Category Archives: જલન માતરી

સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં – જલન માતરી

મહેલો મહી રહું કે હું જઈને વસું કુટિરમાં,
સંદેશ આપના મને સંભળાય છે સમીરમાં.

પ્હોંચી શકાશે મંઝિલે શી રીતે એ જ પ્રશ્ન છે,
શક્તિ રહી નથી હવે પહેલાં સમી શરીરમાં.

ઊંચે જવું જો હોય તો હલકાની લે મદદ જરૂર,
પીંછાં વિના વિહંગના આવે ગતિ ના તીરમાં.

નિજ હાલ પર ન ગર્વ કર ના હસ બીજાના હાલ પર,
નહીંતર થઈને રહેશે શું તારું અહીં લગીરમાં.

હાલતના તો ગરીબ પણ દિલના તો બાદશાહ છીએ,
ગણના અમારી તે છતાં થાતી નથી અમીરમાં.

– જલન માતરી

ઊંઘી ગયો હોઈશ – જલન માતરી

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ઓસમાન મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 3

.

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ.

નહીંતર હાથમાંથી જાય છટકી શી મજાલ એની?
હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ.

જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જયારે ચૂંથતાં શીખીગયો હોઈશ.

પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે,
મુકદ્દરને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ.

દુઆ ના કામ આવી એ ઉપરથી એમ લાગે છે,
ઇબાદતની જ હાલતમાં ‘ જલન ’ ભટકી ગયો હોઈશ.
– જલન માતરી

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં અચલ અંજારિયાના સ્વરમાં સાંભળો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર

શંકર નહીં આવે – જલન માતરી

શ્રી જલન માતરી સાહેબન જન્મદિવસે – આજે માણીએ એમની આ મઝાની ગઝલ…

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે;
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– જલન માતરી

તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી

જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..

અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો

સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી

pearl.jpg

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

મહેફિલ – 1

આજે એક નાનકડુ સંકલિત…  કોઇ વિષય વગર…  બસ એમ જ, મને ગમેલા થોડા શેર એક સાથે…  ગમશે ને દોસ્તો ?  🙂

flickr1.jpg
દિલ મહીં તુજ ધ્યાન વિણ બીજું કશું પણ હોય શું ?
રાધિકાને ક્હાન વિણ બીજું કશું પણ હોય શું ?
– અગમ પાલનપુરી

હેમ છું મિત્રો કસોટી જોઇને વિહવળ નથી
પારખી લેજો મને સો વાર હું પિત્તળ નથી.
– અઝીઝ કાદરી

એટલે કરતો નથી એની દવા
ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
– અઝીઝ ટંકારવી

ભીંત ઉપર મોર ચીતરો તો ભલે
ત્યાં ટહુકા ટાંગવાનું વ્યર્થ છે.

સાવ નિર્મમ ના કહે ‘ગુડ બાય’ તું
ગુજરાતીમાં ‘આવજો’ બોલાય છે.

તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા
અહીંયા આંસુ ટિસ્યુથી લૂછાય છે.
– અદમ ટંકારવી

સરનામું બધે મારું હું તો પૂછતો હતો
છોડી ગયા છે લોકો તારા દ્વાર પર મને.

સ્વપ્નમાં પણ જે કદી આવ્યા નહિ
ઉમ્રભર યાદ આવશે નહોતી ખબર !
– અદી મિર્ઝા

ના, નહીં પહોચી શકું તારા સુધી,
ઉંબરો, પરસાળ જેવુ હોય તો…
– અંકિત ત્રિવેદી

ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી !
– અંજુમ ઉઝયાનવી

છે સુગંધોનો ખજાનો ક્યાંક તારા ભીતરે
પુષ્પના વિન્યાસ પાસે ખંડણી ઉઘરાવ મા.

તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો
તને ટીપું નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે.
-અશરફ ડબાવાલા

ટહુકાઓનું તો ઠીક બધે વિસ્તરી ગયા
છોડી તને વિહગ ! પીંછાં કરગર્યા કરે.
– આશ્લેશ ત્રિવેદી

તારી ભીતર આખો ઝાકળનો દેશ
તડકાના ટુકડા સંઘરવાનું છોડ
– કાજલ ઓઝા

મારા હ્રદયમાં કો’કના પગરવની આસ છે
વાતાવરણમાં એટલે આવો ઉજાસ છે.
– કાસમ પટેલ

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવો ?

હું જ અંધારાના ડરથી આંખ ના ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી.

પહેલાં જેવો પ્યારનો માણસ નથી
આ જગતમાં ક્યારનો માણસ નથી

તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું
મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું.
– ખલીલ ધનતેજવી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
– જલન માતરી

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
– મનહરલાલ ચોક્સી