આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.
અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!
ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા
________________
Posted on December 4, 2007
મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!
સ્વર : શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી
.
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
-મનોજ ખંડેરિયા
————
વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :
અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.
મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.
મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…
હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?
આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..
અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ
થોડા વખત પહેલા ટહુકો પર પેલું એકદમ સ્પેશ્યલ ગીત – દે તાલ્લી… દે તાલ્લી… સાંભળેલું, એ યાદ છે ને? એજ આલ્બમ – ‘દે તાલ્લી’ માં સ્વરબધ્ધ એક બીજું ગીત આજે સાંભળીએ.. અને એ પણ એક મઝાના ખબર સાથે..!!
‘સાંસ્કૃતિક અભિવાદન ટ્રસ્ટ’ તરફથી ૨૦૦૯નો સંગીતક્ષેત્રનો એવોર્ડ શ્રી રાજેન્દ્રભાઇને મળી રહ્યો છે. આપણા સર્વે તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન..!! અને હા, મુંબઇગરાને એમના તરફથી ખાસ આમંત્રણ છે આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા..!! એવોર્ડની સાથે એમનો તથા ઇંદિરા નીકે અને શાહબુદ્દિન રાઠોડનો કાર્યક્રમ પણ છે..! (જેમને બીજા ક્ષેત્રોમાં એવોર્ડ મળી રહ્યા છે..!)
સ્થળ – સમય – તારીખ : 13th February – Bhavans, Chowpatty at 5.30 p.m
(The entry is absolutely free and without passes)
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
૨૭મી ઓક્ટોબર – વ્હાલા કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પુણ્યતિથિ. ૬ વર્ષ પહેલા અચાનક જ આપણી વચ્ચેથી એમણે ભલે વિદાય લીધી એમ કહેવાય – પણ મનોજ ખંડેરિયા આમ જુઓ તો ક્યાંય નથી ગયા…
જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?
ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!
ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.
સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!
.
અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!
.
ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.
– મનોજ ખંડેરિયા
સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…
મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.
શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.
સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.
પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!
આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!
એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.
આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.
સ્વર – સંગીત : અમર ભટ્ટ
.
ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.