારે ઊભીને નાનકી અંજલિ ખોબામાં માંડ લીધી હતી. પાણી ખારું કે મીઠું એની સમજણ સુદ્ધાં પડે એ પહેલાં તો પગ સમુદ્રમાં સરી પડ્યો. કાળ આવે કે હાડ ગાળતો શિયાળો આવે અને કૂમળા પુષ્પોને દવમાં પ્રજાળી દે એની સામે કવિને વિરોધ નથી. દવનો એક અર્થ ઝાકળ તો બીજો વનમાં આપમેળે પ્રગટતો અગ્નિ. કવિને કદાચ બંને જ અર્થ અભિપ્રેત હશે. ઝાકળ જે ફૂલોની શોભા હોય, એ જ ફૂલોને બાળી નાંખે એમ પણ અર્થ કાઢી શકાય અને દાવાનળમાં કૂમળા પુષ્પો હોમાઈ જાય એ અર્થઘટન પણ થઈ શકે. બંને અર્થ પીડાના ભાવને બળકટ જ બનાવે છે અને કાવ્યને ઉપકારક જ છે. ખરવું પુષ્પમાત્રની નિયતિ છે પણ કળીનું શું? કાળઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ તોસમજાય પણ વસંતમાં? અને ખુદ વસંતની ફૂંકથી? વસંતનું કામ તો ખીલવવાનું, પ્રાણ ફૂંકવાનું. પણ અહીં જેની દેહકળી સાવ સુકોમળી હતી એવી બહેન વસંતમાં, વસંતની ફૂંકથી ખરી પડી છે. વિધિની આ વિટંબના કવિને અકળાવે છે. સુરેશ જોષીને ‘ફૂંક’ શબ્દમાં ‘દીપનિર્વાણનું સૂચન’ નજરે ચડ્યું છે. સુકોમળી-દેહકળીના આંતર્પ્રાસ અને બેવડા ‘ઈ’કારને ‘અરે’ ‘અરે’ની પુનરોક્તિથી દૃઢાવીને આખરી પંક્તિમાં કવિ ફરીથી ‘..તની-મહીં-ખરી-પડી’ના ચાર ‘ઈ’કારની મદદથી ફરી એકવાર ચિત્કાર જન્માવે છે ભાવકના હૃદયમાં. વસંતઋતુમાં જીવનવંસતના આ વિયોગને કવિએ અન્યત્ર પણ આલેખ્યો છે:

વસંત મારા જીવને ન’તી કદી
વસંત મારી રહી પાંગર્યા વિના
વસંતની મંજરી મ્હોરી ન્હોતી ત્યાં
વસંતમાં મેં ભગિનીએ ગુમાવી

સ્વજનના અકાળ મૃત્યુ પર આવી સંયત ભાષા ભાગ્યે જ જોવા મળે છે. કવિતામાં ક્યાંય મૃત્યુ શબ્દ પણ વપરાયો નથી. કોઈ જગ્યાએ કવિએ યમરાજને કે ભાગ્યને દોષ દીધો નથી. સમ ખાવા પૂરતોય ફરિયાદનો સૂર ક્યાંય સંભળાતો નથી. પોતાની પીડાને પૂર્ણ સંયમથી કવિએ આલેખી છે. તોડી નાંખી, ચૂંટી લીધી, છિનવી લીધી જેવા ક્રિયાપદોની સરખામણીમાં કવિએ વાપરેલા સરી પડી, સરી પડ્યો, ખરી પડી જેવા ક્રિયાપદો મૃત્યુના સહજભાવના સ્વીકારને ઉજાગર કરીને કદાચ વેદનાને વધુ ઘૂંટી શક્યાં છે. સરી પડવું અને ખરી પડવુંમાં જે નૈસર્ગિકતા છે, કર્તાના વાંકદોષનિર્દેશનો જે અભાવ છે, એ ખાલીપો વધુ ભરેલો લાગે છે, એ વધુ તકલીફદેહ છે. આક્રોશ કરતાં સ્વીકાર ઘણીવાર વધુ અસહ્ય બની રહે છે. કવિની મખમલી ભાષા સમસ્ત રચનામાં ધ્યાનાર્હ બની રહે છે. જેમ ક્રિયાપદો સહજસ્વીકૃતિદર્શક છે, એમ જ શબ્દપ્રયોગો પણ બધા જ ધનમૂલક છે. હૃદયવિદારક મૃત્યુની વાત હોવા છતાં કવિએ આખી કવિતામાં એકેય જગ્યાએ ક્રોધ-કાલિમાસભર શબ્દ વાપર્યા નથી. કદાચ આ સમ્યકભાવ એ કવિનો મૂળ સ્વભાવ જ હશે:

વસંતને દોષ ન હોય રે કદા,
વસંત સમૃદ્ધ, ભર્યો ભર્યો સદા.
વસંત! આજે મુજ એક માગણી:
વિષાદની શેં ન વસંત માણવી!

હરીન્દ્ર દવેએ કંઈ એમનેમ એમને ‘વિષાદની વસંતનો કવિ’ કહ્યા હશે! કવિનો આ વિષાદ ભારઝલ્લો કવચિત્ જ જોવા મળે છે. વસંત માટેનો એમનો અનુરાગ અન્યત્ર પણ છલક્યા વિના રહ્યો નથી:

ગ્રીષ્મમાં બળતા વિયોગને ગાજે
વર્ષા આવે ત્યારે સ્મરણોમાં ન્હાજે,
એક વસંત સિવાય વસંતમાં
-બીજું કાંઈ ન ગાજે.

વસંતમાં માત્ર વસંતનું જ ગાન કરવું એ કવિની સહજ પ્રકૃતિ છે. અંગત અને વૈશ્વિક દુઃખો તરફ એ બુદ્ધના કરુણાસભર નેત્રથી જુએ છે. કદાચ એટલે જ ખૂબ સરળ ભાષામાં લખાયેલી એમની રચનાઓ આપણા અંતરમનના અંદરતમ તારોને સ્પર્શી જાય છે. સુરેશ જોષી આ કવિતા વિશે લખે છે: ‘હરિશ્ચંદ્રનું આ કાવ્ય વાંચતા મૃત્યુની કરાંગુલિ એના મૃદુ સ્પર્શથી જીવનવીણામાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. મેં કહ્યું ‘સુખ.’ હા, સુખ. કરુણનો અહીં આક્રોશ નથી; અરે, ઉપાલમ્ભનો કાકુ પણ અહીં સંભળાતો નથી. ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિએ અહીં રચી છે, કારણ કે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે.’ આખી કવિતામાં ક્યાંય રોષ કે આક્રોશ નથી, અવસાદ કે ફરિયાદ નથી, ઠપકો પણ નથી. ક્યાંય મૃત્યુના નામ પર કોઈ ફિલસૂફી નથી. કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ નથી પહોંચાડતી, પણ શાંતિનો અહેસાસ કરાવે છે. બહેનના અનાયાસ મરણને કવિએ ફૂલની પાંખડી પરથી ઝાકળબુંદ દડે એ મસૃણતાથી સાવ તટસ્થભાવે આલેખ્યું છે. ભાવકના મનમાં એ ધારદાર વેદના તો જન્માવે જ છે, પણ સુરેશ જોષીએ કહ્યું એમ આ વેદના દુઃખ નહીં, સુખની લાગણી અનુભવાવે છે, એક ઉત્તમોત્તમ કવિતામાંથી પસાર થયાના સુખની લાગણી!

હું તો લીલીછમ લીલીછમ થઇ.. – નીતિન મહેતા

ગીત- શ્રી નીતિન મહેતા
સંગીત- સ્વ. સુભાષ દેસાઇ
સ્વર – નંદિતા ઠાકોર

https://youtu.be/neNVsh6IQ98

સ્હેજ ઉભી’તી તરુવરને છાંયે
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થઇ..
પડછાયા જોતાં શું ટીકી ટીકી ટીકી મને પડતી કશી ય ગમ નઈં…

તડકા ઉલેચ્યા મેં ખોબે ખોબે તો થયો
કાયાનો સોનેરી રંગ
હેબતાઇ જઇ હું તો ફૂલમાં છૂપાઇ
મારે રોમેરોમ ફૂટી સુગંધ
અરે ટેરવે ઝીલીને એક ટીપું પીધું ને બાઈ…
હું તો ભીનીછમ ભીનીછમ થઇ..
મને પડતી કશી ય ગમ નંઇ.

નેજવું કરીને જરી જોયું આઘે ત્યાં
છાતીના મોર કૈં ગહેક્યા
શરમાઇ જઇ હું તો શમણે છૂપાઇ ને
ભીતરનાં અરમાનો બહેક્યા
અરે કમખેથી ગાંઠના છૂટ્યા કંઇ બંધ
હું તો ખાલીખમ ખાલીખમ થઇ
મને પડતી કશીય ગમ નંઇ..

ગ્લોબલ કવિતા : ૧૪૦ : પૈસો – હેનરી મિલર

Money

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

પૈસો
પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાઈને, પૈસા વડે છાનાં થઈને, ઝાંખા પડીને
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને હા, તમારી પાસે પૈસો છે અથવા તો નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ પૈસો બનાવે છે,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

गिन-गिन के सिक्के हाथ मेरा खुरदुरा हुआ,
जाती रही वह लम्स की नरमी, बुरा हुआ।

(સિક્કા ગણી-ગણીને મારો હાથ ખરબચડો થઈ ગયો છે. (પરિણામે) સ્પર્શમાંથી (પહેલાં હતી) એ નરમાશ ચાલી ગઈ છે, ખરાબ થયું. -જાવેદ અખ્તર) ખેર, પૈસાની તો ગતિ જ ન્યારી. ધન એટલે સંવેદનશૂન્યતાનું સમાનાર્થી. હાથમાં ધન પ્રવેશતું જાય છે, તેમ સગપણ સરતાં જાય છે. ત્રીજું વિશ્વ બહુ ઝડપથી ધનસ્વી બની ગયું. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, ‘તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.’ આજે હરકોઈને કરોડપતિ બનવું છે, ને તેય રાતોરાત. ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા ગેમ શૉઝએ આપણી ધનભૂખને સપાટી પર આણવામાં મહત્તમ ફાળો ભજવ્યો છે. ધનભૂખ તો પહેલેથી જ હતી, પણ મફતનું, મહેનત વગરનું અને ઝડપભેર ઉસેટી લેવામાં જે શરમ નડતી હતી, એ નેસ્તનાબૂદ થઈ ગઈ. સોશ્યલ મિડિયાઝ પર કેટલાય ગ્રુપ્સ એવા છે, જેમાં માત્ર વધુ પૈસો ઓછા સમયમાં કેમ બનાવવો એની જ ચર્ચા આવકાર્ય છે. હેનરી મિલરની ધનનું મૂલ્ય દર્શાવતી ધનમૂલક કવિતા આજે માણીએ.

હેનરી વેલેન્ટાઇન મિલર. ૨૬-૧૨-૧૮૯૧ના રોજ ન્યૂયૉર્કના યૉર્કવિલે, મેનહટ્ટન ખાતે જર્મન મૂળના અમેરિકન મા-બાપ લૂઈ મેરી તથા હેન્રીકના ઘરે જન્મ. ૧૯૦૭માં કોરા સેવર્ડ સાથે તો ૧૯૧૦માં મા બની શકે એ ઉંમરની સ્ત્રી સાથે પ્રણયસંબંધ. ૧૯૧૭માં બેટ્રિસ સાથે લગ્ન. ૧૯૨૩માં છૂટાછેડા. ૧૯૨૪માં જૂન સ્મિથ સાથે લગ્ન. એ જ વર્ષે ઘણા બધા ધંધા-નોકરીઓમાં હાથ અજમાવ્યા બાદની વેસ્ટર્ન યુનિયનની નોકરી છોડી ફૂલ-ટાઇમ લેખક બનવાનું નક્કી કર્યું. અસહ્ય ગરીબીથી બચવા ઘરે-ઘરે ફરીને ગદ્ય-કાવ્યો વેચતા. ૧૯૨૨માં પ્રથમ નવલકથા ‘ક્લિપ્ડ વિંગ્સ’ લખી, જે કદી પ્રગટ ન થઈ. ૨૭-૨૮ની સાલમાં બીજી નવલકથા લખી, જે જૂનનો ચાહક પ્રગટ કરી આપશે એ આશામાં જૂનના નામે લખી. જો કે મિલરના મૃત્યુના બાર વર્ષ બાદ છેક ૧૯૯૨માં એ પ્રગટ થઈ. ત્રીજી નવલકથા પણ મૃત્યુ પહેલાં પ્રગટ ન થઈ. ખિસ્સામાં દસ ડોલર સાથે યુરોપ ગયા. ૧૯૩૦થી પેરિસમાં. શેરીઓને ઘર કર્યું, ભૂખનું ભોજન. જગ્યા મળી ત્યાં સૂઈ ગયા. પણ ઉદાસ નહોતા થયા. અનેઇસ નિન નામની ચાહકે એમની બહુચર્ચિત સફળ નવલકથા ‘ટ્રોપિક ઑફ કેન્સર’ છપાવી. ૧૯૩૪માં જૂને છૂટાછેડા આપ્યા. ૧૯૪૦માં અમેરિકા પરત. ૧૯૪૪નું વર્ષ આર્થિક દૃષ્ટિએ એમની જિંદગીની પરિપૂર્ણતાનું પ્રથમ સફળ વર્ષ. એ જ વર્ષે પોતાનાથી ૩૦ વર્ષ નાની જેનિના સાથે લગ્ન. ૧૯૫૨માં છૂટાછેડા. બીજા વર્ષે ૩૭ વર્ષ નાની ઇવ સાથે લગ્ન. ૬૨માં છૂટાછેડા. ૧૯૬૭માં જાપાનીઝ હોકુ ટોકુડા સાથે પાંચમાં લગ્ન. ૧૯૭૭માં છૂટાછેડા. મૃત્યુ પૂર્વેના આખરી ચાર વર્ષોમાં પ્લેબૉયની મોડેલ બ્રેન્ડા વિનસ સાથે ૧૫૦૦થી વધુ પત્રોની આપ-લે કરી. અથાક પ્રવાસી. ખૂબ ચાલતા. ચાલતી વખતે વાદળી પાણી શોષે એમ તેઓ આસપાસના લોકો, વાતો, વાતાવરણને શોષી લેતા, જે એમના લખાણોમાંથી પ્રગટતાં. ૦૭-૦૬-૧૯૮૦ના રોજ ૮૮ વર્ષની વયે કેલિફોર્નિયાના પોતાના ઘરમાં જ દેહત્યાગ કર્યો.

લેખક. ઉત્તમ ચિત્રકાર. ૨૦૦૦થી વધુ વૉટરકલર ચિત્રો. ઘણાં પુસ્તકો પણ આ વિષય પર લખ્યાં. કેટલીક ફિલ્મોમાં પોતાનું જ પાત્ર ભજવતો અભિનય પણ કર્યો. સામાજીક બંધનોને ફગાવી મરજી મુજબ જીવવાની બળવાખોર આઝાદીને પુનઃસ્થાપિત કરવાની નેમ સાથે લખાયેલાં એમના પુસ્તકો અશ્લીલતા અને ઉઘાડેચોક આલેખાયેલી જાતિયતાના કારણે ૧૯૬૦ સુધી યુરોપ તથા અમેરિકામાં પ્રતિબંધિત રહ્યાં. પણ ચાહના એટલી કે ફ્રાન્સથી દાણચોરી કરાતી. ઘણા કોર્ટ કેસ પણ થયા. પ્રવર્તમાન લેખનશૈલી ફગાવીને વિકસાવેલી એમની અર્ધ-આત્મકથનાત્મક શૈલી ખૂબ લોકપ્રિય થઈ. યૌનસંબંધ અને લૈંગિક સંવેદનાઓ ઉપરાંત ચરિત્રલેખન, સામાજીક આલોચના, ફિલસૂફીની છાંટ, ‘સ્ટ્રીમ ઑફ કૉન્શિયસનેસ’, પરાવાસ્ત્વવાદ, રહસ્યવાદ અને ઉદ્દામ ભાષાવિન્યાસ એમના લખાણોને અન્યોથી અલગ તારવી આપે છે. સારપ સાથે ખરાબાનો પ્રામાણિક સ્વીકાર અને હાસ્ય પણ એમની પ્રભાવક શૈલીનાં અગત્યના પાસાં છે. મધ્ય-વીસમી સદીના સાહિત્ય પર એમની મુક્ત વિચારધારાએ અસીમિતપણે પ્રભાવ પડ્યો. એ કહેતા, ‘હું મારી જાતને લેખક નથી માનતો. નથી મને સારા લેખન કે આકર્ષક શૈલીની મહત્ત્વાકાંક્ષા. હું બસ એટલું જ જાણું છું કે મારી અંદર એક બળ છે જેને વ્યકત થયા વિના નહીં ચાલે.’

‘પૈસો’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. મનુષ્યને પરાપૂર્વથી આમાં ઊંડો રસ રહ્યો છે. ૧૧ અને ૩ પંક્તિના બે અનિયત ભાગોમાં વહેંચાયેલી ચૌદ પંક્તિની આ કવિતાને મુક્ત સૉનેટ કહેવાનું મન થાય. પણ મિલર કવિ કરતાં વધુ લેખક હતા એટલે અને અહીં પૈસાની અરાજકતા કેન્દ્રસ્થાને હોવાથી પ્રાસ અને છંદ –બંને ગેરહાજર છે. પ્રસ્તુત કવિતા મિલરના પુસ્તક -‘મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે’ -નો ભાગ છે કે અલગ સર્જન છે એની આધારભૂત જાણકારી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે. માઇકલ ફ્રેન્કેલ નામના મિત્રને ખાતરી હતી કે મિલરને ધનના વિષયમાં કોઈ જાણકારી નથી. એણે એમને આ બાબતમાં લખવા માટે પડકાર ફેંક્યો. આ ઉપરાંત એ જ અરસામાં, ૧૯૩૪માં મિલરે ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડને ‘ટ્રૉપિક ઑફ કેન્સર’ મોકલી હતી. જવાબમાં બે પોસ્ટકાર્ડમાં પાઉન્ડે લખ્યું: ‘તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?’ જવાબમાં ૧૯૩૮માં મિલરે ૬૪ પાનાંની, ૧૫ ફ્રેન્કની આ પુસ્તિકા લખી, જેના પ્રત્યુત્તરમાં બીજા વર્ષે પાઉન્ડે ‘વૉટ ઇઝ મની ફોર?’ શીર્ષકથી નિબંધ પણ લખ્યો. મિલર આ ‘નાનકડા ગ્રંથ’ને અર્થશાસ્ત્રનીતિ પરનો વ્યંગ ગણતા. જોકે એ સ્પષ્ટ કરે છે કે, ‘દરેક માણસે શીખવાની મહત્ત્વની વાત એ છે કે પૈસાનો તિરસ્કાર નથી કરવાનો.’ એલેક્ઝાન્ડર પોપે કહ્યું હતું કે ‘પૈસો બધી બુરાઈની જડ નથી. બુરાઈ તો આપણામાં જ છે, જીવનની જે સ્થિતિમાં આપણે જાતને પામીએ છીએ એ માટેના આપણા અસંતોષમાં છે.’

આપણને થાય કે પહેલાં માણસ કદાચ આટલો ધનપરાયણ નહીં હોય પણ ‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘धनम्’ શબ્દ ‘धनाति’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ ધન સાથે જોડાઈ ગયું હતું. ‘money’નો ઇતિહાસ પણ એવો જ. રોમન દેવી જૂનો મોનેટા રોમની આર્થિક સ્થિરતા માટે જવાબદાર ગણાતાં. Moneta શબ્દ આવ્યો લેટિન monēre પરથી, જેનો અર્થ ‘ચેતવવું’ અથવા ‘સલાહ આપવું’ થાય. મોનેટા પરથી ફ્રેન્ચ ‘monnaie’, ત્યાંથી મધ્ય અંગ્રેજીમાં ‘moneie’ અને પછી ‘money’ એમ નામકરણ થયું મનાય છે. પણ ‘ચેતવણી’ એના મૂળમાં છે એ યાદ રાખવા જેવું છે. અરબીમાં ‘દૌલત’ શબ્દ છે. મૂળ ધાતુ ‘દવલ’, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) ‘દ્રવ્ય’ શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. ‘પૈસો’ શબ્દની ઉત્પત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘pendere’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘pensum’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘peso’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –વજન સરખું જ પડે છે. ચંદ્રકાન્ત બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

મિલરનું લઘુકાવ્ય ધનની ખરી વિભાવના સમજાવે છે. આ અસામાન્ય કવિતામાં એક પણ પંક્તિ એવી નથી જેમાં ‘પૈસો’ શબ્દ નહીં હોય. શીર્ષકને બાદ કરતાં આ ચૌદ પંક્તિઓમાં બાવીસ વાર ‘પૈસો’ શબ્દ છે. પુનરોક્તિની અતિશયોક્તિ કરીને કવિ ભાવકના મગજ પર રીતસર ‘હેમરિંગ’ કરે છે અને પ્રમાણમાં સરળ કવિતાને વધુ અર્થગહન અને ચિંતનીય બનાવે છે. રાત્રિના અંધારામાં રસ્તો માંડ સૂઝે અને એમાંય ભીડ લાગી હોય તો એમાંથી માર્ગ કાઢવો કપરો. પણ આપણે અંધારી રાત્રે ભીડની વચ્ચેથી પણ માર્ગ કાઢીને પૈસામાં પગલાં પાડવાનું ચૂકતા નથી. અંધારું કે ભીડ- કશું આપણી અને પૈસાની વચ્ચે આવતું નથી. પૈસો જ આપણું રક્ષણ કરે છે, ને પૈસો જ આપણી સંવેદનાઓને છાની પાડે છે (અને ઉત્તેજે પણ છે), ને પૈસો જ આપણું તેજ હરી લઈ આપણને ઝાંખા પણ પાડે છે. જે ભીડમાંથી થઈને આપણે માર્ગ શોધી કાઢીએ છીએ, એ ભીડ પોતે પણ પૈસો છે, ને આપણો હરએક શ્વાસ સુદ્ધાં પૈસો છે. ક્યાંય એવો કોઈ નાનામાં નાનો પદાર્થ નથી જે પૈસો ન હોય. આપણે દરેક વસ્તુ પર ‘પ્રાઇસ ટેગ’ ચિપકાવી દીધું છે. વસ્તુ તો ઠીક, સંબંધ સુદ્ધાંની આપણે કિંમત આંકી કાઢી છે, ને કિંમત મુજબ જ સંબંધોને ભાવ લેવાય-દેવાય છે.

આદિ શંકરાચાર્ય ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: ‘यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।’ (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે.) સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ. ‘मूढ़ जहीहि धनागमतृष्णां।’ (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ.) ‘अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।’ (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીરે ગાયું: “અવધૂ માયા ત્યજી ન જાઈ.” તુલસીદાસે પણ સંતોષધનનું માહાત્મ્ય કર્યું: ‘गोधन, गजधन बाजि धन, और रतन धन खान, जब आवत संतोष धन, सब धन धूरि समान।’ પૈસો એ ભાવવાહી સંજ્ઞા નથી. એક કાગળનો ટુકડો, જેની કોઈ કિંમત જ નથી, એના પર રંગીન શાહીથી છાપકામ કરીને અને એક કે એકાધિક માણસોની સહી કરીને આપણે એનું મૂલ્ય હજાર-બે હજાર રૂપિયા જેટલું અધધધ મોટું આંકી દઈએ છીએ. અત્ર, તત્ર, સર્વત્ર-જ્યાં જુઓ ત્યાં એ કાગળની જ બોલબોલા જોવા મળે છે. બધે પૈસો જ પૈસો છે ને તોય હંમેશા એ અપૂરતો જ લાગે. ખિસ્સામાં, તિજોરીમાં કે બેન્કમાં રહેલી રકમ કાયમ નાની જ અનુભવાય. એમાં કંઈક ખૂટતું હોવાની લાગણી જ થાય. હાથ-પગ, ધડ-માથું બધા પાસે એકસમાન જ હોવા છતાં પૈસાના આધારે જ માણસનું મૂલ્યાંકન થાય છે. પૈસા વગરનો, બહુ ઓછો પૈસો, ઓછો પૈસો, વધુ પૈસો –એ પ્રમાણે જ સહુની કિંમત મૂકાય છે. છેવટે બધું પૈસો જ છે, માત્ર પૈસો જ છે. તમારી પાસે ક્યાં તો પૈસો છે, ક્યાં તો નથી. સર્વકાલીન સર્વદેશીય ભૌતિક સંસારનું એકમાત્ર સનાતન સત્ય ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’ જ છે. આદર્શવાદી મૂલ્યોનાં લાખ ફીફાં ખાંડવા છતાં પૈસાથી ઉપર ન કોઈ મૂલ્ય મૂકાયું છે, ન મૂકાશે. પૈસા નામનો વૃકોદર ભલભલા આદર્શો અને મૂલ્યોને ઓહિયા કરી જાય છે.

આપણા જીવનમાં હવે માત્ર પૈસાની જ ગણના છે. પૈસાની રેટ-રેસમાં મનુષ્યજાતિ આજે જે સમગ્રતાથી જોડાઈ છે એટલી તો કદાચ ક્યારેય નહોતી જોડાઈ. પૈસો સર્વસ્વ છે. પૈસાની જ મહત્તા છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે? આપણા ઉપભોક્તાવાદ અને ભૈતિકતાવાદના મૂળમાં આ કુઠારાઘાત છે. આ પ્રશ્ન વડે કવિ કદાચ આપણને જગાડવાની છેલ્લી કોશિશ કરી જુએ છે. પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.

મિલરે પોતે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણેય પૈસાને પરમેશ્વર ગણીએ છીએ. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. પૈસો જેટલો મળે, ઓછો પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંસ્કૃતિ માટે યથાર્થ છે. ‘ધ સૉલ ઑફ મની’ પુસ્તકમાં લિન ટ્વિસ્ટ લખે છે કે, ‘ખરેખર જરૂર ન હોય એવી વસ્તુને જ્યારે આપણે જતી કરીએ છીએ, ત્યારે આપણને જે આપણી પાસે છે જ એ તરફ ધ્યાન આપવાની આઝાદી મળે છે. આપણામાંથી મોટા ભાગના, ચાહે ગમે એટલા અમીર કેમ ન હોય, પૈસા સાથે તણાવપૂર્ણ સંબંધ ધરાવે છે.’ આ કવિતાની જેમ આપણા જીવનની તમામ પંક્તિઓમાં પૈસો લખાઈ ચૂક્યો છે, ક્યારેક તો એક પંક્તિમાં એકાધિકવાર. આપણી તૃષ્ણા જ ધનને ધન બનાવે છે એ સત્ય લોહીમાં ન ઉતરે ત્યાં સુધી તમામ જ્ઞાન નકામું છે. ‘પૂરતું’ અને ‘વિપુલ’ વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા ન સમજી શકીએ ત્યાં સુધી આપણી ધન માટેની હોડ અને દોડ ચાલુ જ રહેશે. ‘नेति नेति’ કહેવાયું છે, એ શું ધન માટે જ?!

ગ્લૉબલ કવિતા : ૧૩૯ : જેસલમેર – ગુલામ મોહમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

પીંછીના બદલે શબ્દોથી દોરાયેલું અભૂતપૂર્વ ચિત્ર

પ્રવાસ તો મનુષ્યના શ્વાસમાં જ વાસ કરે છે. ઘર-સમાજ-સંસ્કૃતિ, કશાયની સ્થાપના નહોતી થઈ ત્યારે પણ માણસ સ્થિર બેસી શકતો નથી. એના તો પગે જ ભમરો. પલાંઠી વાળીને લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાનું માનવના મૂળભૂત સ્વભાવમાં જ નથી. માણસની આ આદતના કારણે પુરાતનકાળથી અલગ-અલગ સભ્યતાઓ વચ્ચે ભાષા-સંસ્કૃતિની આપ-લે થતી રહી છે. ‘મા’ શબ્દ જ જુઓ ને, ક્યાંથી ક્યાં-ક્યાં પહોંચ્યો છે! મૂળે પ્રોટો-જર્મનીક mōdēr માંથી અંગ્રેજીમાં mother, જર્મનીમાં mutter, સંસ્કૃતમાં मातृ, ડચમાં moeder, ડેનિશમાં moder, લેટિનમાં māter, ગ્રીકમાં mētēr, અરબીમાં Mëmë, ફ્રેન્ચમાં Mère, રશિયનમાં Mat’; અને દુનિયાની મોટાભાગની ભાષાઓમાં ‘મા’ માટે વપરાતો શબ્દ આ શબ્દો સાથે સમાનતા ધરાવતો જ જોવા મળશે. કારણમાં માણસની ભાષા-સંસ્કૃતિને પણ મુસાફરીમાં સામાન સાથે લઈ જવાની આદિમ વૃત્તિ. પ્રવાસ કરીએ એટલે નવા સ્થળો, નવા માણસો અને નવા સમાજ જોવા-જાણવા મળે. અને નૂતન સ્વાનુભવો કાગળ પર ટપકાપવા અને પછી ગમતાનો ગુલાલ કરવો એ પણ મનુષ્યનો સ્વભાવ છે. દુનિયાનો ઘણોખરો ઇતિહાસ વિશ્વપ્રવાસીઓની નોંધોમાંથી જડી આવ્યો છે. આજે જે કવિતાની આપણે વાત કરવી છે, એ પણ આવા જ કોઈક પ્રવાસની ફળશ્રુતિ છે. કવિ ગુલામ મોહમ્મદ શેખને જેસલમેરના પ્રવાસ દરમિયાન જે શબ્દોનું સોનું જડી આવ્યું હતું, એનો થોડો ચળકાટ આપણે માણીએ.

ગુલામ મોહમ્મદ શેખ. ૧૬-૦૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ. પિતા તાજમોહમ્મદ. માતા લાડુબેન. કલમ અને પીંછી –બંને બાળપણથી જ હાથે લાગ્યાં. ગુરુકવિ લાભશંકર રાવળ ‘શાયર’ને અનુસરીને શરૂમાં ‘મલય’ ઉપનામ રાખ્યું. રવિશંકર રાવળના સૂચનાનુસાર વડોદરા આવ્યા. ૧૯૬૧માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં એમ.એ. થયા. ૧૯૬૬માં રોયલ કૉલેજ ઑફ આર્ટ લંડનમાંથી એ.આર.સી.એ. પ્રારંભિક કાળથી જ સુરેશ જોષીના પરિચયમાં. આ પરિચય અને વડોદરામાં ઉપસ્થિત માહોલના પરિણામે વિશ્વકળાસાહિત્યનો નજદીકી સંપર્ક. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં જ કળા-ઇતિહાસ-ચિત્ર વિભાગોમાં અધ્યાપક. ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ. દેશવિદેશમાં ચિત્રપ્રદર્શનો અને કળાવિષયક વ્યાખ્યાનો. અસંખ્ય માન-સન્માન, ખિતાબોથી નવાજીત. ૧૯૮૩માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણનો ખિતાબ. હાલ, વડોદરા ખાતે રહે છે.

કવિ. નિબંધકાર. ચિત્રકાર. ભીતરને અભિવ્યક્ત થવા માટે પ્રવર્તમાન કાવ્યસ્વરૂપો ટાંચા પડતાં અછાદંસ પર હાથ અજમાવ્યો. એ કહેતા: ‘પાઠ્યપુસ્તકોમાં છપાયેલી કવિતા ભાગ્યે જ મનમાં બેસે. મોટે ભાગે નિઃસત્ત્વ અને અધૂરી જણાય. એની ભાષા અન્ય વર્ણની, અજાણી, બનાવટીય લાગે. ભદ્રસમાજની રીતભાતના ભરડામાં ફસાયેલો શબ્દ બોલાતી ભાષાની આભડછેટ રાખતો લાગે ને આયાસી છંદરચનાની ટીપટાપમાં એનું નકરું રૂપ કાટ ખાતું જણાય.’ એમની આ માન્યતા એમની તમામ રચનાઓમાંથી ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ કાવ્યો જયદેવ શુક્લની દૃષ્ટિએ ‘ગુજરાતી કવિતાની પરંપરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું અ-પૂર્વ આક્રમણ’ છે. સુરેશ જોષી પછી આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના ‘પિતા’ કહી શકાય, એ હદે અને એ સક્ષમતાથી એમણે પરંપરાગત રેઢિયાળ ગુજરાતી કવિતાનું સુકાન બદલ્યું છે. સમર્થ કવિ અને બાહોશ ચિત્રકાર હોવાના નાતે કલમ અને પીંછી, રંગ અને શબ્દ, કેનવાસ અને કાગળની એકમેકમાં સતત હેરફેર થતી જોવા મળે છે. પરિણામે, આપણને અદભુત શબ્દચિત્રો સાંપડ્યાં છે. સુરેશ જોષીના મતે ‘ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાઓની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે.’ કવિ પોતે લખે છે, ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’ એમની કવિતાઓમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, કેલિડોસ્કોપ અને મોનોક્રોમ – તમામ અડખેપડખે રહેલા દેખાય છે. કળવું મુશ્કેલ થઈ પડે એ સહજતા અને ગતિથી એમનો કેમેરા લૉન્ગ શોટ લેતાં લેતાં એક્સ્ટ્રિમ ક્લૉઝ અપ પર આવી જઈ ભાવકને અચંબિત કરી શકે છે, તો હજાર રંગોથી ઊભા કરેલ મનમોહક ચિત્રમાંથી ક્યારે વેદનાનો ભૂખરો રંગ આવીને તમને અડકી બેસશે એનું પૂર્વાનુમાન બાંધવુંય દુષ્કર છે. એમની કવિતાઓમાં આવતા યૌનસંકેતો, લૈંગિક સંવેદના, કુત્સિતતા, બિલકુલ અરુઢ કલ્પનોએ વિવેચકોને અકળાવ્યા પણ છે અને પ્રશંસાના પુષ્પો વેરવા મજબૂર પણ કર્યા છે. સુરેશ દલાલના શબ્દોમાં, ‘શેખની કવિતામાં પ્રયોગનો દેહ નથી, પણ પ્રયોગનો આત્મા છે.’ મણિલાલ હ. પટેલ કહે છે, ‘કવિતાની, શેખે રચેલી આબોહવામાં અમૂર્ત અને સૂક્ષ્મને ‘વીઝ્યુલાઇઝ’ કરવાની કવિયુક્તિ સક્રિય થતી રહે છે. રંગો અહીં માત્ર દેખાતા નથી, એ સંભળાય છે, સ્પર્શાય છે, આસ્વાદાય છે, ભોગવાય છે, સુંઘાય છે.’

કવિના પ્રથમ સંગ્રહ ‘અથવા’માં ‘જેસલમેર’ શીર્ષક હેઠળ છ લઘુકાવ્યોનું એક ગુચ્છ રજૂ કરાયું છે. આ છ કવિતાઓમાં જેસલમેરના છ અલગ-અલગ શબ્દચિત્રો ઉપસ્યાં છે. શીર્ષક આપણને કહે છે કે કવિ આપણને ‘એમણે’ જોયેલા જેસલમેરની મુલાકાતે લઈ જનાર છે. આપણે ત્યાં સ્થળકાવ્યો અને પ્રવાસકાવ્યો આમેય બહુ ઓછા જોવા મળે છે અને જે થોડાં કાવ્યો રડ્યાખડ્યા આપણી અડફેટે ચડે છે, એમાં ગદ્યાળુતા અને મુખરતા ન કઠે એવું જવલ્લે જ બનતું હોય છે. આપણા સદનસીબે આ કાવ્યો આ મર્યાદાઓથી પૂરેપૂરા બચી શક્યા છે. આ ગુચ્છમાંનું પહેલું લઘુકાવ્ય આપણે માણીએ. શરૂઆતમાં ગીત-સૉનેટ જેવા તમામ કાવ્યપ્રકારો પર હાથ અજમાવ્યા બાદ અછાંદસના છંદે ચડેલ કવિ અહીં પણ કોઈ છંદ-પ્રાસની પળોજણમાં પડ્યા નથી. નવ અને પાંચ પંક્તિઓના બે ભાગમાં વહેંચાયેલી આ ચૌદ પંક્તિની કવિતાને અછાંદસ સૉનેટ ગણવાનું મન પણ થઈ શકે. કવિતાની વિશેષતા એની ચિત્રાત્મકતા છે. ચૌદ પંક્તિની આ કવિતામાં પંક્તિએ-પંક્તિએ અને એક પણ અપવાદ વિના કવિએ ચૌદથી વધુ ચિત્રો દોરી આપ્યાં છે એમ કહીએ તો લેશમાત્ર અતિશયોક્તિ નથી. માત્ર ત્રણ-ત્રણ શબ્દોની બે પંક્તિઓ –‘બારણે લોઢાના કડે’ તથા ‘ફરફરે ઢીલી વાટ’- પણ બે સંપૂર્ણ ચિત્રો સફળતાપૂર્વક ચાક્ષુષ કરી શકી છે. ગુચ્છના છએ છ કાવ્યો અર્થ અને અભિવ્યક્તિની રૂએ એકમેકથી અલગ તરી આવે છે. પ્રસ્તુત પ્રથમ કાવ્યમાં પંક્તિએ પંક્તિએ ભાતીગળ ચિત્રો રજૂ કરવાનો જે ઉપક્રમ અપનાવાયો છે, એ ગુચ્છના અન્ય કાવ્યોમાં પ્રમાણમાં ઓછો જોવા મળે છે. અહીં વર્ણસગાઈ સ-વિશેષ પ્રયોજાઈ છે. ‘મરુથલે મોતીમઢ્યું’ના ત્રણ ‘મ’કાર, ‘બારીએ બારીએ બુઠ્ઠી’માં ‘બ’કાર, અને એ મુજબ ‘ફળિયે ફરે’, ‘બે-ચાર બકરાં’, ‘ડેલી ડ્હેકાર દે’ ‘વચલી વંડી’ વગેરે. એ જ રીતે ‘આઠ-હાથ’નો ‘થ’કાર, લોઢા-પેઢીનો ‘ઢ’કાર, ‘અંદર-ઓરડે-અંધારે’માંના ત્રણ ‘અ’-‘દ’-‘ર’કાર, તથા ‘લાલચટક ચૂલા’માંથી ઊઠતા ‘લ’કાર અને ‘ર’કારનું રવાનુકારી સંગીત કાન-ધ્યાન દઈને નહીં સાંભળીએ તોય આપણી અંદરના અહેસાસને રણઝણાવવામાં સફળ થાય છે એ સ્વીકારવું રહ્યું. અને આ બધું અનાયાસ કવિતામાં આવ્યું હોવાથી સ-વિશેષ આસ્વાદ્ય બને છે.

‘જેસલમેર’ કવિતામાં પ્રવેશતાં પૂર્વે જેસલમેર શહેરની ટૂંકી મુલાકાત જરૂરી છે. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. જેસલમેર ભારતીય માનચિત્ર અને ઇતિહાસ – બંને પર સાવ અલગ તરી આવતું શહેર છે. રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં થારના રણવિસ્તારમાં એંસીએક મીટર ઊંચી ટેકરી ઉપર આવેલા કિલ્લાની અંદર આ શહેર આજે પણ જીવી રહ્યું છે. આશરે ૧૧૫૬માં ભાટી રાજવી રાવલ-જૈસલે એની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. જેસલમેર એટલે જેસલનો પર્વતીય કિલ્લો. પીળી માટીની ટેકરી ઉપર પીળા રેતપથ્થરોમાંથી બનાવેલ આ કિલ્લો રણની રેતીની પાર્શ્વભૂમાં દિવસે તીવ્ર પીળા તડકામાં સિંહ જેવો અને ઢળતી સાંજે પીળકેસરી તડકામાં મધ જેવો સોનેરી રંગ ધારણ કરતો હોવાથી જેસલમેરને ‘ગોલ્ડન સિટી’ પણ કહે છે. જેસલમેર આજે તો બહુ ખ્યાતનામ પ્રવાસન્ કેન્દ્ર બની ગયું છે, અને વરસ આખું એ દેશી-વિદેશી પ્રવાસીઓથી ખદબદતું રહે છે પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને વિષમ આબોહવાના કારણે એ સદીઓ સુધી બાહરી હુમલાખોરોને હંફાવતું રહ્યું હતું. શહેરની સ્થાપના અને અંગ્રેજી હકૂમતના સ્વીકાર વચ્ચેના લગભગ સાતસો-આઠસો વર્ષ સુધી આ શહેર પર અન્ય કોઈ રાજવીને તાબે થયા વિના જેસલના વંશજોએ જ રાજ કર્યું, જે પોતે એક અનૂઠી ઘટના છે. હાલ તો આ શહેર કિલ્લાની બહાર પર્વત ફરતેની તળેટીમાં ચોતરફ દેડકીના પેટની જેમ વિસ્તરી ગયું છે પણ એક જમાનામાં આ કિલ્લો જ શહેર હતો અને શહેર જ કિલ્લો હતું. જૂની વસ્તી હજી પણ કિલ્લાની અંદર જ રહે છે. કવિનો કેમેરા કિલ્લાની અંદરની આ વસ્તીને જ તાદૃશ કરે છે.

કવિતાની શરૂઆત ઑલ-એન્કમ્પાસિંગ ટેલિસ્કૉપિક લેન્સમાંથી થાય છે. રણની અફાટ વેરાનીની વચ્ચે અડીખમ ઊભેલું જેસલમેર મોતીઓ મઢ્યા નગર જેવું અલગ તરી આવે છે. નગરના ટોડલે-ટોડલે મોર અને ભીંતે-ભીંતે હાથીઓ કોતર્યા છે, જે આજે પણ સજીવન લાગે છે. ઝરુખે-ઝરુખે પથ્થરનાં હીરભરત છે. અહાહા! કેવી અદભુત ઉપમા! પથ્થરની આ કારીગરી એટલી તો બારીક છે કે જાણે રેશમના કપડાં પર નાજુક ભરતકામ ન કર્યું હોય! એટલે જ કવિ એને માટે હીરભરત વિશેષણ વાપરે છે. બારીઓ પર બુઠ્ઠી તલવારો લટકી રહી છે. તલવાર બુઠ્ઠી છે પણ વીતી ગયેલા સમયને કેવી ધાર કાઢી રજૂ કરે છે! વર્ષોથી એની જરૂર જ ઊભી થઈ નથી. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. સાજના સમયે આખું શહેર કિલ્લાની રાંગ ઉપરથી અથવા શહેર બહારના કબ્રસ્તાન પાસેથી સોનાનું બનેલું હોય એવું પીળું પીળું લાગે છે. સાંજના સૂર્યના રાતા પીળા પ્રકાશમાં નગરની ભીંતો નારંગી ચૂંદડી પવનમાં લહેરાતી હોય એવી દેખાય છે. જૂના બારણાંઓ પરના લોઢાનાં કડાં આઠ-આઠ પેઢીઓના હાથોનો સ્પર્શ ખમી ચળકી રહ્યાં છે. આઠ પેઢી! દાયકાઓ નહીં, સદીઓ! ટૂંકમાં આ શહેર મકાનો નહીં, સાક્ષાત્ ઇતિહાસ છે! કડાંના એકધારા મારથી દરવાજાઓ પર જે ઘસરકા પડ્યા છે, એ સમયના ‘ઓટોગ્રાફ’ છે. આ કડાંમાંથી અનેકાનેક મનુષ્યોના સ્પર્શની કથા, કાન માંડો તો સંભળાવાની પૂરી સંભાવના છે. ફળિયે બે-ચાર કાળાં બકરાં રવડી રહ્યાં છે ને ડેલીબહાર કામગરું ઊંટ ડહેકાર દઈ રહ્યું છે. આખાય નગરને એક જ ફ્રેમમાં સમાવી લેતો કવિનો સર્વગ્રાહી ટેલિસ્કૉપિક લેન્સ ક્યારે વાઇડ એન્ગલ લેન્સ બની નાની-નાની વિગતોને બારીકીપૂર્વક દર્શાવવા માંડ્યો એ રૂપાંતરણ ઑટો-શિફ્ટ ગિઅરની માફક અહીં અપ્રત્યક્ષ-અગ્રાહ્ય છે.

કાવ્યારંભે મોતી અને હીરભરત મઢ્યું જણાતું જેસલમેર મધ્યભાગે બેચાર બકરાં અને એકાદા ઊંટ જેવી અલ્પસંખ્યાવાચકતા પર આવી ઊભું છે, એ સૂચવે છે કે સમયના હાથે માત્ર દરવાજાઓ પર જ ઘસરકા નથી પડ્યા, શહેરની સમૃદ્ધિ પણ ઘસાઈ છે. કવિનો કેમેરા ઘરની અંદર પ્રવેશીને ક્લૉઝ-અપ મોડમાં આવે છે. ઘરમાં વચલી વંડીએ રાતાં ચીર સુકાય છે ને અંદર ઓરડામાં ફુગાઈ ગયેલા અંધારે દીવાની ઢીલી વાટ ફરફરે છે. સૂકાઈ રહેલું લાલ વસ્ત્ર યાને તૃપ્તિના અભાવમાં અડધી થઈ ગયેલી યુવાન વહુ અને ઢીલી પડેલી ફરફરતી વાટ એટલે પૌરુષત્વ ગુમાવી બેઠેલ વૃદ્ધ પતિ –આ રીતે પણ આ કડીઓને મૂલવી શકાય. આમેય કવિની કવિતાઓમાંથી જડી આવતા યૌનસંકેતો બાબતમાં જે તે સમયે ખાસ્સી નોંધ લેવાઈ હતી. બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે, કવિતાના પહેલા ભાગમાં કવિ નગરની ભીંતોને નારંગી રંગે લહેરાતી બતાવીને સદીઓ બાદ હજીય શહેરના સચવાઈ રહેલા સૌંદર્યને ઉજાગર કરે છે તો છેલ્લા ભાગમાં અજવાળાંના અભાવે યોગ્ય માત્રામાં કદી દૂર ન થઈ શકેલ અંધારાને ફૂગાતું બતાવી કવિ ગરીબીની વેદના તાદૃશ કરે છે. ભાવકે-ભાવકે કવિતાનું અર્થઘટન અલગ-અલગ હોઈ શકે. આપણે તો કવિની જે પીંછી ઝડપભેર ફરી રહી છે, એના રંગે રંગાઈને સંતુષ્ટ થવાનું છે, બસ!

આગથી લાલચટાક ચૂલાની ઝાળમાં ચૂંદડીના અજવાળે સોનેરી કન્યા રોટલા ટીપી રહી છે એમ કહીને કવિ જેસલમેર કાવ્યગુચ્છની પ્રથમ કવિતા પર પૂર્ણવિરામ આંકે છે. રોટલા ટીપવા માટે અજવાળાં તરીકે દીવાના સ્થાને કન્યા ચૂંદડી કામમાં લે છે, એમાંથી શહેરના કેલિડોસ્કૉપિક ચિત્રમાંથી દારિદ્રયનો મોનોક્રોમેટિક રંગ ઊપસી આવતો દેખાય છે. કાવ્યાંતે કવિ તો રાતાં ચીર, લાલચટાક ચૂલો, ઝાળ, ચૂંદડીનું અજવાળું અને સોનેરી કન્યા જેવા રંગબેરંગી પ્રતીકો પ્રયોજે છે પણ ભાવકને ચિત્ર અચાનક જ બેરંગ બન્યાની ભારીખમ અનુભૂતિ થયા વિના રહેતી નથી. રંગોના ઢગલામાં બેરંગીપણું ઉપસાવવાની કવિની આ લાક્ષણિકતા કવિતાની લોકપ્રિયતાનું મહત્ત્વનું પરિબળ હોવું જોઈએ. અકારણ કંઈ આ ‘જેસલમેર’ કવિતાઓ સમકાલીન અને પછીની પેઢીના કવિઓ માટે ઉપાદાન સામગ્રી નથી બની રહી. નગરકાવ્યો આપણે ત્યાં આમેય જવલ્લે જ જોવા મળે ને તેમાં આ ગુણવત્તા તો ભાગ્યે જ નજરે ચડે. આ કવિતાઓથી યોગેશ જોષીમાં જેસલમેર ‘રોપાયેલું’ તે પછીથી એમની આંતરચેતનામાંથી બહાર આવી ‘જેસલમેર’ દીર્ઘકાવ્ય-પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. રણ, ઢૂવા, ઝરૂખા અને કિલ્લો –એમ ચાર ખંડોમાં આ દીર્ઘકાવ્ય પ્રસર્યું છે. શેખનું જેસલમેર સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે છે, તો જોષીના જેસલમેરનું રણ જંપી જાય છે ‘કેસરિયાળું લહેરિયું ઓઢીને!’ જોષીના જેસલમેરમાંથી પણ અંતે તો ભૂખરી ઝાંય જ વર્તાય છે:

‘ક્યાં છે હવે કિલ્લો?
નથી બુરજ, નથી સૂરજ,
નથી ઊંચી ઊંચી દીવાલો,
ને તે છતાંય ઝરૂખા છે!
હવામાં ઝૂલતા ઝરૂખા!
ઝરૂખામાં ઝૂરે- ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી ટમટમતી આંખો!’ (પૃ. ૪૬, જેસલમેર, યોગેશ જોષી)

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પણ જેસલમેર પર કવિતા રચી છે. શેખનો આ રચનાગુચ્છ ઘણા કવિઓ માટે નગરરચનાઓનું નિમિત્ત બન્યો છે. લયસ્તરો ડૉટ કોમના સ્થાપક ધવલ શાહ લખે છે: ‘સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે. આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.’ ઇતિહાસ અને વર્તમાન, સમૃદ્ધિ અને દારિદ્રય આ કવિતાઓમાં એકબીજામાં ઓગળી ગયા છે. દીવાના નહીં પણ ચૂંદડીના અજવાળે રોટલા ટીપતી ‘સોનેરી’ કન્યાની વાત કરે છે. આ સોનેરી કન્યા એ જેસલમેર શહેર પોતે જ તો નહીં?! અંતે કવિના જેસલમેર કાવ્યગુચ્છમાંથી બીજું એક પુષ્પ જોઈ વાત પૂરી કરીએ:

કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી,
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું – માધવ રામાનુજ

સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ- હસ્તાક્ષર

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

ગ્લૉબલ કવિતા : ૧૩૮ : નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

નીતિશાસ્ત્ર

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

कालाय तस्मै नमः।

એક જમાનો હતો, જ્યારે પૃથ્વી પર કોઈ સમાજવ્યવસ્થા નહોતી. મનુષ્યને જેમ અને જ્યાં રખડવું હોય એમ અને ત્યાં રખડતો. ભૂખ લાગે ત્યારે ખાતો અને સૂવાનું મન થાય ત્યારે સૂઈ જતો. જેની સાથે, જે જગ્યાએ અને જે સમયે શરીરસંબંધ બાંધવાનું મન થતું, બાંધતો. પણ પછી એને ખેતીના ‘ખ’માં સમજ પડવા માંડી. એટલે જાનવરો પાળતા શીખ્યો. ઘર બાંધતા શીખ્યો અને ઘરની સાથોસાથ જ ઊભી થઈ કુટુંબવ્યવસ્થા-સમાજવ્યવસ્થા અને વાડાવ્યવસ્થા. સમાજની રચનાની સૌથી મોટી સાઇડ-ઇફેક્ટ એટલે નૈતિક મૂલ્યોની સ્થાપના. ઘર, વાડા અને સમાજની અંદર સ્વયંભૂ પૂરાયેલા માણસની કાયાની ભીતર તો મૂળે જાનવર જ હતું. એટલે જેમ-જેમ નૈતિકતા અને નિયમો વધતાં ગયાં, તેમ-તેમ અનૈતિકતા આવશ્યક મટીને અનિવાર્ય બનતી ગઈ. અનૈતિકતા એ નૈતિકતાનો જ પડછાયો છે, અને પંડ કદી પડછાયા વિના હોય નહીં. નૈતિકતા શીખવી શકાતી નથી. માણસને જો કોઈ એકમાત્ર વ્યક્તિ નૈતિકતા શીખવી શકે એમ હોય તો તે સમય છે. સમયથી મોટો કોઈ શિક્ષક નથી. લિન્ડાની પ્રસ્તુત રચના સમયના સાર્વભૌમત્વની અડખેપડખે નૈતિકતાની મહત્વહીનતાની વાત કરે છે.

લિન્ડા પાસ્ટન. ૨૭-૦૫-૧૯૩૨ના રોજ બ્રોન્ક્સ, ન્યૂયૉર્ક ખાતે જેક ઓલેનિક અને બેસ સ્વાર્ટ્ઝના યહૂદી પરિવારમાં જન્મ. મોટાભાગનું જીવન પોટોમેક, મેરીલેન્ડમાં વિતાવ્યું. ૧૯૫૩માં લગ્ન. ૧૯૫૪માં અંગ્રેજીમાં બી.એ. અને ૫૭માં અંગ્રેજીમાં જ એમ.એ. કોલેજમાં હતાં ત્યારે સિલ્વિયા પ્લાથ જેવા કવયિત્રીને હરાવીને પુરસ્કાર જીત્યાં હતાં પણ ખુદને ‘પચાસના દાયકાનું ઉત્પાદન’ અને ‘પરફેક્ટ્લી પોલિશ્ડ ફ્લૉર સિન્ડ્રોમ’નો શિકાર ગણાવતા લિન્ડાએ પરિવારની જાળવણી બાબતમાં પોતાને ‘પરફેક્ટ’ સાબિત કરવાના ધખારામાં કલમને અલવિદા કહી દીધી. અધકચરા દિલે તેઓ કવિતા લખવા માંગતા નહોતાં. દસેક વર્ષ બાદ કવિપત્નીના કાવ્યનિષ્ક્રીયતા બાબતના અસંતોષથી થાકેલા પતિના આગ્રહથી ફરી કલમ ઉપાડી તે આજ દિનપર્યંત અટક્યા વિના ચાલી રહી છે. ૧૯૯૧થી ૯૫ સુધી મેરીલેન્ડના રાજકવિ. પંદરેક પુસ્તકો. ઢગલાબંધ ઈનામ-અકરામ. એક લાખ ડોલરનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ. ત્રણ સંતાન. એક, રચેલ નવલકથાકાર; બીજો, પીટર રસોઈયો-હોટેલિઅર; ત્રીજો, સ્ટિફન કિડનીરોગનો નિષ્ણાત. હાલ ૮૭ વર્ષની વયે તેઓ પતિ ઇરા પાસ્ટન સાથે મેરીલેન્ડમાં જ રહે છે.

કવિ. નિબંધકાર. લાઘવ એમની કવિતાઓનું પ્રમુખ અંગ છે. તેઓ કહે છે, ‘મારી સહજ પ્રકૃતિ છે લાઘવ. મને લાંબા વૃતાન્ત કાવ્યો લખવાની ઇચ્છા છે. મારે નવલકથા પણ લખવી છે. પણ ગમે ત્યારે હું કંઈ પણ લાંબુ લખવાનું શરૂ કરું; જે કંઈ પણ બહારનું છે, જે કંઈ પણ બિનજરૂરી છે, એ દૂર કરતી રહું છું, અને અંતે હું એક નાનકડા ઊર્મિકાવ્ય પર આવી અટકું છું.’ કવિતા લખ્યા બાદ, એમના પોતાના કહેવા મુજબ, તેઓ ‘ઓછામાં ઓછી સો વાર’ મઠારે છે, જ્યાં સુધી સંપૂર્ણ પ્રતીતિ નહીં થાય કે કવિતા વાંચતી વખતે પોતાની ઉપર જે અસર થાય છે, એ જ એમના વાચક પર પણ થશે. એમની ભાષાની પ્રવાહિતા, શબ્દોની કરકસર, કલ્પનોની તાજગી અને સંવેદનની સચ્ચાઈ ભાવકને સ્પર્શ્યા વિના રહેતાં નથી. પરિવાર, દામ્પત્ય, માતૃત્વ, માનવસંબંધ, સુખદુઃખ, મૃત્યુ વગેરે જિંદગીના રોજબરોજનાં પાસાંઓ એમની કલમનો સ્પર્શ પામી કવિતામાં પરિણમે છે. રોજિંદા જીવનની સપાટી તળે ધબકતી ચિંતાઓ એમના મુખ્ય રસનો વિષય છે. આત્મકથનાત્મકતા લિન્ડાની રચનાઓનું અગત્યનું અંગ છે. જીવન અને સંબંધોની ક્ષણભંગુરતા એમને સતત કગાર પર લટકતાં રાખતાં હોવાનું તેઓ માને છે. એમની કવિતાઓ એમના પોતાના અનુભવોમાંથી જન્મી હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. હડસન રિવ્યૂ એમને ‘સો નાની-નાની ખુશીઓ, ઉજવણીઓ, પ્રતિક્રિયાઓ, સંતોષ અને સુખના કવિ’ તરીકે ઓળખાવે છે. એમિલી ડિકિન્સનની જેમ લિન્ડાની કવિતાઓ પણ ઘરબહારની દુનિયામાં ફરવા જવાને બદલે ઘરેલુ બાબતોની આસપાસ જ ફરતી જોવા મળે છે. નાંખી દેવા જેવી લાગતી ક્ષુલ્લક બાબતોમાંથી બંને કવયિત્રીઓની કવિતા જન્મે છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક વાંચતા જ રચના બે ઘડી બાજુએ મૂકી દેવાનું મન થાય. સાચી વાત છે. નીતુશાસ્ત્રના ભાષણની તમા કોને હોય? વિદ્યાર્થી વર્ગમાં, ને માણસ જીવનમાં નવું શીખવા ભાગ્યે જ આતુર છે. દરેક જણ પોતાને બધું આવડતું હોવાનો અથવા બધી સમજ પડતી હોવાનો સર્વગુણસંપન્નતાનો અંચળો ઓઢીને ફરતા જોવા મળે છે. અધૂરામાં પુરું ગૂગલદેવતાએ દાટ વાળ્યો છે. બે મિનિટના ગૂગલથી માણસ પોતાને સર્વજ્ઞ સમજવા માંડે છે. પાંચ-દસ મિનિટના ગૂગલજ્ઞાનના આધારે દર્દી ડોક્ટરના દસ વર્ષના મેડિકલ કોલેજના અભ્યાસને પડકારે છે. ટૂંકમાં, આપણે એવા સમાજની કગાર પર આવી લટક્યાં છીએ, જ્યાં નૈતિકતાનું દોરડું માત્ર સોશ્યલ મિડીયાઝ પર સૂફિયાણી વાતો ફૉરવર્ડ કરવા ખાતર જ હાથે ઝાલવામાં આવે છે. કગાર પર ક્યાં સુધી ટકાશે અને કઈ ઘડીએ પતન થશે એની કોઈને ખબર નથી પણ ‘સૃષ્ટિનો અંત આવે તોય કોઈ વાંધો નહીં આવે’ના મિથ્યાભિમાનના સહારે સહુ છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક જ કંટાળાજનક છે. પણ આ લિન્ડાની કવિતા છે. એ સ્વાનુભવોમાંથી ઘડાઈને આવતી હોવાથી આપણને વધુ આત્મીય લાગે છે. લિન્ડાની કવિતાઓ બહુ સહજભાવે અડોઅડ બેસીને આપણા ખભે હાથ મૂકીને સંવાદ કરે છે. આ કવિતા સમયના બે અલગ-અલગ બિંદુઓને ભેગાં કરતી હોવા છતાં કવિએ એને પરિચ્છેદમાં વિભાજીત કરવાના બદલે સળંગ રાખી છે. અપૂર્ણાન્વય (enjambment)નો સહારો પણ ખૂબ લીધો છે. પરિણામે આખી રચના એકઘટ્ટતાની અનુભૂતિ સાથે એકી કોળિયે ગળે ઉતારવાની ફરજ પડે છે. પચ્ચીસ પંક્તિઓના આઠેક વાક્યોમાં ચાર તો પંક્તિની અધવચ્ચે પૂરાં થાય છે. આખી રચનામાં લિન્ડાએ આયમ્બિક પેન્ટામીટર છંદ જાળવ્યો છે પણ ૨૧મી પંક્તિમાં દસની જગ્યાએ અગિયાર અને આખરી પંક્તિમાં નવ શબ્દાંશ (syllables) વાપરી કાવ્યાંતે લયમાં વધઘટ કરી એકીશ્વાસે વહી જતા અહેસાસને લગરિક આરોહ-અવરોહ આપ્યો છે. સંવેદનાના રસ્તે સડેડાટ દોડી જતા વાહન માટે ક્યાંક સ્પીડબ્રેકર પણ આવશ્યક છે, નહિંતર ચાલકને ઝોકું આવી જઈ શકે!

ઘણા વર્ષો પહેલાં પોતે કોલેજમાં હતાં એ સમયની વાત લિન્ડા કરે છે. નીતિશાસ્ત્રના વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને દરેક પાનખરમાં એક સવાલ પૂછતાં. અમેરિકામાં ઑગસ્ટનો અંત અને સપ્ટેમ્બરનો પ્રારંભ એ પાનખરની ઋતુ ગણાય છે અને કોલેજોનું નવું શૈક્ષણિક વર્ષ પણ આ જ સમયગાળામાં શરૂ થાય છે. મતલબ, કોલેજનું વર્ષ નવું-નવું શરૂ થયું હોય ત્યારે શિક્ષક દર વરસે પૂછતાં કે માની લો કે તમે કોઈક સંગ્રહાલયમાં ગયા છો અને ત્યાં આગ લાગે છે. તો તમે રેમ્બ્રાંતના અમૂલ્ય ગણાતા ચિત્રને બચાવશો કે જીવનના આરે આવી ઊભેલી કોઈક વૃદ્ધાને? વેકેશન ભોગવીને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને આદતના અભાવે વર્ગખંડની ખુરશીઓ હજી સખત અનુભવાય છે એટલે એના પર બેસીને તેઓ બેચેન છે. એક વરસે તેઓ વૃદ્ધાની જિંદગીને બચાવવાનો વિકલ્પ પસંદ કરતાં તો બીજા વરસે ચિત્રને, પણ આમાનો કોઈ જ જવાબ દિલમાંથી આવતો નહોતો. શિક્ષક માથે હોય એટલે જવાબ તો આપવો પડે ને! ક્યારેક લિન્ડાને લાગતું કે એ વૃદ્ધા એના દાદી જ છે, જે રસોઈઘર પડતું મૂકીને મ્યુઝિયમમાં ટહેલવાં આવ્યાં છે. એક વર્ષે હિંમતપૂર્વક દોઢડહાપણ કરીને લિન્ડા જવાબ આપે છે કે આગ લાગે તો બચાવની પ્રાથમિકતા એ વૃદ્ધાને જ નક્કી કરવા દઈએ તો? વૃદ્ધ સ્ત્રીમાં દાદીનો ચહેરો જોયા બાદનો આ જવાબ નીતિશાસ્ત્ર પર અંગત સંબંધો અને લાગણીઓની હાવી થતી અસર ગણી શકાય? ખેર, એ અલગ અભ્યાસનો વિષય છે. પણ શિક્ષકના નીતિશાસ્ત્રનું અણિશુદ્ધ પાલન કરતાં શિક્ષકે તો તરત જ લિન્ડાને જાહેરમાં ઝાટકી: ‘તું તારી જવાબદારીઓના બોજાઓથી ભાગી રહી છે.’

વિદ્યાર્થીઓએ પોતે નીતિશાસ્ત્રનો વિષય પસંદ કર્યો છે એટલે નૈતિકતા શું છે અને વિપરિત સંજોગો દરમિયાન એ કઈ રીતે પ્રગટ થવી જોઈએ એ બાબત શિક્ષક શીખવે એ સ્વાભાવિક છે. પણ જે રીતે દર વરસે વિદ્યાર્થીઓ એકના એક સવાલના જવાબ બદલતા રહે છે અને જે રીતે શિક્ષકે પણ દર વરસે સવાલ દોહરાવવો પડે છે એના પરથી સમજાય છે કે શિક્ષક નૈતિકતા શીખવવામાં અને વિદ્યાર્થીઓ પણ એના પાઠ ભણવામાં નિષ્ફળ નીવડ્યાં છે. હકીકતમાં નૈતિકતા શીખવવાનો વિષય છે જ નહીં. સમાજનું સર્જન કરતી વખતે આચાર-વ્યવહારમાં સુસંગતતા રહે એ ખાતર નૈતિક મૂલ્યોનું સર્જન કરાયું પણ મનુષ્યની મૂળ પ્રકૃતિ આદિમ છે, પાશવી છે. એના પર નૈતિકતા લાદી જરૂર શકાય, અંદરથી ઊગાડી નહીં શકાય. કોઈ પણ મનુષ્યને એવી જગ્યાએ મૂકવામાં આવે જ્યાં એના પર નજર રાખનાર કોઈ હોય જ નહીં, એ શું કરે છે એ જોનારું પણ કોઈ જ ન હોય અને એ જે કરે છે એનો એણે કદી પણ કોઈને પણ જવાબ સુદ્ધાં આપવાનો ન હોય, તો એ મનુષ્ય શું કરે અને શું ન કરે એ અચંબાજનક સંશોધનનો વિષય બની રહે. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ લઘુનવલકથામાં નવથી લઈને ૧૩-૧૪ વર્ષનાં કેટલાંક ટાબરિયાં કોઈક વસ્તીહીન ટાપુ પર પહોંચી જાય છે અને પછી આ નિર્દોષ ગણાતાં ભૂલકાંઓ વચ્ચે જે રીતે અસ્તિત્વનો ખૂનખાર જંગ શરૂ થાય છે, એ કથા વરસોથી વાચકોના લોહી થીજાવતી આવી છે.

કવિતાનો બીજો ભાગ અહીંથી શરૂ થાય છે. હકીકતમાં કવિતાનો આરંભ અહીંથી જ થયો છે. વૃદ્ધ લિન્ડા એક સંગ્રહાલયમાં રેમ્બ્રાંતના ચિત્ર સમક્ષ ઊભી છે. રેમ્બ્રાંતનું આ ચિત્ર જોઈને એને વરસો પૂર્વેના એના નીતિશાસ્ત્રના વર્ગ, સવાલ-જવાબ અચાનક યાદ આવ્યા અને કવિતા પ્રારંભાય છે. કવિતામાં અગાઉ ‘અધકચરા મને’ (half-hearted) અને ‘અર્ધ કાલ્પનિક’ (half imagined), એમ બે વાર અડધાની વાત દોહરાવાઈ હતી. એની મુખામુખ લિન્ડા હવે બે વાર ‘સાચુકલા’ (real) શબ્દ દોહરાવે છે. આ પુનરાવર્તન કલ્પનાની સન્મુખ વાસ્તવિકતાની બેવડી ધાર કાઢવામાં સાંગોપાંગ સફળ રહે છે. વાસ્તવિકને એ વધુ વાસ્તવિક બનાવે છે.

રેમ્બ્રાંત વાન રિન એટલે સત્તરમી સદીમાં હાલના નેધરલેન્ડ્સમાં થઈ ગયેલ, અમર કળાકાર. દુનિયાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કળાકારોમાંનો એક. ગાઢો તપખીરી-કથ્થઈ રંગ એના મોટાભાગના ચિત્રોમાં ઊડીને આંખે વળગે છે. વૉશિંગ્ટન ડીસીના પરગણાંની નિવાસિની હોવાના નાતે આ સંગ્રહાલય ‘નેશનલ ગેલેરી ફોર આર્ટ’ હોઈ શકે, જ્યાં રેમ્બ્રાંતે દોરેલ આત્મચિત્રો (સેલ્ફ-પૉર્ટ્રેટ્સ)માંનું એક ઉપલબ્ધ છે. આ ચિત્રમાંની ગાઢી કથ્થઈ રંગચ્છાયાઓ વૃદ્ધ અથવા લગભગ વૃદ્ધ લિન્ડાને ધરતીના રંગ જેવી લાગે છે, પણ આ રંગો પાનખર અને પાનખર પછી બરફ લઈને આવતા શિયાળા કરતાંય વધુ ગાઢા છે. એ કહે છે કે પૃથ્વીના સૌથી તેજસ્વી ઘટકો કેન્વાસ મારફતે જ સળગે છે. અહીં, પાનખર અને શિયાળાનો ગાઢા રંગ સાથેનો ઉલ્લેખ વૃદ્ધત્વ તથા મૃત્યુની અર્થચ્છાયાઓ ઉપસાવે છે. રેમ્બ્રાંતના ચિત્રમાં રહેલો મૃત્યુનો રંગ લિન્ડા પારખે છે. મૃત્યુ પછી મરનારે ધરતીમાં જ મળી જવાનું છે. ધરતીનો આ રંગ જ કેન્વાસમાં ઊતર્યો છે અને કેન્વાસનો રંગ પણ આખરે ધરતીમાં જ ભળી જનાર છે.

આજે લિન્ડાને સમજાયું છે કે નીતિશાસ્ત્ર વર્ગખંડમાં નહીં, માત્ર જીવનખંડમાં જ શીખી શકાય છે. અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. ‘આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું’નો પાઠ હજારવાર ભણ્યાં હોઈએ તોય પરિસ્થિતિ સામે આવી ઊભી રહે ત્યારે આપણે શું કરી બેસીશું એનું કોઈ નક્કી ગણિત સંભવ જ નથી. નૈતિકતા શીખવવાથી નથી સમજાતી. જીવન અને સમય જ મનુષ્યને નીતિમત્તાના પાઠ શીખવાડી શકે છે. ટૂંકમાં, નીતિશાસ્ત્રના વર્ગોથી વધુ મહત્ત્વહીન બીજું કદાચ કશું નથી. સમાજના વાડામાં કેદ મનુષ્ય માટે નૈતિકતા એ વાડામાં સુરક્ષિત રહેવા માટેની એક આવશ્યકતા છે. આવશ્યકતા ભાગ્યે જ અનિવાર્યતામાં પરિણમતી હોય છે. દરેક માણસ પોતાની ઠોકરમાંથી જ શીખતો હોય છે. દરેકનો નીતિશાસ્ત્રનો ગુરુ એનો પોતાનો સમય જ હોય છે, બીજું કોઈ નહીં.

નીતિશાસ્ત્રના વર્ગમાં ગાળેલ વર્ષો દરમિયાન અને એ બાદના, વૃદ્ધ થઈ જવાયું ત્યાં લગીની જિંદગીના અધધધ સમયગાળામાં જે વાત સમજાઈ નહોતી, એ આજે અચાનક લિન્ડાને સમજાઈ છે. શિક્ષકના સવાલનો સાચુકલો જવાબ એને સાચુકલા સંગ્રહાલયમાં સાચુકલા રેમ્બ્રાંત સામે આવીને ઊભા રહ્યા બાદ છેક આજે જડ્યો છે. એને સમજ પડે છે કે પેલી સ્ત્રી અને ચિત્ર અને ઋતુ એ બધાં લગભગ એક જ હતાં અને એ બધાં જ કોઈના પણ દ્વારા બચાવી શકાવાની શક્યતાથી ખૂબ પરે છે. માણસ ગમે એટલું જીવે, એનો અંત આવનાર જ છે. ચિત્ર ગમે એટલું ઉત્તમ કેમ ન હોય, સમયનું જડબું એને સો-હજાર-પાંચ હજાર વર્ષે પણ ગળી જ જવાનું છે અને ઋતુ તો આમેય કદી સ્થાયીભાવ લઈને આવતી જ નથી. ગમે એટલા તેજસ્વી તત્વોએ પણ સમયના કેન્વાસમાં થઈને સળગીને ખાખ જ થવાનું છે. કન્નડમાં ‘એલ્લારા કાલુ યેલિઠડે કાલા’ કહે છે, જેનો અર્થ થાય છે, ‘જરૂર પડશે ત્યારે સમય દરેકને ભોંય બતાવી દેશે.’ લિન્ડાની કવિતા પણ આવી જ વાત કરે છે. અહીં ‘जातस्य हि ध्रुवोमृत्युः’નો ગીતાપાઠ આપણા કાને સંભળાય છે. કાવ્યાંતે સમયનો શંખનાદ કાને પડે છે: ‘હે કાળા માથાના મનુષ્યો! થાય એ કરી લો. શું તમે, શું તમારી કળાઓ, શું તમારી દુનિયા- હું તમામને ધૂળ ચાટતાં કરી દઈશ.’ અને જે ઘડીએ આપણને આ વાત સમજાઈ જાય એ ઘડી નીતિશાસ્ત્રમાં PhD પ્રાપ્ત કર્યાની ઘડી છે. कालाय तस्मै नमः। હે સમય! તને અમારા નમસ્કાર છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૭ : છેલ્લું દર્શન – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !

સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. ને એમાંય દાયકાઓ સુધી ડગલે-પગલે સાથે ચાલનાર, વાતે-વાતે હામી ભરનાર, ને પળે-પળ તમારી કાળજી લેનાર જીવનસાથીની કાયમી વિદાયનું દુઃખ તો વળી વધુ વસમું હોય. અગ્નિના ફેરા લઈને સાત પગલાં સાથે ચાલ્યા બાદ બે જણ ક્યારેક સારસ-બેલડી બની જાય છે, એનો ઉભયમાંથી એકેયને ખ્યાલ પણ રહેતો નથી. સારસ-બેલડી, કેમકે સારસ પક્ષી હંમેશા જોડીમાં જ રહે છે, ને જોડી ખંડિત થાય તો બચનાર પક્ષી પથ્થર પર માથું પછાડી-પછાડીને પ્રાણત્યાગ કરે છે એમ માનવામાં આવે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ ‘શેષ’ જીવનસંગિનીના મૃત્યુને એમના ચશ્મેથી જે રીતે નિહાળે છે એ દિલચસ્પ છે. જોઈએ.

રામનારાયણ વિશ્વનાથ પાઠક. ૦૮ એપ્રિલ, ૧૮૮૭ના રોજ ધોળકા તાલુકાના ગાણોલ ગામે જન્મ. વતન ભોળાદ. પ્રશ્નોરા નાગર. પિતા શિક્ષક. માતા આદિતબાઈ. પોતે મુંબઈથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં બી.એ., અને પછી એલ. એલ.બી. કર્યું. વકીલાતની આવક કરતાં સાહિત્ય વધુ પાવક લાગ્યું એ એક કારણ અને બીજું, ક્ષયરોગની બિમારી. ટૂંકમાં, વકીલાત ત્યજી સાહિત્ય અને શિક્ષણમાં ઝંપલાવ્યું. અમદાવાદ-મુંબઈની અલગ-અલગ કૉલેજોમાં પ્રાધ્યાપક રહ્યા. ૧૯૦૩માં મણિગૌરી સાથે લગ્ન, જે ૧૯૧૮માં અવસાન પામ્યાં. બીજા વરસે એકની એક દીકરી સરલા અને બહેન સવિતાનું નિધન. લગભગ ૨૭ વર્ષ એકલા રહ્યા બાદ ૧૯૪૫માં સામાજીક ઉહાપોહની વિરુદ્ધ જઈ પોતાનાથી લગભગ અડધી (૩૦ વર્ષ) વયનાં પોતાનાં શિષ્યા હીરાબહેન મહેતા સાથે લગ્ન. ૧૯૪૬માં સાહિત્ય પરિષદના પ્રમુખ. જીવન સાદું-સરળ અને નિર્વવાદી. વાતચીતરસિયા. પ્રખર ગાંધીવાદી. સત્યાગ્રહી પણ. જેલવાસ પણ ભોગવ્યો. ૨૧-૦૮-૧૯૫૫ના રોજ મુંબઈ ખાતે ૬૮ વર્ષની વયે ત્રીજીવારના હૃદયરોગના હુમલાથી નિધન.

કવિ. વાર્તાકાર. નિબંધકાર. નાટ્યકાર. અનુવાદક. પિંગળશાસ્ત્રી. પણ સૌથી વધુ ખ્યાતિ તર્કશાસ્ત્રી-વિવેચક તરીકેની. શરૂમાં ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’ અને પછીથી ‘શેષ’ના ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ના નામે નવલિકાઓ, અને હળવા નિબંધ ‘સ્વૈરવિહારી’ના નામે. વિવેચન, સંશોધન અને સંપાદન ઈત્યાદિ ફોઈ દીધા નામથી. દ્વિરેફ ઉપનામ માટે એમણે ખુલાસો આપ્યો હતો: ‘દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે, પણ પુષ્પોમાંથી મધ ભેગું કરી આપનારો ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી, અને મારી ઘણી વાર્તાઓ કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહીં, યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.’ માત્ર સાક્ષરયુગ-પંડિતયુગના આકાશ કે ગાંધીયુગની ધરતીના સ્થાને એમના સર્જનમાં એ બંને જ્યાં ભેળાં મળે એ ક્ષિતિજનું સૌંદર્ય વધુ ઉજાગર થાય છે. ગાંધીયુગના કાવ્યગુરુ. સાચા શિક્ષક. વિશાળ શિષ્યમંડળ. આજીવન સાહિત્ય-શિક્ષણ સંસ્થાઓ-પ્રવૃત્તિઓમાં રત રહ્યા. ઉ.જો.એ કહ્યું હતું: ‘ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપવામાં ગૂજરાત વિદ્યાપીઠને સફળતા મળી હોય તો તે રામનારાયણ પાઠકને આભારી છે.’ છંદશાસ્ત્રની ગુજરાતી ગીતા સમો ૭૦૦ જેટલાં પાનાંઓમાં વહેંચાયેલ વૈજ્ઞાનિક અભિગમવાળું ‘ઑલ ઇન્ક્લુઝીવ’ અભૂતપૂર્વ ‘બૃહત્ પિંગળ’ એમની કારકિર્દીનું સર્વોત્તમ છોગું. એમના કાવ્યોમાં વિષયવૈવિધ્ય કરતાંય સ્વરૂપ-આકાર-છંદની ઊંડી સમજ, કાવ્યબાની-વિદ્વત્શૈલી અને પ્રયોગોની વિવિધતા વિશેષ ધ્યાનાર્હ છે. સજાગ કવિકર્મ, કાવ્યતત્વ અંગેની ચીવટાઈ, કલાસંયમ, શિષ્ટ-સુઘડ શબ્દાવલિ, પ્રેરણાના સ્થાને પ્રબુદ્ધિની મહત્તાના કારણે એમની કવિતા ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાય છે. વધુ પડતા આયાસ-કૃત્રિમતા અને તર્કપ્રાધાન્યના કારણે એમની કવિતા ક્યારેક ગદ્યાળુ બની રહે છે. સુરેશ દલાલ એમની કવિતાઓમાં ‘અસાધારણ સંયમ સાથે ઊર્મિનું ચિંતનશીલ નિરૂપણ’ તથા ‘ઊર્મિ અને બુદ્ધિનો ભાગ્યે જ જોવા મળતો વિવેકપુરઃસર સમન્વય’ તરફ ધ્યાન દોરે છે. મહાકાવ્ય સિવાય ગઝલ સહિત, લગભગ બધા કાવ્યપ્રકારોમાં કામ કર્યું. બહુધા પ્રભુ, પ્રકૃતિ અને પ્રણયના કવિ. ટૂંકમાં, ‘શેષ’ ગુજરાતી કવિતાનો ‘વિશેષ’ છે!

કવિતાનું શીર્ષક ‘છેલ્લું દર્શન’ કવિતાના વિષયવસ્તુ ખોલી આપે છે. ફરી મળી કે જોઈ ન શકાય એવી જગ્યાએ કોઈક જઈ રહ્યું છે અને એને જીવનમાં છેલ્લીવાર જોવાની વાત અહીં હશે એ સમજાય છે. કવિએ પોતે જે વાત કરવી છે એ માટે સૉનેટને કાવ્યપ્રકાર તરીકે પસંદ કર્યું છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની પંક્તિવ્યવસ્થા શેઇક્સપિરિઅન સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે પણ કવિએ પ્રાસની પળોજણમાં પડવાથી પોતાને મુક્ત રાખ્યા છે. આ વાત કદાચ જીવનનો પ્રાસ ખોરવાયા હોવાનું પણ ઈંગિત કરતી હોય. જો કે શેષના કાવ્યોનો અભ્યાસ કરતાં સમજાય છે કે કવિને પ્રાસવ્યવસ્થા ઝાઝી માફક આવી નથી. કવિએ પ્રમાણમાં અગેય એવો પૃથ્વી છંદ પ્રયોજ્યો છે એનું કારણ પણ કદાચ જીવનસંગીત મંદ પડી ગયું હોવાનું વિચારી શકાય. કવિપત્નીનું નિધન થયું છે. માત્ર સોળ વર્ષની વયે કવિના લગ્ન થયા હતા. અને પંદર જ વર્ષનો સહવાસ આપીને પત્ની દેવલોકપ્રયાણ કરી ગયાં હતાં. કવિનો પત્ની માટેનો અનુરાગ લગભગ ત્રણ દાયકા કવિએ વિધુરાવસ્થામાં વીતાવ્યા એ પરથી સમજી શકાય છે. સ્વગતોક્તિ સ્વરૂપે લખાયેલ પ્રસ્તુત રચના મૃત્યુના બારેક વર્ષ બાદ ૧૯૩૦માં લખાયેલી હોવા છતાં તાજી જ લખાઈ હોઈ એમ લાગે છે. બાર વરસના વહાણાં વહી ગયાં હોવાં છતાં ઘટના બે ઘડી પહેલાં જ બની ન હોય એવી સંવેદનની અભૂતપૂર્વ તાજપ પણ કવિના પત્નીપ્રેમનું અનુમોદન કરે છે. ચન્દ્રશંકર ભટ્ટ પત્નીના અવસાન શોકમાંથી જન્મેલા આ સૉનેટમાં ‘અંતર્ઘનગૂઢ વ્યથાનું રૂદન કે રોતલપણામાં સરી પડ્યા વિના, પૂર્ણ સંયમથી થયેલું આલેખન નોંધપાત્ર’ હોવાનું જણાવે છે.

કવિતાની શરૂઆત ‘ધમાલ ન કરો’ના આદેશથી થાય છે. ખરે તો ત્રણેય ચતુષ્કની શરૂઆત આ જ ધ્રુવકડીથી થાય છે. જુવાનજોધ પત્નીનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં કેવી ધાંધલ-ધમાલ મચી હોય એ તો સહેજે સમજી શકાય. નાયકના ઘરેય એવી જ પરિસ્થિતિ હશે પણ એક-એક કરતાં ત્રણ-ત્રણવાર ‘ધમાલ ન કરો’નો આદેશ એ આપે છે. હા, આદેશ! નાયક સગાંવહાલાંઓને વિનંતી કરે એવો દીન નથી. આવી શોકાતુર સ્થિતિમાં પણ સહુને આદેશ આપી શકે અને આદેશનું યથાર્થ પાલન કરવાથી સગાંઓ ચ્યુત થતાં દેખાય તો રહી-રહીને પોતાનો આદેશ દોહરાવી-ત્રેવડાવી આદેશપાલન કરવા સહુને મજબૂર કરી શકે એ એટલો સ્વસ્થ અને બહાદુર પણ છે. પુનરુક્તિના માધ્યમથી કવિ મૃત્યુનો આ પ્રસંગ આપણે જોયેલ-જાણેલ સહુ પ્રસંગોથી અલગ હોવાનો છે, એની આપણને સફળતાપૂર્વક દૃઢ પ્રતીતિ પણ કરાવે છે. સમર્થ કવિ શબ્દો પાસે કેવું ધાર્યું કામ કઢાવી શકે એનો આ સચોટ દાખલો ગણાય. જો કે કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે નાયક સગાંઓ કે સગાંઓએ મચાવેલી ધમાલથી બહુ દૂર જઈને ઊભો છે. આ આદેશ એ અન્ય કોઈને નહીં, પોતાની જાતને જ દઈ-દોહરાવી રહ્યો છે.

નાયક ધમાલ ન કરવાનો આદેશ આપતાં આંખોને સહેજ પણ ભીનાં ન થવાનું કહે છે. બીજી જ પંક્તિમાં આંસુઓને થોડીવાર થંભવાને અનુરોધ પણ કરવામાં આવે છે, એ પરથી સમજી શકાય છે કે પ્રિયજનના મૃત્યુથી પાછળ રહી જનારને તકલીફ તો છે જ. આંખમાં આંસુઓ તો છે જ પણ એને અંદર જ ધરબી રાખવાનાં છે. બહાર આવવા દેવાનાં નથી. કેમ? કેમ કે મૃતદેહને તો થોડી જ વારમાં અગ્નિભેગો કરી દેવામાં આવશે. જે ઘડી-બે ઘડી વચ્ચે મળી છે, એ દરમિયાન આંખમાં જો આંસુઓ ધસી આવે તો દૃષ્ટિ ધૂંધળી થઈ જાય અને જનારને છેલ્લીવાર ધરાઈને જોવાની તક પણ ભસ્મીભૂત થઈ જાય. આંસુઓને અટકવાનો અને આંખોને લગરિક પણ ભીનાં ન થવાનો અદેશ દઈ નાયક અટકતો નથી. એ એમને વળી કૃતાર્થ પણ થવા કહે છે. કવિ અહીં ‘જોઈ લો’ કે ‘નિહાળી લો’ના સ્થાને ‘કૃતાર્થ થઈ લો’ પ્રયોજે છે. મતલબ આ અંતિમ દર્શન એ કોઈ રોજિંદી વાત નથી, આ દર્શન કરવામાં આવે તો જ આંખો જે કામ માટે સર્જાઈ છે, એનું પ્રયોજન સિદ્ધ થશે, તો જ આંખોનો જન્મારો સફળ થયો ગણાશે. આ દુનિયા જેના વડે હસતી અને મંગળ વર્તાતી હતી, એ સૌંદર્ય હવે નિષ્પ્રાણ થયું છે. પણ હજી ઘડી-પળ આંખોને એનું આકંઠ પાન કરી મોક્ષસુખ પામવાની તક છે. વળી, આંખોએ આ તક જતી કરવાની નથી એવો નાયકનો આદેશ પણ છે.

નાયક ફરી ધમાલ ન કરવાનો આદેશ કરે છે. આ વખતે આદેશ મૃતદેહને યોગ્ય શણગારવા માટે છે. મૃત્યુ આમ તો અમંગલ ગણાય છે, પણ નાયક માંગલ્યચિહ્નોથી એને શણગારવા હુકમ કરે છે. એ મૃતદેહને વિદાય આપતી વખતે એને અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, ફૂલો, તથા શ્રીફળો ધરવા કહે છે. કવિ વિયોગને સ્થાને સુયોગ શબ્દ પ્રયોજે છે, એ નોંધ્યા વિના આગળ વધીએ તો કવિતા મરી જાય. આ આખરી દર્શન એમના માટે અણમોલ, સુંદર અને સુહાગી માંગલ્યનો પ્રસંગ છે, નહીં કે દુર્ભાગી અમાંગલ્યનો. મૃતક પત્નીને દુલ્હનની જેમ શણગારવાના કવિનો આગ્રહ તરત જ રાવજી પટેલની અમર રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ની યાદ અપાવે છે, જેમાં શોકગીતને લોકગીત અને મરણને પરણના વાઘાં પહેરાવીને કવિએ કરુણતાની એવી ધાર કાઢી છે, જે આજે પણ સહૃદય ગુજરાતી ભાવકોની આંખ ભીની કર્યા વિના રહેતી નથી.

ત્રીજી અને આખરી વાર ધમાલ ન કરવાનું ફરમાન કરતો નાયક મૃતકના સ્મરણ તરીકે કશુંય સાચવવાની ના કહે છે. ઉમરની પીંછી તો શરીર પર અનવરત ફરતી જ રહેવાની, એટલે સમય સાથે શારીરિક સૌંદર્ય તો ક્રમશઃ ઓઝપાતું જ રહેવાનું. પણ પ્રેમના કાચમાંથી જોઈએ ત્યારે કશું અસુંદર લાગતું નથી. લૈલા જેવી બદસૂરત યુવતી પણ મજનૂને મન સ્વર્ગની અપ્સરાથીય વધીને હતી. દામ્પત્યના વર્ષોના વહાણાં વહી ચૂક્યાં હોવા છતાં નાયકને પત્નીનું સૌંદર્ય અંત સુધી ઢળતું નહીં, વિકસતું જ રહ્યું છે. હવે એ સૌંદર્ય પરથી કોઈક વસ્તુ સાચવવાના નામે ઊઠાવી લેવામાં આવે તો એની અખંડિતતાનો ભંગ થાય. બહુધા મરણ સ્મરણ બનીને રહી જતું હોય છે. કલાપી પણ ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું’ કહી ગયા, પણ અહીં તો કવિને સ્મરણ સામેય વિરોધ છે. હૃદયમાં ભાર્યાનું જે સ્થાન બન્યું છે, એ અવર કોઈ સ્વજન તો ઠીક, એના પોતાનાં સંસ્મરણો પણ પૂરી શકવાનાં નથી. કેવી અભૂતપૂર્વ વાત! મૃત્યુ તરફ જોવાની ‘શેષ’ની દૃષ્ટિ વિશેષ જ હતી. ‘જ્યારે આ આયખું ખૂટે’ કવિતાની કેટલીક કડીઓ જોવા જેવી છે:

જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે,
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.

અન્ય એક કવિતામાં કવિ કહે છે: ‘હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,/ ધસી મૃત્યુમુખે હસવાનું જ દે.’ ટૂંકમાં, કવિ સમજે છે કે ‘ઈસ જગમેં જન સબ હૈ યાત્રિક,/ કિસકા કૌન મ્હેમાન?/માર્ગ કાજ સંગત, નહિ સંગત-/કાજ માર્ગ: નિર્વાણ!’ જીવન સાથે અવિનાભાવે જોડાયેલ મૃત્યુને સંતની દૃષ્ટિથી જેણે આજીવન જોયું-સ્વીકાર્યું હોય એ માણસ જ આવી વાતો કરી શકે.

કવિતા અહીં સુધી જીવનસંગિનીના મૃત્યુ અને એ પ્રસંગે જીવનસાથીના અવિચલ અભિગમ અને ઉદાત્ત પ્રેમસંબંધ વિશે પ્રકાશ નાંખે છે. સૉનેટને જે અભિપ્રેત છે એ ચોટ કાવ્યાંતે આવે છે, જે કવિતાને ખરો અર્થ પૂરો પાડે છે. કાવ્યાંતે કવિ સહજીવનના પ્રારંભબિંદુ અને અંત્યબિંદુને ભેગાં કરી દામ્પત્યનું વર્તુળ પૂરું કરે છે. અગ્નિની સાક્ષીએ મંગળફેરા ફરીને બે જણ સાયુજ્ય પામ્યાં હતાં. આજે જીવન ફરીથી અગ્નિ સુધી આવ્યું છે. ચિતા સળગશે અને પત્નીનો પાર્થિવ દેહ અગ્નિમાં ભળી જશે. અગ્નિ મિલન અને જુદાઈ બંને પળોનો સાક્ષી છે. આ અગ્નિ સમીપ ‘લગ્ન!!’ કરતી વેળાએ કવિએ નિર્ધર્યું હતું કે, ‘અગ્નિ આ જે આંહી કીધો પ્રદીપ્ત,/તે ના લાજા હોમવાને કરેલો-/હોમાશે ત્યાં હૈયું ને હીર મારાં!’ લગ્નને એમણે ‘કોડીલી કન્યકાના આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મહેફિલ’ ગણાવી છે. અગ્નિ સમીપે જ બંને દ્વૈત મટી અદ્વૈત થયાં હતાં અને આજે એ જ અગ્નિ પત્નીને લઈ જશે, ને પાછળ નાયક એકલો રહી જશે, પણ હવે દ્વૈતત્વ સંભવ નથી. અગ્નિએ જ શાશ્વત અદ્વૈતપણું આપ્યું છે. એટલે નાયક અગ્નિ સાથે જ વાર્તાલાપ કરતાં પૂછે છે, હે અગ્નિ! તારી સમીપે જ અમે બે મળ્યાં અને જુદા પણ થઈએ છીએ; તો તું જ કહે, આ સુંદરી વધુ ભવ્ય અને મંગળ નથી? જીવન-મરણ બંનેને સમાનભાવે નીરખવાની આવી સાધુદૃષ્ટિ હરિશ્ચન્દ્ર ભટ્ટના અમર કાવ્ય ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં પણ જોવા મળે છે, જેમાં ભરયુવાનીમાં નિધન પામેલી બહેન માટે કવિ ‘શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો’ કહીને અગ્નિને જીવનશૃંગારની પરિપૂર્ણતા તરીકે નિર્દેષે છે.

ચન્દ્રશંકર ભટ્ટના શબ્દોમાં આ કવિતામાં: ‘સંયોગના માંગલ્યનો તેમ જ માંગલ્યના વિયોગનો સાક્ષી અગ્નિ છે. તેથી જ કવિ પહેલા પ્રસંગ જેટલો જ ભવ્ય- મંગલ, વિયોગના પ્રસંગને ગણે છે.’ ચૌદ પંક્તિની રચનામાં પાઠકસાહેબ એક વાર પણ મૃત્યુ શબ્દ પ્રયોજતા નથી, બલકે ત્રણવાર ‘મંગલ’ શબ્દ વાપરે છે. એ જ રીતે ‘વિયોગ’ નહીં, તેઓ ‘સુયોગ’ શબ્દ પસંદ કરે છે. મૃત્યુ બે જણના મિલાપને વિલાપમાં ન પલોટી દે એ વિષયમાં કવિ કૃતનિશ્ચયી છે. સરળ-સહજ હૃદયબાનીમાં લખાયેલ આ કવિતા વાંચતા જ સમજાય એવી છે. પણ એ સમજવા-સમજાવવા કરતાં વધુ અનુભવવાની કવિતા છે. દિલથી લખાઈ હોવાથી આ કવિતા દિલને તરત જ સ્પર્શે છે. ટૂંકમાં, સાચી સંવેદના, ઊંડી કલાસૂઝ, બૌદ્ધિક સંયમ, સભાન કવિકર્મ અને માંગલ્યોચિત શબ્દવિન્યાસના કારણે પ્રસ્તુત સૉનેટ ગુજરાતી ભાષાના ઉત્તમ સૉનેટોમાં મોખરાનું સ્થાન પામ્યું છે.

હવે તો ફૂલ દઈને મળીએ – જયશ્રી વિનુ મરચંટ

વાંચી ને – સાંભળીને હવળાફૂલ થઇ જવાઇ એવું મઝાનું ગીત… કવિ એ મોકલ્યુ કે તરત જ જવાબમાં ફોન કરી ને ટહુકો માટે માંગી લીધુ..!! અને સાથે બોનસમાં એમના પોતાના અવાજમાં એનું પઠનગાન..!!! ગમ્યું ને?

કવિના અવાજમાં કાવ્ય પઠન :

એકમેકને ચાલ
હવે તો ફૂલ દઈને મળીએ
એકમેકને સાવ
હળવાફુલ થઈને મળીએ
– એકમેકને ચાલ….

કોણે જાણ્યો રાત
પછીનો તોર અહીં ઉષાનો?
આજે રાતે ભર વરસાદે
ચાલને સંગે પલળીએ
– એકમેકને ચાલ…..

તારા સાથે ગુલમ્હોરો
પછી આંખો દેશે મીંચી
ચાંદની પીતાંપીતાં સૂઈએ
સેજ ઢાળીને ફળિયે
– એકમેકને ચાલ…..

કાલ હઈશું તું કે હું
વિખૂટા કે સંગાથે?
ચિંતાના પરપોટા ફોડી
જઈએ સાગર તળિયે
– એકમેકને ચાલ…..

– જયશ્રી વિનુ મરચંટ

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….