લાઈન લગાવો ! – મુકુલ ચોકસી

આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?!

તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!

લાઈન લગાવો… લાઈન લગાવો

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો
લાઈન લગાવો…

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો

પરિકલ્પના : મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

ઓઢણી લહેરલ લહેરલ જાય – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. ! અને સાથે એમનો આ ગરબો બે અલગ-અલગ સ્વરાંકન સાથે.. આરતી મુન્શીના મીઠેરા સ્વર સાથે…!

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : એફ. આર. છીપા

.

સ્વર :આરતી મુન્શી
સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ

.

ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..
મલકે નમણી નાર..(૨)
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલો
મોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,
તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર સાથ,(૨)
રાસની કંઈ જામે રમણા (૨) છ્લકે સાગર સાત..
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…

ચૂંદડીમાંથી રંગ ચૂએને, ધરતી ભીંજાઈ જાય (૨)
પાંગરી મારી મનની કૂંપણ (૨) હૈયું ઝોલાં ખાય..(૨)
હો વાદળી લહેરલ જાય..
લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય…
મલકે નમણી નાર..(૨)

———–
આભાર : સિધ્ધાર્થભાઇ ઝીણાભાઇ દેસાઇ, મેહુલ શાહ

એક ટહુકો છે, બધે સંભળાય છે. – અંજુમ ઉઝયાનવી

ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાંઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઇ ભીંજાય છે.

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.

– અંજુમ ઉઝયાનવી

હર મહોબ્બત તણા ઇતિહાસના… – કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત

.

હર મહોબ્બત તણા ઇતિહાસના પુરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા.

હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા,
હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

હર હોઠની મુસ્કાનમાં મત્લા નથી હોતા,
હર વાર્તાનાં અતં સરખા નથી હોતા.

હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા.

હર ચમનમાં ઉડતા બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા.

એક તમારા મતને ખાતર – કૃષ્ણ દવે

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

– કૃષ્ણ દવે

રુમઝુમ પગલે ચાલી – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વર : પરાગી પરમાર

.

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)

ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…

રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી

(આભાર : સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ)

ગઝલ – અશરફ ડબાવાલા

મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,
ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.

ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;
મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી.

હું સમયની ધૂપ ખંખેરી થયો’તો ચાલતો;
મેં ક્ષણોની જાતને પણ પારખી લીધી હતી.

ફેણ ને ફુત્કાર દાબી રાફડે રે’વું પડ્યું;
કેમ કે સંબંધની તેં કાંચળી લીધી હતી.

જિંદગી આખી ગઝલની કેદમાં રે’જે હવે;
ગુપ્તચર થૈ તેં હ્રદયની બાતમી લીધી હતી.

– અશરફ ડબાવાલા

પ્રિતડી બાંધતા રે બંધાઇ ના…

સ્વર : મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર
કવિ : ??
સંગીત : ??

.

પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ

સપનાં રોળાઇ ગયા, કાળજ કોરાઇ ગયા,
તારી જુદાઇમાં, મનથી વિંધાઇ ગયા
ઓ વ્હાલમા…
તડકો ને છાંયો જીવન છે, નાહક મુંઝાઇ ગયા…
કે પ્રિતડી…

નૈને નિંદર નથી, ક્યાં છું ખબર નથી
દિલડાને જંપ હવે તારા વગર નથી
ઓ વ્હાલમા…
સંસારી ઘુઘવતા સાગરે
ડુબવાનો ડર નથી…
કે પ્રિતડી…

તારી લગન લાગી, અંગે અગન જાગી
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી
ઓ વ્હાલમા..
વસમી વિયોગની વાટમાં
લેજો મિલન માંગી

કે પ્રિતડી બાંધતા રે બંધાઇ ના
બંધન જન્મોજનમના ભૂલાઇ ના
લખ્યું લલાટનું ના ભૂંસાઇ

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

કારણ – ચિનુ મોદી

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઇનામાં પણ મને શ્રધ્ધા નથી,
કોઇની શ્રધ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઇ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઇ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઇ પણ કારણ ન હો.