Category Archives: સંગીતકાર

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની

.

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

– અમર પાલનપુરી

અમે ફેર ફુદરડી ફરતા તાં….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
આલ્બમ – આંગણામાં નાચે મોર (ગમતાં બાળગીતો)

.

અમે ફેર ફુદરડી ફરતાં તાં
અમે ફેર ફુદરડી ફરતાં તાં
ફેર ફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા
ભાઈ પડી જવાની કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં
અમે દોડમ દોડી કરતાં તાં
દોડમ દોડી કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા
ભાઈ બેસી જવાની કેવી મજા

અમે આમલી પીપળી રમતાં તાં
અમે ઝાડે ઝાડે ચડતાં તાં
ઝાડે ઝાડે ચડતાં ચડતાં
લપસી જવાની કેવી મજા
ભાઈ લપસી જવાની કેવી મજા

અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા

અમે ઉંદર બિલ્લી રમતાં તાં
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં તાં
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા

માત ભવાની દુર્ગે – પરેશ ભટ્ટ

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે –

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

.

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

.

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ

rain-photography1
(ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી…)

સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર

વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.

-રમણભાઈ પટેલ

તરત જ ગમી જાય એવું સાવ સરળભાષી અને મનભાવન ગીત… ઉપરથી કવિતા કૃષ્ણમૂર્તિનો કર્ણપ્રિય અવાજ સાચે જ એક વાદળી વરસાવી જતો હોય એમ નથી લાગતું…?!

રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર – આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!

કવિ : મીરાંબાઈ
સ્વર – સંગીત : અતુલ દેસાઈ

.

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

સાવ અચાનક મૂશળધારે… – તુષાર શુક્લ

આજે વ્હાલા કવિ શ્રી તુષાર શુક્લનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ… અઢળક…અમિત શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ જાણીતું, અને મારું ખૂબ જ ગમતું વરસાદી ગીત..! અને હા, તુષારભાઇની કલમના ચાહકો માટે એક ખબર.. તાજેતરમાં જ એમની ૩ નવી ચોપડીઓ બહાર પડી છે. દીકરા-દીકરીના પિતા સાથેના સંવેદનશીલ સંવાદો મઢેલી આ ચોપડીઓ મારા હાથમાં ક્યારે આવે એની જ રાહ જોઇ રહી છું. 🙂

Happy Birthday Tusharbhai….  !!

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ