વસંત – જયશ્રી વિનુ મરચંટ

વસંતનું સુંદર અછાન્દસ!
હમણાં જ કવિયત્રી જયશ્રી વિનુ મરચંટે એમના અવાજમાં પઠન કરીને માહિતી સાથે મોકલી આપ્યું.
તમે પણ માણો ….

વસંતનું આ કાવ્ય ૧૯૭૬માં “દૂરદર્શન”ની વસંતની કવિતાની હરિફાઈમાં ત્રીજું ઈનામ પામ્યું હતું. જજ હતા વિદુષી હીરાબેન પાઠક. ઈનામ મળ્યું એનો આનંદ ખરો પણ હીરાબેનના આશિષ લેવાનો મોકો મળ્યો એનો આનંદ અનેરો હતો. હું ત્યારે ૨૭ વર્ષની હતી, મારા જીવનની ત્યારે વસંત હતી.
વસંત!

પઠન:જયશ્રી વિનુ મરચંટ

.

વસંત….
વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ..!
વસંત પાળે છે સપના, કોઈ પાંડુની હ્યદય વ્યથામાં..!
વસંત ઉજવે છે ઉત્સવ, યમુનાતટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં….!
વસંત હિમાલયના બરફમાં સંતાકુકડી રમતી ફર્યા કરે છે, ને પછી,,
રમતાં, રમતાં થાકી જાય છે ત્યારે,
ચક્રવાક મિથુનને શોધતી શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી, હસતી, ખેલતી, દડબડતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે, પ્રણયીની આંખોના વનમાં…!
ને, આ વનમાં, અહીંના દ્રુમોમાં, સૂરજ સંગે તડકે છાંયે રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ, વસંત પાછી ચાલી નીકળે છે…!
ને, સૂકાભઠ થયેલા આ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા વાંસના ઘર્ષણથી…!
ને, પછી….બાકી રહે છે
બળતરા, રાખ અને રાખમાં ચિનગારી….!
તો….
વસંતને આવતાં તો આવડે છે પણ..
જતા રહેવાની, પાછા જવાની રીત નથી આવડતી……!

-જયશ્રી વિનુ મરચંટ,કેલિફોર્નિયા

આ કવિતા ૧૯૭૬ માં મુંબઈના તે સમયના “દૂર દર્શન” ના, ગુજરાતી પ્રોગ્રામમાં યોજાયેલી “વસંત” ઋતુની કાવ્ય સ્પર્ધામાં ત્રીજું ઈનામ જીતી હતી. આદરણીય, સાહિત્યકાર હીરાબહેન પાઠક એ સ્પર્ધાના નિર્ણાયક હતાં. સેંકડો એન્ટ્રીમાંથી, સો માંથી સોંસરવી નીકળીને આવેલી આ કવિતા, આજથી ૪૫ વર્ષો પહેલાં, મેં પણ મારી યુવાનીની વસંતમાં લખી હતી. એ આનંદથી પણ બમણો આનંદ હતો આદરણીય મહાન સાહિત્યકાર સ્વ. હીરાબહેનને મળીને, એમની સાથે વાતો કરવાનો અને એમના આશીર્વાદ લેવાનો. આટલા બધા સમય પછી, આ ફેરની વસંતના વાયરા, આ વાત એની સાથે લઈને અચાનક આવ્યા અને જૂના સ્મરણોની વસંત મારા મન પર છવાઈ ગઈ.

તું હી મેરે રસના – દાદુ દયાળ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

તું હી મેરે રસના, તું હી મેરે બૈના
તું હી મેરે સ્ત્રવના, તું હી મેરે નૈના
તું હી મેરે રસના

તું હી મેરે આતમ, કવલ મંઝારી
તું હી મેરે મનસા, તુમ પરિવારી
તું હી મેરે રસના

તું હી મેરે નખસીખ, સકલ શરીરા
તું હી મેરે જિય રે, જયું જલનીરા
તું હી મેરે રસના

તુમ્હ બિન મેરે ઔર કોઈ નાહીં
તું હી મેરી જીવની,દાદૂ માંહી
તું હી મેરે રસના
– દાદુ દયાળ

સાવ રે સુક્કા ઝાડને જોઇ – રમેશ પારેખ

સ્વરાંકન અને સ્વર : વિજય ભટ્ટ

.

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું

– રમેશ પારેખ

ગ્લૉબલ કવિતા : ૧૯૬ : વસંત વિલાસ- ૦૧ – અજ્ઞાત

વસંત વિલાસ – પ્રકૃતિ અને પ્રણયનો અનનુભૂત સમન્વય

એકવિધતાથી વધુ બોરિંગ બીજું કંઈ હોતું નથી. કદાચ એટલે જ કુદરતે ઋતુચક્રનું નિર્માણ કર્યું હશે. એક પછી એક ઋતુઓની પીંછી ફરતી જાય અને દૃશ્યો બદલાતાં જાય. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આપણી મુખ્ય ઋતુ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આપણી પેટાઋતુઓ. આમાં વસંત અને વર્ષા –આ બે તો સૌની સૌથી વધુ લાડકી. અથર્વવેદના પૃથ્વીસૂક્તમાં ‘तस्य ते वसन्त: शिर’ કહીને વસંતને બધી ઋતુઓમાં માથે બેસાડવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ ‘ઋતુઓમાં હું વસંત છું’ (‘ऋतूनां कुसुमाकरः’ ૯:૩૫) કહે છે. વેદોના સૂક્તોથી લઈને રામાયણ, મહાભારત જેવા આપણા મોટાભાગના આદિકાવ્યોમાં ઋતુવર્ણનો જોવા મળે છે. કાલિદાસે ‘ઋતુસંહાર’ના છઠ્ઠા સર્ગમાં અપૂર્વ વસંતમહિમાગાન કર્યું છે, જે બે જ શ્લોકાંશમાં પણ યથાર્થ જોઈ શકાય છે: ‘सर्व प्रिये चारुतरं वसंते’ (હે પ્રિયે! વસંત ઋતુમાં બધું જ વધુ સુંદર લાગે છે) (૦૬:૦૨); ‘सद्यो वसन्तसमयेन समाचितेयं रक्तांशुका नववधूरिव भाति भूमिः।‘ (વસન્તનો સમાગમ પમી ધરતી જાણે કે લાલ પાનેતર પહેરેલી નવવધૂની જેમ શોભી ઊઠી છે.) (૦૬:૧૯) ગુજરાતી ભાષામાં પણ વસંત ઋતુનો સંસ્પર્શ ન કર્યો હોય એવો કવિ જડવો મુશ્કેલ છે. અત્રે પ્રસ્તુત દોહરાઓ ‘વસંતવિલાસ’માંથી લીધા છે.

‘વસંતવિલાસ’ નામ જ કવિતાના વિષયવસ્તુ પર પ્રકાશ ફેંકવા સક્ષમ છે. વસંત ઋતુ અને કામવિલાસ –બંનેનો અહીં સુભગ સમન્વય થયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું દોહ્યલું છે. કાવ્યપ્રકારની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતમાં આ કાવ્યપ્રકાર ખીલ્યો-ફાલ્યો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી પ્રાકૃત ભાષામાં ‘ફગ્ગુ’ શબ્દ આવ્યો, જેના પરથી ‘ફાગુ’ શબ્દ ઊતરી આવ્યાનું મનાય છે. (‘ફાગ,’ ‘ફાગણ,’ અને ‘ફાલ્ગુની’ નક્ષત્રની ગંગોત્રી પણ અહીં જડે છે.) આમ, ફાગુને વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર કહી શકાય. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર ફાગુકાવ્યોમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. આપણે ત્યાં ચૌદમીથી લઈને સત્તરમી સદી સુધી કવિઓએ ફાગુવિહાર કર્યાનું જોવા મળે છે. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે. ફાગુકાવ્યોના બહુધા જૈન (સોથી પણ વધુ) અને જૈનેતર (દસેક જેટલાં) એમ બે સ્વરૂપ ઉપલબ્ધ છે.

મધ્યકાળના કવિઓમાં કાવ્યાંતે પોતાનો નામોલ્લેખ સામાન્ય હતો, પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ અને મોટાભાગે જૈનેતર ગણાતા ‘વસંતવિલાસ’ના કર્તાનું નામ શોધવામાં ઇતિહાસકારો સફળ થયા નથી. ઈ.સ. ૧૬૩૮ની એક હસ્તપ્રતના અંતભાગે ‘इति मुंजकविना कृतं वसंतविलास फ़ाग समाप्तः’ લખેલું મળી આવ્યું છે અને વસંતવિલાસની આખરી કડીમાં પણ ‘મુંજ’ શબ્દ વપરાયો હોવાથી કેટલાક લોકો કવિનું નામ મુંજ હોવાનું અનુમાને છે, પણ સર્વસ્વીકૃત અભિપ્રાય વસંતવિલાસને અજ્ઞાત કર્તાની શિષ્ટસાહિત્યકૃતિ હોવાનું સ્વીકારે છે.

સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. દુહાની બંને પંક્તિઓમાં અનુક્રમે ૧૩ તથા ૧૧ માત્રાના બે ચરણ મળીને કુલ્લે ૨૪ માત્રા હોય છે. એકી (પ્રથમ અને ત્રીજા) ચરણનું માપ દાદા દાદા દાલદા અને બીજા-ચોથા (બેકી) ચરણનું માપ દાદા દાદા ગાલ મુજબ હોય છે, જેમાં લઘુ માત્રા યથાવત્ જાળવવાની હોય છે. વસંતવિલાસમાં જો કે દુહાબંધ ઘણી જગ્યાએ શિથિલ પડ્યો અનુભવાય છે. વસંતવિલાસમાં કુલ્લે ૮૪ કડીઓ (દુહાઓ) છે. સમ (બેકી) ચરણોના અંતે પ્રાસ મેળવવાનો રહે છે. પણ વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમકસાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમકસાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફાગુકાવ્યોનો બ્રાન્ડ એમ્બેસડર બનાવે છે, અને અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે. ગુજરાતી વ્યાકરણના પુસ્તકમાં જોવા મળે એ તમામ અલંકારો અને ઉપમાઓ કદાચ છસો વર્ષ પૂર્વે લખાયેલા આ કાવ્યમાંથી જડી આવે એવી ને એટલી આ રચનાની ભાષાસમૃદ્ધિ છે. પ્રવાહી ભાષા, વિપુલ શબ્દભંડોળ, અનન્ય નાદસૌંદર્ય, અદભુત અંતર્પ્રાસ અને અભૂતપૂર્વ આંતરપ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે. કવિને એકેય જગ્યાએ વર્ણન કે ભાવ આલેખવા; લય કે પ્રાસ જાળવવા શબ્દોની તંગી પડી હોવાનું દેખાતું નથી. છસો વર્ષ પૂર્વેની આપણી ભાષા પણ કેટલી સબળ-સક્ષમ હતી એનું વસંતવિલાસથી મોટું પ્રમાણ જડવું મુશ્કેલ છે.

આખું કાવ્ય તબક્કાવાર ગતિ કરે છે. કાવ્યારંભે મંગળાચરણ બાદ શરૂમાં વસંત ઋતુનો વૈભવ અને કામદેવનો મહિમા આલેખાયો છે. વસંત-વન અને મદનવર્ણનમાં ક્રમશઃ પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા ભળે છે. વિરહિણીની ઉદ્દીપ્ત અવસ્થામાં છેવટે પ્રિયતમના આગમનની ખુશી અને અંતે ઉભયના મિલન અને પ્રણયવિલાસનું વર્ણન સામેલ થાય છે. પણ સરવાળે આ સળંગસૂત્રી રચના છે. શરૂથી અંત સુધી સમગ્ર કાવ્યવસ્તુ એક જ તાંતણે બંધાયેલું રહે છે.

થોડા દુહા જોઈએ:
(૦૧)
પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ શિવરાત્રિ ને આવી ઋતુ વસંત,
દસ દિશ પરિમલ પ્રસરી ને નિરમલ થયા દિગંત |૨|

સમરાત્રિ શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંત તણી ઋતુ છે. દસે દિશામાં પરિમલ પ્રસરી રહી છે અને દિગંત નિર્મલ થયા છે.

આમ તો વસંતપંચમીથી વસંત ઋતુ શરૂ થયેલી ગણાય પણ વસંતપંચમી મહા માસના પ્રારંભે (ફેબ્રુઆરીમાં) આવે છે અને શિવરાત્રિ મહા માસના અંતે. શિવરાત્રિ શિયાળો પૂરો થયાનું અને વસંતના આગમનનો ઈશારો કરે છે. અને ફાગણ મહિનાથી (મધ્યમાર્ચથી) વસંત ઋતુની શરૂઆત થાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ ૨૧મી માર્ચે અને આપણા પંચાગ મુજબ શિવરાત્રિના રોજ દિવસ અને રાતની લંબાઈ એકસમાન હોય છે. કવિ કહે છે, જેમાં દિવસ અને રાત એકસમાન છે એવી શિવરાત્રિ આવી ચૂકી છે, અર્થાત્ હવે વસંત ઋતુ શરૂ થઈ છે. પરિણામે છોડ-વૃક્ષો પર પુષ્પો ખીલી ઊઠ્યાં છે અને એમની સુગંધ દસેય દિશાઓમાં ફેલાઈ રહી છે. વળી, આકાશમાં આ સમયે વાદળો પણ જોવા મળતાં નથી અને આકાશ પણ નિર્મળ સ્વચ્છ નજરે ચડે છે. કવિએ શિવરતિ-સમરતિની યમકસાંકળી સાથે રિતુની વર્ણસગાઈ બાંધી છે. ત-દ-પની વર્ણસગાઈ ઉપરાંત પરિમલ-નિરમલ, દિસિ-દિશિ પણ તરત ધ્યાન ખેંચે છે.

(૦૨)
વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

ફગફગ ગુણ વસંત તણા, મઘમઘ સૌ સહકાર,
અપાર ટહુકી કોકિલા, કરે ત્રિભુવન જયજયકાર. |૪|

વસંતના ગુણ વિસ્તરી રહ્યાં છે. બધા આંબા મઘમઘી રહ્યા છે. અને કોયલના અપાર ટહુકા ત્રિભુવનમાં જયજયકાર કરી રહ્યા છે.

કવિએ આંબા માટે સહકાર શબ્દ વાપર્યો છે. જંગલી અને સારા આંબાની ડાળ એકસાથે બાંધીને સહિયારી કલમ ચડાવવાથી જે કલમી આંબો બને તેને સહકાર કહેવાય છે.

પિકવલ્લભ કામાંગ સુરભ મદિરા સખ સહકાર,
અંબ રસાલની ડાળીઓ નમી રહી ફળભાર. (પિંગળલઘુકોષ)

વસંત ઋતુની લાક્ષણિકતાઓ ઊઘડી રહી છે. આંબાઓ મંજરીઓથી મઘમઘ થવા માંડ્યા છે અને વસંત ઋતુની છડીદાર એવી કોયલ એના પાર વિનાના ટહુકાઓથી ત્રણેય ભવનમાં વસંત ઋતુનો જયજયકાર કરવા માંડી છે. બે જ પંક્તિમાં કેવું અદભુત ચિત્ર કવિએ દોરી આપ્યું છે! કાલિદાસનું ઋતુસંહાર ફરી યાદ આવે:

आकम्पयन्कुसुमिताः सहकारशाखा विस्तारयन्परभृतस्य वचांसि दिक्षु।
वायुर्विवाति हृदयानि हरन्नराणां नीहारपातविगमात्सुभगो वसन्ते ॥६.२२॥

વસંતમાં શીતકાળ વીતી જવાથી મનભાવન વાયુ વાય છે. તે પુષ્પસભર આમ્રવૃક્ષની શાખાઓને ડોલાવી રહ્યો છે. કોયલના ટહુકાઓને સર્વ દિશાઓમાં ફેલાવી રહ્યો છે અને સહુ નરોના હૃદયોને હરી રહ્યો છે. ભર્તૃહરિ શૃંગારશતકમાં લખે છે: प्रसरति मधौ धात्र्यां जातो न कस्य गुणोदयः। (८१) (વસંત ધરતી ઉપર પ્રસરે છે ત્યારે કોના ગુણોનો ઉદય નથી થતો?) વસંતના પ્રભાવથી બધું જ ગુણવાન બને છે.

(૦૩)
માનિનીજનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

ક્ષુબ્ધ કરે માનુની મન, મનહર વાયુ વાય,
કામક્લાન્ત કામી તણા અંગોને સુખ થાય. |૬|

માનિની સ્ત્રીઓના મનને ક્ષુબ્ધ કરે એવા મનોહર વાયુ વાય છે. રતિક્રીડાથી થાકેલા કામી જનોના અંગોને શાતા વળે છે.

વાસંતી વાયરા વાઈ રહ્યા છે. વસંતના પવનનો તો જાદુ જ નોખો. એ ભલભલી માનુનીઓના માનપાન મૂકાવે, મનને વિચલિત કરી દે એવો મનહર છે. કામકેલિ કરીને થાકી ગયેલા કામીજનોના અંગોને આ પવન વાતા શાતા અનુભવાય છે. કવિએ નિધુવનકેલિ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ છે જેમાં શરીરની નાડી માત્ર આનંદિત થતી હોય એવી જાતનો સંભોગ. કવિને કેટલો સબળ શબ્દકોશ હૃદયસ્થ છે એ સમજી શકાય છે. આ દોહામાં અનુનાસિક વર્ણોનો મુશળધાર વરસાદ અકલ્પનીય નાદસંગીતથી આપણને સરાબોળ ભીંજવે છે. આપણી વર્ણમાલામાં ઙ્, ઞ, ણ, ન, મ, એમ પાંચ અનુનાસિક વ્યંજન છે. કવિએ ‘ન’ અને ‘મ’ની વર્ણસગાઈથી અનુદ્ભુત નાદસૌંદર્ય જન્માવ્યું છે. ક્ષોભન-શોભન, કલામીય-કામીય જેવી યમકસાંકળી તો વળી ખરી જ.

(૦૪)
મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

મન ભેદે મુનિ તણાં, છેદે માનુની માન,
કામીને આનંદ દે, પથિકના પીડે પ્રાણ. |૭|

(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

વસંતના વાયરાનું વર્ણન આગળ વધે છે. વસંત ઋતુનો પ્રભાવ કંઈ એવો છે કે ભલભલા મુનિવરો પણ બેચેન થઈ ઊઠે. અને જો સાધુવરોના મન પણ વ્યથિત થઈ ઊઠતાં હોય તો મદભરી મનુનીઓના માનની તો શી વિસાત? ‘चित्तं मुनेरपि हरन्ति निवृत्तरागं प्रागेव रागमलिनानि मनांसि यूनाम्॥’ (જેમનો કામવિકાર શમી ગયો છે એવા મુનિના ચિત્તને પણ હરે છે, તો જેના મન રાગસભર છે એવા યુવાનોનું તો પૂછવું જ શું?) (કાલિદાસ ઋતુસંહાર: ૦૬:૨૬) અર્થોપાર્જનાર્થે ઘર ત્યજી બહાર નીકળનાર પથિકની કામેચ્છામાં પણ વસંત ઋતુ ભડકો ચાંપે છે, પરિણામે તેઓના પ્રાણ પિયુવિરહની પીડા ભોગવે છે. વસંતના જાદુથી પ્રદીપ્ત થયેલ કામાગ્નિ શાંત કરવામાં નસીબદાર એવા કામીજનો જ માત્ર આ ઋતુમાં આનંદપ્રાપ્તિ અનુભવે છે. ભર્તૃહરિ પણ કહે છે કે, વસંત શીતળ વાયુઓથી વિરહીઓનાં શરીરને મારે છે, અરેરે! વિપત્તિમાં અમૃત પણ ઝેર બને છે. (विरहिणः प्रहिणस्ति शरीरिणो विपदि हन्त सुधापि विषायते।) (શૃંગારશતક: ૮૨ ) ઇસવીસનની પહેલી કે બીજી સદીમાં, આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા સાતવાહન-હાલ કવિના પ્રાકૃત મુક્તકોમાં પણ વસંતવાયુથી પથિકોને થતી પીડાનું વર્ણન જોવા મળે છે:

કુરુણાહો-વિઅ પહિઓ દુમ્મિજ્જઈ માહવસ્સ મિલિએણ
ભીમેણ જહિચ્છાએ દાહિણન્વાએણ છિપ્પંતો

જેમ માધવ (કૃષ્ણ)ના સંગે રહેલા ભીમના દક્ષિણ ચરણનો ભરપૂર સ્પર્શ પામીને દુર્યોધન પીડિત થયેલો, તેમ માધવ (વસંત)ના સંગે રહેલા ભીમ (ભીષણ) દક્ષિણ પવનનો ભરપૂર સ્પર્શ પામતો આ પથિક પીડાઈ રહ્યો છે.

મને રામ રંગ લાગો – મીરાંબાઈ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

મને રામ રંગ લાગો,મારો જીવરો ધોકો ભાગો
મને રામ રંગ લાગો રે,રાધેશ્યામ રંગ લાગો
મારો જીવરો ધોકો ભાગો

સાચા સે મારા સાહિબ રાજી જૂઠાસે મન ભાગો
આન કાયા કો કાંઈ ભરોસો
કાચા સુતકો ધાગો રે

હરજી આયા મોરે મન ભાયા, સેજરિયા રંગ લાયા
હરજી મોટો કિરપા કિન્હી
પ્રેમ પિયાલા પાયા રે

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,હરિ ચરનન ચિત્ત લાગો
મીરાં દાસી જનમ જનમ કી
પૂરન ભાગ સબ લાગો રે
-મીરાંબાઈ

જય જય શ્રી કૃષ્ણ – રાણી રૂપ કુંવરી

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે
નંદકે દુલારે, નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે

મુરલીધર લકુટહાથ,વિહરત ગૈયનકે સાથ
નટવર સબ વેષ કિયે,યશુમતી કે પ્યારે
નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે

હોં તો તવ શરણનાથ, બિનવતિ ધરિ ચરન માથ
રૂપકુંવરી દરસહેતુ ,શરણ હોં તિહારે
નંદકે દુલારે, નંદકે દુલારે
જય જય શ્રી કૃષ્ણચંદ્ર નંદકે દુલારે
-રાણી રૂપ કુંવરી

ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

મારે તો રોજ જલસા – ખલીલ ધનતેજવી

મારે તો રોજ જલસા લગાતાર કેટલા ?
બોલ તારા વર્ષમાં રવિવાર કેટલા ?

જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે;
એવા અહીં લાગણીના દ્વાર કેટલા ?

ઘર એક પણ સૌના ઓરડા અલગ;
ઘરમાં જ અંદામાન નિકોબાર કેટલા

-ખલીલ ધનતેજવી

જાગ રે જાગ મુસાફર – ‘સ્નેહરશ્મિ’

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

જાગ રે જાગ મુસાફર વ્હેલોઃ
રાત સિધાવે દિન જો આવે
દરવાજો તુજ હજી દીધેલો !

ધરતીનાં સપનાં શું જુએ?
તરુણ અરુણ ત્યાં વ્યોમે ચુએ!
રખે સૂરજનો દેશ તું ખુએ,
રખે રહે તું તિમિર-ડૂબેલો !

ચાલ ધરાનાં બંધન તોડી,
સુખ દુઃખની કથા લે ઓઢી,
સત્વર તારી છોડને હોડી,
સંઘ ગયો તું રહ્યો અકેલો !

પ્રાચીનાં નયનો જો ખૂલે,
પરિમલ સૂતા જાગે ફૂલે;
જાહ્નવી જગની જોને ઝૂલે,
પનઘટ પર જામ્યો છે મેળો !

– ‘સ્નેહરશ્મિ’

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની  વિગત  આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય  એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!

આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…

માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.

*********************
Previously posted on May 2, 2013:

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત