હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

ગઈકાલે જ મુંબઈમાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું – જેમાંથી આ ગીત લેવામાં આવ્યું છે.. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ આલ્બમમાં સ્વરબધ્ધ થયેલી હિમાંશુભાઇની એક ગઝલ આપ લયસ્તરો પર સાંભળી શકો છો.

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: રિંકી શેઠ
આલ્બમ : ત્રિવેણી સંગમ

.

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે
મળી જાય તું ક્યાં હે, સ્નેહા, એક અટુલી રાહે

હે નિર્મલ તું મળી ન ક્યાંયે, પાન પાન કે ડાળે
તારી હું કરતો રહું આશા, એક અનંતન કાળે

મંદગતિ વિલંબીત તાલે, ધ્રુતમાં ટૂટી જાતો
હે સ્નેહા, તું મધુર ગાય ને સમમાં વિરમી જાતો

સંત કહે કે હરિધામમાં મળતો સહુને વહેતો
હું જ્યાં દોડ્યો હરિ ચરણમાં તું ત્યાં ભેટી જાતો

————

To order this album – please contact Himanshu Bhatt : hvbhatt@yahoo.com

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને… – રમેશ પારેખ

આજે ફરીથી રમેશ પારેખ… પરંતુ એકદમ હળવા મિજાજમાં.. એમના famous છોકરા – છોકરી ગીત સાથે..!!

(વાદળનો હિંચકો… Grand Canyon, Arizona – Aug 31, 2008)

* * * * *

સ્વરાંકન – સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલબ્મ : તારી સાથે

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ

છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ…

હસ્તાયણ – રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું,
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફક ઢળી પડ્યાં નીચે,
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી,
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો,
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે.

આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા,
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ,
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે

હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે,
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે.

આ હાથ સૌથી ખતરનાક બોમ્બ છે તોપણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે.

‘રમેશ’, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ,
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

– રમેશ પારેખ

મહોબ્બતમાં હવે મારો પરિચય – બરકત વિરાણી ‘બેફામ’

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

નીકળ્યા ! – અમૃત ઘાયલ

ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઇથી ન પ્રેમના અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથે લઇ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડ્યા બિન્દુ મોતીઓ,
મારા કરમ કે આંસુઓ તોફાન નીકળ્યા.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યા પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ઘાયલ

સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

ગઝલ પાસે – ઉર્વીશ વસાવડા

તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે
અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે

યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે
છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે

ફક્ત બે ચાર ટીપામાં નશો એનો ચડી જાતો
સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે

નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે
નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે

મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં અને ઘરે-ઘરે ગુંજતી કરવામાં ‘મનહર ઉધાસ’નો કેટલો મોટો ફાળો છે, એ કોઇ ગુજરાતી ગઝલ-પ્રેમીને યાદ કરાવવાની જરા પણ જરૂર નથી..! થોડા વખત પહેલા એમનું 25મું Album ‘આભાર’ પ્રગટ થયું એ પ્રસંગે ઓસ્લિયાના ‘સૂર-સંવાદ’ રેડિયોના આરાધના ભટ્ટે એમની સાથે કરેલો વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.

(મનહર ઉધાસ વિષે થોડું વધુ અહીંથી જાણી શકશો)

અને એ સાથે આપ સૌને જાણતા આનંદ થાય એવા સમાચાર પણ છે… એમનું 26મું Album ‘અક્ષર’ તૈયાર છે, અને સારેગામા એને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં launch કરી રહ્યું છે. તો આપણે આ achievement માટે મનહરભાઇને હાર્દિક અભિનંદન આપીએ..!

કાગળ પર ચિતરેલી નદીને હોય – અમિત ત્રિવેદી

સ્વર : નીશા પાર્ઘી
સંગીત : નયનેશ જાની

.

કાગળ પર ચિતરેલી નદીને હોય કાગળની હોડીના અંજળ,
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

વેદનાની વાવમાં ઉતરુ શું કામ
દરિયાનો છોરો હું તો દરિયો થઇ જાઉં
ધસમસતી નદીઓ પછી આવશે અપાર,
ધોધમાર વરસાદી સ્વપ્ન થઇ આવું

રોજરોજ મારામાં ભળશે એ પળ, ઝુકી ઝુમી પછી ભરશે વાદળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

અંધારી રાતોમાં દીવા કરું
જોવા દીવા તળેનું અંધારું
ઘેર ઘેર દીવડાઓ પ્રગટે પ્રગટે
ને પછી અજવાળું થાતું સફ્યારું

રોજ રોજ મારામાં ઓગળી શકું, પછી અંધારા લાગવાના પોકળ
મારામાં જીવતી એક સોનેરી પળ એને સોનેરી શ્વાસોના ઝળહળ

– અમિત ત્રિવેદી

શું થયું મુંબઇ ? – કૃષ્ણ દવે

શું થયું મુંબઇ ?
બધ્ધું જ શમી ગયું ને !
એ તો સ્મશાન વૈરાગ્ય !
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય.
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?
રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?
ચાલ હવે શાંતિથી ઉંઘી જા.
બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.

– કૃષ્ણ દવે