ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

2 replies on “ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી”

  1. ઓઝિમેંડિયઅસ.. સરસ.. સંતોષ થાય એવું માતૃભાષામાં અવતરણ. એક વખત અભ્યાસ પુસ્તક.. ટેક્સટ બુકમાં હતું.વિસ્તરણ જરા લાંબુ પણ.. રજીપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *