વગડાનો શ્વાસ – જયંત પાઠક

૨૦ ઓક્ટોબર ૧૯૨૦ – કવિ શ્રી જયંત પાઠકનો જન્મદિવસ… એટલે કે ગઇકાલથી એમનું જન્મ શતાબ્દિ વર્ષ શરૂ થયું…. કવિ ની આ ખૂબ જ જાણીતી કવિતા – વગડાનો શ્વાસ – દ્વવિતા ચોક્સીના અવાજમાં અને મેહુલ સુરતીના સ્વરાંકન સાથે ટહુકો પર વર્ષોથી ગૂંજે છે – આજે આ જ ગીત – અમરભાઇના સ્વર – સ્વરાંકન સાથે માણીએ – અને કવિ શ્રી ને ફરી યાદ કરીએ….

સ્વર અને સ્વર-રચનાઃ અમર ભટ્ટ

.

——————

Posted on March 11, 2017

ટહુકો પર મુકાયેલી મોટાભાગની પોસ્ટની સાથે કોઇક એવુ ચિત્ર હોય છે, જે કુદરતે આપણને બક્ષેલા અફાટ સૌંદર્યની એક નાનકડી ઝલક બતાવી જાય… અને આપણી કવિતાઓ અને ગીતોમાં કવિઓએ પણ કુદરતના જુદા જુદા રંગોને આબાદ રીતે ઝીલ્યા છે..
તો ચાલો, ટહુકો પર થોડા દિવસ આ કુદરતી સૌંદર્યનો ઉત્સવ ઉજવીએ.
અને શરૂઆત કરીયે જયંત પાઠકના આ ગીતથી…
અરે ઉભા રહો… ગીત સાંભળતા પહેલા જરા કુદરતની વધુ નજીક પહોંચીયે…. કલ્પના કરો ડાંગ જિલ્લાના કોઇ પહાડ પરથી વહેતો એક નાનકડો ધોધ… વહેલી સવાર… એક આદિવાસી કન્યા ત્યાં બેઠી બેઠી કુદરતને ભરપૂર માણે છે… ત્યાં સંભળાય છે એને દૂરથી વહી આવતા કોઇની વાંસળીના સૂર….

સંગીત : મેહુલ સુરતી
સંગીતઃ મેહુલ સુરતી
સ્વર : ધ્રવિતા ચોક્સી

tile3

.

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;

છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

હળવે હળવે હળવે હરજી -નરસિંહ મહેતા

સ્વર: ગાર્ગી વ્હોરા
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે…

કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે…

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે…

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે…

-નરસિંહ મહેતા

ગ્લૉબલ કવિતા : ૧૪૬ : મમ્મીને – ઉષા એસ. (કન્નડ)

To Mother

Mother, don’t , please don’t,
don’t cut off the sunlight
with your saree spread across the sky
Blanching life’s green leaves.

Don’t say: You’re seventeen already,
don’t flash your saree in the street,
don’t make eyes at passers-by,
don’t be a tomboy riding the winds.

Don’t play that tune again
that your mother,
her mother and her mother
had played on the snake-charmer’s flute
into the ears of nitwits like me.
I’m just spreading my hood.
I’ll sink my fangs into someone
And lose my venom.
Let go, make way.

Circumambulating the holy plant
In the yard, making rangoli designs
To see heaven, turning up dead
Without light and air,
For God’s sake, I can’t do it.

Breaking out of the dam
You’ve built, swelling
In a thunderstorm,
Roaring through the land,
Let me live, very different
From you, Mother.
Let go, make way.

– Usha S (Kannad)
(Eng Translation by A K Ramanujan)

મમ્મીને

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.

નહીં કહે: તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં બન પવન પર સવારી કરતો ટોમબોય.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું બસ, મારી ફેણ ફેલાવી જ રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, રંગોળી મૂકવી
સ્વર્ગપ્રાપ્તિ માટે, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

આમ તો મા એની દીકરીની સૌથી નજીકની બહેનપણી ગણાય છે, પણ શું આ વાત સર્વથા સાચી હોય છે ખરી? મોટાભાગના કિસ્સામાં એવું જોવા મળતું હોય છે કે બહેનપણીના સ્વાંગ ધારણ કરીને ચોકીદાર દીકરીની નજીક આવતો હોય છે. અચાનક યુવાન થઈ ગયેલી દીકરીની ચિંતા કઈ માને ન હોય? અનુભવે મા શીખી છે કે દુનિયાની નજર સ્ત્રી માત્રને વસ્ત્રો ઊતારીને જોવાનું જ શીખી છે. જે નજરોએ, જે કમેન્ટોએ પોતાને નિર્વસ્ત્ર હોવાનો ગંદો અહેસાસ કરાવ્યો હતો, એમાંથી દીકરીને પસાર ન થવું પડે એ હેતુસર મા દીકરીને માત્ર સલામતીના પાઠ નથી શીખવતી, એના પર જાત-જાતના પ્રતિબંધો પણ લાદી દે છે. હકીકત એ છે કે, મા ગમે એટલું ધારે પણ જે અનુભવમાંથી એ પસાર થઈ છે, એમાંથી એની મા, માની મા, એની મા; દીકરી, દીકરીની દીકરી, એની દીકરી –બધાંએ પસાર થવું જ પડ્યું છે, પડે છે, ને પડવાનું જ છે, સિવાય કે પુરુષજાત એની એક્સ-રે નજરનો સ્વયંભૂ ત્યાગ કરે! પણ દીકરીઓ પણ સ્માર્ટ હોય છે. બહેનપણી બનવાના બહાને વાલીપણું દાખવવાના માના પેંતરાઓ દીકરીની નજરથી ભાગ્યે જ છટકતા હોય છે. મોટા ભાગની દીકરીઓ ‘આગુ સે ચલી આતી હૈ’ સમજીને માનો વિરોધ કરતી નથી, પણ જે કેટલીક દીકરી પોતાના જીવનનો સાચો અર્થ સમજી શકી છે, એ છાતી કાઢીને માની સામે ઊભી રહી જાય છે. એસ. ઉષાની આ કવિતા આવી જ દીકરીની વાત લઈને આવી છે.

એસ. ઉષા. કન્નડ સાહિત્યકાર. ૧૯૫૪માં તેમનો જન્મ થયો હતો, એ સિવાય ભાગ્યે જ કોઈ માહિતી એમના વિશે હાથ લાગી શકી છે. તેઓ કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે. કન્નડ લેખિકાઓના સાહિત્યમાં બે ભાગ પડતા અનુભવાય છે. પહેલાંનું સાહિત્ય ‘અમ્મા’ (માતા)ના પદચિહ્નો પર ચાલે છે, જેના પર સત્તરમી સદીના કવિ સાન્સિયા હોન્નમ્માના ‘સમર્પિત પત્નીની ફરજો’નો ખાસ્સો પ્રભાવ અનુભવાય છે. એમાં સ્ત્રીઓ માટેના સમાજમાં સદીઓથી સ્વીકાર્ય બનેલા વિચારો અને એનું સમર્થન નજરે ચડે છે. જો કે હોન્નમ્માનો અવાજ પણ આખરે તો એક સ્ત્રીનો જ અવાજ હતો, એ સાવ જ અછતો તો કેમ રહી શકે?-

શું એ સ્ત્રી નહોતી જેણે તેઓને વેંઢાર્યા હતા,
શું એ સ્ત્રી નહોતી જેણે તેઓને ઉછેર્યા હતા,
તો પછી શા માટે તેઓ હંમેશા સ્ત્રીને દોષ આપે છે,
આ ગમારો, આ આંધળાઓ. (અંગ્રેજી અનુ. તેજસ્વિની નિરંજના)

જો કે ૭૦ના દાયકા બાદના કન્નડ સ્ત્રીસર્જકો અમ્માને છોડીને ‘અક્કા’ (મોટી બહેન-દીદી) તરફ વળતા દેખાય છે, જ્યાં સ્ત્રીઓ જૂની વિચારધારાઓની ધૂંસરી ફગાવીને પોતાનો અવાજ સ્પષ્ટ બુલંદ કરતી નજરે ચડે છે. કન્નડ સાહિત્યમાં ‘અક્કા’ સ્ત્રીઓના પ્રતિકાર અને બળવાનું પ્રતીક છે. સર્વમંગલા લખે છે:

કેટલી કઠિન સ્ત્રી છે તું, દીદી.
તારા પતિને છોડી દઈને
તારા વસ્ત્રો ફગાવી દઈને
તેં તારી જાતને શોધી લીધી!
દૈવી-સદૃશ પત્નીત્વના ઝાંખા દીવા પર પાણી છાંટીને.

પ્રસ્તુત રચના એસ. ઉષાની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. અનુવાદ આમેય મૂળ કવિતાની હત્યા કરે છે. અનુવાદક ભાગ્યે જ મૂળ કવિના ખોળિયામાં પ્રવેશીને કાવ્યસર્જનની મૂળ પળ સુધી પહોંચી શકે છે. વળી, મૂળ ભાષાના વાતચીતના કાકુ, રુઢિપ્રયોગો-કહેવતો કે જે-તે સભ્યતાના સંસ્કાર-વાર્તાઓ-રૂપકો કોઈપણ અનુવાદક યથાતથ પોતાની ભાષામાં ઝીલી શકતો નથી. રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે, એ કવિતા છે. વળી, આ રચના તો કન્નડમાંથી કરાયેલા અંગ્રેજી અનુવાદનોય અનુવાદ છે એટલે મૂળ સર્જકના ભાવવિશ્વના અનુસર્જનના અનુસર્જનની કોશિશ છે એટલે સ્વાભાવિક રીતે જ મૂળ રચનાની કાવ્યરીતિ અને ઉષાને હસ્તગત આંતરિક લય વગેરેથી આપણે માહિતગાર થઈ શકીએ એમ નથી. જો કે અન્ય ભાષાથી અજાણ ભાવક માટે અનુવાદથી વધુ મોટો કોઈ આશીર્વાદ પણ ન જ હોઈ શકે. એટલે આપણે કાવ્યસ્વરૂપની વાત બાજુએ મૂકીને કવિતાના ભાવવિશ્વમાં પ્રવેશીએ.

પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ કોઈ ટીનએજર સમાજની સ્થાપિત કુ-પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. સમસ્ત સંવેદનાતંત્ર હચમચી ઊઠે એવી આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા-દીકરીઓની સાથે બાપને પણ અને આપણા આખાય સમાજને એકસમાન સ્પર્શે છે. સત્તર વરસની છોકરી તો કેવી હોય:

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.

સોળ કે સત્તર– ઉંમરનો કેવો નાજુક વળાંક! એક બાજુ મુગ્ધતા હજી ઓસરી નહીં હોય ને બીજી બાજુ પુખ્તતા બારણે ટકોરા મારીને પૂછતી હોય, આવું કે? જીવનનો સૌથી કમસીન વળાંક! ને આ સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી-જીવવી-જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય-સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં એકાધિક દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ-પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. રુક્મણિ કૃષ્ણને પ્રેમપત્ર લખી પોતાને લઈ જવાની ધમકી આપી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજે તો મમ્મીઓ પોતાની દીકરીની ચારે તરફ લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે. ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે.

વધતી-ઓછી પંક્તિસંખ્યાના પાંચ અંતરામાં કવિતા પ્રસરી છે. સૌથી પહેલું જે ધ્યાન ખેંચે છે, એ છે નકારની નક્કરતા. પહેલી નવ પંક્તિમાં એક-બેવાર નહીં, આઠ-આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ બળવત્તર કરે છે. આમાંથી છ પંક્તિઓની તો શરૂઆત જ નન્નાથી થાય છે. કવયિત્રી પોતાને જે કહેવું છે, એને અંડરલાઇન નથી કરતાં, બલ્કે, હાઇલાઇટ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે એ ગળુ એવી રીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, શરૂઆતમાં દીકરી માને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે.

દીકરી મમ્મી સાથે સંવાદ સાધે છે પણ એ દીકરીની એકોક્તિ સ્વરૂપે રજૂ થાય છે. દીકરી માને કહે છે, મમ્મી, નહીં. પ્લીઝ, નહીં. આગળ કંઈ જ ન લખ્યું હોય તોય ભારતવર્ષની મા-દીકરીઓ સંવાદના મૂળને સૂંઘી શકે એટલી સાર્વત્રિક આ વાત છે. સંતાનોના રક્ષણ માટે મા-બાપ, ખાસ કરીને દીકરીના રક્ષણ માટે મા, છાપરું બની રહે છે, જેથી જમાનાના સૂર્યનો આકરો તાપ સંતાન પર નહીં પડે. વિપુલ માંગરોલિયા લખે છે:

હજી પણ પાતળા કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા પાલવ એટલો દમદાર રાખે છે.

પણ દીકરીને માના આ રક્ષણમાં પોતાની આઝાદી અને પોતાના વિકાસની રુંધામણી નજરે ચડે છે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળે તો છોડ પાંગરીને વૃક્ષ બની જ ન શકે. દીકરીની નજરે માએ ફેલાવેલો આ પાલવ જીવનવૃક્ષના લીલા પાંદડાંઓને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દઈ જીવનની હરિયાળીને ફિક્કી બનાવી દેતો અવરોધ માત્ર છે. સ્વવિકાસની આડે આવતું રક્ષણ આજની દીકરીને મંજૂર નથી. એ મા પસેથી આવી મહેરબાની મેળવવા માંગતી નથી.

સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, તારાથી ચોકલેટ ખવાય? અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એની નજરે આ બંધન છે. બીજા અંતરાની ચારેય પંક્તિઓ નકારથી શરૂ થાય છે. શરૂમાં જે આજીજી ‘પ્લીઝ’ બનીને આગળ આવી હતી, એનું સ્થાન હવે નકારની પુનરોક્તિની દૃઢતાએ લીધું છે. મમ્મીએ જે જે નકાર દીકરી સમક્ષ મૂક્યા છે, એ તમામ સામે દીકરી પોતાનો નકાર ગોઠવે છે. મા કહે છે, કે હવે તું સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે. તારી સાડીનો છેડો સાચવીને ચાલ. તારા કપડાંઓનું ધ્યાન રાખ. આવતાં-જતાં લોકોથી નજર ચોરીને ચાલ. જેની-તેની સામે ટગર-ટગર ડોળા કાઢવાનું બંધ કર. તું છોકરી છે, છોકરો નથી કે આમ હવામાં ઊડતી ફરે છે. ટોમબોયની જેમ શેરીઓમાં રખડપટ્ટી બંધ કર. ઠરીને બેસ. ઠરીને ચાલતાં શીખ. ઠરીને રહે. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:

अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे-रवां मिले न मिले । (આનન્દનારાયણ ‘મુલ્લા’)
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગરદન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’ -આપણી કહેવતોમાંથી દીકરીઓ માટેની આપણી વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. દીકરીને આપણે ઊતરતી જાતિની ગણી છે, પરિણામે સ્ત્રી-પુરુષનો રેશિયો ખાડે જઈ રહ્યો છે અને સરકારે ઊઠીને ‘બેટી બચાવો’ની ઝુંબેશ આદરવી પડી છે. આપણે ભૂલી ગયાં છીએ કે પુત્ર તો ‘પુત્’ નામના નરકમાંથી મૃત્યુપર્યંત ઉગારશે, દીકરી તો જીવતેજીવ પૃથ્વી પર જ ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા-દેખાડવાના દાંત અલગ છે.

દીકરી એની માને કહે છે કે સદીઓથી પેઢી દર પેઢી તારી મા, એની મા અને એની માઓએ મદારીના બીન પર મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે, એ હવે બંધ કર. મદારીની ધૂન પર નાચતો સાપ મદારીથી ડરે છે. એ સાપ હકીકતમાં પોતાનું સાપત્વ ગુમાવી ચૂક્યો છે. એનું જીવન મદારીના કરંડિયામાં કાયમ માટે કેદ થઈ ચૂક્યું છે. એ સાપ મદારીનો ગુલામ છે. એની પોતાની કોઈ ઇચ્છા કે આઝાદી બચ્યાં નથી. સદીઓથી મા પોતાની દીકરીઓ માટે મદારીનું કામ કરતી આવી છે. દીકરીઓને પોતાના પર પેઢી દર પેઢી થોપવામાં આવેલી પરંપરાઓના કરંડિયામાં મમ્મીઓ કેદ રાખતી અને એની એ ધૂન પર નચાવતી ચાલી આવી છે. કન્નડ કવયિત્રી શશીકલા વીરય્યા સ્વામી આ સ્ત્રીની ગુલામીને આ રીતે જુએ છે:

તમે તન અને મન બંનેને નગ્ન છોડીને નિર્ભીક બની ગયાં.
મને જુઓ, આ દાદીમાએ બનાવેલ રજાઈમાં.
એક ગુલામ એની ઇચ્છાઓની.
એક છીપ જેનું મોતી વિખેરાઈ જાય છે
જ્યારે એ વાવે છે.

પણ હવે બહુ થયું. દીકરીમાં અહેસાસ જાગી ચૂક્યો છે કે પોતે મૂર્ખ હતી જે આ ધૂન પર આટઆટલી સદીઓથી નાચતી આવી છે. ત્રીજા ફકરાના પ્રારંભે આવતો દીકરીનો નકાર આજીજી અને દૃઢતા પછીની ચેતવણીનો નક્કર નકાર છે. દીકરી માને ચેતવે છે, કે હું મારી પાસે ફેણ હોવાની મને જાણ થઈ ચૂકી છે, હું ફેણ ફેલાવી રહી છું, અને મને જે કોઈ રોકવા આવશે એનામાં મારા દાંત બેસાડી દઈ, હું મારું તમામ વિષ ઓકી કાઢીશ. હવે પરંપરાના નામ પર મને બારી-બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. માટે, જવા દે, રસ્તો કર.

મા-બાપ બાળકો પર હાલતાંચાલતાં જે પ્રતિબંધો મૂકે છે, એમાંના મોટાભાગના પરંપરાગત ચાલી આવતી રુઢિઓને આભારી હોય છે. સ્ત્રીઓને તો નાનપણથી જ પરંપરા પીવડાવવામાં આવે છે. પરંપરા જેટલી જૂની, એટલી એની અધિકૃતતા વધારે. ઘરના વરંડામાં ઊગાડેલી તુલસી ફરતે પાણી રેડતાં-રેડતાં પ્રદક્ષિણા કરવી, ઘરઆંગણે રંગોળી પૂરવી વગેરે પરંપરાઓનું પાલન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થતું હોવાના સંસ્કાર માતાઓ પુત્રીઓના દિમાગમાં ઠાંસી દે છે. પરંપરાઓના નામે આપણે સંતાનોની આઝાદીનો જબરદસ્તી બલિ લઈએ છીએ એ વાત હિંદી કવયિત્રી સુનિતા જૈને સરસ રીતે કરી છે:

પચ્ચીસ વરસ સુધી
મને હાથીના પગ સાથે બાંધી દેવાઈ હતી
કેમ કે તેં કહ્યું હતું કે તારી ઇચ્છાનું વધારે મહત્ત્વ છે
મારી જિંદગી કરતાં; અને ઉધઈ-ખાધેલી
હૃદયહીન પારિવારિક પરંપરા ચિલ્લાઈ હતી, બલિદાન.
મેં તને શાપ ન આપવાનો પ્રયત્ન કર્યો છે.

દીકરીનો નકાર કાવ્યાંતે નિર્ધારમાં પલટાયો છે, ને આજીજી ચીસમાં. એ કહે છે, છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો મારાથી નહીં બને. તમે ઘડી કાઢેલા કપોળકલ્પિત સ્વર્ગોની મને કોઈ ખેવના નથી. મારા માટે જે છે, એ આ જન્મ જ છે. મરી ગયા પછી મને શું મળશે એની મને કોઈ તમા નથી. પણ જે જિંદગી અત્યારે મારા હાથમાં છે, એ માત્ર ને માત્ર મારી છે, એના પર મારા સિવાય કોઈનોય અધિકાર નથી. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી-સડીને મરવું મારી ફિતરત નથી. મમ્મી, મને બાંધવાની, અટકાવવાની કોશિશ ન કરીશ. તમે બાંધી રાખેલા બંધ અને બંધનો –સઘળું તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. તું જે રીતે જીવી હોય એ તારી પસંદગી હતી. હું તારાથી બિલકુલ અલગ રીતે, હું માત્ર મારી રીતે જીવવા માંગું છું. અને એના માટે મારે સુરક્ષિતતાના જે કોઈ કાંઠા તોડવા પડે, એ હું તોડીશ. આઝાદી માટેનો આક્રોશ અહીં બુલંદીએ પહોંચ્યો છે. દીકરીનો ટોન ચિત્કારમાં પરિણમ્યો છે. જીવન બાબતની એની પસંદગી ક્રિસ્ટલ-ક્લિઅર છે. મમ્મી જો એને ઇચ્છિત આઝાદી નહીં આપે, તો એ એને છિનવીને લઈ લેશે, પછી ભલેને ગમે એવો અંજામ કેમ ન આવે. તુલસી ફરતે ફરતી શાંત સ્ત્રીના ચિત્રણ બાદ તરત જ આવતું આ તોફાનનું ચિત્ર દીકરીના કૃતનિશ્ચયીપણાને ગાઢું બનાવે છે. અંતે દીકરી આગળ જાહેર કરેલો પોતાનો નિર્ણય દોહરાવે છે: જવા દે. રસ્તો કર. બે શબ્દોના બે નાના વાક્યો અને દીકરી મમ્મીની મમ્મી બની રહે છે.

તારી ગમતી વાતો -તુષાર શુક્લ

સ્વર: કૌશલ ચોકસી
સ્વરાંકનઃ કૌશલ ચોકસી

યુ ટ્યુબ વિડીયો

એ સમય કદી ના મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો

છું તું મારામાં, છું હું તારામાં,
સંગાથે વહેશું જીવનધારામાં

જાઉં વારી વારી, તું દુનિયા મારી
તું સૌથી સારી, ઓ મમ્મી મારી.

મને ઊંઘ ના આવે, તું જાગતી રહેતી,
હું જમું નહિ તો, તું ભૂખી રહેતી.

હું રડી પડું તો, તારી આંખો છલકે,
હું હસી પડું તો મારું મુખડું મલકે.
– તુષાર શુક્લ

આ રીતે વહાલ કંઈ કરાય – કૃષ્ણ દવે

કવિ કૃષ્ણદવેની પ્રતિલિપિ સાથેના એક મુલાકાત કાર્યક્રમની સુંદર વિડીયો યુટ્યુબ ઉપર છે જેમાં કૃષ્ણ દવે આ કવિતાનું પઠન કરે છે.

આ રીતે વહાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત,તો ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને,ધાબા લઞ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?
શેરિયુંમા તરતી,ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?
ગામ આખું આવે,ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વહાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ,પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?
ધસમસવું સારું,પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.
ખેતર, અબોલ જીવ શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વહાલ કંઈ કરાય ?….

~ કૃષ્ણ દવે

ગ્લૉબલ કવિતા : ૧૪૫ : એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઢાંકણ ખોલ્યું,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ રેત સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

અભિવ્યક્તિ મનુષ્ય માત્રની અનિવાર્ય આવશ્યકતા છે. કોઈ પણ વસ્તુને જોઈને, સાંભળીને, સ્પર્શીને, સૂંઘીને કે ચાખીને આપણે જે કંઈ સંવેદન અનુભવીએ છીએ એને યથાતથ સ્વરૂપે રજૂ કરવાનું આપણને ગમે છે. રજૂઆતની આ જરૂરિયાતમાંથી ભાષાની શરૂઆત થઈ. ભાષાનું પહેલું સ્વરૂપ વાણી અને બીજું લિપિ. ઈન્દ્રિયગમ્ય અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ મનુષ્ય પ્રારંભથી કરતો આવ્યો છે. પણ શું આવી આબેહૂબ અભિવ્યક્તિ શક્ય હોય શકે ખરી? ચાલો, સ્ટીફન ક્રેનની આજની કવિતા પાસેથી આ વાતનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ.

સ્ટિફન ક્રેન. ૦૧-૧૧-૧૮૭૧ના રોજ ન્યૂ જર્સી ખાતે મેરી અને જોનાથનના ચૌદમા અને આખરી બાળક તરીકે જન્મ. ૯ વર્ષની વયે પિતાનું અને કોલેજમાં હતા ત્યારે માતાનું નિધન. બેઝબોલના સારા ખેલાડી. ભાઈ-ભાંડુ વધુ હોવાથી બહુધા એમની બહેને જ એમને ઉછેર્યા અને ભણાવ્યા. કોલેજ અધવચ્ચે છોડી દઈ ફ્રી-લાન્સ લખેક તરીકે કલમને ખોળે માથું મૂક્યું. માત્ર ચાર વર્ષની ઉંમરે વાંચવા-લખવાની શરૂઆત. સોળ વર્ષની ઉંમરે તો લેખો છપાવા માંડ્યા. ૧૮૯૩માં પહેલી નવલકથા જોન્સન સ્મીથના છદ્મનામે જાતે જ છાપી. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં જહાજ કમનસીબે પાણીમાં ડૂબી ગયું. મૃતકરાર આપી દેવાયા બાદ અને ત્રીસ કલાક નાના હોડકાના સહારે રહ્યા બાદ તેઓ કિનારે આવ્યા. આ પ્રવાસ દરમિયાન ૧૮૯૭માં વેશ્યાગૃહ ચલાવનાર કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે આજીવન એમની સાથે રહી. પણ કોરા સાથેના સંબંધોના પરિણામે એમના પર અનેક આરોપો લાગ્યા. ગામચર્ચા અને અફવાઓથી ત્રાસીને બંને ઈંગ્લેન્ડ સ્થાયી થયા. ખર્ચાળ જીવનશૈલીના પરિણામે દેવાના ડુંગરા માથે ખડા થયા. જેમાંથી બચવા લખ-વા થયો હોય એમ તેઓ લખતા. બાળપણથી જ અવારનવાર બિમારીનો શિકાર બન્યે રાખતા ક્રેનના નસીબમાં દીર્ઘાયુષ્ય હતું નહીં તે અંતે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં ૦૫-૦૬-૧૯૦૦ના રોજ માત્ર ૨૮ વર્ષની કાચી વયે એમણે શ્વાસ છોડ્યો. એ વખતે પણ તેઓ પોતાની કૃતિ ‘ઓ’રુડી’ વિશે લખાવી રહ્યા હતા.

આયુષ્ય ગણીએ તો આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યા હોય એમ લાગે: છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. મુખ્ય કીર્તિ નવલકથાકાર અને વાર્તાકાર તરીકેની. અમેરિકાના સિવિલ યુદ્ધની પૂરું થયાના છ વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં એમની યુદ્ધવિષયક કૃતિઓ જાણે યુદ્ધની વચ્ચોવચ જીવીને જ લખાઈ હોય એવી સજીવન અને વાસ્તવિક હોવાથી ‘યુદ્ધલેખક’નું બિરુદ પામ્યા. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે. માનવીની પરિસ્થિતિઓનું આબેહૂબ રેખાચિત્ર તેઓ ખેંચતા. વિરોધાભાસી સંવેદનોનું બખૂબી આલેખન કરવું એ એમની ખાસિયત. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી. ક્રેનનું સાહિત્ય જમાનાની રુઢિથી ઉફરું અને ખાસ્સું આગળ હતું. ક્રેને એક કવિતામાં લખ્યું છે: ‘પ્રથા, તું ધાવણા બાળકો માટે છે.’ ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે, ભાવના કરતાં સવિશેષ મનને સ્પર્શે છે. ક્રેને કહ્યું હતું કે એકંદરે એમનું કાવ્યલક્ષ્ય જિંદગી વિશેના પોતાના વિચારો, જે મુજબ પોતે જાણ્યા છે, એ સમગ્રતયા આપવાનું છે.

‘એક મજાનું ગીત હું જાણતો હતો’ ક્રેનનું સાવ જ નાનકડું કાવ્ય છે. અહીં, ક્રેનની તાસીર મુજબ છંદ, પ્રાસ, લય – કશું જ હાજર નથી. કવિતાની ભાષા પણ અતિસરળ અને સહજ ભાસે છે. પણ સારી કવિતા કદકાઠી કે લયલાઠીની મોહતાજ નથી હોતી. હકીકતમાં તો ગાગરમાં સાગર ભરી બતાવે એ કવિતા વધુ ઉત્તમ કહેવાય. નાના અમથા મુખમાં આખું બ્રહ્માંડ દેખાડતો કનૈયો આપણને સૃષ્ટિ ભરી દેતું વિરાટ સ્વરૂપ દેખાડતા શ્રીકૃષ્ણ કરતાં વધુ લાડકો અને પોતીકો લાગે છે. કવિતા અને કવિતાની વિભાવના સમજવા માટે આ નાનકડું અછાંદસ કાવ્ય ખાસ્સુ ઉપકારક બની શકે એમ છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને ‘सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है’ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ.) કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે, જીવી જવા માટેનું ચૈતસિક બળ છે. ‘साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।’ સાહિત્ય, સંગીત અને કળા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત્ પશુ સમો છે. (નીતિશતક-ભર્તૃહરિ.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, અને ઘર સુદ્ધાં નહોતું ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો અને શિલ્પો, ઘરવખરી અને આયુધો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય [સંપૂર્ણ એકાગ્રતા], બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, ‘अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।’ અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) અને वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be. (આર્ચિબાલ્ડ મેકલીશ)

પણ આ તો થઈ કવિતાને વ્યાખ્યાયિત કરવાની વાતો. વ્યાખ્યા કરવી એક બાબત છે અને કવિતા કરવી એ બીજી. કવિતા કરવાના અનેક હેતુ હોઈ શકે: કળાપ્રીતિ, રસપાન, નામનાની કામના તથા અમરત્વપ્રાપ્તિની ઇચ્છા, અર્થોપાર્જન વિ. પણ આ તમામ હેતુઓથી ઉપર કવિતા કે કોઈપણ કળા રજૂ કરવાનો મુખ્ય અર્થ છે, પોતાની જાતને વ્યક્ત કરવી તે. પોતાની અંદર જે ચાલી રહ્યું છે એને અન્યોની સમક્ષ તાદૃશ કરી બતાવવાની ભાવના કવિતા કરવા પાછળનો પ્રમુખ ઉદ્દેશ છે. પણ શું કોઈપણ અભિવ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ હોઈ શકે ખરી? મનુષ્યના મનમાં જે ભાવ ચાલતા હોય એ ભાવ શું મનુષ્ય એના એ જ સ્વરૂપે સામા માણસ સામે મૂકી શકે ખરો? પ્રૉ. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. બધા માણસો કળાનિપુણ નથી હોતા અને જે લોકો હોય છે, એ લોકો પણ પોતાની જાતને યથાતથ વ્યક્ત તો નથી જ કરી શકતા. ક્રેનની કવિતા અભિવ્યક્તિની અપૂર્ણતાના આ તંતુને પકડીને જ ચાલે છે.

કવિ કહે છે કે એકદા એમની પાસે એક ખૂબ મજાનું ગીત હતુ અને તેઓ આ વાતથી વાકેફ પણ હતા. પોતાની પાસે કંઈક હોવું એ એક વાત છે અને હોવા બાબતની જાણકારી હોવી એ બીજી વાત છે. હનુમાન પાસે સાગર લાંઘી શકવાની શક્તિ હતી પણ જાણકારીના અભાવમાં એ શા કામની? જાંબુવાને જો વિષાદગ્રસ્ત અને વિચારગ્રસ્ત અંગદસભામાં હનુમાનને એમની પાસે રહેલી આ શક્તિનું જ્ઞાન આપ્યું ન હોત તો હનુમાન કદી સાગર કૂદીને સીતાને રામનો સંદેશો આપવા લંકા પહોંચી શક્યા ન હોત. સહદેવને બધી વસ્તુનું જ્ઞાન હતું એ પણ એ કોઈના પૂછ્યા વિના કશું કહી શકવા સમર્થ નહોતો. કવિ પાસે જાણકારી પણ છે અને કહેવાની તાકાત પણ. એ કહે છે, કે મને જાણ છે કે એકવાર મારી પાસે બહુ સરસ ગીત હતું. અહીં ભૂતકાળ પ્રયોજવામાં આવ્યો છે એ તરફ પણ ધ્યાન આપવું રહે. જાણકારી પણ ‘હતી’ છે અને ગીત પણ. મતલબ, કવિ પાસે હાલ કંઈ બચ્યું નથી. જ્યારે ગીત હતું અને ગીત હોવાની જાણકારી પણ હતી ત્યારે કવિએ કવિતા લખી નથી; પણ હવે જ્યારે બેમાંથી કંઈ બચ્યું નથી ત્યારે કવિ કવિતા કરવા બેઠા છે. ખરે જ, કવિતા યાદોમાંથી જ જન્મે છે. વર્ડ્ઝવર્થે કહ્યું હતું, ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) માણસ જ્યારે ખાલી થઈ જાય છે, ત્યારે કવિતા જન્મે છે. લખવા માટે કાગળ કોરો જ ખપે.

કવિને પોતાને તો જાણકારી હતી જ કે એમની પાસે એક ગીત હતું અને એ વળી મજાનું પણ હતું પણ દુનિયાને આ વાતનો ભરોસો કેવી રીતે અપાવવો? કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ અને લપોડશંખનો કોઈ તોટો નથી એટલે પોતાની પાસે જે હતું એની ખાતરી કરાવવી પણ અનિવાર્ય છે. અને લોકોને કોઈ વાત પર એમનેમ વિશ્વાસ બેસી જતો નથી.

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિએ પોતાની વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે આ વાત એકદમ સાચી વાત છે, મારો વિશ્વાસ કરો. સાચી વાત પર વિશ્વાસ અપાવવા ક્રેનનો આ મરણિયા પ્રયાસ જોઈને એમની એક નાનકડી કવિતા યાદ આવે, જેમાં કવિ જૂઠ્ઠાણું બોલવું કેટલું આસાન છે અને સાચું બોલવું કેટલું અશક્ય એની હૃદયસ્પર્શી રજૂઆત કરે છે:

હા, મારી કને હજાર જીભ છે,
અને નવ અને નવ્વાણુ જૂઠાણાં.
યદ્યપિ, હું એકનો ઉપયોગ કરવા મથું છું,
એ મારી મરજી પર કોઈ રાગ છેડશે નહીં,
પણ મારા મોઢામાં જ મરી પરવારી છે.

મનુષ્ય પાસેની હજાર જીભમાંથી નવસો નવ્વાણું જૂઠાણું બોલવા ટેવાયેલી છે અને એકમાત્ર જીભ જે સાચું બોલી શકે એમ છે, એ કવિ ઇચ્છે તોય એમની મરજી મુજબ કામ કરતી નથી, કેમકે એ તો મૂળથી જ દમ તોડી ચૂકી છે. એટલે જ પ્રસ્તુત રચનામાં કવિ પોતે સાચું બોલી રહ્યા હોવાની ખાતરી કરાવવા મથે છે. કવિ કહે છે, આ ગીત આખું પંખીઓનું હતું. ગીત પંખીઓ વિશેનું પણ હોઈ શકે અને પંખીઓ જ ગીત પણ હોઈ શકે. બંનેની મજા છે. કવિએ આ પંખીઓનું નાનકડું ગીત પોતાના હૃદયની ટોકરીમાં બંધ કરીને સાચવી રાખ્યું હતું. ક્રેનની નાનકડા પંખીઓ વિશેની એક કવિતા પણ ચૂકવા જેવી નથી:

રાત્રિના નાનકડા પંખીઓ
હા, એ લોકો પાસે કહેવા માટે કેટલું બધું છે
ત્યાં કતારબંધ બેસીને
મારી સામે એમની ગંભીર આંખો પટપટાવીને
યાદ કરતાં કરતાં
તેઓએ જોયેલા અને ચાહેલા ફૂલોને
દૂરના ઘાસના મેદાનો અને વનરાજીઓને
અને સમુદ્રના પગ કનેની ફિક્કી રેતીને
અને પાંદડાંઓમાં ઊડતી લહેરખીઓને.
તેઓ અનુભવમાં વિશાળ છે,
આ નાનકડા પક્ષીઓ જે રાત્રે આવે છે.

નાનાં-નાનાં પક્ષીઓ કવિ માટે અનુભવસાગર છે. આ પક્ષીઓ એમના વિચારો છે. આ પક્ષીઓ એમના શબ્દો છે. આ પક્ષીઓ એમનું ગીત છે, જે કવિએ પોતાની અંદર સુરક્ષિત કેદ કરી રાખ્યું છે. જેવી કવિએ આ ગીતને કાગળ ઉપર ઉતારવા માટે કલમ આપી, જેવી પોતાના વિચારને વાચા આપી, જેવું પોતાની ટોપલીનું ઢાંકણ ખોલ્યું કે તરત જ બધા પંખીઓ ઊડી ગયાં હતાં. કવિતા પંખી જેવી છે, આઝાદ. એને કેદ રાખો ત્યાં સુધી એ પ્રગટ થતી નથી. કાગળ પર કવિતા કરવા કવિ બેઠા હતા અને વિચારો બધા અચાનક ઊડી જતા અનુભવાયા ત્યારે કવિ ચિલાયા પણ હતા. પોતાના નાના-નાના વિચારોને પરત આવવા એમણે આદેશ પણ કર્યો હતો. પણ એ વિચારો તો માત્ર સામે હસીને, કવિની હાંસી ઊડાવીને ઊડી ગયા દૂર-દૂર. કવિની પહોંચની બહાર. કાગળ પર અમૂર્તને મૂર્ત કરવાથી મોટી ધૂર્તતા બીજી કોઈ નથી, પણ મનુષ્ય પાસે પોતાના દિલની અભિવ્યક્તિનું એકમાત્ર સાધન ભાષા છે અને ભાષાનું વાહન છે લિપિ. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સર્વાંગ આલેખન કરી શકે એવી લિપિ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વરો અને વ્યંજનો છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. થિઓડોર સી. શરમન નામના એક અલ્પખ્યાત કવિનું લઘુકાવ્ય -‘બોરિંગ’- આ ક્ષણે માણવા જેવું છે:

લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો આનો આ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો. તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.

કવિતા અભિવ્યક્તિનું સાધન ખરી, પણ એ સાધ્ય બની શકતી નથી. લાગણી તો દરેક માનવી અનુભવે છે, પણ અભિવ્યક્તિની ક્ષમતા દરેકની અલગ અલગ છે. મા જે વાત કહીને સમજાવી નથી શકતી, એ રડીને સમજાવે છે. દીકરો જે વાત રડીને નથી સમજાવી શકતો, એ ચિલ્લાઈને વ્યક્ત કરે છે. ગુસ્સાની અભિવ્યક્તિ માત્ર શબ્દો જ નહીં, હાથ-પગ પણ કરે છે. શબ્દો ટાંચા પડે ત્યારે મનુષ્ય હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ કામમાં લે છે અને હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓનો પનો ટૂંકો પડે ત્યારે એ શબ્દોના સહારે જાય છે. એકેય વસ્તુ અભિવ્યક્તિના સંદર્ભમાં સંપૂર્ણ ન હોવાથી મનુષ્ય તમામનું combination કરીને મનોજગતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરે છે, પણ મનોભાવ જે ઘડીએ શબ્દો કે ચેષ્ટાનો દેહ ધારણ કરે છે એ ઘડીએ જ એનો આકાર પણ બદલાઈ જાય છે અને સામું પાત્ર એને ગ્રહણ કરવા મથે ત્યારે આ આકાર વળી અનું રૂપ ધારે છે. કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા કદી એકસમાન આસને બેસી શકતી નથી. પ્લેટોએ કહ્યું હતું કે કવિતા અનુકરણની કળા હોઈ સત્યથી બે પેઢી દૂર છે. અપણે ત્યાં રાજશેખરે પણ કવિતા પર અસત્યનું કથન, અસત્યનો ઉપદેશ અને અસત્યનું આલેખન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ બંને મહાનુભાવોએ કદાચ મનુષ્યની સંપૂર્ણ અભિવ્યક્તિની અશક્તિને આ સ્વરૂપે જોઈ હોવી જોઈએ.

લાગણીઓને કાગળ પર ઉતારવા જતાં જ એમનું સ્વરૂપ બદલાઈ જાય છે. અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો નથી. અહીં કવિએ પણ મજાના વિચારોને કેદ કરી રાખ્યા છે. પણ આ વિચારપંખીઓ તો છાબડી ખૂલતાવેંત ઊડીને રફૂચક્કર થઈ જશે. ઊડી ગયેલા વિચારોને પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ છૂટી ગયેલા વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની, મુક્ત જ રાખવાની. મુક્ત આકાશ જેમ પંખીઓની સાચી જગ્યા એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળ પર અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ આદરીએ એ ઘડી કવિતાના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

પૂજ્ય બાપુ ની ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ નિમિતે…

શબ્દો : ઝવેરચંદ મેઘાણી
સંગીત : નીલ વોરા
કંઠ : નીલ વોરા

અત્રે વિડીયો માં લેવામાં આવેલા શબ્દો :

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

-ઝવેરચંદ મેઘાણી

ગ્લૉબલ કવિતા : ૧૪૪ : નીરખને ગગનમાં – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

– નરસિંહ મહેતા

ઈશ્વરને પામવાની એકમાત્ર ચાવી…

ઈશ્વર. એને કોઈએ જોયો નથી. તોય એ સદૈવ આપણી સૃષ્ટિનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. સ્થળ-કાળ, ભાષા-સંસ્કૃતિ કોઈ પણ હોય, દરેકને પોતપોતાનો ઈશ્વર છે. અને માત્ર કલ્પનાથી જ એ અગોચરનો પાર પામી શકાતો હોવાથી, માનવજાતે કલ્પનાના ઘોડાઓ દોડાવવામાં કાંઈ મનાય નથી રાખી. જીવનનું કોઈ ક્ષેત્ર ઈશ્વરથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી, સાહિત્ય પણ નહીં. આપણે ત્યાં તો સાહિત્યની શરૂઆત જ ઈશ્વરથી થઈ છે. વેદ-ઉપનિષદ, મહાભારત-રામાયણ, ગીતા એના પ્રમાણ છે. ભક્તિકાવ્યોની પણ આપણે ત્યાં બહુ મોટી પરંપરા રહી છે. શરૂઆતમાં સદીઓ સુધી આ ભક્તિકાવ્યો પેઢી દર પેઢી માત્ર કંઠોપકંઠ વહેતાં રહ્યાં. પરિણામે સમય જતાં ક્યારેક એમાંથી કોઈક શબ્દ ખડી પડ્યો, તો કોઈક શબ્દ ચડી આવ્યો તો ક્યારેક આખાંને આખાં વાક્ય પણ બદલાઈ ગયાં. હસ્તપ્રત બનાવવાની, સાચવવાની પ્રથા તો બહુ મોડેથી અમલમાં આવી. મુદ્રણકળાનો જન્મ થયો ત્યાં સુધી આ તમામ સાહિત્ય લોકોના ગળામાં સચવાયેલું રહ્યું એટલે એનું કર્તૃત્વ પણ સાશંક બન્યું. શબ્દો ભૂંસાયા, વાક્યો ભૂંસાયા, કર્તા ભૂંસાયા પણ ભક્તિધારાના આ કાવ્યો અમીટ રહ્યાં. જનમાનસને આ કાવ્યો એ જાદુથી સ્પર્શ્યાં હતાં કે સમાજે એમને અજરામર કરી રાખ્યાં. આજે ‘આદિકવિ’ નરસિંહ મહેતાનું આવું જ એક ભક્તિકાવ્ય આપણે જોઈશું.

નરસિંહ મહેતા. એમના જન્મ અને મૃત્યુની અવધિ અનેક વિદ્વત્જનોના સંશોધનો બાદ પણ અનિર્ણીત છે. એમ માની શકાય કે એમનો જન્મ ઈ.સ. ૧૪૦૮/૧૪૧૫ તથા મૃત્યુ જૂનાગઢ કે માંગરોળમાં ઈ.સ. ૧૪૬૫/૧૪૮૫ની વચ્ચે થયું હશે. નરસિંહની રચનાઓની જૂનામાં જૂની હસ્તપ્રત છેક ઈ.સ. ૧૬૧૨ની છે. એમના સમય અને પ્રથમ ઉપલબ્ધ હસ્તપ્રતની વચ્ચે દોઢેક સદીનો સમયગાળો છે. આ ગાળામાં એમની રચનાઓ કંઠોપકંઠ સચવાઈ રહી એ કેવો ચમત્કાર! એમના નામે ચડેલી રચનાઓમાંની કેટલી એમની અને કેટલી અન્યોની, તથા મૂળ રચનાઓમાં કેટકેટલા લોકોના હાથે કેટકેટલો ફેરફાર થઈ આપણા હાથે ચડી એ નક્કી કરવું લગભગ અશક્ય છે. જીવન વિશે પણ એટલી બધી કિંવદંતીઓ છે કે સત્ય ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. તળાજામાં કૃષ્ણદાસ મહેતા અને દયાકુંવરના ઘરે જન્મ. નાગર બ્રાહ્મણ. મૂળ અટક પંડ્યા પણ પ્રપિતામહને દીવાનની ‘મહત્તર’ પદવી મળતાં એમાંથી મહેતા કહેવાયા. નાનપણમાં માબાપ ગુમાવ્યા. આઠ વર્ષ સુધી ગૂંગા રહ્યા. કોઈ સંતના કહેવાથી ‘શ્રી રાધાકૃષ્ણ’ બોલ્યા ને જીભ છૂટી થઈ. અભ્યાસ-વ્યવહારમાં ઊણા. પત્ની માણેકબાઈ. પુત્ર શામળ અને પુત્રી કુંવરબાઈ. નાની વયે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં’ એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ ગાનાર નરસિંહે ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય’ના વાસ્તવિક ઉદગાર પણ કાઢ્યા. સામળશાની હૂંડી, કુંવરબાઈનું મામેરું, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવલિંગ (ગોપનાથ મહાદેવ)નું રાત-દિ પૂજન, શિવનું પ્રસન્ન થવું, દ્વારકામાં રાસલીલામાં લઈ જવું ને મશાલ પૂરી થતાં હાથ સળગવો વગેરે ખૂબ જાણીતા પ્રસંગો છે. આત્મકથનાત્મક પદોમાંથી નરસિંહના જીવન વિશે ઘણું જાણવા મળે છે.

ઉમાશંકર જોશી લખે છે: ‘…નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને-સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતનો ‘आदिकवि’ જરૂર છે.’ નરસિંહ આપણે ત્યાં જાણીતા છે એમના પ્રભાતિયાંથી. ભક્તિ અને જ્ઞાન, વૈષ્ણવ અને વેદાન્ત- આ બંનેનો સમુચો સમન્વય એમાં જોવા મળે છે. નરસિંહનો ઈશ્વર નિરાકારી નથી. એ તો એનો અંગતતમ સખો છે, ને નરસિંહ એની ગોપી. ‘મેલી પુરુષપણું સખીરૂપે થઈ રહ્યો.’ ‘ભામનીમાંહે ભળી ગયો, જેમ સાગરમાંહે રતન્ન.’ ‘ગોપીમાં હું તો નરસિયો.’ પળેપળ એ ઈશ્વર સાથે સાયુજ્ય અનુભવે છે, ને એની જ ફળશ્રુતિ એટલે એની કવિતા. નરસિંહના શૃંગારરસના કાવ્યો આજેય શિરમોર છે. કવિ જયદેવના ગીતગોવિંદની એમાં ઝાંય વર્તાયા વિના રહેતી નથી. પરકીયાપ્રીતિ અને ઉઘાડા શૃંગારના છડેચોક પ્રયોજન બાબતમાં એ પોતે જ કહે છે: ‘તમે જાણો વિષયરસ ગાયો, મારે હરિ શું પ્રેમ ઉભરાય.’ મુખ્યત્વે એ ઊર્મિકવિ છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયા વગેરે દેશી છંદો તથા કેદાર, મલ્હાર, વસંત, માલવ, ભૈરવ જેવા રાગનિર્દેશ સાથેના પદો એમણે આપ્યાં છે. ઝૂલણા છંદ એમણે એટલો ઝૂલાવ્યો છે કે બેઉ પરસ્પરના પર્યાય બની ગયા છે. એ જ રીતે એમનું ‘વૈષ્ણવજન’ પદ ગાંધીજી સાથે અવિનાભાવે જોડાઈ ગયું છે. ઉમાશંકર કહે છે: ‘’બોલચાલના પ્રયોગથી નરસિંહના ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે… ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે… કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે… ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી.’

‘નીરખને ગગનમાં’ નરસિંહનું જાણીતું પ્રભાતિયું છે. સવારે ઊઠીને હરિસ્મરણ કરતાં આ પદો ગવાતાં એટલે પ્રભાતિયાં કહેવાયાં. નરસિંહનો અતિપ્રિય ઝૂલણા છંદ અહીં પ્રયોજાયો છે. પાંચ બંધ અને દસ જ પંક્તિના આ પદમાં પણ ઠેકઠેકાણે શબ્દફેર જોવા મળે છે. ઉપલબ્ધ ઘણા-બધા સંસ્કરણોમાંથી જે સૌથી વધુ આધારભૂત જણાયું, એને હાથમાં રાખીને આગળ વધીએ.

સ્વર્ગ આકાશમાં આવેલું છે અને દેવો બધા સ્વર્ગમાં, આકાશમાં રહે છે એ આપણી આદિમ માન્યતાનો કેડો પકડીને કવિ શરૂઆત કરે છે. ‘નીરખને ગગનમાં’ વાંચતા સમજાય છે કે કવિ આપણને પ્રેમથી તુંકારે સંબોધીને આદેશ આપે છે, ને પોતે જે દિવ્યાનંદ હાંસલ કર્યો છે એ ગમતાંનો ગુલાલ કરવા ચહે છે. બીજી પંક્તિ વાંચતા એમ પણ સમજી શકાય કે ભક્તકવિ નરસિંહ ઉર્ધ્વદૃષ્ટિ કરવાનો આ આદેશ પોતાની જાતને જ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાં જ ખોવાયેલાં છીએ ત્યાં સુધી ઈશ્વરદર્શન સંભવ જ નથી. દુનિયાદારીની પળોજણોમાંથી બે’ક ઘડી પોરો લઈ આકાશમાં જોવાનું છે. આકાશમાં જોવાનું એટલે ડોકી ઊંચી કરીને વાદળો તરફ તાકવાનું નથી. ઉર્ધ્વગામી બનવાનું છે. ‘એ’ના તરફ મીટ માંડવાની છે. આકાશ તો માત્ર પ્રતીક છે. ‘એ’ના તરફ દૃષ્ટિ કરીએ ત્યારે અને તો જ જાણ થાય કે એ આપણી ચારેતરફ ઘૂમી રહ્યો છે, જરૂર માત્ર નજર ઊઠાવવાની છે. આકાશમાંથી જાણે આકાશવાણી સંભળાઈ રહી છે. ઈશ્વર ‘તે જ હું’ – ‘सोऽहम्’ બોલતા સંભળાય છે. નરસિંહ આપણા તાર ઈશાવાસ્ય ઉપનિષદ સાથે જોડી આપે છે:

(…) तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥
જે તેજ તારું સૌથી કલ્યાણકારી રૂપ છે, હું જોઉં છું. હું તે જ છું.

ઈશ્વર ‘सोऽहम्’ બોલીને અટકી જતા નથી, એ પુનરોક્તિ કરીને ‘તે હું જ છું’ની ખાતરી દૃઢાવી પણ આપે છે. પુનરોક્તિ રહી સહી શંકાનુંય નિર્મૂલન કરે છે. શબ્દોને બેવડાવીને કેવું ઉદાત્ત કવિકર્મ થઈ શકે છે એની પ્રતીતિ પણ થાય છે. પરમપિતા પરમેશ્વરની સર્વોપરિતાનો હુંકાર બેવડાવ્યા બાદ નરસિંહ તુર્ત જ એના શરણે-ચરણે સમર્પિત થઈ જાય છે. સર્વવ્યાપી ભગવાનના દર્શન થતાં જ એ મરણ ઇચ્છે છે. પોતાનો ‘હું’ અવસાન પામીને શ્યામના ‘अहम्’માં લયલીન થઈ જાય, એકાકાર થઈ જાય એ જ કવિ ઝંખે છે કેમકે કૃષ્ણની તોલે બીજું કોણ આવી શકે? આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ છે એ કૃષ્ણ જ છે. ‘कृष्णो वै परमं दैवतम्’ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૩) -કૃષ્ણ જ પરમેશ્વર છે.)

શ્યામની શોભા બુદ્ધિગમ્ય નથી. એને ‘એક વત્તા એક બરાબર બે’ના સમીકરણમાં બાંધી ન શકાય. બુદ્ધિનો પ્રદેશ જ્યાં પૂરો થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો મુલ્ક શરૂ થાય છે. શ્યામની ખરી શોભા તો ઈશ્વરના નામનો અનંત ઉત્સવ ચાલતો હોય એ જગ્યાએ રસ્તો ભૂલી જઈને અર્થાત્ બુદ્ધિનો માર્ગ ત્યજીને સામેલ થઈ જઈએ ત્યારે પામી શકાય છે. કવિ સજીવન મૂળીનો ઉલ્લેખ કરે છે. દૂર્વા ઘાસના મૂળિયાં યાદ આવ્યાં વિના નહીં રહે. પ્રભુભક્તિમાં દૂર્વાનું મહત્ત્વ સવિશેષ છે. દૂર્વા અથવા ધરોના મૂળિયાં જમીનમાં છ ફૂટ સુધી અંદર ઊતરી શકે છે, અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાણીના અભાવથી ઘાસ ભલે સૂકાઈ જાય, મૂળિયાં ખૂબ લાંબો સમય સુધી જીવંત રહે છે. નિર્જીવ ભાસતાં આ મૂળ પાણી મળતાં જ મહિનાઓ બાદ પર પુનઃઅંકુરિત થઈ ઊઠે છે. નરસિંહની સંજીવની મૂળી એ પ્રેમ છે. નરસિંહ પ્રેમલક્ષણા જ્ઞાનભક્તિના કવિ છે. પ્રેમની સજીવનબુટ્ટી હાથે ગ્રહીએ, સહુને ચાહતાં શીખીએ, તો જેમ સૂકા મૂળિયાંમાંથી નવજીવન અંકુરિત થાય છે એમ જડમાંથી પણ સચરાચર પ્રભુકૃપાનો ચૈતન્ય રસ પ્રાપ્ત થશે. પ્રેમ જડનેય ચેતન બનાવે છે. ઈશ્વર સમક્ષ લાંબા થઈને વંદન કરવાથી એ હાથ નહીં આવે, એના પ્રેમમાં પડવું પડશે. પ્રેમની જડીબુટ્ટી હાથમાં આવશે તો જ જડ ચેતન થશે અને શ્યામની ખરી શોભા હાથ લાગશે.

ગીતાનો એક શ્લોક જોઈએ:

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः॥११. १२॥

આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે ઉદય પામે, તો જે પ્રકાશ થાય, એ તે (વિશ્વરૂપ) પરમાત્માના પ્રકાશ બરાબર કદાચ થાય. નરસિંહ આગળ વધીને કરોડ સૂર્યના તેજની વાત માંડે છે. કહે છે, કરોડગણી આભાવાળો સૂર્ય પૂર્વાકાશેથી ઝળહળ જ્યોતિ સમો ઊગે ત્યારે જે સોનેરી ટશર ફૂટતી દેખાય એની શોભા શ્યામની શોભાની તોલે આવે. પૂર્વાકાશે ક્ષિતિજ પરથી પ્રગટતી એ સોનાની કોર જાણે સોનાનું પારણું હોય અને એમાં સત્ ચિત્ આનંદ પરમાત્મા આનંદે રમી રહ્યા હોવાનું નરસિંહ અનુભવે છે. ગગનમાં નીરખીએ તો જ આ શોભા અનુભવી શકાય. શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણને સચ્ચિદાનંદ કહ્યા જ છે:

सच्चिदानंद रुपाय कृष्णाय अक्लिष्टकारिणे।
नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे॥ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૧))
(હું ક્લેષરહિત કર્મ કરનાર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું, જેને જાણી લેવાનો અર્થ છે વેદોને જાણી લેવા. અર્થાત્ તેઓ પરમ ગુરુ છે.)

ईश्वरः परमः कृष्णः सच्चिदानंदविग्रहः।
अनादिर् आदिर् गोविन्दः सर्व कारण कारणम्॥ (બ્રહ્મસંહિતા (૫.૧))
(શ્રી કૃષ્ણ પરમ ઈશ્વર છે તથા સચ્ચિદાનંદ છે. તે આદિપુરુષ ગોવિંદ સમગ્ર કારણોના કારણ છે.)

પ્રભાતે સૂર્યોદય થતાં આકાશની સોનેરી કોર જે રીતે તેજસ્વી હોવા છતાં આંખોને દાહક નથી અનુભવાતી એ જ રીતે સાક્ષાત્ સચ્ચિદાનંદ બાળસ્વરૂપે આનંદ-ક્રીડા કરી રહ્યા હોય એ દૃશ્ય દાહક નહીં, પાવક-આહ્લાદક બની રહે છે. ‘તોલે’ના સ્થાને ‘તૂલે’ પાઠાંતર હોવો જોઈએ એમ ઘણા વિદ્વત્જનો માને છે, જે સાચું હોવાનું અનુભવાય છે. એ જ મુજબ ‘સોનાનાં પારણાં માંહી ઝૂલે’ના સ્થાને ‘સોનલા પાલણામાંહી ઝૂલે’ એવો પાઠાંતર પણ જોવા મળે છે. છંદ અને ભાષાની દૃષ્ટિએ આ પાઠ વધુ સાચો હોવાનું અનુભવાય છે. આગલી કડીમાં જ્યોત-ઉદ્યોતની વર્ણસગાઈ અને નાદમાધુર્ય પછી ‘સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે’માં જે રીતે ‘આનંદ’ શબ્દ અડી-અડીને આવે છે અને ‘દ’, ‘ન’, ‘ક’ વર્ણ તથા બીજી પંક્તિમાંનો ત્રણવારનો ‘લ’કાર નરસિંહની ઘણી રચનાઓમાંથી સંભળાતા નાદસૌંદર્યની ઉપરાંત ઝૂલણા છંદના ઝૂલામાં કવિ આપણને ઝૂલાવતા હોવાની બેવડી અનુભૂતિ કરાવે છે. છંદોલય પરનું કવિનું આ સામર્થ્ય સાનંદાશ્ચર્ય જન્માવે છે.

કવિતાની ગતિ પણ ધ્યાનાર્હ છે. જાતમાંથી બહાર નીકળીને ગગનમાં કૃષ્ણદર્શન કર્યા બાદ બુદ્ધિગમ્ય જાતને ભૂલી જઈને ભક્તિપ્રેમમાં સરાબોળ થઈ જ્ઞાનના સૂર્યોદય સમયે એની શોભાનો ક્યાસ કાઢવાનો છે. અને આ ક્યાસ કઈ રીતે કાઢવાનો છે? કોઈપણ જાતની દીવેટ, તેલ કે જ્યોત વિના સળગી રહેલ આ તેજસ્વી અગ્નિદીપનો ક્યાસ ઇન્દ્રિયાતીત થઈને કાઢવાનો છે. આ તો શાશ્વત અને સદોદિત દીપક છે. જાતમાંથી બહાર આવી ઉર્ધ્વનજર કરવાની છે, પ્રભુચરણમાં ‘હું’નું મરણ ઇચ્છવાનું છું, બુદ્ધિથી પીછો છોડાવીને પ્રેમની સજીવનબુટ્ટી હાથ ગ્રહવાની છે, પ્રભુશોભાના સચ્ચિદાનંદમાં લીન થવા માટે ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે. આંખ વિના એના દર્શન કરવાના છે. ઈશ્વરના દર્શન આમેય ચર્મચક્ષુથી તો શક્ય જ નથી. ગીતામાં ખુદ શ્રીકૃષ્ણે કહ્યું છે:

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा|
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११.८॥

(તું તારી આ આંખ વડે મને જોઈ નહીં શકે. (તેથી) હું તને દિવ્યચક્ષુ આપું છું, જેનાથી તું મારા યોગ-ઐશ્વર્યને જો.) ઈશ્વરને જોવા માટે મનને નહીં, દૃષ્ટિને બદલવાની જરૂર છે. એને આંખ વિના જોવાનો છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી જેને આપણે ઓળખવાનું હોય. આપણે તો બધા જ ઈશ્વરને રૂપ આપી દીધું છે. ચિત્રો અને મૂર્તિઓમાં નિરાકારને આપણે એ હદે આકાર આપી બેઠાં છીએ કે આંખ ખુલ્લી હોય કે બંધ- આપણી નજર સમક્ષ સર્જનહારનું મનુષ્યે કરેલું સર્જન જ નજરે ચડે છે. ભલે આપણે એને શ્રદ્ધાનું વાહન કહી આપણી મર્યાદાઓ ઉપર પડદો નાંખીને આપણી જાતને કેમ ન છેતરતાં હોઈએ, જ્યાં સુધી ઈશ્વરને ચર્મચક્ષુ વગર અને અરૂપ જોવાની તૈયારી નહીં હોય, ત્યાં સુધી એ સામો આવશે જ નહીં. વળી, એની અમીકૃપાનો સ-રસ રસ પણ દુન્યવી જીભની મદદ વિના ચાખવાનો-પીવાનો છે. એને આત્માથી અનુભવવાનો છે. નરસિંહે અન્યત્ર કહ્યું જ છે: ‘જ્યાં લગી આત્માતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.’ અહીં પણ બે પંક્તિમાં છ વાર આવતા ‘વિણ-વણ’; ‘ત’, ‘વ’, ‘ણ’, ‘ળ’ની વર્ણસગાઈ; ‘રસ-સરસ’નો ઝૂલો તથા ‘નીરખવો-પરખવો’ના આંતર્પ્રાસ વાપરી કવિએ જે અદભુત કવિકર્મ કર્યું છે એ નોંધ બહાર જતું નથી. ગુજરાતી સાહિત્યનો સૂર્યોદય બારમી સદીમાં થઈ ચૂક્યાના ખાસ્સા ત્રણસોએક વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં આ કવિને આપણે આદિકવિનું સન્માન એમનેમ કંઈ આપ્યું નથી.

ઈશ્વર તો અકળ છે ને અવિનાશી છે. એ અધ: અને ઉર્ધ્વ – સ્વર્ગ અને નર્કની મધ્યમાં અર્થાત્ આપણી વચ્ચે જ મહાલે છે. એ અકળ છે પણ સકળ વ્યાપ્ત છે. કણકણમાં એનો વાસ છે. જડચેતનમાં એનો વાસ છે. સાચો સંત હોય એ એને પ્રેમના તંતુથી ઝાલે છે. નાની અમથી કવિતામાં કવિ બીજીવાર ઈશ્વરને પામવા માટે પ્રેમની અનિવાર્યતા સ્થાપિત કરે છે. ઈશ્વર જ્ઞાન-તપ-જાપ-મંત્રોથી પરે છે. એને વશ કરવો હોય તો માત્ર પ્રેમથી જ કરી શકાય. એ ખુલ્લું જ કહે છે, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ અહીં પણ ‘અકળ-સકળ’, ‘અરધ-ઉરધ’, તંત-સંત’, માંહ્ય-માહાલે’ના આંતર્પ્રાસ ઉપરાંત ઝૂલણાના ઝૂલે ઝૂલાવતી વર્ણસગાઈઓ પણ ચૂકવા જેવી નથી.

ઉમાશંકર જોશીની ટિપ્પણીથી વાત પૂરી કરીએ: ‘આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोऽहम् ધ્વનિનું ગુંજન, -આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાલમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.’

ગીત મેં શોધી કાઢ્યું – પન્ના નાયક

ફૂલ પરણનાં સ્મિત….

*****

ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત 
ગીત મેં શોધી કાઢ્યું 
ક્યાંક કિરણનાં ક્યાંક ઝરણનાં ફૂલ પરણનાં સ્મિત, 
ગીત મેં શોધી કાઢ્યું 

વૃક્ષ વૃક્ષનાં મૂળિયે મૂળિયે ક્યાંક અજાણ્યાં સ્પંદન,
નીરવ રાતે નદી કરે છે ઝીણું ઝીણું ક્રંદન 
ક્યાંક સ્પંદને ક્યાંક ક્રંદને 
ઝરમર ઝરમર ઝરમર ઝરમર ઝરમરતું સંગીત 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી? 
જાણે કે એ અદીઠ સંગાથી, 
લયમાં રણકે લયમાં ઝણકે 
સણકે કોઈની સાવ સનાતન પ્રીત, 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.