ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

13 replies on “ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર”

  1. શ્રી ગુલઝાર સાહેબને લાખ, લાખ સલામ,
    સરસ, ,મનભાવન અને સચોટ રસાસ્વાદ કરાવવા બદલ આપને અભિનદન અને આપનો ખુબ ખુબ આભાર……

  2. ગુલઝાર સાહેબને લાખ લાખ સલામ, આપનો રસાસ્વાદ પણ અફલાતુન, મનભાવન અને સચોટ સોસરો ઉતરી જાય એવો, આપને ખુબ, ખુબ અભિનદન અને આભાર……….

  3. રસાસ્વાદ! આહા, વાંચીને દિલ ગુલઝાર ગુલઝાર થઇ ગયું.

  4. ગુલઝાર એ વિરાનમાં આવેલો એક બગીચો છે. તે પાનખરમાં પણ પમરે છે.

  5. વિવેકભાઈ,
    કવિતા તો ગુલઝાર સાહેબની હોય એટલે ટોપના પેટની તો હશે જ. પણ તમારા રસાસ્વાદ સિવાય એ સર્જનની સુંદરતાનું સ્વરુપ સમજવું અઘરું છે. જે રીતે તમે રસાસ્વાદ કરાવો છો એથી જામલો પડી જાય છે! ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *