ગ્લૉબલ કવિતા : ૧૩૫ : તે રમ્ય રાત્રે – સુન્દરમ્

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી ?
ક્યાં ચૂમવી ? નિર્ણય ના થઈ શક્યો
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચાલી શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો ? ક્યાં ગ્રહવો ? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે –
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે !

– સુન્દરમ્

સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચેથી પ્રકટતો રતિભાવ…

શરીરની ભાષામાં જેનો અનુવાદ નહીં થાય એવો કોઈ પ્રણય ખરો? ‘પ્લેટોનિક લવ’ના ગમે એટલા ફીફાં કેમ ન ખાંડીએ, પરંતુ ભાગ્યે જ કોઈ પ્રેમી મળી આવશે જેને માત્ર પ્રેમ અને પ્રેમની વિભાવનામાં જ રસ હોય, શરીરમાં નહીં. આત્મીય પ્રેમના ગાણાં ગાનાર પણ ભીતર તો જાતીય પ્રેમનાં સપનાં જ જોતો હોય છે. એવા વિરલા ભાગ્યે જ મળશે જેને દૈહિકના બદલે માત્ર ઐહિક પ્રેમ જ ખપતો હોય. અનાદિકાળથી પ્રેમના ગીતો ગવાતાં આવ્યાં છે, જેમાં સૌંદર્યશૃંગાર અને શરીરસુખની આરત કેન્દ્રસ્થ રહ્યાં છે. આત્મીય પ્રેમનો અનુવાદ જે ઘડીએ શરીરની ભાષામાં પહેલવહેલી વાર થાય તે ઘડીએ જે વિમાસણ અનુભવાય છે, એ વિમાસણ અને ઉકેલ –બંનેને આલેખતી અદભુત કવિતા સુન્દરમ્ ની કલમે આજે માણીએ…

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. માતા ઊજમબેન. પિતા પુરુષોત્તમદાસ કેશવદાસ. ૨૨-૦૩-૧૯૦૮ના રોજ ભરુચમાં આમોદ તાલુકાના મિયામાતર ગામમાં જન્મ. ત્રણેય જગ્યાએ શિક્ષણનો લાભ. ૧૦ વર્ષની વયે પિતાનું અવસાન. લુહારીકામના પૈતૃક વ્યવસાયમાં જોતરાવું ગમતું. ૧૧ વર્ષની વયે મંગળાગૌરી સાથે બાળલગ્ન. ૧૯૨૯માં ‘ભાષાવિશારદ.’ ૧૯૨૬માં ‘એકાંશ દે’ એ પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. ૨૫ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો.’ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. બે વાર જેલવાસ. ૧૯૩૪ થી ૪૫ સુધી જ્યોતિસંઘમાં શિક્ષક. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડી. લિટ્.ની માનદ ઉપાધિ. અસંખ્ય ચંદ્રકો, પારિતોષિકો અને માન-અકરામ. ૧૯૮૫માં રાષ્ટ્રપતિ ઝૈલસિંહના હાથે પદ્મભૂષણ. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’નો મંત્ર આત્મસાત કરનાર સુન્દરમ્ પાતળી કાઠી, ગૌર વર્ણ, સદૈવ સ્મિતસભર બહુધા મૌન મુખમુદ્રા, તપસ્વીની આભા, ઋજુ વાણી, સ્વભાવે બાળક જેવા સરળ તથા નર્યા પારદર્શક વ્યક્તિત્વના સ્વામી હતા. બહુ ઓછા માણસને આવી અંદર હોય એ જ બહાર પણ હોવાની સહજતા હાંસિલ હોય છે. ચિત્રકામ, દિલરૂબાવાદન અને ફોટોગ્રાફીમાં પણ નિપુણ. ૧૩-૦૧-૧૯૯૧ના રોજ દેહોત્સર્ગ.

કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક. ધોધમાર સર્જકતા. વિપુલ સાહિત્યસર્જન. ‘ત્રિશૂલ’, ‘મરીચિ’, ‘વિશ્વકર્મા’, ‘સુન્દરમ્’ – એક નામ અને ચાર ઉપનામ પણ આજે ‘સુન્દરમ્’ કવિના નામનેય અતિક્રમી ગયું છે. કવિએ કહ્યું હતું: ‘’સુન્દરમ્’ શબ્દ મને ગાંધીજીની આત્મકથામાંથી મળી આવેલો. એમાં બાલાસુન્દરમ્ નામનો એક તમિલ મજૂર ગાંધીજી પાસે આવે છે. મેં ‘બાલા’ શબ્દ દૂર કરીને બાકીનો ભાગ રાખ્યો. આમ તો આ શબ્દ સત્યમ્ શિવમ્ સુન્દરમ્ ની મહાત્રિપુટીમાંનો એક છે, પણ તે મારી પાસે તો એક દરિદ્રતમ વ્યક્તિ પાસેથી આવ્યો.’ સ્વાતંત્ર્ય યજ્ઞમાં અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. કલ્પનશીલ રંગદર્શી માનસ અને તીવ્રતમ ભાવોદ્રેકથી ભાવક તત્ક્ષણ ભીંજાઈ જાય. ઉમાશંકર કહેતા કે ‘સુન્દરમ્ થતાં થાય તેવા કવિ છે.’ ઉમાશંકરે જ સુરેશ દલાલને જવાબ આપ્યો હતો: ‘સુ ન્દરમ્ ની કવિતામાં પ્રથમ રણકો ઊઠે છે- સચ્ચાઈનો- લોહીમાંથી, મજ્જામાંથી જાણે ઊઠતો ન હોય! બીજું તથ્ય છે: તાકાત. સુન્દરમ્ ના શબ્દો ભૌતિક વિશ્વની ગંજાવરતા અને માનવીયતાની નિઃસીમતાનો ભાવ સહજભાવે, નિરાયાસ ભાવે, ઊઠાવી શકે છે. ત્રીજું તત્ત્વ: સિદ્ધ થયેલી કલા-પ્રભાવિત કરે એવી શબ્દશોધ અંગેની ઉપાસના અને રજૂઆત.’ એક જ સમયગાળામાં સાહિત્યાકાશને ઝળાંહળાં કરનાર ઉમાશંકર અને સુન્દરમ્ ને ગુજરાત ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખે છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. ‘ધ્રુવપદના સાધક’ સુન્દરમ્ પર છેલ્લા સાડા ચાર દાયકાના પોંડિચેરી-નિવાસ અને શ્રી અરવિંદ તથા માતાજીનો પ્રભાવ મહત્તમ રહ્યો. સૂક્ષ્મતમ આધ્યાત્મિક અનુભૂતિના કાવ્યનિર્ઝરના અસ્ખલિત પ્રવાહમાં અભીપ્સાની સાથોસાથ સમર્પણભાવ ઉદાત્ત અને પ્રમુખ. રમણલાલ જોશીને એમનામાં ‘સત્યની શોધ અને કળાની ગંભીર ઉપાસના, એ બંને ચીજો આગળ પડતી’ નજરે ચડી છે. વ્રજભાષાના પ્રયોગોમાં પણ માહિર.

સ્વરૂપની દૃષ્ટિએ મૂલવીએ તો ‘તે રમ્ય રાત્રે’ કવિતાને મુક્ત પદ્ય અથવા ઊર્મિકાવ્ય ગણી શકાય. કવિતા છંદમાં વહી જાય છે પણ પહેલા અને છેલ્લા બંધને બાદ કરતાં પ્રાસનો અભાવ છે અને ગીતનો આકાર પણ નથી, માત્ર ધ્રુવપંક્તિ કાવ્યાંતે પુનરાવર્તિત થાય છે એટલું જ. કવિએ મિશ્ર ઉપજાતિ છંદ પ્રયોજ્યો છે, જે ઇન્દ્રવ્રજા (ગાગાલગાગા લલગા લગાગા) અને ઉપેન્દ્રવ્રજા (લગાલગાગા લલગા લગાગા)નું સંમિશ્રણ છે, જો કે કવિએ ઘણી જગ્યાએ આખરી લગાગાના સ્થાને લગાલગા વાપરીને એક લઘુ ઊમેરી કાવ્યપ્રવાહને એકધારી ગતિ આપવાના બદલે લયનો આંચકો ભાવકને આપવાનું નિર્ધાર્યું છે. કાવ્યગતિ વચ્ચે વચ્ચે ખંડિત કરીને ભાવકને ક્ષણાર્ધ વહી જતો અટકાવનારી છંદ-ચેષ્ટાઓ વિશ્વકવિતાઓમાં અસંખ્ય જોવા મળે છે. આઠ દાયકાઓ પૂર્વે ૧૦-૦૭-૧૯૩૮ના રોજ, ભારત જ્યારે બસો વર્ષની ગુલામીમાંથી છૂટવા ઉન્નતમસ્તક લડી રહ્યું હતું ત્યારના પ્રખર રુઢિચુસ્ત સમાજમાં લખાઈ હોવા છતાં, પ્રણયમાં શરીરસુખની અનિવાર્ય અને અદમ્ય આકાંક્ષા આલેખતું નિતાંત સંભોગશૃંગારભર્યું આ કાવ્ય એટલું તો અદભુત થયું છે કે એને આજની તારીખે પણ આપણી ભાષાનું શિરમોર પ્રણયકાવ્ય કહીએ તો એમાં લવલેશ અતિશયોક્તિ નથી.

કવિતાનું જે શીર્ષક છે એ જ કાવ્યારંભ પણ છે. રામપ્રસાદ બક્ષીએ આ શીર્ષક સ-રસ ઊઘાડી આપ્યું હતું: ‘તે રમ્ય રાત્રે -મધુર સ્મરણોને વાગોળી રહેલા માનસનો આ એક જ ઉદગાર- વાચકના માનસમાં કુતૂહલ જગાડે છે. ‘રાત્રે’ એટલે રસરહસ્યમય રાત્રિસમયે; ‘રમ્ય રાત્રે’ એટલે કોઈ ચિરસ્મરણીય હૃદયસંતર્પક પ્રસંગથી ખાસ રમ્ય બની ગયેલી રાત્રે; ‘તે રમ્ય રાત્રે’ એટલે બીજી બધી રાત્રિઓથી જુદી, જુદો જ અપૂર્વ આહલાદ-અનુભવ કરાવી ગયેલી એવી, એ ચોક્કસ રાત્રે; આવી અર્થચર્વણામાં વાચક નિમગ્ન બને છે.’ રમ્ય એટલે માત્ર સુંદર જ નહીં, આંખ અને મન બંનેને તૃપ્ત કરે એવી પણ. અહીં બંને અર્થ સુસંગત છે. રાત રમણીય હતી કેમકે નાયિકા સાથે છે. સ્ત્રી-પુરુષના સાથે હોવાના અર્થમાં રાત્રિનો સંદર્ભ ભળતાં જ અર્થવિસ્ફોટ સર્જાય છે. રાતનું અંધારું શરીરના આકારની સાથે હોવાપણું પણ ઓગાળી દઈ એકાકાર કરી દેતું હોવાથી પુરુષ અને પ્રકૃતિનું જે સાયુજ્ય સર્જાય છે, એ અજવાળાના નસીબમાં ભાગ્યે જ આવે છે. સુંદરનો અહેસાસ અને સુંદરની અપેક્ષા બે ભેગાં થાય ત્યારે સુંદરતાનો સરવાળો નહીં, ગુણાકાર થાય છે. સુન્દરમ્ તો આમેય સૌંદર્યના કવિ છે. એ ‘હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુન્દર રહી તેહ સર્વને; મૂકું કરી સુન્દર ચાહી ચાહી’ ગાનાર આકંઠ સૌંદર્યપ્રેમી છે. એટલે સૌંદર્યની અપેક્ષા સાકારિત થાય છે ત્યારે એમને પ્રેયસી રાત્રિ કરતાંય અધિક રમણીય લાગે છે. ન અંદર, ન બહાર એમ રમણી એની અધિકતર રમણીય દેહયષ્ટિ બારસાખ પર સહેજસાજ એમ ટેકવીને ઊભી હતી, જાણે થડ ઉપર કો’ક વેલી સહેજ ઢળીને ટકી ન હોય. ચાર ટૂંકી-ટૂંકી પંક્તિઓમાં કવિ એક સર્વાંગ ચિત્ર રજૂ કરે છે, જે દોરવા બેસો તો કદાચ કલાકો વીતી જાય!

પ્રેમના નામે વેવલાવેડા કરવાના બદલે કવિ ઝડપભેર નિર્ભીક નિર્દંભ અભિગમ સ્પષ્ટ કરે છે. ક્યાં સ્પર્શવી? ક્યાં ચૂમવી? આલિંગવી? આ કવિતા લખાયાના દાયકાઓ પછી પણ માત્ર સાહિત્યમાં જ નહીં, સાહિત્યથી એક કદમ આગળ ચાલતી હિંદી ફિલ્મોમાંય બે પ્રેમીઓનું મિલન બે ગુલાબ એકમેક સાથે ટકરાવીને પ્રણયના સ્થાને પ્રતીકપ્રદર્શનનો દંભ આપણે ત્યાં પ્રવર્તતો હતો. આ વરવી વાસ્તવિક્તા સમજીએ તો આ કવિતા એના જમાનાથી કેટલી આગળ હતી એનો ખ્યાલ આવે. વળી, અહીં નાયિકા કામકેલિની પહેલ કરે છે, એ અર્થમાં તો કવિતા આજના સમયથી પણ ઘણી આગળ ગણાય… શાશ્વત સૌંદર્યની આરાધ્યાદેવીને જોતાવેંત જ કાવ્યનાયક થીજી જાય છે. એના ગાત્રો ગળી જય છે. આવી ઉત્તમ કામ્ય કાયાને કઈ જગ્યાએ અડવી, ક્યાં ચૂમવી ને સાચે આ દેહ પોતાને આલિંગવા માટે જ સર્જાયો છે એ નાયકનું હૈયું માની શકતું નથી. ‘કામ્ય કાયા’ પ્રયોગમાં પ્રસ્તુત કવિતામાં અવારનવાર અધિકતર સંગીત સર્જતી વર્ણસગાઈ તો છે જ પણ એ ઉપરાંત ‘કામ્ય’ શબ્દ ફરીથી સંયોગશૃંગાર બાબતમાં કવિનો નિખાલસ ઈરાદો સ્પષ્ટ કરે છે. કામ્ય એટલે સુંદર તો ખરું જ, જેની કામના હોય એય અને શબ્દમાં છૂપાયેલ ‘કામ’નો અછડતો સંસ્પર્શ પણ ખરો જ સ્તો. નાયિકાના ખરા સોના જેવા અવર્ણનીય સૌંદર્યના પ્રવાહમાં નાયકનું હૈયું જડ થઈ ગયું છે, થીજી ગયું છે. હૈમનો અર્થ સુવર્ણની સાથોસાથ જામવાની ક્રિયા અભિપ્રેત હોવાના કારણે હિમ-બરફ પણ કરી શકાય? નાયિકાના દેદિપ્યમાન પ્રભાવથી અંજાઈને ડઘાઈ ગયેલા નાયકના નિર્ણયો બરફ જેવા ઠંડા-થીજી ગયા છે.

પુરુષોની જિંદગીમાં અવઢવની ક્ષણે જડત્વ ઘણીવાર જોવા મળે છે. લાખ કોશિશો કર્યા બાદ, તેર-તેર વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અનિવાર્ય બની ગયેલા મહાભારતના યુદ્ધની વચ્ચોવચ પહોંચીને ગાત્રો શિથિલ થઈ જાય અને ગાંડીવ હાથમાંથી સરી જાય એવા અર્જુનોની દુનિયામાં કોઈ કમી નથી. તો સામા પક્ષે, દ્રૌપદીને આખા જીવનમાં કોઈ નિર્ણય કે સવાલ કરવામાં હિચકિચાહટ થઈ નહોતી. કારણ કદાચ એ હોય કે પુરુષ મગજથી વિચારે છે અને સ્ત્રી હૃદયથી. પુરુષના આચારની પાછળ અપ્રગટ વિચારો સંતાયેલા હોય છે, જ્યારે સ્ત્રીઓ બહુધા જે વિચારે છે, એ જ આચરતી હોય છે. પુરુષો મોટાભાગે હાથીના દાંત જેવા હોય છે, ચાવવાના જુદા અને બતાવવાના જુદા. કદાચ આ જ કારણે નિર્ણયની ઘડીએ ઘણીવાર પુરુષો અટકી જતા હોય છે, જ્યારે સ્ત્રીઓ સ્ફટિકસ્પષ્ટ માનસના કારણે તાત્ક્ષણિક નિર્ણય લેવામાં ખંચકાટ અનુભવતી નથી. અનિર્ણયનો કેદી અથવા તો સ્ત્રીદાક્ષિણ્યસભર નાયક પગ પાછા વાળવાની તૈયારી કરે છે, સ્ત્રી એના પારોઠના પગલાં વાંચી લેવામાંય નિષ્ફળ જતી નથી. માત્ર પુરુષ જ મિલનની આકાંક્ષાએ અહીં આવ્યો હતો એવું નથી, આ મિલન માટે નાયિકા પણ એટલી જ તૈયાર છે.

નાયકથી વિપરિત, નાયિકા પ્રણયની આ પહેલવહેલી શારીરિક ક્ષણોમાં કોઈ જ મૂંઝવણ અનુભવતી નથી. આમેય સ્ત્રી પ્રેમમાં પડે છે ત્યારે પારદર્શક સમજણ સાથે જ પડતી હોય છે. કમાન પર લતાની જેમ ટેકવાઈને એ ઊભી છે. એના હાથ કદાચ અત્યાર સુધી સોડિયામાં સમેટાયેલા હતા, એમાં ગતિનો સંચાર થયો. ધનુષકામઠા પેઠે વળાંક લઈને ઊભેલી કાયામાંથી નાયિકાનો હાથ નાયક તરફ લંબાય છે. સાક્ષાત્ કામદેવ ધનુષ પર તીર ચડાવીને શરસંધાન કરતા હોય એવું આ દૃષ્ય છે. કમાન થયેલી કાયાના ધનુષ્યમાંથી કામદેવના તીર જેવો નાયિકાનો હાથ માટીપગા પ્રેમીને વીંધવા જાણે નિશાન સાધી રહ્યો છે. જ્યાં પુરુષ હથિયાર ફેંકી દે છે, ત્યાં સ્ત્રી ‘હાથ ધરે છે.’ નથી રે જવાનું કહીને એ એને અટકાવી દે છે. નાયિકાને પામવાની કામના સાથે આગળ વધેલા પણ થીજી જઈને માત્ર નજરથી જ સૌંદર્યપાન કરતા નાયક અને નાયકને પામવા માટે પહેલ કરતી નાયિકા –એમ સ્થિતિભાવ અને ગતિભાવની વચ્ચે ક્રીડા કરતા રતિભાવને જોઈએ ત્યારે મુણ્ડકોપનિષદનો એક શ્લોક યાદ આવે:

द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥ (મુણ્ડક ૩, ખણ્ડ ૧, શ્લોક ૧)

સુંદર પાંખવાળા બે પક્ષીઓ, ઘનિષ્ઠ મિત્રો, એક જ વૃક્ષ પર રહે છે; એમાંથી એક વૃક્ષના સ્વાદિષ્ટ ફળ ખાય છે, બીજું ખાતું નથી પણ પોતાના મિત્રને જોયે રાખે છે. અહીં પણ કંઈક એવું જ બન્યું છે. નાયક મૂક સાક્ષી બની ગયો છે, જ્યારે નાયિકા પોતે શું કરવું છે એ બાબતમાં ન માત્ર સ્પષ્ટ છે, નિર્ણાયક પણ છે. પુરુષ તો નથી હલી શકતો, નથી ચાલી શકતો. નથી દૂર જઈ શકતો, નથી નજીક. ચુપકીદી દરિયા જેવડી વધી પડી. દરિયાની વચ્ચોવચ કોઈક એકલદોકલ ખડક પાસે છીછરા પાણીમાં કોઈ નાવ ભાંગીને ફસાઈ જાય અને ભાંગેલ નૌકાના અનંત મુસીબતોમાં ફસાઈ ગયેલા મુસાફરને બચાવવા કોઈ નૌકા નજીક સરી આવે એવી અનુભૂતિ નાયકને થાય છે. મૌનના મહેરામણમાં મૂઢતાના એકલવાયા ખડક સાથે અથડાઈને, ખોટકાઈ પડેલી નાવભાંગ્યા જણ જેવા નાયકને ઉગારવા આવતી હોડી સમી નાયિકા સામું સરી આવે છે, પ્રણયની સ્ફટિકસ્પષ્ટ સમજણ સાથે. કેવું અદભુત કલ્પન!

કવિ ન્હાનાલાલ રચિત દીર્ઘ પદ્યનાટક ‘જયા-જયન્ત’ના કેટલાક અંશ સાથોસાથ માણવા જેવા છે. અંક બીજો, પ્રવેશ પહેલાના સંવાદમાંથી કેટલાક અંશ આ રચનાના હાર્દને આનુસાંગિક છે.

કવિશેખર: રસમંજરીનો મુગટ શૃંગાર રસ; /ને શૃંગારનો આત્મા કામ.
દેવી: ભુવન ભુવન મદનનાં મહારાજ્ય રે, /ગાવ ! ગાવ ! ગીત મદનરાજનાં, સખિ !
આચાર્ય: ગાઈ છે એમ કામસ્તુતિઃ/તો કામનીંદક તે વેદવિરોધી.
દેવી: મન્મથ તે જ મહાપ્રભુઃ/ઇચ્છા પૂરવી તે જ સદ્ધર્મ.

વર્ષો પહેલાંનું નાનાલાલનું આ નાટક શૃંગાર રસનો અને કામદેવના મહારાજ્યનો જે રીતે મહિમા કરે છે, એ ગુજરાતી કવિતામાં જૂજ જ જોવા મળે છે. કામને મહાપ્રભુ ગણાવાયો છે અને કામનિંદા કરે એને વેદવિરોધી. ઇચ્છાપૂર્તિને સત્-ધર્મ કહ્યો છે. અહીં પણ ઇચ્છાભર્યો હોવા છતાં અણીના ટાંકણે હિંમત ખોઈ બેસતા નાયકને જોઈને ઇચ્છાપૂર્તિ માટે મિલનની આ પળોનું સુકાન નાયિકા ત્વરિત હાથ ધરે છે, કેમકે એ જાણે છે કે આ ક્ષણોમાં એ જ સત્ધર્મ છે.

આગળ શું ઘટના ઘટી હશે એનો ઉત્તર કવિ પ્રશ્નો વડે આપે છે. નાયકને ક્યાં સ્પર્શ કરવો અને કઈ જગ્યાએથી ગ્રહવો એ બાબતમાં નાયિકાના મનમાં લેશમાત્ર પણ ગૂંચ હોવાનું નાયકને નજરે ચડતું નથી. આ ઘડીએ, ત્યારે પછી અર્ધરેખા (ડૅશ) મૂકીને કવિ મુખડાના ઉઘાડની પંક્તિઓ સાથે પુનઃસંધાન સાધે છે. શબ્દો એ જ છે, બલ્કે, પહેલાં કરતાં ઓછા છે, પરંતુ હવે ‘તે રમ્ય રાત્રે’ અને ‘રમણીય ગાત્રે’નો અર્થ સમૂચો બદલાઈ ગયો છે. રતિભાવ હવે સ્થિતિભાવ મટીને ગતિભાવ બની ચૂક્યો છે.

નખશિખ સંયોગશૃંગારની કવિતા છે. કવિએ પણ કોઈ ભાવ ગોપિત રાખવાની ‘કુ’ચેષ્ટા કરી નથી. ને તે છતાંય આ કાવ્ય એકપણ મર્યાદારેખા વળોટતું નથી એ કવિતાની ખરી ઉપલબ્ધિ છે અને કવિની ખરી સમર્થતા છે. ‘તને મેં ઝંખી છે/યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’ના કવિ જ આવો અદભુત કલાસંયમ દાખવી શકે. બ.ક.ઠાકોર જેવા દુરારાધ્ય દેવ પણ આ કાવ્યના અંતભાગ ઉપર વારી ગયા હતા. ઉમાશંકરે પણ ‘ઉલ્બણ ઊર્મિને કલામાં ઢાળવાની સુન્દરમ્ ની શક્તિ અપ્રતિમ છે’ એમ અકારણ તો નહીં જ કહ્યું હોય ને?

ગ્લૉબલ કવિતા : ૧૩૪ : કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ

How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

કવિતા કેવી રીતે ખાવી

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)


કવિતા ‘ખાવા’ની કળા…

કવિતા. શું છે કવિતા? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કવિતા કેવી રીતે લખાય? કવિતા વાંચવી કઈ રીતે? –આ બધા પ્રશ્નો કવિતાઓ લખાવી શરૂ થઈ ત્યારથી એકસમાન રીતે કવિઓ અને ભાવકો-બંનેને મૂંઝવતા આવ્યા છે. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને શિરમોર ગણવામાં આવી છે. કવિતા કોઈપણ વિશ્વસંસ્કૃતિના સિરનો તાજ છે. કવિતા સમજવી બધાને સહેલ નથી. કવિતામાં રસ પડવો બધાને સુલભ નથી. ને કદાચ એટલે જ, કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. કલાપી કહી ગયા હતા:

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

ભોગવનાર ન હોય તો કળાનો કોઈ અર્થ સરતો નથી ને યોગ્ય ભોગવનાર મળે તો કળાથી મીઠું બીજું શું હોઈ શકે? કળાની આવી મીઠાશ મનભર કઈ રીતે માણવી એની વાત લઈને ઇવ મેરિઅમની આ કવિતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇવ મેરિઅમ. ૧૯-૦૭-૧૯૧૬ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા ખાતે મેક્સ મોસ્કોવિટ્ઝ અને જેની સિગેલના ઘરે જન્મ. મા-બાપ બંને રશિયાથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. પિતા કપડાંની દુકાનોની શૃંખલા ધરાવતા હોવાથી ફેશનનો હાથ ઝાલીને તેઓ મોટાં થયાં. બાળપણથી કવિતાનું સંગીત એ રીતે આકર્ષતું કે એમને લાગતું કવિ બનવું એ બીજું કંઈ નહીં, પણ એમની પોતાની આંતરિક જરૂરિયાત હતી. કવિતાના પ્રાસ કે શબ્દોની રમત કાને પડતી એ એમને એડ્રિનાલિનનું ઇન્જેક્શન કે પ્રાણવાયુ મળવા બરાબર લાગતું. સાત વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હાઇ સ્કૂલમાં તો પ્રકાશિત કરવી શરૂ કરી દીધી. આર્ટ્સમાં સ્નાતક. શરૂમાં કોપીરાઇટર અને ફેશન સામયિકોના માનદ તંત્રી તરીકે કામ કર્યું. રેડિયૉ માટે પણ લખ્યું. પ્રાધ્યાપિકા તરીકે પણ સેવા બજાવી. મૂળ નામ ‘એવા મોસ્કોવિટ્ઝ’ પણ જ્યારે એમનું પુસ્તક કોઈ છાપતું નહોતું ત્યારે પોતાની યહૂદી અટક અંતરાય બનતી હોવાની એક પ્રોફેસરની સલાહ માનીને ટેબલ પર પડેલી મેરિઅમ-વેબ્સ્ટર ડિક્શનરીમાંથી મેરિઅમ લઈને ઇવ મેરિઅમ નામ અપનાવ્યું. ૩૦ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. બાળકાવ્યોના તો જાદુગર જાણે. એમના બાળકાવ્યો અમેરિકામાં પેઢી-દર પેઢી ભણાવવામાં આવી રહ્યાં છે. ૬૦થી વધુ પુસ્તકો લખ્યાં. વારાફરતી ચાર લગ્ન કર્યાં: એર્વિન સ્પિટ્ઝર (૧૯૩૯), માર્ટિન માઇકલ (૧૯૪૭), લિઓનાર્ડ લેવિન (૧૯૬૩) અને છેલ્લે વાલ્ડો સૉલ્ટ (૧૯૮૩). પ્રવાસ અને સમુદ્રના આકંઠ ચાહક પણ જીવનના કેન્દ્રસ્થાને ન્યૂયૉર્ક જ રહ્યું. એ કહેતાં કે ‘હું મેનહટ્ટનની અંતિમ જીવંત નિવાસી હોવાની આશા રાખું છું જ્યારે અન્યો સૌ પરાં કે ઉપનગરો માટે છોડી ગયાં હોય.’ ૧૧-૦૪-૧૯૯૨ના રોજ ૭૫ વર્ષની વયે મેનહટ્ટન, ન્યૂયૉર્ક ખાતે યકૃતના કેન્સરના કારણે નિધન. મૃત્યુ નજીક હોવાની ખાતરી થયા બાદ લખાયેલ મૃત્યુ-વિષયક કાવ્યો ‘એમ્બ્રાસિંગ ધ ડાર્ક: ન્યૂ પૉએમ્સ’ નામે મરણોત્તર પ્રકાશિત થયાં.

વિપુલ માત્રામાં ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં અને સફળ નાટ્યકાર હોવા છતાંય ઇવ પ્રમુખતઃ કવયિત્રી જ હતાં. એ કહેતાં: ‘તમે કવિતાઓ લખો છો કેમકે એ તમારી અનિવાર્યતા છે… કેમકે તમે એમને લખ્યા વિના તમારું જીવન નહીં જીવી શકો.’ તેઓ ઉમદા જીવનકથાકાર પણ હતાં. નારીવાદી ચળવળો શરૂ થઈ એના ઘણાં વર્ષો પહેલાંથી ઇવના લખાણો, કટાક્ષોમાંથી એ વિશેનો બુલંદ અવાજ ઊઠવો શરૂ થયો હતો. પુરુષ-સ્ત્રી વચ્ચેની સામાજિક અસમાનતા સામેનો એમનો અભિગમ બહુ મજબૂત અને સટીક હતો. એમનો ક્રમિક રાજકીય દૃષ્ટિકોણ એમની કવિતાઓ અને નાટકોમાં શહેરી જીવન અને સામાજિક ન્યાયના સંદર્ભમાં સતત છતો થતો દેખાય છે. મેરિઅમની કવિતાઓ એક તરફ તમામ ઇન્દ્રિયો માટે ઉદ્દીપક અને સંતર્પકનું કામ કરે છે, તો બીજી તરફ આપણી મેધાને પણ પોષે-તોષે છે. મેરિઅમે પાનાં પર શબ્દોની ગોઠવણ બાબતમાં પણ કામ કર્યું હતું, અને એ રીતે દૃશ્યેન્દ્રિયને પોતાની કવિતામાં પૂરેપૂરી કામમાં લીધી હતી. પારંપારિક તુકબંદી ઉપરાંત રવાનુકરણ (onomatopoeia), અંતર્પ્રાસ, વર્ણસગાઈ, અનુનાદ (assonance), રુપક વગેરે તમામ કાવ્ય પ્રયુક્તિઓનો બહોળો પ્રયોગ એમની ખાસિયત ગણાય છે. કવિતાની ભાષા અને ભાષામાંનો અવાજ એ એમનો પ્રથમ પ્રેમ હતો, તો સામાજિક ન્યાય બીજો પ્રેમ હતો. સમાજની આકરી ટીકા કરતું ‘ઇનર સિટી મધર ગૂઝ’ પુસ્તક અમેરિકામાં સૌથી વધુ પ્રતિબંધિત થયેલ પુસ્તક હતું. આ પુસ્તકમાંની સૌથી ટૂંકી કવિતા આ હતી: ‘એક કુટિલ માણસ હતો,/ અને એ ખૂબ સારી રીતે જીવ્યો.’ આ પુસ્તક પરથી બનાવાયેલ સંગીત-નાટિકાએ બ્રૉડવે પર તહલકો મચાવ્યો હતો. ‘ધ વે વી વર’ ફિલ્મનું ‘કેટી મોરોસ્કી’ નામનું પાત્ર એમના જીવન પર આધારિત હતું.

‘કવિતા કેવી રીતે ખાવી’ નાની અમથી રચના છે. ૧૯૬૪માં બાળકો માટે લખાયેલ એમના ‘ઇટ ડઝન્ટ ઑલ્વેઝ હેવ ટુ રાઇમ’ પુસ્તકમાં આ કવિતા પ્રગટ થઈ હતી. બાળકો માટે લખવામાં આવેલ હોવા છતાં મેરિઅમના મોટાભાગના પુસ્તકો મોટેરાંઓને પણ સમાનભાવે અપીલ કરે છે. મેરિઅમ પોતે પણ આ હકીકતથી માહિતગાર હતાં. કદાચ એ રીતે કે તેઓ જાણતાં હતાં કે માણસ ગમે તેટલો મોટો કેમ ન થાય, એની અંદરનું બાળક કદી અવસાન પામતું નથી. સામાન્યરીતે પ્રાસને કવિતાનું બહુ અગત્યનું અંગ માનતાં મેરિઅમે ૬૦ના દાયકામાં કવિતા વિષયક કવિતાઓની પુસ્તકત્રયી પ્રગટ કરી હતી, જેમાં ઉપરોક્ત પુસ્તક ઉપરાંત ‘ધેર ઇઝ નો રાઇમ ફોર સિલ્વર’ અને ‘કેચ અ લિટલ રાઇમ’નો સમાવેશ થાય છે. સ્વભાવિકપણે પ્રસ્તુત રચના છંદ અને પ્રાસથી પર અછાંદસ કાવ્ય છે, જેને મરિઅમે ૫-૨-૭ પંક્તિઓના ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. પહેલો ભાગ કવિતા કેવી રીતે ‘ખાવી’ એ સમજાવે છે, બીજો ભાગ કયા-કયા ઉપકરણોની જરૂર નથી એ કહે છે અને ત્રીજો ભાગ એ માટેનાં કારણો આપે છે.

હવા, પાણી અને ખોરાક જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભલે મનુષ્ય સર્વભક્ષી બન્યો છે પણ લાખો વર્ષ સુધી મનુષ્ય મુખ્યત્વે માંસભક્ષી જ હતો. દસેક હજાર વર્ષ પૂર્વે નૂતન પાષાણયુગમાં માણસ જંગલી ફળો-શાકભાજી અને અનાજ-કઠોળ ખાતો થયો. એ જમાનામાં મનુષ્યની શારીરિક સક્રિયતા એટલી બધી હતી કે એનો ખોરાક પણ આજે આપણી આંખ ચાર થઈ જાય એટલો અધધધ હતો. ખેતીની શોધ સાથે માણસ ઠરીને ઠામ થયો અને સભ્યતાઓ આકાર લેવા માંડી. જ્યારે માણસ ઠરીઠામ નહોતો થયો ત્યારે સ્થળાંતર કરતા પશુઓ સાથે એનું પણ સ્થળાંતર થતું રહેતું અને પ્રકૃતિ અને મનુસઃય વચ્ચેનું સમતુલન તંતોતંત જળવાઈ રહેતું પણ જેવો મનુષ્ય સ્થાયી થયો કે એનો ખોરાક અને ખોરાક માટેના વિકલ્પો-બંને મર્યાદિત બન્યા જેના કારણે આયુષ્ય ઘટતું ગયું, અને કુદરતી પરિબળો પર અવલંબન વધતું ગયું. બાઇબલમાં પણ સાત વર્ષના દુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. સમય-સમયે અને સ્થળે-સ્થળે મનુષ્યોની ખાણીપીણીની પદ્ધતિઓમાં ફરક અને ફેરફાર થયેલાં જોવા મળે છે. ધીમેધીમે મનુષ્ય સીધાં બચકાં ભરીને ખાવા બદલે હાથથી નાના ટુકડાઓ કરીને ખાતો થયો. પછી છરી-કાંટા અસ્તિત્વમાં આવ્યા. ખાવાની વાતની આટલી પારાયણ એટલા માટે કે આપણે કવિતા કેવી રીતે ખાવી જોઈએ એ વાત કરવી છે.

શીર્ષક આપણને ચોંકાવે છે. કવિતા વાંચવાની-સાંભળવાની-માણવાની વસ્તુ છે એવું સાંભળી-સાંભળીને આપણાં મનાંકનો દૃઢ થયાં છે. કવિતા હાથમાં લઈએ એ પહેલાં જ મેરિઅમ સવાલ કરે છે: કવિતા કેવી રીતે ખાવી. કવિતા ખાવાની વાત જ આપણી આંખો ચાર કરી દે છે. આપણે તૈયાર થઈ જઈએ છીએ કે નક્કી આજ સુધી કદી જોયું-જાણ્યું નહીં હોય એવી જ કોઈ વસ્તુ સાથે અહીં આપણો પનારો પડશે. આ શીર્ષક વાંચી લીધા પછી કવિતા વાંચવાનું ટાળી શકે એવો હિંમતવાન તો કોઈ વિરલો જ હોવાનો. શીર્ષક વડે કવયિત્રી ભાવકને જડબેસલાક જકડી રાખે એવો હૂક મારી આપવામાં સફળ રહ્યાં છે. આખી કવિતામાં કુલ છ પૂર્ણવિરામ અને એક અલ્પવિરામચિહ્ન વપરાયાં છે, પણ શીર્ષકમાં પ્રશ્ન હોવા છતાં મેરિઅમ પ્રશ્નાર્થચિહ્ન પ્રયોજતાં નથી, એ સૂચક છે. પ્રશ્ન પછી ચિહ્ન મૂકીને એ ભાવકને અટકવા દેવા માંગતાં નથી. પ્રશ્ન પૂરો થાય એ પહેલાં એ ચિહ્ન ગોપિત રાખીને સીધું જવાબ સાથે જ ભાવકનું અનુસંધાન સાધી આપે છે. નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ખાવા બેસીએ ત્યારે ડાહ્યા થઈને બેસવું. નીચે બેસીએ તો પલાંઠી વાળીને અને ટેબલ પર બેસીએ તો ખોળામાં નેપકિન પાથરીને. ખાતાં પહેલાં પ્રાર્થના કરવાની અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી બાકીનાઓએ રાહ જોવાની. ઉતાવળ તો જરાયે ન કરવાની. નાના કોળિયાં લેવાનાં અને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવાનું. હાથ ન વાપરવા. છરી-કાંટા વાપરવા. સબડકાં ન ભરવા. બચ-બચ કરવું નહીં. આંગળાં ચાટવાં નહીં. સીધું વાસણ મોઢે માંડવું નહીં. અને આ બધા શિષ્ટાચાર પરથી તમારું શિક્ષણ અને સભ્યતા નક્કી કરવામાં આવે છે. જે કામ સજીવમાત્ર કુદરતી સ્વયંસ્ફુરણાથી કરતો આવ્યો હતો, એ શીખવાડવા માટે આજે પૈસા લઈને ચાલતા વર્ગો પણ અમલમાં આવ્યા છે.

પણ મેરિઅમ બધા જ શિષ્ટાચાર નેવે મૂકીને સીધી વાત કરે છે. કવિતા ખાવા માટે એનો પહેલો અને ટૂંકોટચ આદેશ છે કે વિનમ્ર ન બનશો. કરડી ખાવ. આક્રમણ. તૂટી પડો. રાહ ન જોશો. ગળથૂથીથી જે આચારસંહિતા શીખીને આપણે મોટાં થયાં છીએ, કવિતા ‘ખાવા’ સૌથી પહેલાં એનો જ ત્યાગ કરવાનો છે. કવિતાની પાસે જવાની આ પહેલી શરત છે. કોઈપણ જાતના પૂર્વનિર્મિત માપદંડ લઈને જો તમે કવિતાની પાસે જવાની કોશિશ કરશો તો કાવ્યતત્ત્વ કદી હાથ નહીં આવે. કવિત્ એ છટકણો પદાર્થ છે. પ્રારબ્ધની જેમ જ એ ‘રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે’ છે. (બાલાશંકર કંથારીયા) કવિતાની પાસે જવું હોય તો સૌથી પહેલાં તમારે કોરો કાગળ બનવું અનિવાર્ય છે. લીટા પડેલા કાગળ પર લખી નહીં શકાય. આકાર વગરની માટીનો લોંદો લઈને ચાકડે મૂકશો તો જ એમાંથી વાસણ બની શકશે. કેટલી મોટી વાત છે! પણ કવયિત્રી કેવી બાળસુલભતાથી સમજાવી શક્યાં છે!

કોઈ પણ સાધનસામગ્રીની રાહ જોયા વિના કવિતાને સીધી આંગળીઓથી જ ઊંચકી લેવાની છે અને કરડી જ ખાવાની છે. સ્વાદ પામવો હોય તો એમાં સીધા દાંત જ બેસાડવા પડશે, ને આમ કરતાં જે રસ કદાચ તમારી હડપચી પરથી દડીને નીચે ઊતરે છે, એને પણ જતો નથી કરવાનો, તરત જ ચાટી લેવાનો છે. અહીં ‘કદાચ’ શબ્દ પણ ધ્યાન માંગી લે છે. પૂર્ણ જંગલિયત સાથે જ્યારે તમે કવિતાના ફળને કરડી ખાવ છો ત્યારે રસ ભાગ્યે જ છટકી શકશે. એ સંપૂર્ણતઃ તમારા મોંમાં આવશે. પણ ન કરે નારાયણ ને રસ છટકે અને દાઢીથી નીચે ઊતરે તો લગરિક શરમાયા-ખંચકાયા વિના એને પણ ચાટી જ લેવાનો છે. એક બુંદ પણ છટકવા દેવાનું નથી. કવિતા ‘ખાવી’ હોય તો આ સૂચનાનું પાલન કર્યા વિના છૂટકો નથી. માર્ક સ્ટ્રાન્ડ નામના કવિ ‘ઇટિંગ પોએટ્રી’માં લખે છે: ‘શાહી મારા મોઢાના ખૂણાઓથી દડે છે./મારા જેવી ખુશી બીજે ક્યાંય નથી./હું કવિતા ખાઈ રહ્યો છું.’

બીજા તમામ ફળ પાકે અને ખાવા માટે તૈયાર થાય એ માટે તમારે રાહ જોવાની હોય છે પણ કવિતાનું આ ફળ એવું છે, જે તમે જે ઘડીએ તૈયાર અને પરિપક્વ હો એ ઘડીએ જ એ પણ તૈયાર અને પાકી ગયેલું હશે. કવિતાનું આ ફળ તમારી તૈયારી મુજબ પાકે છે. છરી અથવા કાંટા અથવા ચમચી અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથ – તમારે કશાની જરૂર પડવાની નથી. તમારી અને કવિતાની વચ્ચે કોઈપણ સાધન આણવાની જરૂર નથી. કવિતા સાધ્ય છે ને તમે પોતે જ સાધન છો. કોઈપણ બાહ્ય ઉપકરણ કવિતાનો સ્વાદ માણવા માટે ઉપકારક નહીં નીવડે. એકમાત્ર સાધન જો કોઈ હોય તો તે તમે, અને માત્ર તમે જ છો. કવિતા ખાવા માટેના તમામ ઉપકરણો – શબ્દાર્થ, વિવેચન, આસ્વાદ બધું જ અર્થહીન છે. આર્કિબાલ્ડ મેકલેઇશે કહ્યું હતું કે ‘કવિતાનો અર્થ જરૂરી નથી, પણ (કવિતા) હોવી જોઈએ.’ ઇલિયટે પણ કહ્યું હતું કે ‘વિશુદ્ધ કવિતા સમજાય એ પહેલાં જ પ્રત્યાયન કરી શકે છે.’ આમ, કવિતા મૂળે અનુભૂતિનો પદાર્થ છે. અર્થ ન પણ સમજાય તો પણ કવિતા ભાવકના મનમાં સ્પંદન સર્જી શકે છે. આ સ્પંદનો જ કવિતાનો મૂળ અર્થ અને હેતુ હોઈ શકે.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

ઘણા ચિત્રો આપણે કલાકો મથીએ પણ સમજી શકાતા નથી. આપણને એ વાહિયાત લાગે છે. પણ આ ચિત્રો જોતી વખતે આપણી ભીતર જે વિચારવમળ જન્મે છે, જે અરાજકતા અનુભવાય છે એ જ એનો સાચો અર્થ છે. કોઈ જ્ઞાની માણસ આવે અને ચિત્ર કે કવિતાના મહીન પહલૂઓ તરફ આપણું ધ્યાન દોરે ત્યારે આપણી અનુભૂતિનો ગુણાકાર થાય છે. એ વિશેષ મજા છે પણ નાસમજીમાં અનુભવેલ રોમાંચ પણ એટલો જ સાચો છે. મેરિઅમના એક સંગ્રહનું નામ જ ‘આઉટ લાઉડ’ છે. આ બે શબ્દોમાં જ મેરિઅમની કવિતાની આખી ફિલસૂફી છતી થાય છે. કવિતા મનમાં વાંચવાની વસ્તુ છે જ નહીં. મોટેથી વાંચો. ફરી-ફરીને વાંચો. મોટેથી વાંચ્યા વિના અને એ રીતે સાંભળ્યા વિના કવિતાના પ્રેમમાં પડવું શક્ય જ નથી એમ તેઓ માનતાં. કવિતાનું સંગીત આત્માને સ્પર્શવું શરૂ થાય એ પછી જ સાચી કવિતા સમજાવી શરૂ થાય છે. મેરિઅમ કહેતાં: ‘કંઈ પણ કરો, પણ કવિતા વાંચવાના કારણો શોધી કાઢો. એને ખાવ, એને પીઓ, એનો આસ્વાદ લો, અને એને વહેંચો.’

કવિતા ખાવા માટે કોઈ પણ ઉપકરણની જરૂર નથી કારણ કે આ એવું ફળ છે જેમાં કાપીને કાઢવો પડે એવો સફરજન જેવો કોઈ ગર્ભ નથી, લીચી કે બેરી જેવી કોઈ દાંડી નથી, કેળાં, સંતરાં કે અનેનાસ જેવી કોઈ છાલ નથી, ચીકુ, બોર કે જાંબુ જેવા કોઈ ઠળિયાં નથી, સફરજન કે તડબૂચ જેવાં કોઈ બિયાં નથી, અને સંતરા-મોસંબીની જેમ બહારની છાલ કાઢ્યા પછી ચીરીઓ ઉપરની કોઈ ત્વચા નથી, જેને તમારે કાઢી ફેંકવાનું હોય. આ એવું ફળ છે, જેનો કોઈ જ ભાગ તમારે જતો કરવાનો છે જ નહીં. આખેઆખા ફળનો આકંઠ આસ્વાદ લેવાનો છે. તમારી અને આ ફળની વચ્ચે બીજું કશુંય આવવું ન જોઈએ. તમારે બસ, તૂટી પડવાનું છે.

બાળકો માટે લખાયેલી આ કવિતા સહુને સમાન અંશે સ્પર્શે છે. જમવા માટેના તમામ શિષ્ટાચારને સંપૂર્ણતયા તિલાંજલી આપીને જ કવિતાની વાનગી હાથમાં લેવાની છે. કવિતાનો દેખીતો સૂર રમૂજનો છે, હળવાશનો છે પણ વાત મુદ્દાની છે, પાયાની છે. કવયિત્રીનો હેતુ પૂર્ણપણે ગંભીર છે. ચાવીરૂપ સંદેશો એ ભરપૂર આવેશ અને ઊર્જા સાથે આપણા સુધી પહોંચાડે છે: કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

અને કવિતા ‘ખાતાં’ શીખી લીધા પછી ચાલો, એમની જ એક કવિતા ‘’ધ એસ્કેઇપ’ એમણે જે રીતે સલાહ આપી છે, એ રીતે જ ખાઈએ:

અચાનક સબવેમાં
ન્યુઝસ્ટેન્ડ પરથી છાપું ખરીદવાનો સમય રહ્યો નહોતો,
અને પસાર થતી ટ્રેનો પરની બધી જાહેરાતો
(ઇનોના જોડકણાં વાળી સુદ્ધાં) વાંચી લીધા બાદ,
હું મારા અમર આત્મા સાથે રૂબરૂ થઈ ગયો,
અને મારે ઉતરવાનું બીજા ત્રણ સ્ટેશનો પછી આવવાનું હોવાથી
હું ચિંતામાં પડ્યો,
જ્યાં સુધી મેં એક છોકરાને અલગ-અલગ ટ્રેનોમાં ફરીને
કબજિયાત અને ઈલાજ પરના ફરફરિયાં વહેંચતો નહીં જોયો:
એમના પર બંને બાજુઓ પર છાપકામ હતું, અને નીચે ઝીણી પ્રિન્ટ પણ,
મતલબ હવે હકીકતમાં ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું, કંઈ જ નહીં.

ગ્લૉબલ કવિતા: ૧૩૩ : અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

મોહન વિરુદ્ધ મોહનદાસ – એક અભૂતપૂર્વ સામ્ય

કાલ અને આજ. પુરાણ અને ઇતિહાસ. કથ્ય અને તથ્ય. આ બે અંતિમોની વચ્ચે સમયનો મસમોટો અંતરાલ ખાઈની જેમ પથરાયેલો છે. આ બે એવા છેડા છે, જે ક્યાંય કદીય ભેગા થઈ જ ન શકે. પણ કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. કવિતા દિવસ અને રાતને એકસાથે તાદૃશ કરાવી શકે છે. કવિતા તમારી એક હથેળીમાં સૂરજ અને બીજીમાં ચાંદ મૂકવાની ક્ષમતાનું બીજું નામ છે. આગળ વધીને કહીએ તો કવિતા, તમારી એક જ હથેળીમાં ચાંદ-સૂરજને એકમેકની અડોઅડ પણ ગોઠવી આપી શકે છે. સમયની ભલભલી ખાઈ કવિના એક શબ્દથી જ ભરાઈ જતી હોય છે. સમયના બે અંતિમો વચ્ચે અશક્યવત્ સેતુ બાંધવાનું કામ માત્ર કવિતા જ કરી શકે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર આપણી સમક્ષ રજૂ કરે છે.

ઉમાશંકર જોશી. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જેઠાલાલ કમળજી જોશી. માતા ‘ગાણાંનું ઝાડ’ ગણાતાં નર્મદા ઉર્ફે નવલબા. સાત ભાઈ-બે બહેનોમાંના એક. ૧૯૧૬માં યજ્ઞોપવિત સંસ્કાર. લગ્ન ૨૫-૦૫-૧૯૩૭ના રોજ જ્યોત્સ્નાબેન સાથે. બે પુત્રીઓ-નંદિની અને સ્વાતિ. શાળા શિક્ષણ બામણા, ઈડર અને અમદાવાદની શાળાઓમાં. પન્નાલાલ પટેલ એક સમયના સહાધ્યાયી. ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય. ૧૯ની વયે પ્રથમ સંગ્રહ -ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ ૧૯૩૦થી ૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વાર જેલવાસ. ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી. મુંબઈમાં એમ.એ.. સાથોસાથ શિક્ષણકાર્યમાં. ૧૯૩૯થી અમદાવાદમાં સ્થાયી. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં કલકત્તાની વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧)ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮)ના પ્રમુખ. વિવિધ યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ડી.લિટ્.ની પદવીથી વિભૂષિત. નાનાવિધ પુરસ્કારો અને સન્માનોથી અભિષિક્ત. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ‘સંસ્કૃતિ’ સામયિક તથા ‘ગંગોત્રી’ ટ્રસ્ટના સ્થાપક. પુષ્કળ વિદેશપ્રવાસો. દેશવિદેશમાં સાહિત્યકારની રુએ અસંખ્ય સેમિનારોમાં વ્યાખ્યાનો. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ફેફસાંના કેન્સરના કારણે નિધન.

કવિતા, નાટક, પદ્યનાટક, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ- સાહિત્યના જે આયામને એમની અધિકારી લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે. ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામ. ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત. સુરેશ દલાલે કહ્યું છે: ‘ઉમાશંકર ગુજરાતી છે એ કેવળ અકસ્માત છે. સ્વભાવે તેઓ વિશ્વનાગરિક છે.’ તેઓ સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે. પ્રથમ સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ની પ્રથમ પંક્તિ ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી પંક્તિ ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાનાથી પણ. પરિણામે દરેક કવિતામાં નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને અમૃતનો ઓડકાર ખાય છે. એ કાળાતીત છે. એમના સમયકાળ દરમિયાન એમનો સૂર્ય સદૈવ મધ્યાહ્ને જ તપ્યો હતો. જેમ લતા મંગેશકરની અતિવિરાટ પ્રતિમા તળે ઘણી આશાસ્પદ ગાયિકાઓ દબાઈ ગઈ એમ ઉ.જોની ઓજસ્વી આભાના કારણે ઘણાં કવિદીવડાંઓ યોગ્ય પ્રકાશી શક્યાં ન હોવાનું મનાય છે. જે હોય તે પણ ઉમાશંકર ગુજરાતી કવિતાનું એવરેસ્ટ છે એ વાતમાં મીનમેખ નથી.

સુરેશ દલાલે આ કવિતાને સૉનેટ કહીને ઓળખાવી છે, પણ હકીકતમાં આ કવિતા બે અષ્ટક-યુગ્મથી બનેલ સોળ પંક્તિનું ઊર્મિકાવ્ય છે. ઉમાશંકર કાવ્યસ્વરૂપની બાબતમાં એટલા જાગરુક અને સતર્ક હતા કે એ સોળ પંક્તિ વાપરવાની ભૂલ કરે જ નહીં. વળી, કવિના સૉનેટમાં પ્રાસનો અભાવ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે પ્રસ્તુત રચનામાં કવિએ પ્રાસ તરફ નજર જ નાંખી નથી. કવિતાને ‘કાનની કળા’ કહેતા આ સમર્થ કવિએ સૉનેટમાં ઓછા પ્રયોજાતા અનુષ્ટુપ છંદને અહીં કામમાં લીધો છે. પ્રસ્તુત કવિતામાં કૃષ્ણની વાત છે, અને ગીતાના શ્લોક બહુધા આ છંદમાં છે, એ કારણ આ પાછળ નહીં હોય એમ માનવાનું કોઈ કારણ નથી. કવિતાનું સપ્રશ્નાર્થ શીર્ષક ‘-અંત એ કલિચક્રનો?’ ભાવકને ઘડીભર અટકવા મજબૂર કરે છે. કલિયુગ શબ્દથી આપણે જેટલાં ટેવાયેલાં છીએ, એટલો જ કલિચક્ર શબ્દ અજાણ્યો લાગે છે. પણ ઘડીભર અટકાવી દઈને આ નૂતન શબ્દપ્રયોગ અને પ્રશ્નાર્થ આપણને તુર્ત જ કાવ્યમાં પરોવી દે છે, સફળતાપૂર્વક! કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી દીધી છે. એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. બંને ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી છે. અન્યત્ર પણ ગાંધીજીને એમણે ઈશ્વર સમકક્ષ બતાવ્યા છે. ‘જાન્યુઆરી ૩૦’માં ગોળી વાગ્યા બાદ ગાંધીજીના હૃદયમાંથી ટપકતું રક્તનું ટપકું એમને ‘વિશ્વ જેવડું વિશાળ/પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું’ દેખાયું છે. ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને!

અહીં, બંને અષ્ટકમાં બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરે પ્રયોજીને કવિ જે હકીકતો આપણને ખબર જ છે, એમાંથી કાવ્ય જન્માવે છે. ખરી કળા જ આ છે ને! કવિતાને તેઓ ‘આત્માની માતૃભાષા’ ગણતા. કહેતા, ‘એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ આ કવિતા વાંચીએ ત્યારે સહજ સમજાય છે, કે કવિ શબ્દો પાસે નહીં, પણ શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે. શબ્દો વિશે એમણે જે કહ્યું હતું એ દરેક કવિએ ધ્યાનથી સમજવા જેવું છે: ‘… પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’ સાચો કવિ કદી શબ્દથી છૂટો પડતો નથી. ઉમાશંકર એનું એક બેનમૂન દૃષ્ટાંત છે. સત્તર-અઢાર વર્ષની વયે લખેલી કવિતાઓ મોટાભાગના કવિઓ માટે માત્ર ‘નેટ-પ્રેક્ટિસ’ હોય છે, પણ ઉમાશંકરે સત્તર વર્ષની વયે પહેલી કવિતા ‘નખીસરોવર ઉપર શરત્ પૂર્ણિમા’ લખી. મંદાક્રાન્તામાં રચેલ આ સૉનેટ ન માત્ર સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે, પણ એની આખરી પંક્તિ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ તો અમર થઈ ગઈ છે. તેઓ બી.એ. (અર્થશાસ્ત્ર) કરતા હતા ત્યારે બી.એ. (ગુજરાતી)માં તેઓનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે હતો. કવિએ પોતે પોતાનો જ સંગ્રહ ભણવાનો આવ્યો એવી માન્યતા ખૂબ પ્રચલિત થઈ હતી, જેને ખુદ કવિના નકારવા છતાં લોકો ત્યજવા તૈયાર નહોતા. એ જ રીતે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એમની સામે મોરચો લઈ આવ્યા હતા. નાયક સૂત્રોચ્ચાર કરતો હતો: ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ અને આખું મંડળ એકઅવાજે બોલતું હતું: ‘જાગશે !’ એમની જ પંક્તિ એમની જ સામેનું હથિયાર બની હતી. આવી વાતોથી કવિના સાચકલા કૌવતનો સાક્ષાત્કાર થાય છે.

અહીં પ્રથમ અષ્ટકમાં કવિ મોહનની વાત કરે છે. આમાં કશું નવું નથી. ભાગવતમાં આ બધું પી-પીને જ આપણે મોટાં થયાં છીએ. કૃષ્ણ યમુના તટે જન્મ્યા, ત્યાં જ રમ્યા, અસુરોનો વધ કર્યો. ગોકુળમાં અસુરોનો ઉત્પાત બહુ વધી જતાં સહુએ વૃંદાવન સ્થળાંતર કરવું પડ્યું અને મહાભારતના યુદ્ધ બાદ યાદવો દ્વારકા સ્થાયી થયા. આનો ઉલ્લેખ કરતા કવિ કહે છે કે સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને કૃષ્ણએ પરદેશમાં સ્થાપિત કર્યા. મહાભારતના યુદ્ધમાં પોતે નિઃશસ્ત્ર રહ્યા પણ પાંડવોને વિજયી બનાવી હસ્તિનાપુરમાં ધર્મની સ્થાપના કરી, ધર્મરાજ યુધિષ્ઠીરને લોકકલ્યાણના સૂત્રો અને જવાબદારી સોંપી પોતે પ્રભાસપાટણ જઈ વસ્યા. ત્યાં પારધીનું બાણ ઝીલીને ધર્મનું રક્ષણ કરનાર ધર્મગોપ્તા નરોત્તમ સૌરાષ્ટ્રમાં સિંધુતીરે શમ્યા. કૃષ્ણનો અંત એ દ્વાપરયુગનો અંત અને કલિયુગનો આરંભ હતો. આટલી વાત સાથે કવિ પ્રથમ અષ્ટકનું સમાપન કરે છે.

બીજા અષ્ટકમાં કવિનું ફૉકસ મોહન પરથી મોહનદાસ તરફ ફરે છે. ઉમાશંકર ગાંધીયુગના શિરમોર કવિઓમાંના એક હતા. એમની રચનાઓમાં અને રચનાઓ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો બળવત્તર નજરે પડે છે. ગાંધીજીએ બંગાળીમાં ‘આમાર જીબન-ઇ આમાર બાની’ સંદેશો આપ્યો હતો એના પરથી કવિએ ‘મારું જીવન તે મારી વાણી’થી શરૂ થઈ ‘મારું જીવન એ જ સંદેશ’ પર પૂર્ણ થતી અમર કવિતા લખી હતી. ગાંધીવિચારનો પ્રભાવ એમની કવિતામાં પૂરની માફક ઊમટીને વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’, તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને ‘વિશ્વગુર્જરી’ બનવાનો સંકેત આપતો પ્રશ્ન કરે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ કવિની મંશા જ એ હતી કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.’

કૃષ્ણ સાથે ગાંધીજીના તાર કવિએ કેવા મેળવ્યા છે એ જોવા જેવું છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો. ગાંધીજીનો જન્મ ત્યાં થયો. કૃષ્ણનો જન્મ યમુનાતટે થયો, ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ પણ દુષ્ટતા અને દુશ્ચરિતતાઓનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી –બંનેએ સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. મિ. ગાંધીએ વતનથી દૂર દક્ષિણ આફ્રિકામાં હડધૂત થતા ભારતીયો માટે લાંબી લડત ચલાવીને ત્યાંની સરકારને નમવાની ફરજ પાડી અને દેશાગત ભારતીયોને એમનું લુપ્ત થયેલું ગૌરવ પાછું અપાવ્યું. જે રીતે શ્રીકૃષ્ણે સ્વયં મહા’ભારત’ના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી હતી, એ જ રીતે મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકાથી પરત સ્વદેશ આવીને પોતે નિઃશસ્ત્ર રહીને ભારતમાં અંગ્રેજો સામે યુદ્ધ જગાવ્યું. વિશ્વમાં આજદિનપર્યંત કોઈએ ન જોયેલા, ન જાણેલા સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રના જોરે એમણે વિદેશીઓ સામેની લડત પાર પાડી. શ્રીકૃષ્ણ સુદર્શનધારી હતા, તો મહાત્મા સુ-દર્શનધારી હતા. શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા -ડેશ- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સાબૂત સક્ષમ કવિકર્મની સાહેદી પૂરે છે. ગાંધીજી તો અકિંચન અર્ધનગ્ન ફકીર હતા. શરીરે હાથે વણેલી ખાદીની એક પોતડી, કેડે ઘડિયાળ, નાક પર ચશ્માં, હાથમાં લાકડી અને પગમાં પાવડી એ એમની એકમાત્ર સંપત્તિ હતાં. પણ એમની પાસે સુ-દર્શન હતું. તેઓ ભારતના ધૂંધળા વર્તમાનની આરપાર આઝાદ ભવિષ્યને જોઈ શક્યા હતા. અસ્પૃશ્યોની અવદશા એમના સુ-દર્શન વિના કદી સુધરી શકી ન હોત. ભારતને આઝાદી ન અપાવી હોત અને માત્ર હરિજનોને સવર્ણોની સમકક્ષ સ્થાપવાની લડત જ ચલાવી હોત તો પણ એમને મહામાનવ તરીકે જ યાદ રાખવા પડ્યા હોત. કૃષ્ણનું સુદર્શન મૃત્યુ વર્ષાવનાર હતું, ગાંધીજીનું સુ-દર્શનચક્ર તો સ્મિતની ધનશ્રી વર્ષાવનારું હતું. એમના બાળસહજ સ્મિત અને આત્માની શુદ્ધતાના જોરે તો એમણે ભારતવર્ષની કરોડોની જનમેદનીને વશીભૂત કરી હતી.

કૃષ્ણે હસ્તિનાપુરમાં ધર્મરાજને સ્થાપ્યા હતા, ગાંધીજીએ હસ્તિનાપુર યાને દિલ્હીમાં ખુદ ધર્મને જ સ્થાપ્યો હતો. કૃષ્ણની જેમ જ ગાંધીજીએ પણ યુદ્ધવિજયના ફળો ચાખવાનો મોહ રાખ્યો નહોતો. કૃષ્ણ બધા સ્વજનો અને બધા માન-અકરામોનો ત્યાગ કરીને ગુજરાતમાં દ્વારકા આવી વસ્યા હતા, તો ગાંધીજી પણ આઝાદ ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપ્રમુખ બની શક્યા હોત પણ એવો કોઈપણ મોહ રાખવાના બદલે, કોઈપણ જાતના માન-મરતબા ભોગવવાના બદલે એમણે રાજકારણનો ત્યાગ કરી દેશમાં પ્રવર્તતી સામાજીક સમસ્યાઓ અને દૂષણો નિવારવા માટે જાત હોમી દીધી હતી. ગાંધીજીના આ કામ નિમિત્તે કવિ ગાંધીજીને ‘ધર્મસંસ્થાપના-મચ્યા’ કહે છે ત્યારે પહેલા અષ્ટકમાં આ શબ્દનો ઉલ્લેખ ન કરાયો હોવા છતાં આપણા કાનોમાં ભાગવત્ ગીતામાં શ્રી કૃષ્ણે આપેલ વચન ગુંજવા માંડે છે:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ (અધ્યાય ૪, શ્લોક ૮)

બે મહામાનવો વચ્ચેનું સામ્યનિર્દેશન એ કવિનો આ કાવ્ય પાછળનો મૂળ હેતુ છે. કૃષ્ણને તો દુનિયા ભગવાન ગણતી આવી છે અને ગણતી આવવાની છે પણ કવિને ખ્યાલ હતો કે ગાંધીજી પર કીચડ ઉછાળનારાઓની દુનિયામાં કમી પડનાર નથી. ગાંધીજીના અવસાનના અઢી મહિના બાદ ૧૨-૦૪-૧૯૪૮ના રોજ કવિએ આ રચના કરી હતી. ગાંધીજીની હત્યા પોતે એ વાતનો પુરાવો હતો કે આઝાદી મળ્યાને છ મહિનાય નહોતા વીત્યા એવામાં પણ ગાંધીવિચારનો વિરોધ એમનો જીવ સુદ્ધાં લઈ શકે એટલો પ્રબળ હતો. કવિસંવિદમાં આ વાત નોંધાયા વિના નહીં જ રહી હોય. એટલે જ એમણે લખ્યું હશે ને કે, ‘ગાંધીજીના જીવ-ને જીવતાંને/મૂઆ કેડે મારતું જે ક્ષણે ક્ષણે/પડ્યું અમોમાં- સહુમાં કંઈક,/તેને હશે કે કદી મૃત્યુદંડ?’ ગાંધીજીને ખોટેખોટી અંજલિ આપતા નેતાઓ-લોકોને જોઈને ૧૯૬૦માં એમણે લખ્યું હતું: ‘માર્ગમાં કંટક પડ્યા,/સૌને નડ્યા;/બાજુ મૂક્યા ઊંચકી,/તે દી નકી/જન્મ ગાંધી બાપુનો,/સત્યના અમોઘ મોંઘ જાદુનો.’ કદાચ પ્રસ્તુત રચના ગાંધીવિચાર સામે ઊઠી રહેલી આંધીના વિરોધભાવે પણ જન્મી હોય. યુગપુરુષને યુગસ્રષ્ટાની અડખેપડખે મૂકીને બંને વચ્ચેની સમાનતા ઉજાગર કરીને ગાંધીધારાનો વિરોધ કરનારાઓને દીવાબત્તી ધરવાની કવિફરજની સભાનતા આ કવિતાના મૂળમાં હોય તો નવાઈ નહીં. ગાંધીમૂલ્યોના હાસ સાચો ગાંધીયુગીન કવિ ન જ જીરવી શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ ગાંધી વિશે સાચું જ કહ્યું હતું: ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આના જેવો કોઈક રક્ત-માંસનો બનેલો, આ પૃથ્વી પર કદીપણ આવ્યો હશે.’

કૃષ્ણનું નિધન પારધીના તીરથી થયું, ગાંધીજીનું ગોડસેની ગોળીથી. જ્યાં કૃષ્ણનો ઉદય થયો ત્યાં જ ગાંધીનો અસ્ત થયો એમ કહી કવિ સમાનતાચક્ર પૂર્ણ કરે છે. આ ઉત્તમોત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ તો શબ્દે-શબ્દે જોવા મળ્યો પણ કવિતા? ‘શબ્દ છે! છે છદ પણ! ક્યાં છે તો કવિતા?’ પણ, આખરી પંક્તિમાં એક લસરકે કવિ કવિતા સિદ્ધ કરી બતાવે છે. કવિ સવાલ ઊભો કરે છે કે જેમ વિશ્વપિતાના અંત સાથે દ્વાપરયુગનો અંત આવી કલિયુગ શરૂ થયો હતો, એ જ રીતે રાષ્ટ્રપિતાના અવસાન સાથે કલિયુગનો અંત આવશે કે નહીં? કલિયુગના સ્થાને કવિ હવે કલિચક્ર શબ્દ વાપરે છે. યુગ તો કોઈ પણ હોય, એનો આરંભ કે અંત હોવાનો જ. પણ ચક્રનો કોઈ અંત ખરો? એ તો બસ, ફર્યે રાખે, ફર્યે રાખે, ફર્યે રાખે… સરખામણીના આશય છતાં કવિમે વિદિત છે કે ભગવાન અને મનુષ્યની સરખામણી અશક્ય છે. ભગવાન જ આરંભ-અંત સર્જી શકે, કાળા માથાનો મનુષ્ય નહીં. માટે જ કલિ‘યુગ’ અને કલિ‘ચક્ર’ –માત્ર અડધા શબ્દફેરથી કવિ સમાનતામાં રહેલી અસમાનતા અને નિબંધમાં રહેલી ઉચ્ચ કવિતા પ્રશસ્ત કરી બતાવે છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૨ : માન – મલિસા સ્ટડાર્ડ

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

– Melissa Studdard

માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદાંમાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું तमसो मा ज्योतिर्गमय…

ઈશ્વર પોતે પુરુષ હતો એટલે સર્જનકાળે કદાચ પક્ષપાત કરવાનું ચૂક્યો નહીં. પુરુષને એણે બળ આપ્યું ને સ્ત્રીને સહનશક્તિ. સ્ત્રીને સૌંદર્ય ને પુરુષને નિતાંત લોલુપતા. પુરુષ મગજજીવી તો સ્ત્રી હૃદયજીવી. સર્જન કરવાની શક્તિ સ્ત્રીને આપી પણ બીજ માટે પુરુષ પર અવલંબિતા રાખી. ટૂંકમાં ઈશ્વરે પુરુષનો હાથ ઉપર રાખ્યો અને બુદ્ધિ-બાવડાંના જોરે પુરુષ અનાદિકાળથી સ્ત્રીઓનું યેનકેન પ્રકારે શોષણ કરતો આવ્યો છે. વાણી-વિચાર-વર્તનથી પુરુષ સ્ત્રીને જેટલું શોષે છે, એના એકાદ ટકા જેટલી જ તક સ્ત્રીને માંડ મળતી હશે. એમાંય પૈસો કે પદ હોય, તો તો સ્ત્રીનું આવી જ બન્યું. અને જેની પાસે પદ-પૈસો નથી, એ તક ઝડપીને શારીરિક નબળાઈનો દુર્લાભ ઊઠાવીને સ્ત્રીને ભોગવવાનો પાશવી આનંદ પ્રાપ્ત કરી લે છે. ‘બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર’ એમ બાલમુકુંદ દવે કહી ગયા, પણ સ્ત્રી હકીકતમાં ઈશ્વરે સર્જેલો સહુથી મોટો ચમત્કાર છે. જ્યાં પુરુષનું વિચારવું ખતમ થઈ જાય છે, સ્ત્રી ત્યાંથી શરૂ કરી શકે છે. જ્યાં પુરુષની સહનશક્તિનું નાકું આવી જાય છે, ત્યાંથી તો સ્ત્રીની શરૂઆત થાય છે. સમય અને સંજોગોની થપાટો સ્ત્રી જેટલી સહજતાથી ખાઈ શકે શકે છે, એ પુરુષ ભાગ્યે જ કરી શકે. સર્જનહારે પણ ધાર્યું નહીં હોય કે પુરુષની શક્તિની સામે સ્ત્રીની સહનશક્તિ વધુ બળવત્તર સિદ્ધ થશે. દેવહૂમા પક્ષીની જેમ રાખમાંથી પુનર્જીવીત થવાની હામ ધરાવતી સ્ત્રીની વાત અમેરિકન કવયિત્રી મલિસા અત્રે લઈ આવ્યાં છે.

મલિસા સ્ટડાર્ડ. ૦૫-૦૮-૧૯૬૯ના રોજ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કલૂસા ખાતે જોન અને લોરી સ્ટડાર્ડના ઘરે જન્મ. ભૂરી મોટી બોલકી ચમકદાર આંખો, સોનેરી ઘેઘૂર વાળ, આલિંગન આપતું પહોળું સ્મિત, ઊંચી-પાતળી કાઠી અને મૂડ મુજબના વસ્ત્રપરિધાનના કારણે તાત્ક્ષણિક વશીભૂત કરતું ચુંબકીય વ્યક્તિત્વ. બાળપણથી ચર્ચ જવાના બદલે ઘરના પછવાડે બેસીને ઈશ્વર સાથે વાતચીત કરવાની આદત. બૌદ્ધધર્મમાં રસ. એક બુદ્ધ સાધુએ એમને કહ્યું હતું, ‘જ્યારે તમે તમારા મનની અંદર જ હળવા થવાનું શીખી લો છો, ત્યારે તમે કાયમી વેકેશન પામી લો છો, દિવસના ચોવીસે કલાક, અઠવાડિયાના સાતેય દિવસ.’ બબ્બે અનુસ્નાતક ડિગ્રીઓ. પહેલી માટેના અભ્યાસ દરમિયાન કાવ્યલેખનની શરૂઆત. કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન. ટૉક શૉ યોજે છે. ‘VIDA: વિમેન ઇન લિટરરી આર્ટ્સ’ સંસ્થાના સ્થાપ. આ સંસ્થા ‘વિડા: વૉઇસિસ એન્ડ વ્યૂઝ’ નામે સાહિત્ય-કળાના ક્ષેત્રો સાથે સંકળાયેલ સ્ત્રીઓના રચનાત્મક વિડીયો ઇન્ટર્વ્યૂ વડે સાહિત્ય તેમજ કળાઓમાં સ્ત્રીઓનો અવાજ બુલંદ કરી લિંગભેદ સામે આંગળી ચીંધે છે. ‘વિમેન’સ કૉકસ’ સંસ્થાના પ્રમુખ. કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કારથી સન્માનિત. સંગ્રહમાંના શીર્ષક-કાવ્ય પર શૉર્ટ ફિલ્મ બની છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં અધિકૃત પસંદગીની ફિલ્મ તરીકે રજૂ કરાઈ છે. દીકરી રોઝાલિન્ડ વિલિયમ્સન બે જ વર્ષની હતી ત્યારે છૂટાછેડા થયા. દસ વર્ષ એકલા હાથે દીકરી અને દુનિયાના બેવડા મોરચા સાચવવામાં કવિતા છૂટી ગઈ. તેઓ પોતાને ઊભયલિંગી (બાય-સેક્સ્યુઅલ) કહેવડાવવાના બદલે સર્વલિંગી (પેન-સેક્સ્યુઅલ’ કહે છે), જેને મનુષ્ય માત્રમાં રસ છે. હાલ તેઓ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે દીકરી સાથે રહે છે. અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં સેવા બજાવ્યા બાદ હાલ લોન સ્ટાર કોલેજ-ટોમ્બાલમાં પ્રાધ્યાપિકા. દેશભરમાં નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

એમની કવિતાઓમાંથી નારીવાદ તારસ્વરે ઊઠતો સંભળાય છે. ઈશ્વરને પણ સ્ત્રીસ્વરૂપે જુએ છે, પણ આ ઈશ્વર દેવની બાજુમાં બેઠેલી દેવી નથી, એ સ્વયં સર્વશક્તિમાન છે. મલિસા લખે છે: ‘તો ઈશ્વર ત્યાં સૂતાં છે, તેણીના પગ પહોળા ફેલાવીને, તેણીના લાલ મખમલી ચીરામાંથી આ ચિલ્લાતી દુનિયાને જન્મ આપતાં.’ ગ્રીક પુરાકથાના પાત્ર ફિલોમીલા -જેના પર બળાત્કાર કરીને સગા બનેવીએ પોતાનો ગુનો ખુલ્લો ન પડે એ માટે જીભ પણ કાપી નાંખી હતી- ની ઘાયલ જીભ (Philomela’s severed tongue)ને કેન્દ્રમાં રાખી નવો કાવ્યસંગ્રહ તૈયાર કરી રહ્યાં છે, જે સ્ત્રીશોષણના વેદનાસિક્ત આયામો રજૂ કરે છે. મલિસાની કવિતાઓમાં પગના મોજાં જેવી ક્ષુલ્લક વસ્તુ આકાશના તારાઓ સાથે, કપડાં ધોવાની ક્રિયા પ્રાર્થના સાથે તો પેનકેક બ્રહ્માંડ સાથે સંવાદિતતા સાધે છે. જોન ડનની આધિભૌતિક (metaphysical) કવિતાઓની પડખે ટટ્ટાર પીઠે બેસી શકે એવી એમની કવિતાઓ છે. રાજકીય ઉથલપાથલો એમની નજરમાંથી બચી શકતી નથી. ચિત્ર, નૃત્ય જેવી દૃશ્યકળાઓ તથા પુરાકથાઓ-પૌરાણિક પાત્રો પર આધારિત કવિતાઓ (ekphrastic poems) એમની આગવી ઓળખ છે. શબ્દોની મદદથી તેઓ જોયેલા ચિત્ર પરથી એક અલગ જ ચિત્ર બનાવે છે, જે મૂળ ચિત્રથી લગરિક ઊતરતું નથી. એમના માટે લખવું એ પોતે જે અનુભવે અને વિચારે છે એને કઈ રીતે વ્યક્ત કરવું એની રોજિંદી મથામણ છે. લખવું જ એમના માટે જાત-સંભાળ છે.

ઉત્તમ કવિતાઓની વાત થાય એટલે આપણી નજર ભૂતકાળ તરફ જ ડોકું ફેરવે. પણ આજે સર્વકાલીન ઉત્તમ ગણાતી કવિતાઓય ક્યારેક સમસામયિક જ હતી. આજે જેને સાંપ્રત ગણીને ઝાઝું માન આપવાથી આપણે દૂર રહીએ છીએ એ આજની કવિતાઓ શું આવતીકાલની પેઢી માટે સર્વકાલીન શ્રેષ્ઠ નહીં હોઈ શકે? મલિસાની આજની કવિતાઓ કદાચ આવતીકાલની ‘ક્લાસિકલ’ કવિતાઓ છે. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં બે’ક સંદર્ભો સમજીએ. કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે. ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે ગ્રીક પુરાકથાઓના કથાનાયક એટલસને પૃથ્વીના છેડા પર જઈને દૈવી સ્વર્ગોને અનંતકાળ સુધી પોતાના ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એણે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે… (આપણે ત્યાં શેષનાગ પૃથ્વીને પોતાની ફેણ ઉપર ઊપાડે છે એવી પુરાકથા છે.) બીજું, કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવો પડે છે. આ માટે પેઢુના જે સ્નાયુ આપણે વાપરીએ છીએ એ સેક્સની ક્રિયામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે. આ બૉલને યોનિમાં નાખી રાખવામાં આવે ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. આવા અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી ‘માન’ કવિતા તરફ વળીએ. શીર્ષક અપેક્ષા જન્માવે છે પણ કવિતા છેલ્લી પંક્તિ સુધી શીર્ષકનું ઔચિત્ય સમજવા દેતી નથી. જો કે અંત સુધી ભાવકને લઈ જવામાં કવયિત્રી મદદગાર થાય છે. એમણે કવિતામાં એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી. વાત કોઈ પણ આરોહ અવરોહ વિના સડસડાટ અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યકલેવરના પ્રાણરૂપ છંદનો પણ મલિસાએ ત્યાગ કર્યો છે. કુછંદની શિકાર યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય બચ્યો હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા પણ કદાચ નાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. કવિતા પોતે અને કવિતામાં દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-પીડતો જ રહે, અને નાયિકાની વ્યથા-કથામાં એ સહિયારી શકે.

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પહેલી નજરે તો આ વાત અનધિકૃત સેક્સ માટે સમાજ દ્વારા શોષિત થયેલી કોઈક નિર્ભયાની વાત છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. એની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. એની જીવન-ઉષ્મા કોઈક છિનવી ગયું છે. જીવન ટાઢું હિમ બની ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. બળાત્કારી કદી એ વિચારતો નથી કે એની બે પળની મજા કોઈક માટે જીવનભરની સજા બની રહેનાર છે. જબરદસ્તી કોઈકને ‘ઓવરપાવર’ કરતી વખતે કદાચ પુરુષને સર્વશક્તિમાન હોવાનો અહેસાસ થાય છે. મફતની વસ્તુ ચાખવાનો, ને ઇચ્છા વિરુદ્ધ કોઈકને ઝબ્બે કરવાનો પૌરુષી આસુરી નશો દુનિયાના કોઈપણ નશા કરતાં વધુ અસરદાર હોવો જોઈએ. કદાચ એટલે જ પરાપૂર્વથી પુરુષ સ્ત્રીમાત્રને માત્ર ભોજ્યભાવે જ જોતો આવ્યો છે. પુરુષ તો ચૂંથીને હાથ ખંખેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની અંદર જે આગ સળગે છે, એ આજીવન બુઝાતી નથી. એની બળતરા આખરી શ્વાસ લગીની છે. પોતે ન કરેલા અપરાધનો બોજ એણે જીવનભર વેંઢારવાનો છે. શરીર પર તો એક જ વાર બળાત્કાર થયો છે, પણ સંવેદના તો આજીવન બળાત્કારાતી રહે છે. પુરુષને તો વીર્યસ્ખલન કરવાની ચાનક ચડી હતી. પોતાનો હાથ વાપરીને આ કામ આસાનીથી કરી શકાયું હોત પણ જે પોતાનું છે જ નહીં, એની મરજી વિરુદ્ધ એના પર પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવાની બે ઘડીની મજા જતી કરે, સામા પાત્રને આજીવન થનાર તકલીફો વિશે એ વિચારે તો એ વળી પુરુષ કેવો? સ્ત્રી પર ચડી બેસવું, સ્ત્રીનો એક વસ્તુ ગણીને ઉપભોગ કરવો એ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે!

સ્ત્રી માટે તો દરેક રાત હવે એક યુદ્ધ છે. કોઈ નવું આવશે ફરી એના પર બળાત્કાર કરવા. કે ઘર ભાળી ગયેલ જમ પણ મનફાવે ત્યારે બોડી બામણીનું ખેતર ચરવા ફરી-ફરીને આવી શકે છે. આ ભયનું કાયમી અંધારું જ હવે એની કાયમી રાત છે. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. કોઈ હુમલો લઈને ચડી આવે તો પણ પોતા સુધી પહોંચી ન શકે એ માટે એ એક ખાઈ બનાવી રહી છે. આવનાર પુરુષ એના શરીરને તો કદાચ ફરીથી પામી શકશે પણ એના અહેસાસને પહેલીવારમાં જે રીતે ચકનાચૂર કરી ગયો, એ રીતે હવે બીજીવાર નહીં કરી શકે, કેમકે સ્ત્રી રોજ રાતે પોતાની સંવેદના અને પુરુષની પહોંચની વચ્ચે એક ખાઈ બનાવી રહી છે, જાળીબંધ દરવાજાઓ ઊભા કરી રહી છે. હવે બીજીવાર કોઈ આ શરીર પર ચડાઈ કરે તોય એના ભાગે અચેતન શરીર જ આવશે, અંદરની સ્ત્રીને પીડિતા રોજેરોજ વધુને વધુ સુરક્ષિત બનાવી રહી છે. એ હવે કોઈનીય પહોંચબહાર જઈ પહોંચી છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે. પુરુષ તો ઘોડેસવારી કરીને ચાલ્યો ગયો. સ્ત્રી પોતાનું સમતુલન ખોઈ ચૂકી છે. એને પોતાના જીવતરની લગામ હાથમાંથી જતી રહેલી લાગે છે. અને નિરંકુશ અશ્વોને પહાડની ટોચે અટકી જવાનો ખ્યાલ પણ ક્યાંથી રહે? કોઈકના પાપે પતનની ખીણમાં સતત ગબડવાની સજાથી વધુ પરાધીનતા અને નિર્બળતાની લાગણી બીજી કઈ હોઈ શકે? પણ કવિતા અહીં વળાંક લે છે

આ સ્ત્રી છે. એ તાકાત છે. એનું શરીર કદાચ ઘડનારે કમજોર બનાવ્યું હશે પણ એનું ભીતર દુનિયાના કોઈપણ મર્દ કરતાં વધુ બળકટ છે. એના શરીરને જીતવું આસાન છે, પણ એના અહેસાસને જીતવો અશક્ય. એની કાયાને પરાજીત કરવી સરળ હશે પણ એના માનસને તમે એની મરજી વિના અડી પણ નહીં શકો. આ નિર્લગામ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈ તો રહ્યા છે પણ ખતમ થઈ જતા નથી. તળિયે અફડાઈને ચૂરચૂર થઈ જવાના બદલે તેઓ એ પહેલાં જ ફૂદાંમાં પરિવર્તન પામે છે. ફૂદાં વિકાસ પામશે અને રંગબેરંગી પતંગિયાંમાં પરિણમશે. કોઈકે ભલે બેરંગ બનાવવા ધારી હોય, પણ આ જિંદગી ફરી એકવાર અનેકાનેક રંગો જન્માવી મુક્ત ગગનમાં સંચરવાની ફિનિક્સી ક્ષમતા ધરાવે છે. તળિયે પછડાઈને નષ્ટ થવા પૂર્વે જ પોતાની મરજીથી ઊડી શકનાર ફૂદાંમાં થતું આ પરિવર્તન એ નારીની પોતાની જન્મજાત અસીમ આંતર્શક્તિમાંના અખૂટ વિશ્વાસ અને એણે ભોગવેલી તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसो मा ज्योतिर्गमय |

પેલા ઘોડાઓની ખરીઓ એના જીવતરના આકાશ પર મધરાત્રિના લિસોટાઓ છોડી જાય છે. રૂપક ધ્યાન આપવા જેવું છે. આ ઘટના એના જીવનને મધરાત્રિ નથી બનાવી દેતી, પણ જે રીતે ઘોડાની ખરી જમીન પર એમ આ ઘટના એના જીવતરના આકાશ પર મધરાત્રિના કાળા લિસોટા છોડી જાય છે. અર્થાત્, દિવસ હોય કે રાત, એના આકાશમાં આ કાળા લિસોટા કાયમ માટે નજરે ચડનાર છે. કોઈ સૂર્યનો પ્રકાશ આ લિસોટાને ગોપવી શકવા સમર્થ બનનાર નથી. નાનાં બાળકો પાસે સોફ્ટ ટોય્ઝનો એક આખો પરિવાર હોય છે. ટેડી બેર કે રેબિટ જેવા આ પોચાં રમકડાંઓ ભૂલકાંઓના પરમ મિત્ર હોય છે, જેમની સાથે તેઓ પોતાના અંગતતમ રહસ્યો ‘શેર’ કરતાં હોય છે. આ રમકડાં કદી કોઈને ચુગલી કરવા જતાં નથી. આપણે ત્યાં તો બળાત્કારના મોટા ભાગના કિસ્સા લોકડર ને લોકલાજે બહાર જ આવતા નથી. ભૂલ કોઈકે કરી છે, પણ આપણો સમાજ સજા ભોગ બનનારને જ કરતો આવ્યો છે. બળાત્કાર પામેલી સ્ત્રીએ મોઢું છૂપાવીને જીવવું પડે એ આપણી મહાન ભારતીય સંસ્કૃતિની અદભુત મહાનતાનું સુવર્ણપૃષ્ઠ છે! સમાજ આ સ્ત્રીને એ રીતે જુએ છે, જાણે અરેરે! આપણે બાકી રહી ગયા!!! વિદેશોમાં પરિસ્થિતિ આટલી ખરાબ નથી. ત્યાં સ્ત્રીઓ આગળ આવીને વાત કરી શકે છે. પણ એ છતાં હકીકત છે કે પાશ્ચાત્ય દેશોમાંય આજની તારીખે પણ ઘણી બધી સ્ત્રીઓ પોતાના જાતીય શોષણની વાત પોતાના સુધી જ સીમિત રાખીને જીવતી રહે છે. મોટાભાગના અપરાધ છતા થતા જ નથી. #MeToo આંદોલન સ્ત્રીઓ પોતાના પર થયેલા અત્યાચારોની વાત કરવા આગળ આવી એ બતાવે છે એના કરતાં વધુ તો એ વાતની સાબિતી આપે છે કે અત્યાચારો થયા હોવા છતાં કેટલી બધી સ્ત્રીઓ અત્યાર સુધી ચુપચાપ જીવ્યે જતી હતી! નાયિકા પણ પોતાના પર થયેલા અત્યાચારોની વાત પોતાના હાથ અટકાવનાર સમાજને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝને એ કરે છે. મતલબ એ પોતાના ઘા પોતાના પૂરતા સીમિત રાખે છે.

પણ એ મરી પરવારી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કોઈને કશું કહ્યા વિના. ચુપચાપ. અધિકૃતતાથી. ચઢિયાતાપણાંથી. પૃથ્વીને પોતાના ખભા પર ઊંચકવા માટે એક પુરુષે-એટલસે- કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો! દુનિયા સદીઓથી એટલસની આ ક્ષમતાને માનભરી નજરે જોતી આવી છે. એટલસ પુરુષપ્રધાન સમાજનો ગૌરવાન્વિત નાયક છે. એના નામ પરથી ટાપુ (એટલાન્ટિસ) –સમુદ્ર (એટલાન્ટિક)ના નામકરણ કરવામાં આવ્યાં છે. પણ નાયિકા એટલસના આ તમામ ‘પુરુષાર્થ’ને વિસ્મિતભાવે જુએ છે. જે સહજતાથી-સરળતાથી એ પોતાની દુનિયાને વેંઢારી રહી છે એની સામે એટલસની આ મહાગાથા સાવ વામણી ભાસે છે. દૃશ્યને વેંઢારવું કદાચ આસાન છે, પણ અદૃશ્યને વેંઢારવું વધુ ક્ષમતા, વધુ સમર્પણ, વધુ પ્રતિબદ્ધતા માંગી લે છે. સ્ત્રી આ દુનિયાને પુરુષ કરતાં વધુ સહજતાથી-સરળતાથી લઈ શકે છે. છેક અહીં આવીને કવિતાનું શીર્ષક આપણને સમજાય છે. કવયિત્રી નાયિકાની પીડા ઊંચકવાની ક્ષમતા સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને, નાયિકાની ક્ષમતાનું મહિમાગાન કરીને, સ્ત્રીને- યૌનપીડિતાને સર્વોચ્ચ ‘માન’ આપે છે.

ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

ગ્લૉબલ કવિતા : ૧૩૧ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૨

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’નો આપણે ગતાંકમાં પરિચય મેળવ્યો. હવે આગળ… )

સૈરન્ધ્રી તો નિમિત્ત છે. એ તો દેખીતી વાર્તાનું દેખીતું સ્તર છે. એ બહાને કવિ પરકાયાપ્રવેશ કરીને સ્ત્રીઓના મનોજગતનો તાગ મેળવવા મથે છે અને એ મથામણ આપણા સહુ સુધી પહોંચાડે છે. કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદી યુગસ્ત્રી હતી. એના વિના મહાભારત શક્ય જ નહોતું. જો કે દ્રૌપદી કવિનો હેતુ નથી. એમને તો એના ભાતીગળ જીવનમાંથી એક વરસ જેટલી નાનકડી સ્લાઇસ –સૈરન્ધ્રી- જ આપણને ચખાડવામાં જ રસ છે. એના બહાને એક સ્તર તેઓ નારીગત સંવેદનોથી આપણને અવગત કરાવે છે તો બીજી તરફ આપણી લુપ્ત થઈ ગયેલી ઓળખની પીડા અને એ પરત પામવા માટેની આપણા સહુના આજીવન મહાભારત સાથે એ આપણી ઓળખાણ કરાવે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ. સહુ પોતપોતાની ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આપણી જાતના ખોવાઈ જવાના કારણો અને નિવારણોના પૃથક્કરણની મહાગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતમાં જે નથી એ આ ‘સૈરન્ધ્રી’માં છે. સ્વયંવર ટાણે આ સ્ત્રી કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. કર્ણનો દેખાવ જ એવો છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી!’ એના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ પણ ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવે છે અને કુંતી દરવાજા ખોલ્યા વિના જ ‘વહેંચી લો સમભાગ’ કહી દે છે. પાંડવો માટે આ સ્ત્રી એક ‘વસ્તુ’ જ હતી, મનુષ્ય નહીં. જો દ્રૌપદીને પાંડવોએ મનુષ્ય ગણી હોત તો દુર્યોધન કે દુઃશાસન એને સભામધ્યે ખેંચી લાવી શક્યા જ ન હોત અને કીચક એને લૂંટવાની ચેષ્ટા જ ન કરી શક્યો હોત. પાંડવોએ તો દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ આ વસ્તુને તો રોજની આ ચિંતા છે કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ એ એના મનમાં સ્પષ્ટ છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા હતા, વિનોદ જોશી ત્યાંથી આપણને આગળ લઈ જાય છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે.

દ્રૌપદી પણ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને સહુની ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો હતો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂત રમીને વિના વિચાર્યે બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે એણે પતિઓનો નિર્ણય માથે લીધો અને પટરાણી હોવા છતાં તેર વરસથી એ તકલીફોના જંગલમાં ભટકી રહી છે, પણ સ્ત્રીભાવે એ ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડી આપનાર તરીકે ક્ષમા આપી શકે એમ નથી. જે પતિઓ પોતાને દાસીરૂપે જુએ છે અને લજ્જાતા પણ નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવી રહી છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરી રહ્યો છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’.

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

સૈરન્ધ્રી’ વિનોદ જોશીની ગીતા છે. વાર્તાની વચ્ચેના ખાલીપામાં એ જે કહી રહી છે, એ સરવા કાને સાંભળી શકીએ તો નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને જે ઘડીએ માણસ પોતાના નિજત્વને સાચા અર્થમાં પામી લે છે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને છે. પણ કમળપત્ર પરથી પાણી, એમ દુનિયા પાસેથી લીધેલા તમામ લેબલ ખેરવવા અનિવાર્ય છે. સૈરન્ધ્રી જે ઘડી મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ ઘડીએ એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બને છે અને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ કીચકના મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો એવો ઘા કરે છે કે કીચક નામના ‘પડછાયાનો અંત’ આવે છે, અને એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બહારની તમામ ગણતરીઓ ભૂંસી દઈને માણસ એની ભીતરના અજવાળાંને જ્યારે ધારણે કરે છે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ એકાધિક રૂપોનો બોજ લઈને જીવતો જ હોય છે અને આ બધાં રૂપ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં હોય છે. પણ સીધીસાદી વાત એ છે કે બધા પરસ્પર સંવાદમાં હોય જ છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખ્યે છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ પોતપોતાના મંતવ્યોમાં જ રત રહે છે.

કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને બેડી બાંધી કેદ કરવામાં આવે છે. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજી ગઈ છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો.’ એ જાણી ગઈ છે કે, ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ પાથરી દીધો હતો. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ડુંગળીના પડળની જેમ જિંદગીના એક પછી એક પડ ઉવેખતા જઈ ભીતરના અર્ક સાથે આપણને સતત મુખોમુખ કરતા રહે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જોઈ રહ્યા છે. પાંડવો તો હજી પણ દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય. પત્નીના રક્ષણની ચિંતા થવાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. માણસ પોતાની ઓળખ જતી કરીને સ્વાંગ ધારે છે ત્યારે એ ‘નરવી નિજતા ખોઈ’ બેસે છે. દ્રૌપદીને સામે આવેલ અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડી બેસે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાને આગ લગાડવામાં આવે છે પણ જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘હતી જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

સૂર્ય પૂર્ણ કળાએ એમ તપી રહ્યો હતો, જાણે ચારે દિશાઓમાં આગ લાગી હોય. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ હતી અને આકાશ નિરાધાર હતું એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું છે. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી છે કે સૂર્ય કદી આથમી જ નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને તાગવાનો છે. એક પુરુષે પાંચેક હજાર વર્ષ પહેલાંની ઘટનાઓને સામેથી જોઈને આલેખી હતી, અને એક બીજો પુરુષ પાંચેક હજાર વર્ષ બાદ એ ઘટનાઓમાંની એકાદની ભીતર જઈને ઘટના કરતાંય પાત્રોના મનોભાવને આલેખવાનો પુરુષાર્થ કરે છે. બંનેમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ નખશીખ આસ્વાદ્ય છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૦ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૧

ગઈકાલ અને આજ. બંને જાણે આકાશ અને ધરતી. એક-મેક સાથે કદી ભેટો થાય જ નહીં. વીતી ગયેલી ક્ષણ અને અત્યારની ક્ષણ કદી એકમેકને રૂબરૂ થઈ ન શકે. વિગત અને અનાગતની વચ્ચેની પળમાં આપણે સૌ શ્વસતાં હોવા છતાં વિગત કે અનાગત-બંનેથી આપણે કેડો છોડાવી શકતાં નથી. ભૂતકાળના રોમાંચથી વર્તમાનની ભીંતો કોણ નથી ઘોળતું, કહો તો! અનિલ ચાવડા ભલે એમ કહે કે, ‘ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં, કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું,’ પણ આપણું મન હંમેશા ગઈકાલના ઓરડામાં ઘૂસ મારવા આતુર જ હોય છે. ભૂતકાળનો વર્તમાન ગમે એટલો રક્તરંજિત કે શરમજનક કેમ ન હોય, વર્તમાન એના ભૂતકાળને હંમેશા સોનેરી પાને મઢવા મથે છે. ઇતિહાસ તો સારું-માઠું બંનેને આલેખે જ છે, પણ માનવમન હંમેશા સારું જોવા ને યાદ રાખવા ચહે છે. વીતી ગયેલી પળોનું વર્તમાન સાથેનું અનુસંધાન સાહિત્યકારો પરાપૂર્વથી કરતા આવ્યા છે. લગભગ પાંચેક હજાર વર્ષ પૂર્વે વેદ વ્યાસે રચેલ મહાભારત નામનું મહાકાવ્ય પણ જેમ સુહાગરાતે નવોઢા પતિને એમ સદીઓથી સાહિત્યકારોને આકર્ષી રહ્યું છે. વિનોદ જોશીનું ‘સૈરન્ધ્રી’ પણ આવા જ કોઈક અદમ્ય આકર્ષણની ફળશ્રુતિ છે.

વિનોદ જોશી. ૧૩-૦૮-૧૯૫૫ના રોજ અમરેલી જિલાના ભોરીંગડા ગામે જન્મ. વતન બોટાદ. પિતા હરગોવિંદદાસ પંચાયતમંત્રી અને સંસ્કૃતના ખાં હતા. વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારમંડિત ભાષા એમની દેન. પણ લોકગીતોની તળ ભાષાના સંસ્કાર માતા લીલાવતીબેનના કારણે લોહીમાં ભળ્યા. ગામડાની શાળાના પાંચમા-છઠ્ઠા ધોરણના આ વિદ્યાર્થીને બાળપણથી જ પ્રાસ મેળવતા આવડી ગયું હતું: ‘પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી.’ તળપદા ગીતોમાં પ્રયોજાતા ‘રે’ની હાજરી ધ્યાનાર્હ છે. દસમા-અગિયારમા ધોરણમાં તો સંસ્કૃત વૃત્તોમાં ખેડાણ કરવું પણ આદરી દીધું હતું. ૧૮ વર્ષની વયે તો એ જમાનામાં કવિઓ માટેનો સૌથી દુર્ગમ ગઢ ગણાતા કુમારમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. ભજનમંડળીઓમાં મંજીરાં અને નગારું વગાડવાની ટેવના કારણે લય પાકો થયો. કિશોરાવસ્થામાં ખેતી કરતા, ઢોર ચરાવતા, કોસ પણ ચલાવતા. ગ્રામ્યજીવનમાંથી એમના જ શબ્દોમાં તેઓ ‘લોક અને શિષ્ટ બેઉના પાર વગરના પરચા’ પામ્યા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક, ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ, ડીન અને કુલપતિ તરીકે એમણે સેવા આપી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતી ભાષાના બીજી વારના કન્વીનર. વિમલ જોશી સાથેના લગ્નથી આદિત્ય નામે સંતાન. મોરારિબાપુની નિશ્રામાં શરૂ થયેલ અને વિશ્વભરના ગુજરાતીઓમાં અદકેરું અને અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર અસ્મિતા પર્વના સર્વેસર્વાઓમાંના એક. હાલ, ભાવનગર ખાતે રહે છે.

કવિતા ઉપરાંત નવલિકા, વિવેચન, આસ્વાદ અને સંપાદનના ક્ષેત્રમાં આગળ પડતું કામ. કવિતાના અલગ-અલગ પ્રકારોમાં કામ કરવાની એમને ફાવટ છે. ગીત એમનો પ્રધાન કાકુ. ખુદ કવિ પોતાને ‘બહુ ગવાયેલા તરીકે પંકાયો’ કહી ઓળખાવે છે. પણ સૉનેટમાંય કવિ આગવો અવાજ જાળવીને પાણીમાં હંસ વિચરે એમ વિહરી શકે છે. ગુજરાતી સાહિત્યના અમર વારસાને આજની પેઢી સાથે જોડવાનું જે ભગીરથ કાર્ય તેઓ પોતાની જવાબદારી સમજીને કરે છે, એ ભાગ્યે જ કોઈ આધુનિક કવિએ કર્યું કે કરી રહ્યા હશે. ‘તુણ્ડિલતુણ્ડિકા’માં એ મધ્યયુગીન પદ્યવાર્તાનો નવોન્મેષ સાધે છે, તો ‘શિખંડી’ અને ‘સૈરન્ધ્રી’માં તેઓ પ્રબંધકાવ્યને આપણી વચ્ચે લઈ આવે છે. ‘મોરપિચ્છ’ નામે પત્રનવલકથા (epistolary novel) પણ એમણે આપી છે. ગામઠી બોલીમાં સ્ત્રીઓના નાજુકતમ મનોભાવોને ખૂબ હળવે હાથે ઉઘાડવાની એમને હથોટી છે. તેઓ બહુધા સ્ત્રૈણ સંવેદનાના કવિ છે. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં પણ તેઓ મોખરાનું નામ છે. એમની કવિતાઓમાં સૌરાષ્ટ્રના ગામડાંઓ, રિવાજો, લોકો અને લોકબોલી સતત ધબકતાં જોવાં મળે છે. સુ.દ. એમની કવિતા વિશે કહે છે: ‘અહીં આપણને તળપદાં ગીતોનું એક નાનકડું તળાવ મળે છે. આ તળાવ “નિજમાં પરિતૃપ્ત” છે.’ મણિલાલ હ. પટેલ લખે છે: ‘લયની બાબતમાં વિનોદ એકાદ માત્રાની પણ ભાગ્યે જ છૂટ લે છે. કાવ્ય કરતી વેળા એ સહજ રીતે જ શબ્દના નાદધ્વનિને ભાવસંવેદનના સંદર્ભે ચકાસી લેતા લાગે છે. રાગીયતા અને લય, વર્ણયોજના અને પ્રાસાનુપ્રાસ તરફ પણ કવિ પૂરા સભાન રહે છે.’

સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય છે. પ્રબંધકાવ્ય એટલે કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરતું આખ્યાન શૈલીનું મધ્યયુગીન કથાકાવ્ય. આપણે ત્યાં તેરમી-ચૌદમી સદીમાં એ વિશેષ લખાતાં. ‘પ્ર’ એટલે પ્રશિષ્ટ/પ્રકૃષ્ટ (ઉત્તમ) અને ‘બંધ’ એટલે બાંધણી. આમ, પ્રશિષ્ટ રીતે ગૂંથાયેલી-રચાયેલી કૃતિ એટલે પ્રબંધ એમ ગણી શકાય. ઐતિહાસિક વિષયવસ્તુ એના કેન્દ્રમાં છે. પ્રબંધમાં ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે વ્યક્તિની આસપાસ કથાગૂંથણી, પાત્રો, રીતિરિવાજો, તહેવારો, માન્યતાઓની સાથોસાથ કવિસહજ છૂટ લઈ કથાને મદદરૂપ પ્રસંગોની ઉમેરણી કે છંટણી કરીને કાવ્યસર્જન કરવામાં આવે છે. સંસ્કૃત મહાકાવ્યની નાની નકલ પણ એને ગણી શકાય. વીરરસ એનો મુખ્ય રસ છે પણ શૃંગારાદિ રસો પણ પૂરતા સીંચાયેલા જોવા મળે છે. પ્રબંધના નામ વિશે જો કે એકમત જોવા મળતો નથી. ગુજરાતીમાં ‘રાસ’ અને ‘પ્રબંધ’ વચ્ચે પણ ઝાઝો અને સ્પષ્ટ ભેદ જોવા મળતો નથી. લાવણ્ય સમય સૂરિ ‘વિમલ પ્રબંધ’માં પ્રારંભે ‘કવિયણ હું વિમલમતિ વિમલ પ્રબંધ રચેશિ’ લખ્યા પછી જાતે જ કાવ્યાંતે પોતાની કૃતિને ‘રાસ’ કહે છે. પદ્મનાભના વિખ્યાત ‘કાન્હડદે પ્રબંધ’ (ઈ.સ. ૧૪૫૬) માટે ‘કાન્હડચરિત્ર’, ‘કાન્હડદેની ચુપઈ’, ‘કાન્હડદેનું પવાડઉ’ ‘શ્રી રાઉલ કાન્હડદે પાવડુ રાસ’ નામ પણ મળી આવે છે. પ્રબંધ જો કે ગદ્યમાં પણ મળી આવે છે, જેમ કે મેરૂતુંગ રચિત ‘પ્રબંધ ચિંતામણિ’ અને રાજશેખર સૂરિ રચિત ‘ચતુર્વિશતિ પ્રબંધ.’ ઈ.સ. ૧૧૮૫માં લખાયેલ શલીભદ્રસૂરિ લિખિત ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ને પ્રથમ પ્રબંધ કૃતિ ગણવામાં આવે છે. ગુજરાતીમાં ઈ. સ. ૧૩૧૫માં અંબદેવસૂરિ રચિત ‘સમરારાસુ’ને પ્રથમ પ્રબંધ ગણાય છે.

શિખંડી’ની જેમ ‘સૈરન્ધ્રી’ને પણ મધ્યકાળ અને આજના ગુજરાતી સાહિત્ય વચ્ચે સેતુ બાંધવાનો ભગીરથ પ્રયાસ ગણી શકાય. શિખંડીમાં છંદવૈવિધ્ય શરૂથી જ ધ્યાન ખેંચે છે, જ્યારે ‘સૈરન્ધ્રી’માં વર્ષોથી અસ્મિતાપર્વના સમાપન પછીની સવારે તલગાજરડામાં થતા સુંદરકાંડના સમૂહપાઠના પ્રતાપે કવિચિત્તમાં વમળાયા કરતા ચોપાઈ અને દોહરા સામગ્રી બન્યા છે. કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના છે. એ પછી મુખ્ય કાવ્ય સાત સર્ગમાં વહેંચાયેલું છે. દરેક સર્ગમાં સાત ખંડ અને દરેક ખંડમાં આઠ ચોપાઈ અને બે દોહરા છે. આમ કુલ્લે પ્રાર્થનાની વીસ પંક્તિઓ સાથે કુલ ૧૭૮૪ પંક્તિઓનું આ દીર્ઘકાવ્ય છે. સમગ્ર કાવ્યમાં અ-અ-બ-બ, ક-ક-ડ-ડ પ્રમાણે ચુસ્ત પ્રાસ પ્રયોજાયા છે, સિવાયકે સર્ગ પ્રથમ, ખંડ પ્રથમ, જેમાં બીજી-ચોથી પંક્તિ વચ્ચે જ પ્રાસ મેળવાયા છે. બની શકે કે કવિતા લખવાની શરૂઆત કર્યા બાદ અચાનક કવિને ગઝલના મત્લાની જેમ બે પ્રાસ વચ્ચે અંતર રાખવાના બદલે વધુ ચુસ્ત અભિગમ વધુ માફક આવ્યો હોય. જે હોય તે, પણ આ પ્રકારની ચુસ્ત પ્રાસાવલીના કારણે કાવ્યસંગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. પંક્તિએ પંક્તિએ પાણીના રેલાની જેમ આવ્યા કરતી વર્ણસગાઈ આ સંગીતને ઓર અનુરણનાત્મક બનાવે છે: ‘અણજાણ, અકલ્પિત… અવગુંઠિત ઓળખ’, ‘વિસંગત વેશ’, ‘અજંપ અંતરના અંધારે અકળ (છુપાયા) અંત’, ‘મઘમઘ મંજુલ સ્વેદ સવાયા, નેત્ર નિમીલિત ઘેન ગભીરાં’, ‘ચંચળ ચપળા ચારુ ચકોરી’ વિ. આ સિવાય અવારનવાર જોવા મળતો અંતર્પ્રાસ સોનામાં સુગંધ જેવો અનુભવાય છે: ક્ષતવિક્ષત, નિજતા-નિજને, છાક-છલકશે, અનંગ-સંગ-અંગ-રંગ, સુભગ-સુવક્ષા વિ. ઝડપભેર ભૂંસાતા જતા સુચારુ સંસ્કૃત શબ્દો અને શબ્દાવલીઓ પંક્તિએ-પંક્તિએ વિપુલમાત્રામાં અને અત્યંત સાહજીકતાથી પ્રયોજીને કવિએ ગુજરાતી ભાષાને જે રીતે કામે લગાડી છે એ આજની તારીખે દુર્લભ છે. શબ્દકોશ સાક્ષાત કવિતાનો અવતાર લે ત્યારે ‘સૈરન્ધ્રી’ જન્મે છે. દોઢ દાયકા સુધી સૈરન્ધ્રીનું પાત્ર કવિની ભીતર ઘૂંટાતું રહ્યું પણ કોઈક કારણોસર મે-જુન, ૨૦૧૭થી ફેબ્રુઆરી, ૨૦૧૮ વચ્ચે એનું અવતરણ ભારતમાં નહીં, બે તબક્કામાં દીકરાને ત્યાં ઓસ્ટ્રેલિયામાં થયું. અલગ-અલગ સંસ્થાઓએ સિડનીથી લઈને ગુજરાતમાં આ રચનાને સંગીત-નૃત્યનાટિકા તરીકે ભજવ્યું પણ છે. કવિના નિવાસે સામેથી જઈ આ કાવ્યના પ્રથમ શ્રોતા બન્યા મોરારિબાપુ. તે પછી, અસંખ્ય શ્રોતાઓ સમક્ષ કવિમુખે આ કાવ્યના સળંગ સવા બે કલાકના પઠનના અત્યાર સુધીમાં બાવીસ જેટલા કાર્યક્રમ મુંબઈ અને ગુજરાતમાં થયા છે.

સૈરન્ધ્રીની કથા તો મોટાભાગનાને વિદિત હશે જ. મહાભારતમાં ચોપાટની રમતમાં બધું જ હારી ગયા બાદ પાંડવોને શરત મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસની ફરજ પડી. અજ્ઞાતવાસમાં ઓળખાઈ જાય તો વળી બાર વર્ષ વનવાસ અને અજ્ઞાતવાસ. કોઈ ઓળખી ન લે એ માટે પાંડવો અને દ્રૌપદીએ ગુપ્તવેશે મત્સ્યદેશમાં વિરાટરાજાની વિરાટનગરીમાં અજ્ઞાતવાસ કર્યો. દ્રૌપદી રાણી સુદેષ્ણાની દાસી સૈરન્ધ્રી તરીકે રહી. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી ગયો અને યેનકેન પ્રકારે એને વશ કરવા ચાહી. ગુપ્તવેશે રહેલા મહાવીર પતિઓ અને ખુદ રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદી ભીમના શરણે ગઈ. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં કીચકને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુના ઘાટ ઉતારી દ્રૌપદીને બચાવી લીધી. આ મૂળ કથા વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં જરા અલગ પ્રકારે આવે છે. કવિ ખુલાસો દેતા કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ પ્રસ્તુત કાવ્યમાં સૈરન્ધ્રી કીચક પર જાતે પ્રહાર કરે છે, અને એનું મૃત્યુ થાય છે. વળી ચિતા પર આરુઢ થવા પણ એને બાંધીને બળજબરીથી લઈ જવી નથી પડતી. ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો’ના ડરથી વ્યાકુળ દેખાતા પાંડવો પર દૃષ્ટિપાત કરીને, રાજાની સજા સ્વીકારીને, એ જાતે સ્વયંસિદ્ધા, ઓજસ્વિની, નિર્ભીક અને ગૌરવાન્વિત થઈ ચિતા પર ચડે છે.

કાવ્યારંભે કવિ સરસ્વતીને પ્રાર્થના કરી કહે છે કે વીજળીઓ કાપીને કલમ બનાવી છે ને ગુમાનની પાઘડીઓ પડખે મૂકી દીધી છે. કવિને આખા કાગળનોય અભરખો નથી, એક ખાલી ખૂણાની અને વૈખરીએ બાઝેલ લૂણો દૂર થાય એટલી જ સ્પૃહા છે. પ્રાર્થના તો લાંબી છે પણ આટલી સભાન તૈયારી હોય તો જ સર્જન ઉમદા થઈ શકે. કવિએ પોતે ક્યાંક લખ્યું છે: ‘કાવ્યસર્જન અંગે હું નિર્ભ્રાન્ત થઈ શકતો નથી. એ ભાષાની કલા છે તેથી ભંગુર છે એમ હું સ્પષ્ટપણે માનું છું. સાહિત્યની કલા ભાષાની કલા હોવાના કારણે તે હંમેશા અધૂરો અનુભવ આપનારી છે. મને મનુષ્યનિર્મિત આ માધ્યમ પહેલેથી જ અપૂરતું લાગ્યું છે. પણ સાહિત્યકારે લખવાનું તો ભાષામાં જ હોય છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે.’ આ કાવ્ય ‘સ્ત્રીને’ અર્પણ કરાયું છે પણ તે પાછળ ‘કોઈ સભાન નારીવાદી અભિગમ નથી’ એ કવિએ સ્પષ્ટ કર્યું હોવા છતાં કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે કવિની સૈરન્ધ્રી એ મહાભારતની દ્રૌપદી નથી, એક સ્ત્રી છે, જેના એકવિધ મનોભાવો પર કવિનો કેમેરા ઇતિહાસ કરતાં વધુ ફૉકસ થયો છે. શરૂઆત થાય છે:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. (૦૧-૦૧:૦૧)

શીર્ષક સાથે પરિચય હોવાથી ભાવક સમજી શકે છે કે આ યૌવના એટલે સૈરન્ધ્રી. ઓળખ ખોવાનું દુઃખ સૌથી મોટું હોય છે. માણસ આજીવન પોતાને શોધવા મથતો હોય છે, જ્યારે અહીં તો બળજબરી પોતાનો પરિચય લુપ્ત કરવાનો છે. એટલે સાંજ વિવશ છે. પાંખમાં રાતનું અંધારું લઈ આવતો સાંજનો સમય પોતે જ ઉદાસીનો દ્યોતક છે. આકાશ પણ આધાર વિનાનું છે. પવન ન માત્ર સ્પંદરહિત છે, એ પાંડવોની જેમ જ અજ્ઞાતવાસમાં છૂપાયેલ પણ છે. મૂઢ થઈ ગયેલ વ્યગ્ર ચિત્તે યૌવના મુખ નીચું કરીને ઊભી છે. માત્ર ચાર પંક્તિઓના લસરકાથી જ કવિ પાંડવોના અજ્ઞાતવાસને કેવો તાદૃશ કરે છે! કવિના જ શબ્દોમાં, ‘સહુ કોઈ નિજતાથી વિખૂટા પડેલા છે. આંતરબાહ્ય બંને વ્યક્તિત્વનો મેળ પાડી ન શકાય અને સમાધાન કરવા છતાં બંને પીડતાં જ રહે તેવી દયનીય વિભીષિકાથી સહુ કોઈ ગ્રસ્ત છે તેવા અકાટ્ય વાસ્તવની ભોંય પર આ કાવ્યનાં મંડાણ છે.’ ઓળખ ન હોવા કરતાં હોય એ ગુમાવીને જીવવું વધું કપરું છે. સૈરન્ધ્રી સમજે છે જે પોતે ‘હસ્તિનાપુરની મહારાણી, એ તો કેવળ ભાસ’ છે. એને સ્ત્રીસહજ પ્રશ્ન પણ થાય છે કે ‘મહારાણીપદની અધિકારી તો પણ અનુચર કેમ?’ હોવા કરતાં ન હોવાનું દુઃખ વધુ સનાતન હોય છે.

કવિ વિનોદ જોશી ગુજરાતી ભાષાના કાલિદાસ છે. પ્રકૃતિની સાથોસાથ સંભોગશૃંગાર એમની રસાળ કલમેથી સતત ગિરા ગુર્જરીને ભીંજવતો રહ્યો છે. અહીં પણ એ ગરિમાપૂર્ણ પ્રગલ્ભતાથી છતો થયો છે. સુદેષ્ણા અને વિરાટ રાજાની કામકેલિ એનું પ્રથમ દૃષ્ટાંત છે. રાણીનું અંતઃપુર અને અંતર બંને અલબેલા સોહી રહ્યાં છે. ‘સાંધ્ય સમય’ અંગે ઓઢીને કામ સુદેષ્ણા સાથે ક્રીડે છે. એ ‘રસસભર વિલાસી’ વિરાટ ‘પ્રતિપળ કરશે સંગ સુહાસી’ વિચારીને સૈરન્ધ્રીને પોતાને મિલનરાત્રિ માટે શૃંગાર કરવા આદેશ દે છે. સુદેષ્ણા ‘પુલકિત ગાત્ર થકી મન મોહે’ છે. એના ‘કુસુમિત અંગ’માં ‘સકંપ સલૂણા’ જાગે છે અને ‘કિસલયકૂણાં’ સ્પંદનો ધબકે છે ત્યારે વરણાગી સાંજ વિલીન થઈ જાય છે ને ‘મુદિત રાત મલકીને જાગી’ જાય છે. સંભોગવેળાએ સુદેષ્ણાએ ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું, ભાર્યારૂપ વિદારી નાંખ્યું’ છે. એણે સમજીને પોતાની રાણી તરીકેની ‘ઓળખ સકળ ફગાવી દીધી’ છે અને ‘માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ છે એટલે જ –

મલયજ મુકુરિત ઉષ્ણ પયોધર,
અધર કસુંબલ છીપ સહોદર;
અંગે અંગ લયાન્વિત ઝરણું,
સઘળું લાગ્યું સોનલવરણું. (૦૩-૦૩:૦૩)

રક્તચાપ આસ્ફાલન ભરતો,
મુદિત મદન વિદ્યુતગતિ ફરતો;
શ્વસન ઉષ્ણ અફળાયાં ઉચ્છલ,
હાંફી રાત રસીલી કજ્જલ. (૦૩-૦૩:૦૪)

છાક છલકતા ઉત્સવવંતી’ સૈરન્ધ્રીનું ‘ચિત્ત વિચિત્રે વિચારે ચડતું’ દેખાય છે. સ્ત્રીસહજ એ પણ અનુભવે છે કે ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર, હું પણ પામું પુરુષ નિરંતર’. ‘સંગે પતિ પણ સંગ ન પામું’ અને ‘પાંચ પાંચ પતિ પણ એકાકી’થી વિકટ વેદના અવર કઈ હોઈ શકે? આભાસી પરિચય પહેરેલ આ ‘કેવળ દાસી’ પોતાને ‘પુરુષમાત્રની હું અધિકારી’ સમજતાં વિચારે છે:

ચુંબિત મર્દિત સુરભિત કાયા
શ્વસન ઉષ્ણ, મસૃણની માયા;
મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી,
હું પણ સહજ સંગ અભિલાષી. (૦૧-૦૩:૦૬)

આવો અદભુત અને વિવેકપૂર્ણ સંભોગશૃંગાર આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે. સૈરન્ધ્રીના અપ્રતીમ સૌંદર્યને પણ કવિની કલમ અક્ષરોના ટાંચણાથી આકાર આપે છે. મણિલાલ પટેલે નોંધ્યું છે: ‘વિનોદ જોશીના ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી.’

નિત્ય પ્રફુલ્લિત યૌવનયુક્તા,
મુગ્ધ વસંતી શૈશવમુક્તા;
રક્તચાપના સહે ઉછાળા,
યજ્ઞકુંડ શી ભડભડ જ્વાળા. (૦૨-૦૧:૦૨)

યાજ્ઞસેની દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી પૂર્ણયૌવનાસ્વરૂપે જ થયો હતો. કવિ એને શૈશવમુક્તા અને નિત્ય યૌવનયુક્તા કહીને બે જ વિશેષણથી કેવું સર્વાંગી વિવરણ આપે છે!

ચારુ વદન તન મુદિત નિરંતર,
મુકુરિત યૌવન મત્ત મનોહર;
પૃથુલ જઘન કુચ અધિક વિશાલા,
નાભિ ગભીર ક્ષીણ કટિમાલા. (૦૪-૦૨:૦૪)

સુંદર ચહેરો, નિત્ય પ્રફુલ્લિત કાયા, મત્ત કરી મન હરે એવું કળી જેવું યૌવન, ભરાવદાર જાંઘ, એથીય વિશાળ સ્તનમંડળ, ઊંડી નાભિ અને પાતળી કમરવાળી ‘નારી એક કિન્તુ શતરૂપા’ દ્રૌપદીનું આ વર્ણન તો ખુદ કામદેવનેય ચલિત કરી દે, તો બિચારા કીચકની શી વિસાત! તો ઉત્તરાનું સૌંદર્ય પણ પૂર્ણમાસી ચંદ્ર જેવું વિલાસ્ય છે: ‘અનુપમ અંગુલિમુદ્રા ઓપે, પ્રગટ ભાવ પળભરમાં લોપે; ચંચળ ચપળા ચારુ ચકોરી, ઝળહળ જાણે સ્વર્ણકટોરી.’ ‘મૃગનયની’ ઉત્તરા ‘મલકે મૃદુ એવું, જલતરંગની ઝંકૃતિ જેવું’ અને એ ‘નેણકટાક્ષે વદતી વાણી.’ એની ‘શ્યામવર્ણ કદલી સમ કાયા, સ્વર્ગલોક શી મધુમય માયા’ જ છે જાણે. એની ‘કાંચનકટિ’ ને ‘વિદ્યુતરેખ સમી ગતિશીલા’ અને ‘નયનકટાક્ષ રસીલા’ જોઈને સૈરન્ધ્રીને થાય છે કે ‘સ્વતઃ કરી ભાર્યાથી છલના’ બૃહન્નલા બનેલ અર્જુન ‘મોહ્યો કંથ વિલોકી લલના.’ અર્જુન જો કે કિન્નરવેશે એને નૃત્ય શીખવતો હોય છે અને ઉત્તરા તો અભિમન્યુની પત્ની બને છે પણ અજ્ઞાનવશ સ્ત્રીસહજ ઈર્ષ્યાભાવને કવિએ જે રીતે આલેખ્યો છે એ ધ્યાનાર્હ છે.

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ વિશે વિગતવાર માહિતી આવતા અંકે…)

ગઝલ – શયદા

ફૂલો કાં થઇ ગયા કાંટા? (Canyonlands National Park, Utah – May 2019)

****

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

– શયદા

ટહુકોની તેરમી વર્ષગાંઠ

૧૨મી જુન… ટહુકોની વર્ષગાંઠ… આ વર્ષે કોઇ ખાસ ‘Celebration’ લઇને નથી આવી.. બસ એક વાત કરવી છે, વાચકો સાથે.. અને ખાસ તો પોતાની સાથે..!!! I haven’t given up on myself, yet! ટહુકોનો સાથ આપતા રહેજો.. કૂકડાની બાંગ સાથે ટક્કર લેવા જેટલી નિયમિતતા ફરી આવશે!!

વ્હાલા ‘ટહુકો’ ને જન્મદિવસની મોડી પણ મોળી નહિં એવી શુભેચ્છાઓ સાથે – વ્હાલી સખી મોના નાયક ‘ઊર્મિ’ની આ મનગમતી ગઝલ!!

Tropical Cyclone ‘વાયુ’ થી પ્રભુ સૌની રક્ષા કરે એ પ્રાર્થના.

બારી વિનાની ઈમારત … Lower Antelope Canyon, Page, AZ (May 2019)

*******

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

ગ્લોબલ કવિતા : ૧૨૯ : લીલી દ્રાક્ષ – અનામી (ગ્રીક)

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે… પ્રતીક્ષા ચિરકાલીન છે… પ્રેમ અમર છે…

જીવન નાશવંત છે, પ્રેમ શાશ્વત છે એમ કહેનારા કહી ગયા છે, અને આપણે સાંભળતા તથા ડોકું હલાવીને અનુમોદન આપતા આવ્યા છીએ. પ્રેમ કઈ લાગણીનું નામ છે એ વ્યાખ્યાયિત કરવામાં કવિઓએ અને ચિંતકોએ જિંદગીઓની જિંદગી વિતાવી દીધી પણ આ કંઈક એવી અનુભૂતિ છે જેને કોઈ નિશ્ચિત ચોકઠાંમાં કદી બેસાડી શકાઈ નથી અને બેસાડી શકાશે પણ નહીં. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમ, પ્રેમની વ્યાખ્યા અને અનુભૂતિ અલગ-અલગ હોવાની. એક જ વ્યક્તિ માટે પણ અલગ-અલગ સમયે અને અલગ-અલગ વ્યક્તિઓ માટેની પ્રેમની વ્યાખ્યા ભાગ્યે જ એકસમાન હોઈ શકે છે. સાચા પ્રેમ માટે આવું કહી શકાય:

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

પણ અધિકાર, અપેક્ષા વગેરનો કાદવ સ્પર્શી જ ન શકે એ રીતે દુનિયામાં ભાગ્યે જ પ્રેમનું કોઈ કમળ ખીલતું હશે. પ્રેમ થાય એટલે ક્રમશઃ સંબંધમાં મમત્વ, આશાઓ, અહંકાર વગેરે બદીઓ આરબના તંબુમાં જે રીતે ઊંટ ઘૂસ્યું હતું એમ પગપેસારો કરે છે અને નાક, માથું, ગરદન કરતાં-કરતાં જે રીતે ઊંટ આખુ તંબુમાં ઘૂસી જતાં આરબનો તંબુનિકાલો થયો હતો એ રીતે સંબંધમાંથી પ્રેમનું બાષ્પીભવન થઈ જતું જોવા મળે છે. ફક્ત જે સંબંધો અધિકારભાવે બંધાતા નથી એમાં જ સ્નેહ આખર સુધી ટકી રહેલો જોવા મળે છે. કદાચ એટલે જ પતિ-પત્ની કરતાં દોસ્તો વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત અને દીર્ઘાયુ જોવા મળે છે. આજે જે કવિતાની વાત કરવી છે એમાં વાત તો પ્રેમની જ છે, પણ વધતી જતી વય પણ સાથે સંકળાયેલ જોવા મળે છે.

ડૂડલી ફિટ્સે અંગ્રેજી અનુવાદ કરેલ આ કવિતા સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. કવિતાનો રચનાકાળ ચોક્કસ કરી શકાયો નથી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ”

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યસ્પદ ગણી છે. ઘણા આ કવિતાને કવિતા જ ગણતા નથી. પણ આ ત્રણ જ પંક્તિની નાનકડી રચના ધ્યાન આપીએ તો જીવનની સૌથી અગત્યની બે વાત- પ્રેમ અને વધતી વયની- કરે છે, એ તરત જ સ્પર્શી જાય એવી છે. રચના ખૂબ સરળ છે પણ એના સંદર્ભે ઘણું વિચારી શકાય એમ છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો? પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ઈસુના જન્મથી સોએક વર્ષ પહેલા થઈ ગયેલા ફિલોડેમસની કાવ્યનાયિકાઓમાંની એક, વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે ! આ સિવાય જોઈએ તો કોઈ પણ ફળનો સંદર્ભ પરિણામ સાથે સંકળાયેલો હોય છે. ફળ બીજનું અંતિમ પરિણામ છે. બીજમાંથી કૂંપળ, છોડ-વૃક્ષ, ફૂલ અને આખરે ફળ. ફળનો એક અર્થ જ પરિણામ છે. મહેનતના ફળ કોને મીઠાં ન લાગે? ભગ્વદગીતા પણ કર્મ અને ફળના પાયા પર રચાયેલી છે. ફળોમાં દ્રાક્ષ પરિણામ, પુરસ્કાર અને પરિતોષનું પ્રતીક ગણાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નોમાં આવતા વિવિધ પ્રકારના દ્રાક્ષના સંદર્ભોના અર્થ જોવા મળે છે અને મોટાભાગના હકારાત્મક છે. દ્રાક્ષ તો આમેય પ્રણયનું અર્ક ગણાય છે. દ્રાક્ષાસવનો ઇતિહાસ કદાચ માનવ-ઇતિહાસ જેટલો જ પુરાણો છે. ઇજિપ્તના પિરામિડોમાંથી પણ દ્રાક્ષાસવના પુરાવાઓ મળી આવ્યા છે. રોમન પુરાણકથાઓમાં બક્ચુસ (Bacchus) નામના દેવતાનો ઉલ્લેખ છે, જે ખેતી, શરાબ અને ફળદ્રુપતાનો દેવતા છે અને દ્રાક્ષ એનું પ્રતિનિધિત્વ કરતું ફળ છે. દ્રાક્ષને કામોત્તેજક ફળ ગણવામાં આવે છે. ભરાવદાર અને રસદાર હોવાના નાતે વિશ્વસાહિત્યમાં ઠેકઠેકાણે દ્રાક્ષને સ્ત્રીના પ્રતીક તરીકે પ્રયોજવામાં આવી છે. સોફા પર આડી પડેલી સ્ત્રી દ્રાક્ષનો ઝુમખો હોઠ તરફ લાવે અથવા પ્રેમી આ કામ કરે એ દૃશ્ય ચિત્રકળા, કવિતા-નાટક-ચલચિત્રોના માધ્યમથી જનસમૂહના માંસ પર કામકેલિના રણશિંગા સમું અંકાઈ ચૂક્યું છે. દ્રાક્ષના બી અને છાલ વયપ્રતિકારક (anti-aging) દ્રવ્યોથી ભરપૂર હોય છે. પ્રસ્તુત રચના દ્રાક્ષના સ્ત્રી અને વય –બંને સાથેના સંદર્ભો એકીસાથે ઊઘાડવાનું કામ કરે છે. વધતી વય કોને નથી સતાવતી?

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. ચહેરા પર મૂંછનો પહેલો દોરો ફૂટે એ અનુભૂતિ જેટલા ગર્વભરી હોય છે, એટલી જ મૂંછમાં પહેલા ધોળા વાળના દર્શનની અનુભૂતિ કષ્ટભરી હોય છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ યૌવન અને ઘડપણની માયાજાળથી અછતા નહોતા રહી શક્યા: ‘ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.’ નર્મદ જેવો ભડવીર પણ ગાઈ ગયો: ‘હરિ, તું ફરી જોબનિયું આપે.’ ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. પુરાણકાળમાં તો એક જ યયાતિ હતો જેણે પોતાનું યૌવન સાચવી રાખવા માટે પોતાના સંતાનની યુવાનીનો ભોગ પણ સ્વીકાર્યો હતો પણ ખરું જોઈએ તો એકેય અપવાદ વિના આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ સદાકાળ નિતાંત યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતના યક્ષ પ્રશ્નોમાંનો એક આ હતો: ‘સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું?’ અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી; આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિએ શૃંગારશતકમાં કહ્યું હતું:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।

(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ.’

વધતી વય ઉપરાંત બીજી એક વાત પણ ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની તો આખી વાડીની વાડી હોય. પણ નાયકની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને સાથી કૌરવો-પાંડવો, વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી –કશું જ નહીં, માત્ર ને માત્ર પંખીની આંખ જ દેખાતી હતી એમ કાવ્યનાયક પણ એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ જ ‘સર્વસ્વ’ છે. નાયક નાયિકા ભરયૌવના હતી ત્યારથી એના પ્રેમમાં છે પણ કોઈક કારણોસર નાયિકાએ આ પ્રેમનો એ સમયે સ્વીકાર કર્યો નથી. કવિતામાં આ માટેનું કોઈ કારણ નિર્દેશાયું નથી ને કવિતાને આમેય કારણો સાથે સંબંધ હોવો બિલકુલ આવશ્યક હોતું નથી. નાયિકાનો ઇનકાર બરકરાર રહ્યો છે એની સમાંતરે જ નાયકનો એકરાર પણ અકબંધ રહ્યો છે. સમય સાથે વય ઢળવા આવી છે, એવા પરિપક્વ તબક્કે પણ નાયિકા નાયકના ઈજનને ઠુકરાવે છે. મતલબ કારણ જે પણ હોય, નાયિકાની ના કોઈ મુગ્ધાની અણસમજમાંથી જન્મેલી ના નથી. નાયિકા હવે પરિપક્વ સ્ત્રી બની ચૂકી છે. મતલબ એનો નકાર પણ એટલો પુખ્ત જ હશે. તો સામા છેડે નાયક પણ હવે છેલબટાઉ આશિક રહ્યો નથી. એ પણ પાકટ બન્યો છે. અને હજી એણે આશા ત્યજી નથી. હજી એણે નાયિકા સિવાય બીજા કોઈનો હાથ ઝાલ્યો નથી. એ હજીય પૂર્ણ પ્રામાણિકતાથી નાયિકાની ‘હા’ની પ્રતીક્ષામાં છે. એનો પ્રેમ પણ એની વયની સાથે પુખ્ત અને સમજદાર બન્યો હશે. નાયિકાના નકારનું કોઈ કારણ નથી. નાયકના પ્રણયનું કારણ કવિ કલાપી આપી ગયા હતા: ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની તેહ લક્ષ્મી બધી.’

મુગ્ધાવસ્થા ગઈ, પરિકવતા પણ ગઈ, હવે વૃદ્ધાવસ્થા આવી ઊભી છે. નાયિકાથી નકાર છૂટતો નથી, નાયકથી ઇંતેજાર છૂટતો નથી. પ્રિયતમાની વધતી વયને ઉનાળાના દિવસ સાથે સરખાવવાનો ઇનકાર કરીને શેક્સપિઅરે ૧૮મા સૉનેટમાં સૌંદર્ય નાશવંત હોવાનું સ્વીકારીને પ્રિયતમાના સૌંદર્યને કવિતામાં કેદ કરીને અમરત્વ આપવાની કોશિશ કરી હતી એ આ તબક્કે યાદ આવી જાય. પણ પ્રસ્તુત કવિતાનો નાયક વધુ વાસ્તવદર્શી છે. એ સવાર, બપોર અને સાંજના સૂરજને સ્વીકારીને ચાલે છે. પણ હવે મનુષ્યસહજ અપેક્ષા એના અત્યાર સુધીના એકતરફા પણ નિરપેક્ષ પ્રેમમાં પ્રવેશે છે. નાયિકાની ચામડી પર પડેલી કરચલીઓ અને ધોળાં થયેલાં વાળ એની નજરે પડે છે, ત્યારે એને એ પણ અહેસાસ થતો હશે કે એ પોતે પણ સંધ્યાચળે આવી ઊભો છે. એના પ્રેમનું હવે આ તબક્કે પણ કોઈ વળતર નહીં મળે તો શક્ય છે કે એણે ખાલી હાથે જ કબરમાં સૂવાનું થાય. પણ આટઆટલા દાયકાઓની એકધારી પ્રતીક્ષા બાદ કદાચ ખાલી હાથે ને ખાલી હૈયે જ મરી જવાનું એને સ્વીકાર્ય નથી. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું અત્યાર સુધીનું જીવનપાથેય હતું. પ્રતીક્ષાની ચરમસીમાએ ‘સમગ્ર’ની અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ આ અપેક્ષા એક ‘આખી’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત થઈ જાય છે. અપેક્ષાની પરાકાષ્ઠાએ ફરિયાદ પણ સામેલ થાય છે. નાયિકાએ પણ કદાચ આજીવન કોઈ સાથીને અપનાવ્યો લાગતો નથી. એ છતાં એ નાયકના એકધારા પ્રેમ અને સમય-સમય પરના એકરાર અને સ્વીકારની માંગણીને સ્વીકારતી નથી એટલે અંતે નાયકથી માનવસહજ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. ગાલિબે પણ થાકીને કહ્યું હતું: आह को चाहिए इक उम्र असर होने तक, कौन जीता है तेरी ज़ुल्फ़ के सर होने तक। आशिक़ी सब्र-तलब और तमन्ना बेताब, दिल का क्या रंग करूँ ख़ून-ए-जिगर होने तक। આખી ઉમર આહ કરવામાં અને પ્રેમને ધીરજ ધરવાનું શીખવાડવામાં વીતાવી તો ખરી પણ અંતે બેતાબ તમન્ના ફરિયાદ કરે છે: કંઈક તો આપ. પૂરું નહીં તો અસ્તિત્વનો એક અંશ તો આપ. આખી જિંદગી મને નકાર્યે રાખવો શું જરૂરી છે? શું મને એક બટકુંય નહીં મળી શકે? પ્રેમના એક ટુકડા માટેય મને નકારવો શું જરૂરી જ છે? નાયકની સ્વગતોક્તિનું આ કાવ્ય આ રીતે ફરિયાદમિશ્રિત અપેક્ષાના ઉંબરે આવીને પૂરું થાય છે.

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી) અમર આશાના તાંતણાને પકડીને જીવી રહેલા આ નાયકને જોઈને ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવી જાય:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી યથાતથ્ રહે છે એ કેટલી મોટી વાત ગણાય! પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચિરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.