વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં
પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે
આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)
કાવ્ય પઠન – હરિન્દ્ર દવે
.
સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
.
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
‘મેઘબિન્દુ’નું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જન્મ : ૧૯૪૧), કાવ્યસંગ્રહ : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય. આ કવિ મુંબઈમાં- મુલુંડમાં રહે છે. એમની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે.
અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે કાગળમાં તમને સુખની ઘટના લખું. લખવા જાઉ છું ત્યાં તમારા વિનાનું મારું સુખ એટલે દુ:ખ-મારી કલમને રોકે છે. દુ:ખની ઘટના લખવા જાઉ તો હૃદય હાથને રોકે છે.
કારણ કે તમે પણ મારા જેટલા જ દુ:ખી હો અને એમાં હું તમને મારા દુ:ખની વાત કરીને વધારે દુ:ખી કરું એ મને ન ગમતી વાત છે. લખવું છે અને લખાતું નથી. લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારેય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી. પ્રહ્લાદ પારેખની ચાર પંકિત યાદ આવે છે.
હૈયાની જાણો છો જાત?
કૈવી હોયે કંઈયે વાત,
તોયે કૈવી ને ના કૈવી,
-બંને કરવાં એકીસાથ!
પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યા હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યકિતની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જીવાય એટલું જીવી લેવું છે. આ સાથે એક ગીત મુકું છું:
હું તો લખતી ને કોરો રહે કાગળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
અહીંના આકાશ મહીં ત્યાંનાં કોઈ વાંદળાં
રે, આવી આવીને જાય વરસી;
હરિયાળી આમ ભલે ખીલી ને તોય મને
લાગે કે આજ ધરા તરસી.
એકેએક ઘૂંટે ઘૂંટાયો દાવાનળ;
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
પંથ મારો ચાલે ને તોય મને લાગે
કે અહીંયાં કોઈ પંથ નથી કયાંય;
અહીંનો સૂનકાર બધો આવે સમેટવા
એવો કયાં ટ્હૌકો રેલાય?
મૌનમાં ગળતો રહે છે હિમાચળ
કે પંથ મારો આગળ જતો ને હું રહું પાછળ!
ટહુકોના એક વાચક-શ્રોતા મિત્ર ‘રાજશ્રીબેન ત્રિવેદી’ એક ગીત છેલ્લા ૨૦ વર્ષથી શોધતા હતા, અને આખરે એ ગીત એમને મળ્યું પણ ખરું..! અને એમણે તરત જ એ ગીત ટહુકોના બીજા મિત્રો સાથે વહેંચવા મને મોકલી આપ્યું..! જો કે મેં એ ગીત… શ્રાવણના દિવસોમાં સાંભળાવવા માટે સાચવી રાખ્યું..! 🙂
પણ શ્રાવણ આવી ને જતો રહ્યો તો યે એ ગીત સંભળાવવાનું તો ભૂલી જ ગઇ..! (માફ કરશો ને?! 🙂 તો ચલો, આવતા વર્ષના શ્રાવણ સુધી રાહ નથી જોવી..!! આ રહ્યું આ અણમોલું ગીત.. સુધા મલ્હોત્રાના સ્વરમાં..!!
ગીત વિષે વધુ માહિતી નથી મારી પાસે… તમે મદદ કરશો ને? !!
સ્વર – સુધા મલ્હોત્રા
કવિ – ?
સ્વરકાર – ?
.
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન
આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રિત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન