(દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો….Photo : Operation Shanti)
.
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક
ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક
હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક
તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક
ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં
આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!
ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!
આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..
અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.
દેશમાં તો ગઇકાલે ધૂળેટી ગઇ.. પણ અમેરિકા અને બીજી ગઇ જગ્યાએ ઘણા વખત સુધી હોળીના રંગો ઊડશે.. (અહીં બધું સગવડ પ્રમાણે.. હોળી હોય કે દિવાળી – Weekend વગર એ ના આવે.. 🙂 )
તો આજે ફરી એક હોળીના ઘેરૈયોઓનું મજેદાર બાળગીત.. સાથે સાથે તમને પણ ગાવાનું મન થઇ જાય એવું..!
સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.! 🙂
દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!
અને કાલે ફરી મળીશું – ધૂળેટીના રંગોભર્યા બીજા એક ગીત સાથે… 🙂
ટહુકો શરૂ કર્યો અને થોડા જ વખતમાં સ્મૃતિપટમાં કશેક સંતાઇ ગયેલું આ ગીત યાદ આવેલું.. એને મેળવવામા પ્રયત્નોમાં અમદાવાદ દૂરદર્શનમાં ફોન પણ કરેલો, પણ કોઇક કારણસર આ ગીત ન મળ્યું. ત્યારનું શોધતી હતી આ ગીત – જે થોડા દિવસ પહેલા જ જપને શોધી આપ્યું!!
૯૦ના દસકામાં થોડા થોડા દિવસે અમદાવાદ દૂરદર્શન પર દરરોજ આવતું આ ગીત.. (ત્યારે આ ઝી-સ્ટાર-સોનીનો જમાનો નો’તો! લોકો પ્રેમથી દૂરદર્શન જોતા..!) અને જેટલીવાર આવતું એટલીવાર સાંભળવાનું – જોવાનું ગમતું..! ત્યારે તો મમ્મી-પ્પપા પણ હજુ અમદાવાદ નો’તા ગયા.. પણ તો યે – આ અમદાવાદી ગીત કંઇક ખાસ વ્હાલું લાગતું..!! અમદાવાદની સૌથી પહેલી મુલાકાત કદાચ આ ગીતે જ કરાવેલી 🙂 બાળપણની કેટકેટલી યાદો ફરી તાજી થઇ જાય આ એક ગીત સાથે….
અને આજે આ અમદાવાદી ગીત સાથે બીજા એક મજેદાર સમાચાર (ઘણાને જેના વિષે ખબર હશે જ).
અને ૬૦૦ વર્ષનું આ લાડીલું શહેર છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું બદલાયું છે – એ ‘આજના અમદાવાદ’થી પરિચિત કોઇ પણ વ્યક્તિ આસાનીથી જોઇ શકશે આ વિડિયોમાં (જપને દેશગુજરાત.કોમ પર એની summary આપી જ છે).
અને હા, બીજા એક મીઠ્ઠા ખબર :
આ ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે – જે જોવા તમને પણ આમંત્રણ છે 🙂 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..